આપણે જે ઘરમાં રહીએ છીએ, પોતાના પરિવાર સાથે જ્યાં વસવાટ કરીએ છીએ, તે ઘરનું સ્થળ ક્યાં છે તેનું સરનામું જાણીએ છીએ. પોતાના ઘરમાં જે ફર્નીચર કે વસ્તુઓ છે, અથવા કોણ સાથે રહે છે, તે બધી જ બાબતોથી આપણે જાણકાર રહીએ છીએ, તથા ઘરમાં સ્વચ્છતા સાથે એની યોગ્ય રીતે જાળવણી પણ કરીએ છીએ. ઘર પોતાની માલિકીનું હોય કે ભાડાનું, દરેક માનવીને ઘરનો સહારો જોઈએ છે. એટલે જ ઘણીવાર ઘર ખરીદવા માટે જીવનભરની મૂડી વાપરી નાંખે છે અને ઘરમાં રહેવાનો આનંદ માણે છે. આમ ઘરની ભૂમિનું સ્થળ હોય, કે આજીવિકાના કાર્ય જ્યાં કરીએ તે ભૂમિ હોય, એ ભૂમિ છે પૃથ્વી ગ્રહની અને દરેક દેહધારી જીવ આ પૃથ્વી ગ્રહ રૂપી ઘરમાં વસવાટ કરે છે. આ ઘરને ખરીદવા માટે રૂપિયાની જરૂર પડતી નથી. પરંતુ પૃથ્વી ગ્રહ રૂપી ઘરમાં રહેવાનો જે અધિકાર મળ્યો છે, તે અનુસારનું માનવીનું વર્તન નથી! જેમ પોતાના ઘરની દરેક વસ્તુઓથી માનવી જાણકાર રહે છે, તેમ પૃથ્વી ગ્રહના ઘરથી તે જાણકાર થતો નથી. તેથી જ આ ઘરમાં સહજતાથી પ્રાપ્ત થતાં ધાન્યની, વનસ્પતિની, ધાતુની, વાતાવરણની મહત્તાથી અજાણ રહી, એની વૃદ્ધિ-વિકાસની જાળવણીના બદલે એને દૂષિત વધુ કરે છે.
માનવી જો જાણકાર થાય તો પોતાના ઘરની જેમ પ્રકૃતિ જગતની વિકાસશીલ જાળવણી કરવાનું શીખી જાય. કારણ મનની વિચારવાની તથા બુદ્ધિપૂર્વક સમજવાની જે શક્તિ છે, તે માત્ર માનવીને પ્રભુએ અર્પી છે. જે મન જાણકાર થઈને જીવે, તે પ્રભુએ અર્પણ કરેલી સુવિધાજનક, આ પૃથ્વી ઘરની સુંદરતાને વધુ સુંદર કરવાનો પુરુષાર્થ કરે, તે છે ભક્ત સ્વરૂપનું જાણકાર મન. ભક્ત એટલે માત્ર પ્રભુની સ્તુતિ કે ભજનો ગાયા ન કરે. એ તો રોજિંદા કાર્યો દ્વારા જીવંત જીવન રૂપે થતી અણગીન ક્રિયાઓની મહત્તા જાણવાનો પુરુષાર્થ કરે. એવા પુરુષાર્થ રૂપે એ પોતાના શરીર રૂપી ઘરથી થતાં પૃથ્વી રૂપી ઘરથી જાણકાર થતો જાય. જાણવાની જ્ઞાતા ભાવની જાગૃતિથી જીવન જીવાય, તો જિવાડનાર પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ થઈ શકે. એવી પ્રતીતિથી ભક્ત તો આત્મીય ચેતનાનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ, પોતાના વિચાર-વર્તનના કર્મ રૂપે પ્રદર્શિત થાય એવાં સાત્ત્વિક ભાવથી જીવે. તેથી ભક્તનું મન પળે પળે પ્રાપ્ત થતાં શ્ર્વાસની ચેતના રૂપી ધનનો અહોભાવથી સ્વીકાર કરે છે. એવાં સ્વીકારભાવમાં મનની અહંકારી વૃત્તિઓનું સમર્પણ થાય અને અનુભવાય કે જિવાડનાર પ્રભુની ચેતના છે, કાર્યો કરાવનાર પણ એ જ ક્રિયાત્મક ચેતનાની ઊર્જા શક્તિ છે. એવાં સમર્પણમાં મનનો કર્તાભાવનો અહંકાર ઓગળતો જાય છે.
