Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
હું જ્ઞાની છું એ અહમ્ મનોવૃત્તિને સૂક્ષ્મ કરે છે

આપણે જે ઘરમાં રહીએ છીએ, પોતાના પરિવાર સાથે જ્યાં વસવાટ કરીએ છીએ, તે ઘરનું સ્થળ ક્યાં છે તેનું સરનામું જાણીએ છીએ. પોતાના ઘરમાં જે ફર્નીચર કે વસ્તુઓ છે, અથવા કોણ સાથે રહે છે, તે બધી જ બાબતોથી આપણે જાણકાર રહીએ છીએ, તથા ઘરમાં સ્વચ્છતા સાથે એની યોગ્ય રીતે જાળવણી પણ કરીએ છીએ. ઘર પોતાની માલિકીનું હોય કે ભાડાનું, દરેક માનવીને ઘરનો સહારો જોઈએ છે. એટલે જ ઘણીવાર ઘર ખરીદવા માટે જીવનભરની મૂડી વાપરી નાંખે છે અને ઘરમાં રહેવાનો આનંદ માણે છે. આમ ઘરની ભૂમિનું સ્થળ હોય, કે આજીવિકાના કાર્ય જ્યાં કરીએ તે ભૂમિ હોય, એ ભૂમિ છે પૃથ્વી ગ્રહની અને દરેક દેહધારી જીવ આ પૃથ્વી ગ્રહ રૂપી ઘરમાં વસવાટ કરે છે. આ ઘરને ખરીદવા માટે રૂપિયાની જરૂર પડતી નથી. પરંતુ પૃથ્વી ગ્રહ રૂપી ઘરમાં રહેવાનો જે અધિકાર મળ્યો છે, તે અનુસારનું માનવીનું વર્તન નથી! જેમ પોતાના ઘરની દરેક વસ્તુઓથી માનવી જાણકાર રહે છે, તેમ પૃથ્વી ગ્રહના ઘરથી તે જાણકાર થતો નથી. તેથી જ આ ઘરમાં સહજતાથી પ્રાપ્ત થતાં ધાન્યની, વનસ્પતિની, ધાતુની, વાતાવરણની મહત્તાથી અજાણ રહી, એની વૃદ્ધિ-વિકાસની જાળવણીના બદલે એને દૂષિત વધુ કરે છે.

       માનવી જો જાણકાર થાય તો પોતાના ઘરની જેમ પ્રકૃતિ જગતની વિકાસશીલ જાળવણી કરવાનું શીખી જાય. કારણ મનની વિચારવાની તથા બુદ્ધિપૂર્વક સમજવાની જે શક્તિ છે, તે માત્ર માનવીને પ્રભુએ અર્પી છે. જે મન જાણકાર થઈને જીવે, તે પ્રભુએ અર્પણ કરેલી સુવિધાજનક, આ પૃથ્વી ઘરની સુંદરતાને વધુ સુંદર કરવાનો પુરુષાર્થ કરે, તે છે ભક્ત સ્વરૂપનું જાણકાર મન. ભક્ત એટલે માત્ર પ્રભુની સ્તુતિ કે ભજનો ગાયા ન કરે. એ તો રોજિંદા કાર્યો દ્વારા જીવંત જીવન રૂપે થતી અણગીન ક્રિયાઓની મહત્તા જાણવાનો પુરુષાર્થ કરે. એવા પુરુષાર્થ રૂપે એ પોતાના શરીર રૂપી ઘરથી થતાં પૃથ્વી રૂપી ઘરથી જાણકાર થતો જાય. જાણવાની જ્ઞાતા ભાવની જાગૃતિથી જીવન જીવાય, તો જિવાડનાર પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ થઈ શકે. એવી પ્રતીતિથી ભક્ત તો આત્મીય ચેતનાનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ, પોતાના વિચાર-વર્તનના કર્મ રૂપે પ્રદર્શિત થાય એવાં સાત્ત્વિક ભાવથી જીવે. તેથી ભક્તનું મન પળે પળે પ્રાપ્ત થતાં શ્ર્વાસની ચેતના રૂપી ધનનો અહોભાવથી સ્વીકાર કરે છે. એવાં સ્વીકારભાવમાં મનની અહંકારી વૃત્તિઓનું સમર્પણ થાય અને અનુભવાય કે જિવાડનાર પ્રભુની ચેતના છે, કાર્યો કરાવનાર પણ એ જ ક્રિયાત્મક ચેતનાની ઊર્જા શક્તિ છે. એવાં સમર્પણમાં મનનો કર્તાભાવનો અહંકાર ઓગળતો જાય છે.

       સામાન્ય રૂપે માનવી ભજન-કીર્તન-સ્તુતિ ગાઈને મન મનાવી લે છે કે પોતે પ્રભુની ભક્તિ કરે છે. વાસ્તવમાં ભક્તિ કરવાની કોઈ પ્રવૃત્તિ નથી. ભક્તિ એટલે સત્ ભાવની જાગૃતિ અને એવી જાગૃતિ અર્થે પ્રભુની ચેતનાનું ધન આપણને સૌને પળે પળે શ્ર્વાસ રૂપે અર્પણ થતું રહે છે. તેથી ભક્તિ ભાવથી જીવન જીવવું જોઈએ. અર્થાત્ જે પણ કર્મ કરીએ, તે અકર્તાભાવની, નિષ્કામભાવની, આદરભાવની, કે પ્રેમભાવની જાગૃતિથી જો જાય, તો ભાવની જાગૃતિ સ્વરૂપે આત્મીય ચેતનાનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ પ્રગટતું જાય. જે કર્મ દ્વારા સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ પ્રગટે, તે છે ભક્તિનું ધાર્મિક આચરણ. તેથી અમુક સમયમાં જ ભજનો ગાવાની કે મંત્રો-સ્તુતિ બોલવાની પ્રવૃત્તિને ભક્તિ ન કહેવાય. ભક્તિ તો પ્રભુની શક્તિ છે, જે આત્માની ઊર્જા શક્તિ રૂપે આપણને અર્પણ થાય છે. મન આ શક્તિને જાણ્યાં વગર તેનો ઉપયોગ કરે છે. એટલે શક્તિનું પ્રભુત્વ પ્રગટતું નથી અને ભક્તિ ભાવ વગરના જીવનમાં સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાની તથા તાત્પર્ય ગ્રહણ કરવાની મનની કળા ખીલતી નથી. ભક્તિભાવ વગરનું મન એક મશીનની જેમ પોતાના રોજિંદા કાર્યો કરે છે. એવું મન આશા-નિરાશામાં ફરતું રહે અને બાહ્ય જગતના વિષયોમાં સુખને શોધતું રહે છે.

       મોટેભાગે દરેક માનવી સુખ પ્રાપ્તિ તથા દુ:ખ મુક્તિના આશયથી કર્મ કરે છે. એવો આશય યોગ્ય ત્યારે કહેવાય, જ્યારે સમજાય કે સુખ એટલે મનની ભીતરમાં સમાયેલા સાત્ત્વિક ગુણો ભક્તિભાવની જાગૃતિથી પ્રગટે અને દુ:ખ મુક્તિ એટલે સાત્ત્વિક ગુણોની જાગૃતિમાં ભવોના કર્મસંસ્કારોનું આવરણ ઓગળતું જાય. ભાવની જાગૃતિમાં સુખ-દુ:ખનાં અનુભવમાં રગદોળાતું નથી, કારણ ભક્તિ ભાવનાં નિર્મળ આનંદના વહેણ મનમાં ઊભરાતાં રહે છે. જે બીજા જિજ્ઞાસુઓને ભક્તિભાવ તરફ ઢળવાની પ્રેરણા અર્પે છે. ભક્તની જ્ઞાતા ભાવની જાગૃતિના લીધે તે જાણકાર થઈને કર્મ કરે છે. અર્થાત્ કરાવનાર પ્રભુની શક્તિ છે, તેની પ્રતીતિ સાથે અકર્તાભાવથી ભક્ત કર્મ કરે, ત્યારે અહમ્ વૃત્તિ ક્ષીણ થવાંથી સત્ ભાવનાં સ્પંદનોને તે અનુભવે છે. સત્ ભાવનાં સ્પંદનોની સૂક્ષ્મતા જેમ જેમ ધારણ થાય, તેમ તેમ મનનું આવરણ ઓગળતું જાય. ભક્તની જેમ ચિત્રકાર, સંગીતકાર, વૈજ્ઞાનિક, કે કોઈ પણ સર્જનાત્મક કાર્ય કરનાર માનવી હોય, તે પોતાના કાર્યની વિશેષ પ્રકારની નવીનતા ત્યારે જ પ્રગટાવી શકે, જ્યારે પોતાના અહમ્ વૃત્તિના આડંબરને ઓછો કરે. અહમ્ વૃત્તિનું આવરણ જ્યાં ઓછું, ત્યાં આત્માના સાત્ત્વિક ગુણોની ઊર્જા શક્તિ તે નવીન કાર્યને સર્જાવવાનું મનોબળ અર્પણ કરે. આપણું મન રહે છે શરીરના ઘરમાં, શરીર રહે છે જે ઘરમાં, તે પૃથ્વીની ભૂમિ પર છે અને દરેક ઘરને સર્જાવતી તથા રખેવાળી કરતી પ્રભુની શક્તિ છે. એ સત્યને જાણ્યાં પછી અહમ્ને ક્ષીણ કરાવતો સત્ભાવ જાગૃત થાય, તે છે પ્રભુ કૃપા ધારણ થવી.

 

       હું જ્ઞાની છું એવા અહમ્ના આવરણને લીધે મનોવૃત્તિઓ ન થાય સૂક્ષ્મ;

       અહમ્ને ક્ષીણ કરે ભક્તિ ભાવની સૂક્ષ્મતા અને મનોવૃત્તિઓ થાય જીર્ણ;

       જીર્ણતામાં થવાય અણુ જેવા ઝીણાં

અને અણુએ અણુની ઝીણાશમાં છે આત્માની ચેતના;

       તે ઝીણાશમાં મન જ્યારે થાય વશ, ત્યારે ઈશાવાસની ઝીણાશ પ્રગટતી જાય.       

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
...તો ભગવત્ ભાવનું ભરણું ભરાય

સંગ તેવો રંગ, તે હકીકત અનુસાર મન જો સાત્ત્વિક વિચારોના સંગમાં રહે, તો સાત્ત્વિક વર્તનનો ઉદય આપમેળે થાય. સામાન્ય રૂપે માનવી મનનો વિશિષ્ટ સ્વભાવ છે કે, એકવાર જો અમુક સ્થિતિને જાણવાની ઈચ્છા પ્રબળ થઈ, તો તે જાણવા યોગ્ય સ્થિતિનો સ્વીકાર કોઈ પણ તર્ક કે દલીલ વગર કરે છે. પછી તે જાણેલી સ્થિતિને ભોગવવા, કે અનુભવવા માટેના પ્રયત્નો કરવામાં કોઈ કચાશ નહિ રાખે. તેથી કોઈ પણ માનવીમાં સ્વયંના આત્મ સ્વરૂપને જાણવાની અથવા પરિચિત થવાની લગની જાગૃત થઈ શકે છે. પરંતુ મન જ્યાં સુધી લૌકિક જગતને જ સત્ય માને, અથવા આકારિત જગતની પ્રકૃતિના, આકૃતિના મોહમાં જીવે, અથવા મિલકત, સત્તા, કીર્તિ, સન્માન મેળવવા માટે દુન્યવી બાબતોમાં વીંટળાયેલું રહે, ત્યાં સુધી સ્વયંને જાણવાની તથા સ્વાનુભૂતિ રૂપે અનુભવવાની લગની જાગૃત થતી નથી. તેથી જ મનની ભક્ત સ્વરૂપની શ્રેષ્ઠતા, કે જ્ઞાની સ્વરૂપની ગુણિયલતા મનોમન સુષુપ્ત જ રહે છે. અર્થાત્ આત્મ સ્વરૂપનું સાત્ત્વિક ગુણોનું કૌશલ્ય ઢંકાયેલું રહે છે અને તે વિચાર-વર્તન રૂપે પ્રગટતું નથી.

       માનવી મોટેભાગે સ્વયંના સ્વરૂપને જાણવાનું ટાળે છે અને આજીવિકાના કાર્યો તથા પરિવારની જવાબદારીના કાર્યો કરવામાં સમય મળતો નથી એવાં બહાના દર્શાવે છે. એવા બહાનાઓથી ટેવાયેલું મન, પોતે જ પોતાની ગુણિયલ દિવ્યતાને ભોગવ્યાં વગરની કંગાલિયતમાં જીવે છે. અર્થાત્ આત્મા રૂપી તિજોરી પોતાની છે અને એને ખોલવા માટે મન રૂપી ચાવી પોતાની પાસે છે. છતાં સ્વયંની ગુણિયલ સંપત્તિને ભોગવ્યા વગરની ગરીબીમાં માનવી જીવે છે. જેનો અહેસાસ ઘણીવાર ઢળતી ઉંમરે થાય છે. પરંતુ જીવનભર મન રૂપી ચાવીનો સદુપયોગ કરવાની કળા શીખ્યાં નહિ, એટલે શરીરની વૃદ્ધ અવસ્થામાં મનની વિચારવાની, સૂક્ષ્મ સૃષ્ટિની વાસ્તવિકતાને સમજવાની, કે ગ્રહણ કરવાની કળા શિથિલ થઈ જાય છે. જીવનભર માનવી ભૂલી જાય છે કે મનુષ્ય જન્મની પ્રાપ્તિ, એટલે જ મનમાં સુષુપ્ત રહેલી ગુણિયલતાને જાગૃત કરવાનો અનુકૂળ અવસર. અનેક ભવનાં સાત્ત્વિક કર્મના ફળની પ્રાપ્તિ રૂપે મનુષ્ય જન્મ મળે છે. પરંતુ માનવી આ સત્યને વિસરીને જીવે છે. આપણને એટલી તો જાણ છે કે, કર્મસંસ્કારોના લીધે પ્રારબ્ધગત જીવન જીવવું પડે છે. એટલે તે સંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને તૃપ્ત કરવા માટે, એકબીજા સાથેના સંબંધો બંધાય છે.

       મન એટલે જ કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ. તે વૃત્તિઓને વિચાર-વર્તનની પ્રક્રિયાથી તૃપ્ત કરવા માટે આપણને માનવી જન્મનો સહારો મળ્યો છે. તેથી તૃપ્તિના વર્તન માટે અકર્તાભાવથી, પરસ્પર એકબીજા સાથે પ્રેમભાવથી જીવન જીવવાનું છે. જેમ જેમ મનની અતૃપ્ત વૃત્તિઓનો સામાન ઓછો થતો જશે, તેમ તેમ મનમાં સુષુપ્ત રહેલી સ્વયંની ગુણિયલતા વર્તનમાં પ્રગટતી જશે. કારણ આત્મા રૂપી સૂર્યના કિરણો મન રૂપે પ્રસરે છે. કર્મસંસ્કારોનું અતૃપ્ત વૃત્તિઓનું માનસ જો જ્ઞાન-ભક્તિના સત્સંગથી, સ્વમય ચિંતનની નિષ્ઠાથી ઓગળતું જાય, તો મનનાં આત્મ સ્વરૂપનો પ્રભાવ સાત્ત્વિક ગુણોના સદાચરણ રૂપે પ્રગટતો જાય. એવાં મનમાં અહમ્ વૃત્તિનો ગર્વ ન હોય, રાગ-દ્વેષના ભેદભાવ ન હોય, એટલે એને ન-મનનું અંતર આસન કહેવાય છે. ન-મન એટલે મનનું એવું વિશાળ માનસ, જે અવનવાં સાત્ત્વિક વિચારોના અંતર કહેણ ઝીલતું રહે અને સાત્ત્વિક ભાવની જાગૃતિથી સ્વાનુભૂતિની અંતર યાત્રામાં લીન રહે.

 

       મન કરાવે સ્મરણ, પણ જ્યાં લૌકિક વિચારો નથી,

એવી ન-મન સ્થિતિમાં ન હોય સંસારી સ્મરણ;

       ન-મન સ્થિતિમાં અહમ્ વૃત્તિનું સમર્પણ હોય

અને થાય અંતરની વિશાળતામાં સાત્ત્વિકભાવથી રમણ;

       લૌકિક વિચારોના રાગ-દ્વેષનું સ્મરણ બંધ થાય

પછી ભગવત્ ભાવનું ભરણું ભરાય;

       ભગવત્ કૃપાના વહેણ રૂપે અંતર કહેણની અક્ષર ધારા વહે,

જે ધરે અંતર યાત્રાનું માર્ગદર્શન.

 

       રાગ-દ્વેષાત્મક વિચારોમાં મનનું ભ્રમણ સતત થતું રહે છે. એટલે સત્સંગ રૂપે કરેલાં સાત્ત્વિક વિચારોના સ્મરણમાં મન સ્થિત થઈ શકતું નથી. પોતે શરીરમાં વસવાટ કરે છે તે સત્યથી અજ્ઞાત રહીને પોતે જ શરીર છે એવી ભ્રમણામાં મન જીવે છે. એટલે શરીરની જન્મ-મૃત્યુની ઘટનાથી સુખી-દુ:ખી થતાં, સ્વયંની સાત્ત્વિક પ્રતિભાને મન કુંઠિત કરી દે છે. સાત્ત્વિક ગુણોની પ્રતિભા જો જાગૃત ન થાય, તો અહંકારી સ્વભાવના મિથ્યાભિમાનમાં મન ઘેરાયેલું રહે છે. એવાં મનમાં વિચાર અને વર્તનનો વિરોધાભાસ હોય, એટલે કે મન વિચારે કંઈક અને વર્તન કરે કંઈક બીજું. તેથી આજના આધુનિક સમયમાં નવા નવા સંશોધનની ક્રાંતિ છે, પણ મનની ઉત્ક્રાંતિ નહિવત્ છે. સુખ સગવડવાળા વૈભવી મકાનોમાં રહેવાની સુવિધા મળી રહે છે. પરંતુ માનવીનું માનસ ભેદભાવમાં ફરતું રહેવાથી નાની ઝૂંપડી જેવું સંકુચિત થતું જાય છે. મનગમતી વસ્તુઓ, કે વસ્ત્રો ખરીદવાના રૂપિયાની અછત નથી, અથવા હોટલમાં કે મોલમાં જઈ મોટી રકમના બીલ ભરવા માટેના બેન્કના ડેબીટ કે ક્રેડીટ કાર્ડની સહાયતા જલ્દીથી મળી જાય છે. પરંતુ એકબીજા સાથેના સંબંધોમાં પ્રેમની સુવાસ સહજ પ્રસરતી નથી. સ્વાર્થ, ઈર્ષ્યા, વેરઝેર વગેરે નકારાત્મક વૃત્તિના લીધે સંબંધોમાં પ્રેમભાવની મોકળાશ અનુભવાતી નથી. બુદ્ધિ બળથી દરેક મુશ્કેલીઓના ઉપાયની દવા માનવી શોધતો રહે છે. પરંતુ મનનાં સાત્ત્વિક સ્વભાવના સ્વાસ્થ્યને કથળી (ડીટોરીએટ) નાંખે છે. માનવી જીવનની મહત્તા સમજીને જીવીએ અને સાત્ત્વિક આચરણથી ધરતી માતાનું ઋણ પૂરું થાય, એવી ભક્તિમાં લીન રહીએ.

      

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
મનનો સદ્વિચાર રૂપી બગીચો

માનવી જન્મ ધારણ કરવાનો જે હિતકારી હેતુ છે, તેને જાણવાનો પ્રયત્ન જે માનવી કરે, તેની મનોવૃત્તિમાં જિજ્ઞાસુ ભાવના સંસ્કારો હોય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. મન જ્યારે સ્વયંને જાણવાની ઈચ્છાથી જીવંત જીવનનો હેતુ જાણવાનો પ્રયાસ કરે, ત્યારે સંસારી વિચારોનું આકર્ષણ ઓછું થાય. જેમ એક વિદ્યાર્થીને જો ભણતરનો હેતુ સમજાય, તો અભ્યાસ કરવાનાં સમયે એ બીજી ઈતર (અન્ય) પ્રવૃત્તિના વિચારો કરતો નથી. અભ્યાસના સમયે બીજી વાતો કે વિચારોને મહત્તા ન આપીને, માત્ર પોતાના અભ્યાસમાં મનને એકાગ્ર કરે છે, તેમ એક જિજ્ઞાસુ ભક્તનું મન સ્વયંને જાણવાનું મનોમંથન કરે, ત્યારે સંસારી રાગ-દ્વેષાત્મક વિચારોને મહત્તા ન આપે. સામાન્ય કક્ષાના મનમાં સ્વયંને જાણવાની ઈચ્છા પ્રબળ ન હોય. એવું મન સંસારી વિચારોમાં વીંટળાયેલું રહે છે. તેથી એવા મનને જ્ઞાન-ભક્તિના સત્સંગમાં, કે સ્વયંને જાણવાના ચિંતનમાં સ્થિત થવાનું મુશ્કેલ લાગે છે. પરંતુ જિજ્ઞાસુ ભક્તના મનમાં રાગ-દ્વેષનો કોલાહલ ઓછો થતો હોવાંથી પ્રભુ સ્મરણમાં કે ચિંતનમાં તે સહજતાથી સ્થિત થાય છે.

       વાસ્તવિક સત્યનું દર્શન જો મનોમન સ્પષ્ટ થતું જાય, તો સમજાય કે દરેક દેહધારી હસ્તીમાં પ્રભુની ચેતનાનું જ પ્રશાસન છે. તે પ્રશાસન એટલે જીવંત સ્વરૂપની સક્રિય, સર્જનાત્મક ક્રિયાઓ, જે તન-મનને વિકાસ-વૃદ્ધિની ક્રિયાથી જિવાડે છે. આ પ્રભુની ચેતનાના ઊર્જા વહેણ સતત ભગવત્ ભાવથી, શ્રેયિત ભાવથી, કરુણાભાવથી સર્વત્ર પ્રસરતાં રહે છે. તેથી પ્રકૃતિની કોઈ પણ હસ્તી ચેતનવંત ઊર્જાના વહેણથી, ક્ષણ માટે પણ વિભક્ત થઈ શકે એમ નથી. જિજ્ઞાસુ ભક્ત આ સત્યના સ્વીકારથી જાગૃતિની અંતરયાત્રાનું જીવન જીવે છે. ભક્તનું એવું અંતર જીવન, એટલે ભગવત્ ભાવની ચેતનામાં સમાયેલાં સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ સ્વયંભૂ પ્રગટ થાય એવું જ્ઞાન-ભક્તિનું સુસંસ્કારી સદાચરણ. એવા સદાચરણથી માનવ જન્મનો હેતુ સિદ્ધ થાય અને ભક્તિ ભાવની સન્મતિથી પરમાર્થી કાર્યો આપમેળે થતાં જાય. પરમાર્થી કાર્યો મનના વિચારોથી નથી થતાં. અર્થાત્ જ્યાં સુધી રાગ-દ્વેષાત્મક અહંકારી વિચારોનો કોલાહલ મનમાં હોય, ત્યાં સુધી માનવી જે પણ કાર્યો કરે તે ઈર્ષ્યા, અદેખાઈ વગેરે ભેદભાવના વર્તનથી થતાં હોય છે. તેથી પ્રથમ મનનું શુદ્ધિકરણ કરવું અતિ આવશ્યક છે.

       મનનાં દોષિત વૃત્તિ-વિચારોના શુદ્ધિકરણ માટે, જ્ઞાન-ભક્તિની સત્સંગ રૂપી સરિતામાં મનને તરતું રાખવું જોઈએ તથા શ્રવણ, ચિંતન, અધ્યયનમાં નિષ્ઠાપૂર્વક મનને સ્થિત રાખવું જોઈએ. જ્યાં સુધી રાગ-દ્વેષના ભેદભાવની દોષિત વૃત્તિઓ છે, ત્યાં સુધી પરમાર્થી ભાવથી, પરોપકારી ભાવથી, કે નિ:સ્વાર્થ પ્રેમભાવથી કાર્યો થતાં નથી. મનના રાગ-દ્વેષાત્મક, સ્વાર્થી સ્વભાવથી મુક્ત થવા માટેનું માર્ગદર્શન માતા-પિતા કે શિક્ષકના વર્તનથી મળી શકે. તેઓનાં વર્તનમાં સ્વાર્થ ઓછો હોય છે. કારણ એક નવજાત શિશુનો ઉછેર અથવા એક વિદ્યાર્થીનો ઉછેર, પ્રેમભાવથી જ થઈ શકે છે. એવાં નિષ્કામ પ્રેમભાવથી માનવીનો ઉછેેર થાય, તો સ્વયંને જાણવાના જિજ્ઞાસુ વૃત્તિના સંસ્કારો ખીલી શકે છે. એવું સંસ્કારી મન માત્ર ખાવું, પીવું, ઊંઘવું, ફરવું વગેરે બાહ્ય પ્રવૃત્તિમાં જ મશગૂલ ન રહે. પરંતુ શરીરને જે જીવંત સ્થિતિ અર્પણ કરે છે, તે આત્મીય ચેતના રૂપી મશાલને પ્રજ્વલિત કરાવતાં સદાચરણ તરફ પ્રયાણ કરતું રહે. મનની આવી સંસ્કારી ગતિ હોય, તો સ્વાર્થી સંકુચિત વિચારો વધુ સમય સુધી ટકી શકતાં નથી. જેમકે સુગંધી ગુલાબનાં છોડનો જ્યાં બગીચો હોય, ત્યાં જો કોઈ દુર્ગંધ ફેલાવતો થોડો કચરો પણ નાંખી જાય, તો થોડાં સમય માટે ગુલાબની સુગંધને બદલે કચરાની દુર્ગંધ બગીચામાં પ્રસરી જાય. આમ છતાં પ્રભુની કૃપા સ્વરૂપ વાયુદેવની હાજરીના લીધે, થોડા સમય પછી દુર્ગંધની માત્રા ઘટતી જાય અને ગુલાબની સુગંધ પુન: પ્રસરતી જાય છે. એ જ રીતે મનનો જો સદ્વિચારો રૂપી ગુલાબનો બગીચો ખીલતો રહે, તો રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારો રૂપી કચરાની દુર્ગંધ લાંબો સમય ટકી શકતી નથી. કારણ જેનાં આધારે વિચારોનું વર્તન થાય છે, તે આત્મીય ચેતના રૂપી વાયુની હાજરી સર્વત્ર છે. જે સદ્વિચારોના ચિંતન રૂપી ગુલાબ દ્વારા, સાત્ત્વિક ભાવની સુગંધને પ્રસરતી રાખે છે.

       સામાન્ય રૂપે માનવીને ચિંતન કે અધ્યયન કરવાનું ગમે નહિ. સમય નથી મળતો, કે મુશ્કેલ લાગે છે એવાં બહાના જે દર્શાવે, તેઓને વાસ્તવમાં બીજી સંસારી પ્રવૃત્તિઓ કરવાનો મોહ હોય છે. બાકી જેને સ્વયંનું સત્ દર્શન કરવું છે, એ તો આજુબાજુમાં થતી પ્રકૃતિની અનેક ક્રિયાઓનાં નિરીક્ષણથી જ સાત્ત્વિક બોધને ધારણ કરે છે. જેમકે એક કીડી પોતાના વજન કરતાં દસ ગણા મોટાં સાકરના કણને લઈને દિવાલ પર ચઢતી જોઈએ, ત્યારે પોતાના મનનું ઘડતર થાય એવાં વિચારોથી અધ્યયન થઈ શકે છે. કીડી દિવાલ પર ચઢતાં ઘણીવાર નીચે પડી જાય છે. છતાં પણ તે સાકરના કણને લઈને ઉપર ચઢવાનો પ્રયત્ન વારંવાર કર્યા કરે છે. તે સાકરના કણોને ભેગા કરવાની પ્રવૃત્તિને આળસ વગર, એકાગ્રતાથી, મહેનતપૂર્વક કરતી રહે છે. કીડીની જેમ મનના શુદ્ધિકરણ માટે પ્રયત્નશીલ રહેશું, તો આ ભવના કર્મસંસ્કારો પર સાત્ત્વિક ભાવનો રંગ લાગતો જશે. તેથી જિજ્ઞાસુ ભક્ત હંમેશા પ્રભુને વિનંતિપૂર્વક પ્રાર્થના કરતો રહે કે..,

 

       "આ ભવના, પરભવના કર્મસંસ્કારો વીંટળાતા,

ભવેભવની મારી કથા રચાતી રહી;

       કથા અનુરૂપ જન્મ-મૃત્યુની યાત્રા રૂપે હું(જીવ) આવાગમનના ફેરા ફરતો રહ્યો;

       હે પ્રભુ! કૃપા કરી આ ભવમાં આપની ભક્તિના રંગે રંગાઈને

અંતર સ્થિત થાઉં;

       અને ભગવત્ ભાવની જાગૃતિથી, આપનામાં સમાઈ જવાય

એવી એકમની ગતિમાં ગતિમાન કરજો.”

      

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
મન જીવે સ્વાર્થથી એટલે ન થાય વિશાળ

આ ધરતી પર આંખોથી જોઈ ન શકાય એવા વિવિધ જંતુઓ જીવે છે, તથા અનેક પ્રકારના પશુ, પક્ષી, જળચરથી માંડીને મનુષ્ય રૂપના આકારો જીવે છે. તે સૌમાં મનુષ્ય આકારનું જીવન શ્રેષ્ઠ ગણાય છે. કારણ મનનો પુરસ્કાર માનવીને મળ્યો છે. મન જે ક્રિયાત્મક ઊર્જા શક્તિને વાપરે છે, તે પ્રભુની આત્મીય ચેતનાની છે. તેથી જ મન વિચારી શકે છે, સમજણ ગ્રહણ કરી શકે છે, ક્રિયા-પ્રતિક્રિયાને વાણીથી દર્શાવી શકે છે, તથા સુખી-દુ:ખી મનોભાવને અનુભવી શકે છે. આત્મીય ચેતનાનો ઊર્જા સ્ત્રોત સર્વત્ર વ્યાપ્ત છે અને સર્વેને ક્ષણે ક્ષણે નવીન સ્વરૂપે શ્ર્વાસના પ્રેમભાવની સુમેળતાથી અથવા સાત્ત્વિક ગુણોની જાગૃતિથી જીવવાનો સંકેત સહજ ગ્રહણ થતો નથી. શ્ર્વાસ રૂપે પ્રાપ્ત થતાં પ્રભુના દાનનો કોઈ પણ દેહધારી જીવ અસ્વીકાર કરી શકે એમ નથી અને સ્વીકાર કરવાનો પુરુષાર્થ કોઈને કરવો પડતો નથી. એવાં સ્વયંભૂ પ્રાપ્ત થયાં કરતાં પ્રભુના દાનનો સાંકેતિક મહિમા જાણીને જે માનવી જીવે, તેના મનની જાગૃતિને કહેવાય ભક્ત સ્વરૂપની વિશાળતા.

       માનવી જન્મની શ્રેષ્ઠતા રૂપે પ્રાપ્ત થયેલા મનના પુરસ્કારનો સદુપયોગ થાય ત્યારે પોતાના સ્વ સ્વરૂપને, એટલે કે પ્રભુની આત્મીય ચેતનાને જાણવાની ભક્તિ થાય. વાસ્તવમાં ચેતના વિશે જાણી ન શકાય, પણ અહીંના લૌકિક જીવનના અનુભવોથી ભક્ત તે દિવ્ય ચેતનાની અલૌકિકતાને, કે સાત્ત્વિકતાને સ્વીકારે છે. એવાં સ્વીકારમાં હોય મનની રા-દ્વેષાત્મક વર્તનની ભૂલોનો પશ્ર્ચાત્તાપ, તથા આકાર-નિરાકારના કે લૌકિક-અલૌકિકના રહસ્યને જાણવાની જિજ્ઞાસા, તથા અજ્ઞાનવશ થયેલી ભૂલોનો એકરાર સાથે, સ્વયંના આત્મીય ગુણોની જાગૃતિને ધારણ કરાવતાં જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત રહેવાનો પુરુષાર્થ હોય. ભક્ત એવાં પુરુષાર્થથી જીવન જીવે અને સાત્ત્વિકભાવની જાગૃતિ સ્વયંભૂ ધારણ થતી જાય. ભક્તની જેમ સામાન્ય મનની સ્થિતિ પોતાના આત્મ સ્વરૂપની સાત્ત્વિકતાને ભોગવતી નથક્ષ. કારણ મન પર કર્મસંસ્કારોનું આવરણ હોવાંથી, સ્વ સ્વરૂપનું સત્ દર્શન ગ્રહણ થતું નથી. કર્મસંસ્કારો એટલે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની ગાંઠો, જે વિચાર-વર્તનની ક્રિયાથી તૃપ્તિ અનુભવે. પરંતુ તૃપ્તિનો અનુભવ સહજ થતો નથી. કારણ રાગ, દ્વેષ, ઈર્ષ્યા, વેરઝેર, ક્રોધ વગેરે વિકારી સ્વભાવથી માનવી ઈચ્છા તૃપ્તિનું જીવન જીવે છે. એવાં વિકારી સ્વભાવનાં લીધે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની ગાંઠો વધતી જાય છે અને કર્મસંસ્કારોનું આવરણ વર્ષાઋતુના વાદળોની જેમ ગાઢ થતું જાય છે.

       ગાઢ આવરણ જેવાં પડદાંનો અવરોધ, મનને પોતાના આત્મ સ્વરૂપના સત્ દર્શનથી વંચિત રાખે છે. જે આવી સંશયાત્મક વિકારી વૃત્તિઓનો અવરોધ, સ્વમય ચિંતનની ભક્તિમાં સ્થિત થઈ શકતો નથી. એવું અવરોધક મન આકરોની દુનિયાને જ સત્ય માને છે, એટલે આકારિત પ્રકૃતિના વ્યવહારમાં ગૂંથાયેલું રહે છે. આકારિત દેહને જીવંત રાખનાર શ્ર્વાસની ચેતના છે અને તે ઊર્જાની ચેતનાના અણસારા જે ન ઝીલી શકે, એ માનવી પ્રભુની પણ આકારી વ્યક્તિ તરીકે માને છે. એવાં આકારને જ સત્ય માનનારાઓ તથા આકારના સંગને જ મહત્ત્વ આપનારા માનવીઓ કર્મકાંડની વિધિઓથી તથા રૂઢિગત રીતરિવાજોથી પ્રભુની સ્મરણ કરતાં હોય છે. એવાં સ્મરણમાં પ્રભુની દિવ્યતાને, કે સાત્ત્વિક ગુણોની જાગૃતિને ધારણ કરવાનો હેતુ ન હોય, પણ પ્રારબ્ધગત દુ:ખદ સંજોગોમાંથી મુક્ત થવાનો સ્વાર્થી આશય હોય છે. એવાં આશયને પાર પાડવામાં મનનાં રાગ-દ્વેષાત્મક વિકારી સ્વભાવની જડતા વધતી જાય છે અને માનવીને એકબીજા સાથે પ્રેમભાવની સુમેળતાથી જીવવાનું મુશ્કેલ લાગે છે.

       જે મન સ્વ સ્વરૂપનો સાત્ત્વિક ગુણોનો ભાવાર્થ ન સમજે, અથવા નિ:સ્વાર્થ પ્રેમભાવની વિશાળતાથી જીવન જીવવાનો આનંદ ન માણે, એવાં વર્તનને સ્વાર્થી કહેવાય. અર્થાત્ વ્યવહારિક જીવનના આધારે સાત્ત્વિક ગુણોને ખીલવવાનો પુરુષાર્થ જ્ઞાન-ભક્તિના સદાચરણથી જે કરે, તે માનવીએ ખરા અર્થમાં મનનો સદુપયોગ કર્યો કહેવાય. જે મન સ્વાર્થી આશયથી જીવે, તે સ્વને અર્થે ન જીવે અને તે સ્વમય જીવનની સાત્ત્વિકતાને નકારે છે. જે સ્વ સ્વરૂપના આત્મીય અસ્તિત્વથી અજાણ રહે તેવા મનને સ્વાર્થી કહેવાય. જે સ્વ સ્વરૂપને જાણવા અભ્યાસ-સત્સંગ કરે, પણ આચરણ રૂપે અહંકારી વર્તનમાં જ સ્થિત રહે તેવાં મનને સ્વાર્થી કહેવાય. જે સ્વ સ્વરૂપની પારદર્શકતાને કે ગુણિયલતાને જાણવા છતાં સાત્ત્વિક આચરણથી જીવન જીવવાનો પ્રયત્ન ન કરે, એવું સ્વાર્થી મન ભેદભાવની દૃષ્ટિથી જીવે છે. વળી જે જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિના સત્સંગને મહત્ત્વ આપે, અભ્યાસ-ચિંતન પણ કરે, પરંતુ આત્મ સ્વરૂપની અભિન્નતાને સ્વીકારી દરેક જીવ સાથે પ્રેમભાવથી ન જીવે તે પણ સ્વાર્થી છે. જે માત્ર પોતાનાં જ કલ્યાણ વિશે વિચારે અને બીજા જિજ્ઞાસુ ભક્તોને અજ્ઞાની સમજી તેઓની ભૂલ કે દોષ જોયાં કરે તે પણ સ્વાર્થી છે. જેઓ ગુરુ કે માર્ગદર્શકના સાંનિધ્યમાં રહે, પણ એમનાં માર્ગદર્શનનું અનુસરણ ન કરી શંકા સંદેહ કરે તે પણ સ્વાર્થી છે. અંતે એક સ્પષ્ટતા કે જ્યાં સુધી મન સ્વાર્થની સંકુચિત ગલીઓમાં ફરતું રહે છે, ત્યાં સુધી આત્મીય ચેતનાની વિશાળતાના કે, સાત્ત્વિકતાના અણસારા પણ મળી શકે એમ નથી.

 

       મન જીવે સ્વાર્થથી એટલે સંસારી નિશાળમાં જલ્દી ન થાય વિશાળ;

       એ ફરે જો વિશાળતાના સાત્ત્વિક વિચારોમાં, તો ધરે સૌમ્યતા વિશાળ;

       વિશાળતાનો ભાવ છોડાવે સ્વાર્થ

અને સાત્ત્વિકભાવની જાગૃતિથી મનનો છોડ થાય વિશાળ;

       મન છે વિશ્ર્વનો અંશ અને વિશ્ર્વ છે વિશાળ,

પણ માનવીમાં વિશાળતાનો રહે દુષ્કાળ.     

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
...પછી શેષ શું રહે એનો અનુભવ કરાવ

હે પ્રભુ! મનમાં કોણ છે, તનમાં કોણ છે, એ કૃપા કરીને તું સમજાવ;

       આ વિવિધ દૃશ્ય શું છે, કોની દૃષ્ટિ છે, તે કેમ બદલાતી રહે છે એ સમજાવ;

       પળે પળે મારામાં તારું શું પ્રગટે છે અને મારું શું વિલીન થાય છે એ સમજાવ;

       સૂક્ષ્મનું વિહંગાવલોકન કરવાનું સમજાવ

અને સંયોજન રૂપે સૃષ્ટિનો ભેદ સમજાવ.

 

       સમજણ પણ ભૂલી જાઉં, પછી શેષ શું રહે તેનો અનુભવ કરાવ;

       સ્વાનુભૂતિમાં મને સ્થિત કરાવ અને ‘તે હું જ છું’નું પ્રકાશિત દર્શન કરાવ;

       આ સૃષ્ટિમાં અને ભૂત-ભવિષ્યમાં બધે તું જ છે, તેનું જ્ઞાન પ્રગટાવ;

       બધું તુજમાં સમાઈ જાય પછી કોણ રહેશે, એ કોઈક દી તો મને સમજાવ.

 

       બીજા છે, બીજું છે, તેનું બીજ શું છે, તે દ્વૈત જગતનો ભેદ સમજાવ;

       શું કરવાથી તારી સમજણ સમજાય અને મન શેમાં લીન થાય તો સમજાવ;

       શું હશે, શું નહિ હશે, શેમાં હશે અને શેમાં જશે, એની મને અનુભૂતિ કરાવ;

       જણાયું કે તારામાં તું નથી અનંત તત્ત્વગુણોનું ઐશ્ર્વર્ય છે,

એની મને અનુભૂતિ કરાવી.

      

       હે પ્રભુ! તારામય બનાવી અંતરની સૂક્ષ્મ વિશાળતાનો ભેદ સમજાવ;

       બ્રહ્મ જ્ઞાનના આરે લઈ જઈ, બ્રહ્માંડની વિસ્તૃતિનો ભેદ દર્શાવ;

       સર્વત્ર સર્વે આકૃતિ અને પ્રકૃતિમાં સમાયેલી

તારી વિશાળતાનો અનુભવ કરાવ;

       ભવો બદલાય એમાં મન તુજને ભૂલી જાય છે,

તો એવી વિસ્મૃતિને વિલીન કરાવ;

       અભાવ જીવનમાં કેમ છે, એ મને સમજાય અને તારો ભાવ પ્રગટાવ.

 

       વિશાળતાને આંબવા પ્રભુ અંતર આંખો તું આપ,

પાંખો તું આપ અને ઝાંખક્ષ તું કરાવ;

       નયનોની નયનમાં ચેતનાનું નૃત્ય દેખાડ

અને પલકારે પલકારે વિશાળતા તું પ્રગટાવ;

       પહોંચ મારી નથી, પહોંચાડ પ્રભુ મને, પૂર્ણતાની સંપૂર્ણતા મુજમાં પ્રસરાવ;

              હું છું તે મટી જાઉં અને તું જ છે તે સ્વાનુભૂતિમાં ધ્યાનસ્થ કરાવ.

 

       ઉપરોક્ત પદ્ય પદો સ્વરૂપે વિનંતિનો ભાવ અક્ષર શબ્દો દ્વારા પ્રગટ થયો છે. વિનંતિ રૂપે સ્વ સ્મરણની ભક્તિમાં લીન થવાની ભક્તની અદમ્ય ઈચ્છા પ્રદર્શિત થાય ત્યારે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુ અગ્નિ પ્રબળ હોય. એવી ઈચ્છામાં ભક્તિ રૂપે ભગવત્ ભાવની જાગૃતિમાં તન્મય થવાની આશા હોય છે. એવી આજ્ઞામાં તન-મનનાં દેહધારી જીવનની મહત્તાને જાણવાનો તથા મહત્તા અનુસાર સાત્ત્વિક જીવન જીવવાનો ધ્યેય હોય છે. ભક્ત સ્વરૂપની અંતર જાગૃતિ અને ભગવાન સ્વરૂપની આત્મીય ભાવની દિવ્ય ચેતનાની ઐક્યતા હોવાંથી, તે ઐક્યતામાં એકરૂપ થવાની મહેચ્છા ભક્તમાં જીવે છે. એવી મહેચ્છાની અભિવ્યક્તિ વિનંતિ રૂપે થાય, ત્યારે અક્ષર-શબ્દોમાં સમાયેલાં સાત્ત્વિક ભાવાર્થને ગ્રહણ કરવો જોઈએ. તેથી ભાવાર્થની સમજ ગ્રહણ થાય તથા સમજણ અનુસાર આચરણમાં સ્થિત થવાય. એવી અરજી વિનંતિ રૂપે ભક્ત કરે છે. એવી અરજીનો અરજદાર ભક્ત શરણભાવથી સ્વયંને જાણવાની જ્ઞાન-ભક્તિમાં સ્થિત રહે અને સ્વયંથી અજાણ રહેતી પોતની અજ્ઞાની સ્થિતિથી થયેલી ભૂલોનો પશ્ર્ચાતાપ કરે છે.

       ભૂલોના એકરાર સાથે, અહંકારી સ્વભાવના દોષિત વર્તનનો પશ્ર્ચાત્તાપ જ્યારે પરાકાષ્ઠાથી થાય, ત્યારે સમર્પણભાવની જાગૃતિને ધારણ કરાવતી પ્રભુ કૃપાનો અધિકારી તે બને છે. સમર્પણભાવથી અંતરયાત્રા થાય એવી આજીજી ભક્ત સતત કરતો રહે છે. કારણ શરણભાવની ગતિથી અહંકારી વૃત્તિઓનું સમર્પણ થાય એવી સ્વમય ભક્તિની શક્તિ જો જાગૃત થાય, તો રાગ-દ્વેષાત્મક સંસારી વિચારો રૂપી જંગલમાં મંગળકારી સાત્ત્વિક વિચારોના છોડ ઊગતાં જાય. એવા છોડની જાળવણી કેવી રીતે થાય અને તેના ભાવાર્થની સમજ કેવી રીતે ગ્રહણ થાય, તેની અરજી પણ ભક્ત કરતો રહે છે. જેથી ભાવાર્થ ધારણ થતાં સાત્ત્વિકભાવનો ઉજાગર થતો જાય અને સાત્ત્વિકભાવ રૂપી આજીવિકાથી અંતરયાત્રા આપમેળે થઈ શકે. એવી સમજ જાગૃત થતાં અંતર ઈન્દ્રિયોની જાગૃતિ થાય એવી વિનંતિનો સૂર ભક્તમાં જાગે છે અને પરમાત્માના અનંત સ્વરૂપની સંપૂર્ણતામાં એકરૂપ થવાની મહેચ્છા દૃઢ થાય છે. આમ ભક્તની વિનંતિમાં કોઈ ફરિયાદ જેવી અરજી ન હોય, કે પ્રારબ્ધગત પરિસ્થિતિનો અણગમો ન હોય. એ તો મનની અવરોધક સ્થિતિને ઓગાળવાની પ્રભુને વિનંતિ કરતો રહે. જેથી મનની વિશાળતાથી, એટલે કે હૃદયભાવની જાગૃતિથી અંતરયાત્રા થતી રહે અને સ્વાનુભૂતિના સાગરમાં તરતાં રહેવાય.    

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
...ત્યારે ભક્તને સમજાય પોતાનું સાચું રહેઠાણ

જ્ઞાન-ભક્તિને સદાચરણથી થાય અંતર યાત્રા

અને પ્રભુનું પેટાણ જાણવાનું જાગે ખેંચાણ;

       સ્વયંને જાણવાની અંતર યાત્રા થાય,

ત્યારે ભક્તને સમજાય પોતાનું સાચું રહેઠાણ;

       સમજણ રૂપે પ્રગટે સૂક્ષ્મ સૃષ્ટિના એંધાણ

અને આત્મીય ગુણોનું ધન પ્રગટતું જાય;

       ભક્ત સમજાવી ન શકે કે જાગ્યું કે જાગ્યું કેમ આ ખેંચાણ,

એ તો આત્મીય ગુણોથી છલકાતો જાય.

 

       માત્ર ભજન ગાવાં, સ્તુતિ કરવી, જપમાળા કરવી, કે નિયમિત મંદિરે જવું, અથવા પૂજા-આરતી-કીર્તન કરવાં, એટલું સીમિત આચરણ ભક્તિનું નથી. ભક્તિ એટલે ભગવત્ ભાવની સાત્ત્વિકતાનો ઉજાગર થવો. એવી સાત્ત્વિકતા પ્રગટે ત્યારે મનનો સ્વભાવ બદલાતો જાય, વિચારોનો ઢાળ બદલાતો જાય. કારણ ભક્તિ સ્વરૂપે ભગવત્ ભાવની ચેતનાનું એકમ અનુભવાય છે અને મન સોઽહમ્ ભાવની (તે હું છું) જાગૃતિમાં સ્થિત થાય છે. એવી જાગૃતિમાં ભક્તિભાવની સાત્ત્વિકતા, ભક્તના કર્મો દ્વારા પ્રગટતી જાય અને ભક્તનું મન તૃપ્તિનો સંતોષ અનુભવતું જાય. એવું તૃપ્ત મન એટલે જ હૃદયભાવની નિષ્કામતા. આમ ભજન, સ્તુતિ, કીર્તન, કે પૂર્જા અર્ચન વગેરે કર્મો દ્વારા જો નિષ્કામભાવની સાત્ત્વિકતા સ્વયંભૂ પ્રગટતી જાય, તો ભક્તિના સદાચરણમાં મન સ્થિત થયું કહેવાય. તેથી ભક્ત કદી કર્મ-ભક્તિ-જ્ઞાન એવાં વિભાગોથી સ્વ સ્મરણની ભક્તિ કરતો નથી. કારણ કર્મ કરવાનું જ્ઞાન હોય તો જ સંસારના લૌકિક, કે સાત્ત્વિકભાવને પ્રગટાવતા કર્મ થઈ શકે છે તથા કોઈ પણ કર્મનું ઉચિત ફળ ભોગવવા માટે ભક્તિનો નિર્દોષ ભાવ જરૂરી છે. ભાવની નિર્દોષતા ન હોવાંથી માનવી કર્મ-ફળને ભોગવતી વખતે રાગ-દ્વેષાત્મક સ્વભાવના લીધે ફળની તૃપ્તિનો આનંદ માણી શકતો નથી.

       ભક્તની જેમ કર્મ-ભક્તિ-જ્ઞાનનાં સંયોગથી જીવન જો જીવીએ, તો કર્મ-ફળની પ્રક્રિયા કરવાનો સંતોષ મળે. સંતોષી મન પ્રારબ્ધગત જીવનના ઉતાર-ચઢાવમાં વધુ અસ્થિર ન થાય. પરંતુ ભક્તિ રૂપે પ્રગટ થયેલી સોઽહમ્ ભાવની જાગૃતિનું બળ. પ્રતિકૂળ સંજોગોના દુ:ખમાંથી પસાર થવાની હિંમત આપે છે. વાસ્તવમાં આપણે સૌ ભગવત્ ભાવની ચેતનાથી વીંટળાયેલાં છીએ. તે આત્મીય ચેતનાની ઊર્જાથી આકારિત સૃષ્ટિની આકૃતિઓ અને વિવિધ પ્રકૃતિની સ્થિતિ સર્જાતી રહે છે. અર્થાત્ જગતની સર્વે કૃતિ, આકૃતિ, પ્રકૃતિ, ભક્ત સ્વરૂપની જ પ્રસ્તુતિ છે. કારણ ભગવત્ ભાવની ચેતનાથી જગતની સર્વે કૃતિઓ સર્જાય છે અને એ જ ચેતનાનું પોષણ શ્ર્વાસ રૂપે સૌને પ્રાપ્ત થતું રહે છે. આ સત્યને જાણીને જે માનવી અપનાવે, તેનામાં ભગવત્ ભાવની ચેતનાથી પરિચિત થવાની જિજ્ઞાસા જાગે છે. એવી જિજ્ઞાસા રૂપે ભક્તિ ભાવનું આચરણ દૃઢ થતું જાય અને સ્વાનુભૂતિની અંતર યાત્રા કરવાની લયની જાગૃત થાય. અર્થાત્ મનનું ભક્ત સ્વરૂપ સ્વ જ્ઞાન રૂપી સાગરમાં ભક્તિ ભાવથી તરતું રહે અને સ્વયંના અંતર ઊંડાણમાં તરતાં, એકમની ગતિથી સ્વાનુભૂતિમાં લીન થાય. શ્રી કૃષ્ણએ ભક્તિની મહત્તા દર્શાતા ગીતા બોધ રૂપે જણાવ્યું છે કે, અનન્ય ભક્તિવાળો જ્ઞાની ભક્ત મારામય થઈ એકમની ગતિની ધારણ કરે છે.

       દરેક મનુષ્યનો સ્વ ધર્મ છે કે, પોતાના જીવંત અસ્તિત્વની મહત્તાને જાણવી જોઈએ. તે માટે પ્રભુની આત્મીય ચેતનાના આધારે જીવું છું એવી સન્માનપૂર્વકની આસ્થા હોવી જોઈએ. મનની ભીતરમાં શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત રહે, તો શણરભાવથી અનુભવાય કે, "જિવાડનાર પ્રભુની ચેતનાનો આશરો પળે પળે મને મળે છે. આ ચેતનાની દિવ્ય પ્રીત મને શ્ર્વાસ રૂપે પ્રાપ્ત થાય છે, જે જીવંત જીવનની પ્રસન્નતા અર્પે છે અને તેથી જ શ્ર્વાસ વગરની મૃત્યુ દશાનો ભય મનને લાગે છે.”  પ્રભુની ચેતનોનો પ્રાણ સર્વેને શ્ર્વાસની ઊર્જાથી પ્રાપ્ત થાય એવી સેવા સાક્ષાત્ પ્રભુ જ કરે છે. તે સત્યને જાણ્યાં પછી ભક્તનો ભાવ પ્રભુ સ્મરણમાં આપમેળે લીન રહે છે. ભક્તની નિષ્કામભાવની, શ્રદ્ધાભાવની, શરણભાવની તલ્લીનતા અંતર ગતિમાં એકતાર થાય, તેને કહેવાય સ્વાનુભૂતિની અંતર ભક્તિ. એવાં જ્ઞાની ભક્તની એકતાર થયેલી વૃત્તિઓનો સાત્ત્વિકભાવ જ્યારે અંતરની એકમ ગતિને ધારણ કરે, ત્યારે આત્મીય ચેતનાનું પ્રભુત્વ પ્રકાશિત થાય. અંતરધ્યાનસ્થ સ્થિતિમાં ભક્તની અંતર કર્ણેન્દ્રિયમાં નાદબ્રહ્મનો ધ્વનિ જાગૃત થાય, જે અંતર કહેણ રૂપે ભાષિત થાય અને તે બીજા જિજ્ઞાસુ માનવી માટે અંતર યાત્રાનું માર્ગદર્શન ધરે છે.

       આમ જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવા માટે જ્યારે સંસારી વિચારોના માનસમાં સાત્ત્વિક વિચારોના ભાવાર્થનું પોષણ ધારણ થાય. ત્યારે સ્વ સ્મરણની ભક્તિનો પુરુષાર્થ શરૂ થાય, તેને કહેવાય પરભવના પુણ્યોનો ઉદય થવો. એવા ઉદયમાં માતા-પિતાએ વહાલથી સિંચન કરેલાં સુસંસ્કારોનું ફળ પ્રગટે છે. મનને પછી વારંવાર સમજાવવું ન પડે કે, "તારા સાચા રહેઠાણની જાણ કરાવતા ભક્તિભાવનો ઉજાગર થાય એવાં સાત્ત્વિક વિચારોમાં ફરતું રહે. સંસારી વિષયોની આસક્તિના આકર્ષણથી મુક્ત થવા માટે સ્વયંથી પરિચિત થાય, તો અંતરની એકમ ગતિનું ખેંચાણ આપમેળે અનુભવાશે.” મનને જો આવી સમજણથી ટપારવું ન પડે, તો સ્વ સ્મરણની ભક્તિ સહજભાવથી થયાં કરે. મનની એવી સહજતા માર્ગદર્શક કે ગુરુના સાંનિધ્યમાં અંતરયાત્રામાં લીન થાય. સાંનિધ્યની છત્રછાયા એટલે જ સ્વસ્થ નિરોગી આત્મીય ભાવની ચેતનાનું પ્રસરણ. સાંનિધ્ય લેનાર અધિકારી જિજ્ઞાસુ ભક્તોનો શરણભાવ ગુરુની કરુણાભાવની પ્રીતમાં ઝબોળાતો જાય અને મનમાં સુષુપ્ત રહેલાં સાત્ત્વિકભાવનો ઉજાગર આપમેળે થતો જાય. કારણ ગુરુ સ્વરૂપની આત્મીય ચેતના તો જિજ્ઞાસુની અંતર યાત્રામાં જે પણ ખોટ હોય, તેની પૂર્તિ રૂપે પ્રસરતી રહે છે. જેમ દીવાનો પ્રકાશ પ્રસરાવે પ્રકાશને અને અંધકાર આપમેળે વિલીન થાય, તેમ જિજ્ઞાસુની સાત્ત્વિકભાવની સુષુપ્તિ જાગૃત થતાં અંતરયાત્રા આપમેળે થતી રહે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
ભક્તિની પ્રીતિમાં વહે મુક્તિની ધારા

મન બંધાયેલું છે કર્મસંસ્કારોથી, એની મુક્તિ છે જ્ઞાન-ભક્તિના નીરમાં;

       મુક્તિની શક્તિ વહે ભાવની નિર્મળતામાં

અને નિર્મળ હૃદયભાવ જાગે ભક્તિમાં;

       ભક્તિની પ્રીતિમાં વહે મુક્તિની ધારા,

જે હરી લે મનની પામર અહંકારી શક્તિ;

       અહંકારી મન જો ભજે શરણભાવથી,

તો ભક્તિના નીર વહેતાં સમજાય સ્વરૂપની સૂક્ષ્મતા.

 

       જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવા માટે સાત્ત્વિક વિચારોના ચિંતનથી મનને કેળવવું અતિ આવશ્યક છે. કારણ સામાન્ય રૂપે મન રાગ-દ્વેષાત્મક વૃત્તિના કર્મસંસ્કારોથી બંધાયેલું હોય છે. એવું મન પોતાના આત્મીય સ્વરૂપની સૂક્ષ્મતાને, કે વિશાળતાને અનુભવી શકતું નથી. સ્વ સ્વરૂપથી અજાણ રહેતી મનની અજ્ઞાનતા, એટલે જ કર્મસંસ્કારોમાં બંધાયેલા વ્યવહારિક જીવનની પરવશતા. કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓના લીધે વ્યવહારિક જીવનના કર્મોમાં મન ગૂંથાયેલું રહે છે. જે પ્રમાણેના અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓના સંસ્કારો, તે પ્રમાણેની કર્મ-ફળની પ્રક્રિયામાં મન બંધાયેલું રહે છે. બંધાયેલા મનની પરવશતા, એટલે એક વૃત્તિને તૃપ્ત કરાવતી કર્મ-ફળની પ્રક્રિયા થાય, એમાં બીજી નવી નવી ઈચ્છાઓની અતૃપ્તિ વધતી જાય. જેમકે મનપસંદ વાનગી ખાવાની ઈચ્છા હોવાંથી, જ્યારે તેની ઈચ્છાપૂર્તિ રૂપે ખાવા મળે ત્યારે ખાતી વખતે મન આસ્વાદનો આનંદ થોડી ક્ષણ માટે માણશે અને વિચારોની હારમાળા ગૂંથશે કે, ઘણાં વખત પછી ભાવતી વાનગી ખાવા મળી, અથવા પહેલા ખાધી હતી એવો સ્વાદ આજે નથી, અથવા સાથે બીજી પણ ભાવતી વાનગી હોત તો વધુ મજા આવતે, વગેરે ભૂત-ભવિષ્યના વિચારોથી થતી ઈચ્છાપૂર્તિમાં બીજી નવીન ઈચ્છાઓની અતૃપ્તિ વધતી જાય છે. તેથી કર્મસંસ્કારોનું આવરણ ઓછું થવાને બદલે વધતું જાય છે.

       આવા બંધનયુક્ત જીવનની હકીકતથી માનવી જ્યારે જાણકાર થાય ત્યારે પરવશ મન જાણવા મથે કે, "માનવી જીવનનો ઉદ્ેશ શું છે? માનવી દેહના આકારની વિશિષ્ટતા શું છે?  આ પૃથ્વી ગ્રહ પર વસવાટ કરનારા સર્વે જીવને સૂર્યના તારાનું સાત્ત્વિક પોષણ સતત મળે છે, છતાં મનની સાત્ત્વિકતા સહજ કેમ પ્રગટતી નથી? પ્રાણી, પક્ષી, જળચર, જંતુ, વનસ્પતિ જગત, વાતાવરણ જગત, વગેરેની સંગાથે શું કામ જીવવાનું છે? શરીરના જન્મનો અને જન્મેલાના મૃત્યુનો ભેદ શું છે? સાત્ત્વિક વિચારોમાં મનને કેવી રીતે સ્થિત રાખવું? સૂક્ષ્મ સૃષ્ટિની સમજમાં કેવી રીતે મન ઓતપ્રોત થાય, જેથી ચિંતન રૂપી સ્નાન થતું જાય અને સ્વ સ્વરૂપની ભાળ મળતી જાય. આ વાસ્તવિકતાને જાણવાનું મનોમંથન થાય, તો બંધનથી મુક્ત કરાવતાં જ્ઞાન-ભક્તિના રાહ પર પ્રયાણ કરવાનો આરંભ થાય. જેમ પૃથ્વી પોતાની ધરી પર સતત ફરતી રહીને સૂર્યદેવની પ્રદક્ષિણા ક્ષણ પર અટક્યાં વગર કરે છે, તેમ મન પણ જો પોતાની ધરી પર ફરે, એટલે કે સ્વયંની વાસ્તવિકતાને જાણવાનું મનોમંથન કરે તો સાત્ત્વિક વિચારોનો અભ્યાસ સહજ થાય. એવાં અભ્યાસના ઊંડાણમાં રત થતાં, કર્મસંસ્કારો પ્રેરિત ભૂત-ભવિષ્યના રાગ-દ્વેષાત્મક વિચારો ઓછાં થતાં જાય અને કર્મોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓની નવની ગાંઠો ઓછી બંધાતી જાય.

       સ્વયંના સ્વ સ્વરૂપની ભાળ રૂપે સાત્ત્વિક વિચારોના ચિંતનની જેમ જેમ લગની વધતી જાય, તેમ તેમ સાત્ત્વિક કર્મના ફળ રૂપે મનના હૃદયભાવની નિર્મળતા જાગૃત થતી જાય. જે કર્મની ક્રિયા અટક્યાં વગર સતત થતી રહે તેને સાત્ત્વિક કર્મ કહેવાય અને તે સતત થાય છે સત્ ભાવની ચેતનાનાં સંયોગથી. એવી સતત થતી ક્રિયા રૂપે સત્ ભાવની ચેતનાનું દાન, શ્ર્વાસ સ્વરૂપે સૌને ક્ષણે ક્ષણે પ્રાપ્ત થતું રહે છે. એ જ રીતે સૂર્યદેવનું ઊર્જાને અર્પણ કરતું સાત્ત્વિક કર્મ છે તથા પૃથ્વીનું ધરી પર સતત ફરવું તથા સૂર્યદેવની પ્રદક્ષિણા કરવી તે પણ સાત્ત્વિક કર્મની પ્રસ્તુતિ છે. એવાં સતત થતાં સાત્ત્વિક કર્મની પ્રસ્તુતિના લીધે તન-મન-ઈન્દ્રિયો-મગજના જ્ઞાનતંતુઓના સહારે ભોગવાનું માનવી જીવન આપણે જીવી શકીએ છીએ. આમ જીવંત જીવન એટલે જ સતત કર્મ-ફળની ક્રિયાઓ અને સતત ક્રિયાઓની હારમાળાથી સર્જાતી અનેક કૃતિઓ તથા પ્રકૃતિનું જીવન છે નિરંતર થતી ક્રિયાઓનું પ્રદર્શન. તેથી જ અખંડ ગતિથી થતી સૂક્ષ્મ ક્રિયાઓ દ્વારા સર્જાતી સર્વે કૃતિઓનું અસ્તિત્વ ક્ષણભર પણ કર્મ કર્યા વગર રહી શકે નહિ.

       શરીરના અંગો પણ સતત ક્રિયાના સાત્ત્વિક કર્મમાં લીન રહે છે. તેથી શરીર સાથે જોડાયેલું મન એટલે કે શરીરમાં નિવાસ કરતું નિરાકારિત મન પણ સાત્ત્વિક કર્મમાં લીન થઈ શકે છે. જ્યાં સુધી મન લીન થતું નથી. જીવંત જીવન રૂપે વિવિધ ક્રિયાઓનાં વહેણનો મર્મ સમજાય, તો સાત્ત્વિકભાવની જાગૃતિ રૂપે જ્ઞાન-ભક્તિના નીરમાં મન ઝબોળાતું જાય. મનને માર્મિક સત્યનો પરિચય થાય તો રાગ-દ્વેષાત્મક ભેદભાવમાં ફરવાનું ટાળશે અને વિચારશે કે, "જે આત્મીય ચેતનાના લીધે દેહધારી જીવંત જીવને ભોગવી શકું છું, અનેક પ્રકારના વિચારો કરી શકું છું, વાણીથી દર્શાવી શકું છું, તે જ ચેતનાના સાંનિધ્યમાં હું સદા રહું છું, તો રાગ-દ્વેષાત્મક વિચારો રૂપી કાદવમાં જ રમ્યાં કરું, કે સાત્ત્વિક કર્મ રૂપી કમળને ખીલવું?” આવા જિજ્ઞાસુભાવથી અભ્યાસ થાય, ચિંતન થાય, તો અંગેઅંગમાં ફરતી આત્મીય ચેતનાની ઊર્જા ધારાના સ્પંદનો અનુભવી શકાય. ઊર્જા સ્પંદનોનું સંવેદન જ્યારે ભક્તમાં જાગૃત થાય, ત્યારે પ્રકાશિત ચેતનાનું પ્રભુત્વ, જે અજ્ઞાનવશ સુષુપ્ત હતું તે પ્રગટતું જાય. ચેતનાનો ચૈતન્યમય પ્રકાશ આગિયાની માફક પ્રગટે ત્યારે પ્રભુ દર્શનની કૃપા ધારણ થાય. એવી કૃપાના ધોધમાં ભક્તિભાવની સાત્ત્વિકતા મુક્ત ગતિથી વહે અને ભવોના કર્મસંસ્કારોનું આવરણ ઓગળતું જાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
મને દર્શન દીધાં કરો...

સાત્ત્વિક સંસ્કારોનો ઉદય થાય, ત્યારે મનને પ્રભુ સાથેના આત્મીય સંબંધને જાણવાની જિજ્ઞાસા જાગે છે. એવી જિજ્ઞાસાના લીધે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરાવતી સત્સંગની પ્રવૃત્તિ મનને ગમવા લાગે છે. મનગમતી પ્રવૃત્તિ માટે જેમ મનને વારંવાર ટપારવું ન પડે, પણ ગમતી પ્રવૃત્તિ કરવાનો ઉમંગ અને ઉત્સાહ વધતો રહે છે, તેમ જિજ્ઞાસુ મનને સત્સંગની પ્રવૃત્તિની મહત્તા જાણી હોવાંથી શ્રદ્ધાપૂર્વક તે શ્રવણ, અભ્યાસ, અધ્યયન કરે છે. શ્રદ્ધાપૂર્વક સત્સંગમાં મન ઓતપ્રોત થાય, ત્યારે ભક્તિભાવથી સ્વયંને જાણવાની, અનુભવવાની અંતરયાત્રા તરફ પ્રયાણ થતું જાય. જિજ્ઞાસુ ભક્તને અંતર યાત્રાનો રાહ મળી શકે છે. પરંતુ તે રાહ તરફ પ્રયાણ કરાવતી તે રાહ પર પ્રયાણ કરતાં ઊર્ધ્વગતિથી આરોહણ કરાવતી સૂક્ષ્મ બુદ્ધિની કૃપા અતિ આવશ્યક છે. અંતરની સૂક્ષ્મતાને, નિરાકારિત સૃષ્ટિની વિશાળતાને ગ્રહણ કરાવતી સૂક્ષ્મ બુદ્ધિનું દાન સત્સંગની નિષ્ઠાથી ધારણ થઈ શકે છે. નિષ્ઠા રૂપે મનનો અકર્તાભાવ જાગૃત થતો જાય, ત્યારે જ પ્રભુના પ્રજ્ઞા દાનને ધારણ કરવાની સમર્થતા જાગે છે. મન જ્યાં સુધી કર્તાભાવથી સત્સંગની પ્રવૃત્તિ કરે, ત્યાં સુધી આધ્યાત્મિક સમજ ગ્રહણ થાય, સાત્ત્વિક વિચારોમાં મન ઓતપ્રોત થાય, પણ અંતર પ્રયાણની સહજતા ધારણ થતી નથી.

       આધ્યાત્મિક સમજ ગ્રહણ થાય, પછી સમજ અનુસાર મનોવૃત્તિઓનું પરિવર્તન થવું જોઈએ, એટલે કે સાત્ત્વિકભાવની જાગૃતિ થવી જોઈએ. ઘણીવાર એવું થાય કે સૂક્ષ્મ સમજ અનુસાર મન શિક્ષિત થતાં, પોતાની જૂની ટેવ કે આદતોથી મુક્ત થવાનો પ્રયત્ન કરે. પરંતુ બુદ્ધિ અને લાગણી વચ્ચે જો સુમેળતા ન હોય, તો સ્વભાવનું પરિવર્તન કરવાનું મુશ્કેલ બની જાય. સ્વભાવના પરિવર્તન માટે સ્વમય અંતર યાત્રાની તીવ્ર ઈચ્છા. જ્યાં સુધી એવી તીવ્રતા કે તત્પરતા જાગૃત થતી નથી, ત્યાં સુધી આચારસંહિતા રૂપે સાત્ત્વિક વર્તનની કેળવણી માટે મન જે પણ સત્સંગની પ્રવૃત્તિ કરશે તેમાં ભક્તિભાવની શ્રદ્ધાથી ઓતપ્રોત નહિ થાય. ગુરુનાં કે સહયાત્રીઓનાં માર્ગદર્શનમાં મનને તથ્ય ન લાગે અથવા સંશય ઊભો થાય. કારણ પોતાના સ્વભાવ સાથે તે બંધબેસતુ ન હોય. અર્થાત્ જો રસ્તે ચાલતાં પડી જઈએ અને શારીરિક હાનિ રૂપે ઊંડો ઘા પડે, તો તે ઈજાનું દર્દ કેટલું છે તેનું વર્ણન ડોકટર સમક્ષ કરીએ. છતાં પણ તે દર્દની પીડા તો મન પોતે જ જાણે છે. તે ઈજાનો, કે દર્દની પીડાનો અહેસાસ બીજી વ્યક્તિને થતો નથી. તે પ્રમાણે પોતાના સ્વભાવની નબળાઈને મન પોતે જ જાણે છે. તેથી સત્સંગ રૂપે મળેલાં માર્ગદર્શનમાં મન ઘણીવાર ઓતપ્રોત થતું નથી. કારણ મનમાં સૂક્ષ્મ સમજની સ્પષ્ટતા ધારણ થઈ નથી. એટલે સ્વભાવગત થતાં વ્યવહારમાં કોઈકવાર મન લાગણીમાં ખેંચાઈ જાય, અથવા બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ ન શકે.

       આમ સીમિત સમજની અસ્પષ્ટતાના લીધે અંતર પ્રયાણ મુશ્કેલ લાગે છે. પ્રયાણ કરવામાં મુખ્ય રૂપે અવરોધક બને છે પોતાના અહંકારી સ્વભાવની અજ્ઞાનતા. સીમિત સમજણ એટલે રસ્તા પર જો સિગ્નલ ન હોય, તો ચારે દિશામાંથી વાહનો એક સાથે દોડે અને વાહનો એકસાથે ભેગા થઈ જવાંથી આગળ વધી ન શકે. એ જ રીતે મનની સીમિત સમજની અસ્પષ્ટતામાં, નકારાત્મક સ્વભાવની નબળાઈમાં, કે રાગ-દ્વેષાત્મક ભેદભાવના લીધે, તર્ક કરાવતાં, શંકા કરાવતાં વિચારો રૂપી વાહનો એક સાથે દોડતાં રહે છે, જે સદાચરણની દિશા તરફ પ્રયાણ કરવા દેતાં નથી. એવાં અવરોધક વિચારોને અટકાવવા માટે ગુરુના સાંનિધ્યમાં શ્રદ્ધાભાવથી, શરણભાવથી, આદરભાવથી મનને સ્થિત કરાવવું જોઈએ. ગુરુની આત્મીય પ્રીતના સ્પંદનોથી અજ્ઞાનતાનું આવરણ ઓગળતું જાય, તથા શંકા-સંદેહ કરાવતો મનનો ઉદ્વેગ ઓછો થતો જાય. ધીમે ધીમે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ આચરણ રૂપે ધારણ થાય, એવું મનનું પરિવર્તન થતું જાય. સૂક્ષ્મ સમજમાં પછી મન ગૂંથાતું જાય અને પ્રારબ્ધગત લૌકિક જીવન જિવાય તેની સાથે જ અંતર પ્રયાણ કરાવતો સાત્ત્વિકભાવ જાગૃત થતો જાય.

       જિજ્ઞાસુ મન જો અંતર પ્રયાણ અર્થે, એટલે કે અહંકારી અજ્ઞાની સ્વભાવના અવરોધને ઓગાળવા માટે જો વિનંતિપૂર્વક શરણભાવથી પ્રભુને પ્રાર્થના કરતું રહે, તો નકારાત્મક વિચારોના સ્વભાવને અથવા રાગ-દ્વેષાત્મક વિચારોનાં સંકુચિત માનસને ઓગાળતું ચિંતન ભક્તિભાવથી થતું જાય. મનની પછી વિચારવાની સ્થિતિ, સૂક્ષ્મ સૃષ્ટિને સમજવાની સ્થિતિ બદલાતી જાય અને પ્રજ્ઞા બુદ્ધિનું ઓજસ ધારણ કરાવતી અંતર યાત્રાની લગની વધતી જાય. આમ છતાં કોઈકવાર શ્રદ્ધાનું આસન જો ડગમગી જાય, તો ભક્તિભાવની નિખાલસતાથી થતી પ્રાર્થનાનું બળ, ભક્તના મનમાં પ્રેરણાનો, જિજ્ઞાસાનો, વિશ્ર્વાસનો, પ્રેમભાવનો અવનવો સ્ત્રોત જગાડે છે. જે પ્રારબ્ધગત જીવનની ભરતી-ઓટ જેવી પરિસ્થિતિમાં ભક્તિભાવનું બળ પૂરે છે. ભક્ત જ્યારે ભક્તિભાવથી પ્રભુને વિનંતિ કરતો રહે, ત્યારે પ્રાર્થનાના આર્તનાદમાં પ્રારબ્ધગત પ્રતિકૂળ સંજોગોનું દુ:ખ-દર્દ સમાઈ જાય અને ચિંતનની દૃઢતા વધતી જાય. બાહ્ય જગતના પદાર્થોનું આકર્ષણ ઘટતું જાય. મન પછી એકાગ્રતાથી દૃઢ શ્રદ્ધાભાવથી અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થતું જાય અને ભાવની સાત્ત્વિકતા જાગૃત થતી જાય.

 

       મારી ભાવભીની ભક્તિમાં એક પ્રાણ પૂરી દો,

       મારી અશ્રુભીની વિનંતિ છે મને દર્શન દીધાં કરો;

       સંસારમાંથી મુક્ત કરો, સારથિ બની રહો,

       પ્રભુ પ્રીતથી આશિષ દો મને દાસ બનાવી દો;

       હું શું હતો ને શું થઈશ એ તો તારે હાથ,

       જેણે લીધો તારો આશરો સાગર તરાવ્યો પાર.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
નિરાધારને નિરાકારનો સંબંધ

મનમાં જન્માવો ભાવને પ્રભુ, નિરાધાર હું આધાર લઉં નિરાકારનો

અને સમજું નિરાકારિત સૃષ્ટિને;

       હું શું હતો એ સમજાવો, શેની જાગૃતિ ન્હોતી એ મારામાં જગાડો,

શું થઈશ અને શું થવાનું છે તે મને જણાવો;

       હે પ્રભુ તારો લઉં હું આધાર પણ રહ્યો નિરાકાર,

તો આ નિરાધારને કરાવો નિરાકારનો સંબંધ;

       પછી હું પોતે થઈ જાઉં નિરાકાર

અને બંધન મુક્ત થઈ અલૌકિક આત્મીય ધન પોતે બની જાઉં.

 

       પ્રભુને આવી વિનંતિ મન ત્યારે કરે, જ્યારે આધારિત આત્મીય ચેતનાની હાજરીનો અહેસાસ થાય કે, સર્વત્ર સર્વેમાં વ્યાપ્ત રહેલી પ્રભુની ચેતનાના લીધે જીવંત સ્વરૂપની સ્થિતિ છે. ચેતનાની ઊર્જાના લીધે જ પ્રકૃતિમાં જીવંત સ્વરૂપની અસંખ્ય પ્રકારની પ્રક્રિયાઓ સતત થયાં કરે છે. આવો અહેસાસ મનની હૃદયભાવની જાગૃતિ રૂપે ધારણ થાય. અર્થાત્ જ્યાં પરોપકારની, સેવાની, અર્પણ કરવાની, કે પ્રેમની નિ:સ્વાર્થતા હોય, ત્યાં જ ભાવની જાગૃતિ હોય. હૃદયભાવ એટલે જ રાગ-દ્વેષના ભેદભાવ વગરનો નિર્મળ સ્વભાવ અને એવાં નિર્મળ સ્વભાવમાં સ્વયંના સ્વ સ્વરૂપને જાણવાની તથા અનુભવવાની તીવ્ર જિજ્ઞાસા જાગે છે. મોટેભાગે સંસારી વિચારોના ભેદભાવમાં બંધાયેલા મનને ભાવની નિર્મળતા, સાત્ત્વિકતા, કે નિષ્કામ વૃત્તિની મહત્તા સમજાતી નથી. એવાં મનને પ્રેમ કે લાગણીમાં તરવું ગમે છે. પરંતુ રાગ-દ્વેષવાળાં સ્વભાવથી પ્રેમની નિ:સ્વાર્થતાનો અનુભવ થતો નથી. એટલે જ દરેક સંબંધમાં પ્રેમની ખોટ લાગે છે અને મન પ્રેમની ખોટમાં અસંતોષી રહે છે.

       પ્રેમભાવથી જો દરેક સંજોગોમાં એકબીજા સાથે વ્યવહાર થાય, તો મોટાભાગની મુંઝવણો કે મુશ્કેલીઓનું તારણ મળી જાય અને પરિવાર સાથેના સંબંધોમાં કુસંપ, ધિક્કાર, વેરઝેર વગેરે નકારાત્મક વર્તનની વ્યથાઓ ઓછી થતી જાય. અહંકારી સ્વભાવની તોછડાઈને, કે ઈર્ષ્યાળુ સ્વભાવની અદેખાઈને, કે માલિકીભાવની આપખુદીને, કે પોતે બીજા બધાથી હોંશિયાર છે, બીજા અક્કલ વગરના છે એવાં અજ્ઞાની સ્વભાવની અસભ્યતાને જો ભક્તનાં નિ:સ્વાર્થ પ્રેમભાવનો સ્પર્શ મળે તો અહંકારી સ્વભાવની અજ્ઞાનતાને ઓગાળતું પરિવર્તન આપમેળે થાય. કારણ નિ:સ્વાર્થ પ્રેમમાં છે આત્મીય ચેતનાનો પ્રભાવ, જે મનની અસંતોષની, અતૃપ્તિની ખોટને ભરપાઈ કરાવતું સાત્ત્વિક ભાવનું પોષણ અર્પે છે. તેથી અજ્ઞાની મનને જો નિ:સ્વાર્થી પ્રેમના નીરનો સ્પર્શ મળે અને એવાં નિષ્કામ પ્રેમમાં તે ભીંજાતુ જાય, તો જિજ્ઞાસુભાવની જાગૃતિ ધારણ થાય. પછી મનને સ્વયંને જાણવાની આધ્યાત્મિક યાત્રા કરવા માટે સમજાવવું ન પડે, પણ બાળકને જેમ પ્રેમથી મનાવીએ તો એ માની જાય છે, તેમ જ્ઞાની ભક્તના પ્રેમાળ સાંનિધ્યમાં મન સહજતાથી સ્વમય ચિંતનની યાત્રામાં ઢળતું જાય છે.

       દરેક માતા-પિતા મોટેભાગે પોતાના નાના બાળકને પ્રેમથી મનાવવાનું જાણે છે. નાના બાળકને સવારે ઉઠાડીને સ્કુલમાં મોકલવાનું હોય અથવા ઘરમાં ઓનલાઈન ભણવાનું હોય, ત્યારે પથારીમાં ઊંઘતા બાળકને ઉઠાડીને, બ્રશ કરાવીને, નવડાવીને દૂધ-નાસ્તો કરાવવા માટે પ્રેમથી મનાવવું પડે છે. નાનું બાળક હોય એટલે તે બધી પ્રકિયાઓ ધીરે ધીરે કરે, અથવા કરવાની આનાકાની કરે. તે ક્ષણે ઘણીવાર માતા-પિતા અકળાઈ જાય. કારણ તેઓને પણ પોતાના રોજિંદા કાર્યો કરવાના બાકી હોય છે, તેથી તેઓ ગુસ્સો કરે તે સ્વભાવિક છે. પરંતુ બાળક પર જો હુકમ ચલાવી ગુસ્સો કરીએ, તો બે દિવસ તે કહેલું કરશે. ત્રીજે દિવસે પાછું તે આનાકાની કરશે. એટલે બાળકને પ્રેમથી સમજાવવું પડે. એને ભણતરના, શિક્ષણના ફાયદા વિશે સમજાવવું પડે. બ્રશ ન કરવાથી દાંત સડી જાય તો દુ:ખે, એવી રીતે દાંતની મહત્તા સમજાવવી પડે અને દૂધ ન પીવાથી રમવાની તાકાત નહિ મળે, વગેરે દરેક પ્રક્રિયાની મહત્તા વિશે બાળક સમજી શકે એ રીતે સમજાવવું પડે. રોજના કાર્યો ન કરવાથી શું થઈ શકે અને તે કરવાથી કેટલો ફાયદો થાય, એવું પ્રેમથી બાળકને જો સમજાવતાં રહીએ, તો એવી સમજથી કેળવાઈને તે પ્રક્રિયાઓને પોતાની જાતે કરવાનું સહજ શીખતું જશે. એ જ રીતે ગુરુ કે માર્ગદર્શકના પ્રેમભર્યા સાંનિધ્યમાં અજ્ઞાની મન સ્વ જ્ઞાનથી કેળવાતું જાય છે.

       સ્વ સ્વરૂપની એટલે કે પ્રભુની આત્મીય ચેતનાની વાસ્તવિકતા જેમ જેમ સમજાતી જાય, તેમ તેમ સાર-અસારને પારખતી વિવેકી બુદ્ધિનો ઉજાગર થાય છે. વિવેકી મન એટલે જે સ્વયને જાણવા તત્પર રહે અને જિજ્ઞાસુભાવથી જ્ઞાન-ભક્તિના સત્સંગથી રંગાતુ જાય. જ્ઞાન-ભક્તિનો રંગ એટલે જ ‘હું શરીર નથી પણ નિરોગી આત્મીય ચેતના છું’ એવી જાગૃતિમાં સ્થિત થવું. એટલે જ અભ્યાસ, વાંચન, શ્રવણ વગેરે સત્સંગની પ્રવૃત્તિઓથી મનને કેળવવું અતિ આવશ્યક છે. એકવાર જ્ઞાન-ભક્તિનો સાત્ત્વિકભાવ રૂપી રંગ મનને લાગશે, પછી રંગાયેલું મન સ્વમય ચિંતનની અંતર યાત્રામાં આપમેળે સ્થિત થતું જશે. ચિંતનની સહજતામાં મનનો હૃદયભાવ તીક્ષ્ણ ગતિથી સ્વજ્ઞાનના ભાવાર્થને, એટલે કે ‘હું આત્મીય ચેતનાનો અંશ છું’ એ સત્યને ગ્રહણ કરી શકે છે. મનમાં પછી સ્વયંની સાત્ત્વિકતાની કે દિવ્યતાની સ્વાનુભૂતિ કરવાની ધૂન જાગે છે. જિજ્ઞાસુ ભક્તમાં ધૂન જાગે પછી એને પ્રારબ્ધગત લૌકિક જીવનનાં પ્રશ્ર્નોનો ઉકેલ લાવવામાં જે સમય વેડફાઈ જાય તેની અકળામણ થાય. કારણ ભક્તને સમયની ગતિથી સ્વમાં સમાઈ જવાની અંતરયાત્રા કરવી હોય છે. તેથી તે પ્રભુને સતત પ્રાર્થનાપૂર્વક વિનંતિ કરતો રહે કે..,

 

       શ્યામની શ્યામની શ્યામની રે, મને શા કાજે લાગી આ ધૂન,

       કોઈ કહેશે ઘેલછા લાગી આ માનવીને, કોઈ કહેશે પરભવનાં પુન;

       જાણવું નથી કે લાગી આ ધૂન કેમ, મારે માણવો છે આનંદ શ્યામનો રે;

       સંસારી વાતોનાં કોયડાં ઉકેલવામાં, ચાલ્યો જાય અણમોલ આનંદ;

       આપ્ના ચરણોમાં જીવન વિતાવવું છે, માર્ગમાં ન મૂકો વિકલ્પ.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More