સામાન્ય રૂપે માનવી ભજન-કીર્તન-સ્તુતિ ગાઈને મન મનાવી લે છે કે પોતે પ્રભુની ભક્તિ કરે છે. વાસ્તવમાં ભક્તિ કરવાની કોઈ પ્રવૃત્તિ નથી. ભક્તિ એટલે સત્ ભાવની જાગૃતિ અને એવી જાગૃતિ અર્થે પ્રભુની ચેતનાનું ધન આપણને સૌને પળે પળે શ્ર્વાસ રૂપે અર્પણ થતું રહે છે. તેથી ભક્તિ ભાવથી જીવન જીવવું જોઈએ. અર્થાત્ જે પણ કર્મ કરીએ, તે અકર્તાભાવની, નિષ્કામભાવની, આદરભાવની, કે પ્રેમભાવની જાગૃતિથી જો જાય, તો ભાવની જાગૃતિ સ્વરૂપે આત્મીય ચેતનાનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ પ્રગટતું જાય. જે કર્મ દ્વારા સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ પ્રગટે, તે છે ભક્તિનું ધાર્મિક આચરણ. તેથી અમુક સમયમાં જ ભજનો ગાવાની કે મંત્રો-સ્તુતિ બોલવાની પ્રવૃત્તિને ભક્તિ ન કહેવાય. ભક્તિ તો પ્રભુની શક્તિ છે, જે આત્માની ઊર્જા શક્તિ રૂપે આપણને અર્પણ થાય છે. મન આ શક્તિને જાણ્યાં વગર તેનો ઉપયોગ કરે છે. એટલે શક્તિનું પ્રભુત્વ પ્રગટતું નથી અને ભક્તિ ભાવ વગરના જીવનમાં સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાની તથા તાત્પર્ય ગ્રહણ કરવાની મનની કળા ખીલતી નથી. ભક્તિભાવ વગરનું મન એક મશીનની જેમ પોતાના રોજિંદા કાર્યો કરે છે. એવું મન આશા-નિરાશામાં ફરતું રહે અને બાહ્ય જગતના વિષયોમાં સુખને શોધતું રહે છે.
મોટેભાગે દરેક માનવી સુખ પ્રાપ્તિ તથા દુ:ખ મુક્તિના આશયથી કર્મ કરે છે. એવો આશય યોગ્ય ત્યારે કહેવાય, જ્યારે સમજાય કે સુખ એટલે મનની ભીતરમાં સમાયેલા સાત્ત્વિક ગુણો ભક્તિભાવની જાગૃતિથી પ્રગટે અને દુ:ખ મુક્તિ એટલે સાત્ત્વિક ગુણોની જાગૃતિમાં ભવોના કર્મસંસ્કારોનું આવરણ ઓગળતું જાય. ભાવની જાગૃતિમાં સુખ-દુ:ખનાં અનુભવમાં રગદોળાતું નથી, કારણ ભક્તિ ભાવનાં નિર્મળ આનંદના વહેણ મનમાં ઊભરાતાં રહે છે. જે બીજા જિજ્ઞાસુઓને ભક્તિભાવ તરફ ઢળવાની પ્રેરણા અર્પે છે. ભક્તની જ્ઞાતા ભાવની જાગૃતિના લીધે તે જાણકાર થઈને કર્મ કરે છે. અર્થાત્ કરાવનાર પ્રભુની શક્તિ છે, તેની પ્રતીતિ સાથે અકર્તાભાવથી ભક્ત કર્મ કરે, ત્યારે અહમ્ વૃત્તિ ક્ષીણ થવાંથી સત્ ભાવનાં સ્પંદનોને તે અનુભવે છે. સત્ ભાવનાં સ્પંદનોની સૂક્ષ્મતા જેમ જેમ ધારણ થાય, તેમ તેમ મનનું આવરણ ઓગળતું જાય. ભક્તની જેમ ચિત્રકાર, સંગીતકાર, વૈજ્ઞાનિક, કે કોઈ પણ સર્જનાત્મક કાર્ય કરનાર માનવી હોય, તે પોતાના કાર્યની વિશેષ પ્રકારની નવીનતા ત્યારે જ પ્રગટાવી શકે, જ્યારે પોતાના અહમ્ વૃત્તિના આડંબરને ઓછો કરે. અહમ્ વૃત્તિનું આવરણ જ્યાં ઓછું, ત્યાં આત્માના સાત્ત્વિક ગુણોની ઊર્જા શક્તિ તે નવીન કાર્યને સર્જાવવાનું મનોબળ અર્પણ કરે. આપણું મન રહે છે શરીરના ઘરમાં, શરીર રહે છે જે ઘરમાં, તે પૃથ્વીની ભૂમિ પર છે અને દરેક ઘરને સર્જાવતી તથા રખેવાળી કરતી પ્રભુની શક્તિ છે. એ સત્યને જાણ્યાં પછી અહમ્ને ક્ષીણ કરાવતો સત્ભાવ જાગૃત થાય, તે છે પ્રભુ કૃપા ધારણ થવી.
હું જ્ઞાની છું એવા અહમ્ના આવરણને લીધે મનોવૃત્તિઓ ન થાય સૂક્ષ્મ;
અહમ્ને ક્ષીણ કરે ભક્તિ ભાવની સૂક્ષ્મતા અને મનોવૃત્તિઓ થાય જીર્ણ;
જીર્ણતામાં થવાય અણુ જેવા ઝીણાં
અને અણુએ અણુની ઝીણાશમાં છે આત્માની ચેતના;
તે ઝીણાશમાં મન જ્યારે થાય વશ, ત્યારે ઈશાવાસની ઝીણાશ પ્રગટતી જાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા