Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
આ ભવસાગરનો તરવૈયો કાચો

હે નાથ! અંત અનંતની યાત્રામાં, સાથી સંગાથી છે એક માત્ર તું;

       તુચ્છ હું છું તે જાણું, કરું છું એટલે વારંવાર વિનંતિ કે તાર તું;

       તારી ભક્તિમાં લીન થવા માટે, નિ:સ્વાર્થ પ્રેમની ધારાને જન્માવ તું;    

       આ ભવસાગરનો તરવૈયો કાચો, તોયે તારા પ્રેમનો હું સગો સાચો.

 

       જે પોતાની ભૂલોનો માત્ર એકરાર ન કરે, પણ વિવેકી દૃષ્ટિથી સમીક્ષા કરે અને ભૂલનું કારણ જાણીને તે પુન: ન થાય એવાં પુરુષાર્થથી જીવન જીવે, તે છે ભક્તિનું માનસ. જેમ મનનું જો વેપારી માનસ હોય તો ક્યારેક ધંધામાં નુકસાન થાય, છતાં પણ તે ધંધો કરવાનું છોડી નહિ દે. વેપારી માનસ વેપાર કરવાની કળાને જાણી, પોતાની ભૂલોને સુધારી, નફો મેળવવા પ્રયત્ન કરતો રહે છે; તેમ ભક્તનું માનસ પણ પ્રેમના આચરણમાં થતી ભૂલોને જાણી, ભક્તિ ભાવમાં લીન થવાનો પુરુષાર્થ કરતો રહે છે. એવાં પુરુષાર્થ રૂપે રાગ-દ્વેષાત્મક અજ્ઞાની સ્વભાવની ભૂલોથી તે જાણકાર થતો જાય. જ્યાં સુધી મન જાણકાર નથી થતું, ત્યાં સુધી અજ્ઞાની વર્તનથી થતાં નુકસાનનો અહેસાસ થતો નથી. સામાન્ય રૂપે માનવી મનની એવી વિશેષ પ્રકારની વિશિષ્ટતા છે, કે જે પણ પરિસ્થિતિમાં ખામીને, ખોટને, કે નુકસાનને જાણી લે, તો તેને દૂર કરવાનો પ્રયત્ન પહેલાં કરશે. મનને વાસ્તવમાં વિકાસ-વૃદ્ધિની જ આબાદી ગમે છે. લૌકિક જગતના વ્યવહારિક કાર્યોમાં, કે ભોગ્ય પદાર્થોને પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં વૃદ્ધિ ગમે, ખોટ કે નુકસાની ન ગમે. તેથી ભક્તનું મન પોતાની અજ્ઞાનતાની જે ખોટ છે, તેને વિલીન કરવા જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક આચરણમાં સ્થિત થવાનો પુરુષાર્થ કરતું રહે છે.

       અહંકારી મનની અજ્ઞાનતા માત્ર મનના પ્રયત્નથી, કે જ્ઞાન-ભક્તિના સત્સંગની પ્રવૃત્તિમાં હાજરી આપવાથી વિલીન થતી નથી. તેથી ઉપરોક્ત પદ્ય પદના વિનંતિભર્યા શબ્દોમાં દર્શાવ્યું છે કે, સાત્ત્વિકભાવની જાગૃતિ કરાવતી ભક્તિભાવની યાત્રા માટે વારંવાર આત્મ નિરીક્ષણ કરવું જરૂરી છે. નિરીક્ષણ થાય તો ભૂલોથી મુક્ત કરાવતાં સ્વમય ચિંતનમાં મન પછી સ્થિત થતું જાય. પ્રભુની આત્મીય ચેતનાની વિશાળતાને, કે સર્વવ્યાપકતાને મનથી ગ્રહણ કરવી સરળ નથી. તેથી સત્સંગ-અભ્યાસથી જેમ જેમ સ્વયંથી એટલે કે આત્મીય ચેતનાથી પરિચિત થવાય, તેમ તેમ શરણભાવની વિનમ્રતા જાગૃત થવી જોઈએ. જો સત્સંગની પ્રવૃત્તિ કરતાં મનમાં અભિમાન જાગે, તો સાત્ત્વિકભાવ સુષુપ્ત રહે છે. તેથી ભક્ત સજાગ રહે છે અને આત્મ નિરીક્ષણ કરતો રહે છે. ભક્તિની યાત્રામાં ભક્ત કદી એવું ન વિચારે કે, "હું ભક્તિ કરું છું, હું સ્વમય ચિંતન કરું છું, હું સત્કર્મ કરું છું, હું એકબીજા સાથે પ્રેમથી વર્તન કરું છું અને સમાધાન કરી સંબંધોને જાળવું છું.” આવી હું પદની વૃત્તિનું જ્યાં વર્તન હોય, ત્યાં ભક્તિ સ્વરૂપે સમર્પણભાવની, પ્રેમભાવની, સહજતા ન હોય. તેથી હું ભજું છું એવો વિચાર પણ ન રહે, એવાં ભાવની જાગૃતિ થવી જોઈએ.

       કર્મ કરતી વખતે તે સત્ કર્મ છે કે અસત્ કર્મ છે એવી ભેદ દૃષ્ટિ ભક્તમાં ન હોય. તેથી સારું કે ખરાબ એવી વ્યાખ્યામાં બંધાઈને તે કર્મ ન કરે. કારણ કયા કર્મને સત્ કહીશું અને કયા કર્મને અસત્ કહીશું? કર્મના પરિણામને માનવી અનુભવે ત્યારે તે સારું કે ખરાબ છે, એવું પોતાની અપેક્ષાયુક્ત માન્યતાથી માને છે. એટલે ભક્ત તો એક જ માન્યતાથી કર્મ કરે કે, કરાવનાર પ્રભુની ક્રિયા શક્તિ છે તો કરનાર હું નથી. તેથી કોઈ પણ કર્મને કે કાર્યને, અથવા અમુક પ્રવૃત્તિને સારી કે ખરાબ છે એવાં લેબલથી ઓળખવાની ન હોય. એવી ઓળખના બદલે મનની અજ્ઞાની વૃત્તિના વર્તનથી પરિચિત થવું જરૂરી છે. એવાં પરિચય સ્વરૂપે હું (મારી)અને પ્રભુની ઐક્યતા છે, એવી સમજણની પારદર્શકતા જાગૃત થતી જાય.

       પ્રભુ સાથેની ઐક્યતા છે, એટલે કે પ્રભુનો હું અંશજ છું, પ્રભુની શક્તિ જ મારા અસ્તિત્વ રૂપે પ્રગટ થઈ છે એવી સમજમાં મનની અજ્ઞાનતા ઓગળતી જાય. સ્વ જ્ઞાન રૂપે એવી સમજ જેમ જેમ જાગૃત થાય, તેમ તેમ મનનું અજ્ઞાની માનસ ઓગળતાં પારદર્શકતા ધારણ થાય અને સ્વયંની સ્મૃતિ રૂપે હું પદની અહંકારી વૃત્તિઓ વિલીન થતી જાય. સ્વયંની સ્મૃતિ વાસ્તવમાં સ્વયંભૂ થાય છે. સ્મૃતિનું સ્વ સ્મરણ ત્યારે જાગૃત થાય, જ્યારે મનથી સ્વીકાર થાય કે, "હું પ્રભુનો અંશ છું, પ્રભુની દિવ્ય ચેતના મુજમાં સમાયેલી છે. પ્રભુની શક્તિથી જ હું જીવું છું. એટલે તો સ્મરણ ભક્તિની કૃપા ધારણ થઈ છે, જે મુજને મારી યથાર્થ ઓળખ કરાવી, મારા આત્મીય ઘરમાં સ્થિત કરાવતી ભક્તિની અંતરયાત્રા કરાવે છે.”

       સ્વીકારભાવની આવી શરણાગતિ ધારણ થાય, ત્યારે મન રૂપી નાવ જ્ઞાન-ભક્તિ સ્વરૂપની બની જાય અને તે પ્રભુની આત્મીય શક્તિ રૂપી સરિતામાં સહજતાથી સહેલ કરતી જાય. એવી અંતર સહેલ કરવામાં પ્રભુની સર્વવ્યાપક સત્તાની અનુભૂતિ થતી જાય. પછી પ્રભુ છે એવું વિચારીને સમજવું ન પડે, અથવા પ્રભુની સર્વત્ર હાજરી છે એવી સમજનું રટણ વારંવાર કરવું ન પડે. કારણ જ્ઞાન-ભક્તિ સ્વરૂપની મનની નાવ બની ગઈ હોય સાત્ત્વિકભાવની જાગૃતિ. સાત્ત્વિકભાવની પ્રકાશિત આવૃત્તિમાં અંક્તિ હોય કે ‘પ્રભુની ગેરહાજરીની કદી હાજરી ન હોય’. સૂર્યમાં જેમ પ્રકાશની ગેરહાજરીની હાજરી નથી, તેમ પ્રભુની હાજરી સ્વરૂપે દરેક જીવની હસ્તી જીવે છે. પ્રભુનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ જ સર્વે જીવનાં અસ્તિત્વ સ્વરૂપે પ્રકાશિત થયું છે. તેથી ભક્ત પ્રભુની પ્રકાશિત થયેલી ગુણિયલતામાં ભક્તિભાવથી એકરૂપ થવાની અંતરયાત્રા કરતો રહે છે. અનંત ગુણોનું પ્રભુત્વ જ્ઞાની ભક્તની ભક્તિ સ્વરૂપે જ્યારે પ્રગટ થાય, ત્યારે બીજા માનવીઓને ભક્તિ ભાવથી જીવવાનું માર્ગદર્શન મળે છે. જ્ઞાની ભક્ત જેવી ભક્તિમાં સ્થિત થવાની પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ. 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
...અને પ્રભુ પ્રીતના સ્પંદનો અનુભવાય

       મનુષ્ય પાસે વિચાર કરવાની અદ્ભુત કળા છે. તે કળાના લીધે વિચારોની ક્રિયાથી કર્મ કરવાનું વર્તન તથા વાચાના ઉચ્ચારનું વર્તન ધારણ થાય છે. મનનો કોઈ શરીરના જેવો સ્થૂળ આકાર નથી. એટલે કોઈ પણ પ્રકારના વિચારોમાં મન ગૂંથાઈ શકે છે. અર્થાત્ વિચાર કરવાની સ્વતંત્રતા માનવી પાસે છે અને તે પોતે જે વિચાર કરે તે બીજા જાણી ન શકે એવી સ્વાધીનતા પણ માનવી પાસે છે. વિચારવાની સ્વતંત્રતામાં આજનો આધુનિક માનવી યોગ્ય વિચારોને ધારણ કરી શકતો નથી. યોગ્ય વિચારોની ગેરહાજરી એટલે રાગ-દ્વેષના અહંકારી સ્વભાવનું વર્તન. રાગ-દ્વેષાત્મક ભેદભાવના વિચારોની હારમાળા જો મનમાં ગૂંથાતી રહે, તો એવાં ભેદભાવની સંકુચિત દૃષ્ટિથી મન રૂપી વાહનનું સર્જનાત્મક કે રચનાત્મક વિચારોનું સ્વાતંત્ર્ય શિથિલ થતું જાય છે. ગમે તે વિચારો કરવાની સ્વતંત્રતાને લીધે માનવી વિચારોથી માત્ર જગત વિશેની માહિતી ભેગી કરતો રહે છે. પ્રભુની જે દિવ્ય ઊર્જા શક્તિના આધારે મન વિચારી શકે છે, સમજી શકે છે, ક્રિયા-પ્રતિક્રિયાનો ભાવ દર્શાવી શકે છે, તે સહાયભૂત શક્તિથી અજ્ઞાત રહેતા મનની સાત્ત્વિક ગુણોની પ્રતિભા જાગૃત થતી નથી.

       સાત્ત્વિક ગુણોની ઊર્જા શક્તિથી મન વિચારી શકે છે, તેથી સાત્ત્વિકભાવની ગુણિયલતા જાગૃત થાય એવાં સત્કર્મોની દિશામાં પ્રયાણ કરવું જરૂરી છે. જેમ પેટ્રોલથી મોટરગાડી ચાલે છે, તો પેટ્રોલ જ્યાં મળી શકે એવી દિશામાં જ ગાડી ચલાવવાની હોય. રણમાં જો પેટ્રોલ ન મળે, તો પેટ્રોલ જ્યારે ખલાસ થઈ જાય, ત્યારે ગાડી ચલાવી ન શકાય, એટલું જ્ઞાન દરેક મોટરગાડી ચલાવતાં ડ્રાઈવરોને હોય છે. એ જ રીતે મન રૂપી વાહનને ચલાવવા માટે પ્રભુની શક્તિ રૂપી પેટ્રોલ સૌને મળતું રહે છે. પરંતુ રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવથી મનનું વાહન ચલાવીએ તો એકબીજા સાથેના વ્યવહારમાં ઈર્ષ્યા, વેરઝેર, ધિક્કાર, કંકાસ વગેરે નકારાત્મક વર્તન રૂપે એક્સીડન્ટ થયાં કરે. એકબીજાના મનમાં ક્રોધ કે રાગ-દ્વેષ હોવાંથી, મનની ગાડી ખોટકાઈ (અટકી) જાય છે. પ્રભુની શક્તિનું પેટ્રોલ તો મળી રહે છે, પણ અહંકારી, નકારાત્મક વર્તનથી મનની ગાડીનું એક્સીડન્ટ વારંવાર થતાં, સત્કર્મો કરાવતી દિશામાં મન પ્રયાણ કરી શકતું નથી. એવું મન સર્જનાત્મક વિચારોની દીર્ઘ દૃષ્ટિ ગુમાવી દે છે. એટલે અંતર સ્ફુરણની ચેતના પણ સુષુપ્ત રહે છે. તેથી જ પ્રૌઢ ઉંમરે સ્મરણ શક્તિ ઓછી થાય છે. માહિતી રૂપે મેળવેલાં વિચારોની યાદી રહી શકે, પણ મનની ભીતરમાં જે સાત્ત્વિક ગુણોનું કૌશલ્ય સુષુપ્ત રહ્યું છે, તે યાદદાસ્તથી જાગૃત ન થઈ શકે.

       દરેક માનવી પોતાના સ્થૂળ શરીરના આરોગ્યની યોગ્ય સંભાળ રાખે છે. સુપાચ્ય ખોરાક સાથે વ્યાયામથી શરીરનું આરોગ્ય જાળવાનો પ્રયત્ન કરે છે. જેથી કોઈ રોગ, દર્દ, કે પીડાનું દુ:ખ ઓછું અનુભવાય. એ જ રીતે મનની (સૂક્ષ્મ શરીરની) પણ સંભાળ રાખવી અતિ આવશ્યક છે. મનનું જેવું સાત્ત્વિક આચરણનું સ્વાસ્થ્ય, તેટલી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. રાગ-દ્વેષાત્મક વિચારોથી માનવી કર્મ કરે છે, ત્યારે એની અસર એનાં પોતાના શરીર પર પડે છે અને તે ભેદભાવના વર્તનની નકારાત્મક અસર આજુબાજુના વાતાવરણને પણ દૂષિત કરે છે. વર્તમાન સમયમાં વાતાવરણનું, ઋતુનું, પ્રકૃતિની ક્રિયાઓનું સંતુલન જળવાય રહે, તે માટે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે. માનવી જ્યારે મનના સ્વસ્થ આરોગ્ય વિશે જાગૃત થાય, ત્યારે શ્રવણ, સત્સંગની મહત્તા સમજાય. જિજ્ઞાસુ ભક્ત સાત્ત્વિક વિચારોનું પોષણ સત્સંગ અભ્યાસથી મેળવે અને સાથે સાથે પોતાના વિચાર-વર્તનની ચકાસણી પણ કરતો રહે છે.

       જિજ્ઞાસુ ભક્ત વાણીથી થતાં કર્મ ખૂબ સાવધ થઈને કરે. કારણ સામાન્ય રૂપે જીવનમાં એકબીજા સાથેના વ્યવહારમાં મોટેભાગે વાણીથી જ ઘર્ષણ થતું હોય છે અને અણબનાવ થતાં સંબંધોમાં પ્રેમને બદલે નફરત ઊભી થાય છે. તેથી ભક્ત હંમેશા પ્રભુએ અર્પણ કરેલા મનના વાહનનો ઉપયોગ ઉચિત રીતે ભાવની નિર્મળતાથી કરે. અર્થાત્ વાણીથી સદ્વચનોનો ઉચ્ચાર થાય, સ્તુતિ કે ભજનોનું ગુંજન થાય, તથા કોઈને દુ:ખ ન થાય એવી વાણીથી વ્યવહારિક કાર્યો કરે. પ્રારબ્ધગત જીવનમાં કોઈ મુશ્કેલી આવે, ત્યારે એવાં આપત્તિના સમયમાં ભક્ત તો પ્રભુ સ્મરણની સંપત્તિનો ઉપયોગ કરે. તેથી ભક્ત હંમેશા સાત્ત્વિક ભાવની જાગૃતિ થાય એવી સાવધાનીથી પોતાના કર્મ કરે. જેથી મનની પારદર્શકતા વધતી રહે અને સ્વયંની અનુભૂતિમાં સ્થિત કરાવતું જ્ઞાતા ભાવનું સંવેદન ધારણ થઈ શકે.

      

       ભક્તિભાવથી સાત્ત્વિક કર્મ થતાં જાય

અને મનની પારદર્શકતા જાગૃત થતી જાય;

       સાત્ત્વિકભાવની નિર્મળતા માનવીને પરોપકારી બનાવે,

ત્યારે પ્રભુનો ઉપકાર અનુભવાય;

       મન પછી વિશાળતાના વિચારોથી અંતરગમન કરતું જાય

અને સ્વયંની ઝાંખી કરતું જાય;

       સાત્ત્વિક મનની પ્રસન્નતામાં અંતર સ્ફુરણની ચેતના પ્રગટે

અને પ્રભુ પ્રીતના સ્પંદનો અનુભવાય.

             

       વિશાળતાના વિચારો એટલે મહાભૂતોની પ્રકૃતિના વિચારો, જે ક્ષણે ક્ષણે નવીન ક્રિયા રૂપે આપણને તે ક્રિયાનું ફળ અર્પણ કરે છે. વાયુદેવની ક્રિયા, જળદેવની ક્રિયા, પૃથ્વી માતાના સહારે ઊગતી વનસ્પતિ જગતની ક્રિયા, વગેરે પ્રકૃતિની ક્રિયાઓના વિચારોમાં મન ફરે, તો માંગણીઓ ઓછી થતી જશે અને સંકુચિત માનસના ભેદભાવ ઘટતાં જશે. કારણ વિશાળતાના વિચારોમાં મનની વિશાળતા પ્રગટતી જાય અને સૂક્ષ્મ સૃષ્ટિથી પરિચિત થતાં જવાય. પછી એકબીજા સાથેની ઓળખાણ માત્ર સ્થૂળ આકારના શરીરથી નહિ થશે, પણ સત્કર્મોના પ્રેમભાવથી એકબીજા સાથેના સંબંધોનું સન્માન જળવાશે, ત્યારે અંતરગમનની સહજતા ધારણ થતી જશે.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
મારે આપના થવું છે

આવતી કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે. જ્ઞાની ભક્તોએ શ્રવણ મહિનાનો પાવનકારી ઉદ્ેશ દર્શાવ્યો છે. શ્રાવણ એટલે મનનું શ્રેય જેમાં વણાયેલું છે એવાં સાત્ત્વિકભાવથી પરમાર્થી કાર્ય કરવાનો અવસર. જેથી સંસારી કાર્યોમાં વ્યસ્ત રહેતું મન ભક્તિભાવ તરફ ઢળી શકે. વાસ્તવમાં ભક્તિભાવથી ચિંતન અમુક સમય પૂરતું જ ન કરવાનું હોય. જેમ બે કે ત્રણવાર ખાઈને શરીરના સ્વાસ્થ્ય માટેનું યોગ્ય પોષણ મેળવીએ છીએ; તેમ મનનાં સ્વાસ્થ્ય માટે પણ સાત્ત્વિક વિચારોનાં ચિંતનનું પોષણ, દિવસ દરમિયાન ધારણ કરવું અતિ મહત્ત્વનું છે. સાત્ત્વિકભાવનું સ્વાસ્થ્ય જેમ જેમ વધતું જાય, તેમ તેમ સ્વાનુભૂતિની અંતરયાત્રામાં મન સ્થિત થતું જાય અને જગત-જીવન-જગન્નાથની ઐક્યતાનું રહસ્ય પરખાતું જાય. મનથી આ રહસ્યને પૂર્ણ રૂપે જાણી કે સમજી શકાય એમ નથી. કારણ સંસારી અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના સંસ્કારો, મન પર આવરણની જેમ હોવાંથી, સૂક્ષ્મ સૃષ્ટિની વાસ્તવિકતાને જાણવાની સમજ શક્તિ જાગૃત થતી નથી. છતાં ભક્તિભાવની નિષ્ઠાથી મનનું સાત્ત્વિકભાવનું સ્વાસ્થ્ય જો ધારણ થાય તો રહસ્ય પરખાતું જાય.

       સંસારને ભોગવવાની અતૃપ્ત ઈચ્છાઓ આવરણની જેમ અવરોધક ત્યારે બને, જ્યારે અહમ્ વૃત્તિના અહંકારથી, રાગ-દ્વેષના ભેદભાવથી વર્તન થાય. અહમ્ વૃત્તિઓનું સમર્પણ થાય અને મન ભક્તિભાવમાં સ્થિત થઈ શકે, તે ઉદ્ેશથી જ જ્ઞાની ભક્તોએ શ્રાવણ મહિનાનું પાવનકારી માંગલ્ય દર્શાવ્યું છે. ભક્તિભાવ તરફ ઢળવા માટે આરંભમાં મંદિરે જવું, ઉપવાસ કરવા, જપ કરવા, શ્રવણ કરવું વગેરે પ્રવૃત્તિ જરૂરી છે. તે આરંભિત પ્રવૃત્તિઓનો સંકેત આચરણ રૂપે ધારણ થતો જાય, પછી એવી પ્રવૃત્તિઓ નિયમના બંધનથી કરવી ન પડે. જ્યાં ઘડિયાળના સમયથી થતી યમ-નિયમની પ્રવૃત્તિઓનું બંધન ન હોય, ત્યાં સ્વમય ભક્તિની અંતર યાત્રાની મુક્ત ગતિ હોય. સ્વયંની એવી મુક્ત ગતિમાં ગતિમાન થવા માટે તથા પ્રભુ સાથેની આત્મીય ઐક્યતાની અનુભૂતિમાં લીન થવા માટે સાત્ત્વિકભાવનું સંવેદન જાગૃત થવું જોઈએ. ભાવની નિષ્કામ સંવેદનામાં સ્વયંની અનુભૂતિનો પ્રકાશ ધારણ થાય અને સંસારી ઈચ્છાઓની અતૃપ્તિ વિલીન થતી જાય. મનની એવી વિશુદ્ધ અવસ્થાની વિશાળતા એટલે જ પ્રેમભાવની નિ:સ્વાર્થતા.

       પ્રેમભાવની સાત્ત્વિકતાનો ઉજાગર કરાવતી સ્વમય ભક્તિમાં સ્થિત થવા માટે, જિજ્ઞાસુ ભક્ત શરણભાવથી એકરાર કરતો રહે કે, "હે પ્રભુ! હું બાળક હતો અને નિશાળમાં જવાનું શરૂ કર્યું, ત્યારે ક, ખ, ગની બારાખડી તથા એકથી સોના આંકડાં વિશેનું શિક્ષણ મેળવતો હતો. ધીમે ધીમે ઘરના વડીલો સાથેનું, મિત્રો સાથેનું તથા નિશાળનું જીવન જીવવાનું શીખતો ગયો. યુવાન વયનો જ્યારે થયો અને મહાવિદ્યાલયમાં (કોલેજમાં) જવાનું શરૂ કર્યું, ત્યારે ખબર પડી કે પ્રેમની ભૂખ એટલે શું? એકબીજા સાથે પ્રેમથી આદાનપ્રદાન કરવાનું શીખતો ગયો અને યુવાન વયના જીવનને માણતાં માણતાં દેહધારી જીવનનું તાત્પર્ય ગ્રહણ કરતો ગયો. પરંતુ જ્યારથી આપની ભક્તિમાં હું ઓતપ્રોત થયો, તે ક્ષણથી પ્રેમની ભાષા બદલાઈ ગઈ. પ્રેમના સંવેદનને ઝીલતો ગયો અને અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થતાં હું આપનામાં વીંટળાતો ગયો. પછી હું છું એવું ભાન જે ક્ષણથી વીસરી જવાયું, તે ક્ષણથી ગ્રહણ થતું ગયું કે, આ જીવંત જીવનનું રહસ્ય શું છે. આ દેહધારી જીવન જે પ્રકૃતિ જગતમાં જીવે છે, તેની જગન્નાથ સાથેની ઐક્યતાની પ્રતીતિ પછી થતી ગઈ...

       ...દેહધારી જીવનની સંગાથે પેલીપારની અનંત યાત્રા કરવાનો ઉદ્ેશ જેમ જેમ સ્પષ્ટ થતો ગયો, તેમ તેમ સંસારી ભોગની આસક્તિ ફેરવાઈ ગઈ આપના પ્રકાશિત દર્શન કરવાની ઈચ્છામાં. જે મનમાં સંસારી વિચારોની ગાંઠો બંધાતી હતી તેનાં બદલે સાત્ત્વિક વિચારોની હારમાળા આપમેળે ગૂંથાતી રહી અને મારું-તારું કે આપણું છે એવી વિભાજીત દ્રષ્ટિ આપની કૃપા ધારામાં ઓગળતી ગઈ. તેથી હે પ્રભુ! મુજ પર એટલી કૃપા વરસાવજો, કે જ્યાં સુધી આ દેહધારી જીવન જીવું ત્યાં સુધી લૌકિક બાહ્ય જીવનના, કે અલૌકિક અંતર જીવનના હરેક પ્રકારના કાર્યોને વફાદારી પૂર્વક હું નિભાવતો રહું. જેથી સમર્પણભાવથી, સોઽહમ્ભાવથી, કરુણાભાવથી આપની ભગવત્ ભાવની શક્તિમાં એકરૂપ થઈ શકું. અમાપ ભક્તિનું સાત્ત્વિક ભાવનું દાન ધારણ થતું રહે એવી આપની અનન્ય પ્રીતમાં સ્નાન કરાવજો.”

       આવો એકરાર શરણભાવથી થયાં કરે અને ભક્તના હૃદયમાં એવું રુદન થયાં કરે કે, આટલી મહાન શક્તિ એક પાંચ-છ ફુટના માનવ દેહમાં બંધાઈને, મને જીવંત સ્થિતિનું પોષણ અર્પણ કરવાની સેવા કરે છે! જે મહાસાગરની જેમ વહે છે, જેનું ઊંડાણ મનથી જાણવું લગભગ અશક્ય છે, જેની પ્રકાશિત ગતિની દિવ્ય પ્રીતને કોઈ સંસારી સંબંધોના પ્રેમ સાથે સરખાવી શકાય એમ નથી. તે મહાન શક્તિ મહાભૂતોના અણુ સ્વરૂપે પ્રગટે છે અને ઊર્જા શક્તિનું દાન અર્પે છે! સ્વમય ભક્તિના આવા પ્રભાવમાં વૃત્તિ-વિચારો શાંત થતાં જાય. વૃત્તિઓનું મૌન થવું, એ છે ધ્યાનની એકાગ્ર સ્થિતિનો ઉદય. ભક્તની એવી મૌન સ્થિતિ દ્વારા જ્યારે ભક્તિભાવના વહેણ વહે, ત્યારે એવી ભક્તિના નિષ્કામ નીરમાં માનવી મન જો ઝબોળાઈ જાય, તો લૌકિક દિશામાં ગમન કરવાને બદલે અંતરગમનની જિજ્ઞાસા જાગૃત થાય. ચાલો આપણે આ શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી પ્રભુને વિનવીએ કે..,

 

       "આપ્નામાં આપ્નામાં આપ્ના થવું છે મારે આપ્ના થવું છે,

              આપ્નામાં સમાઈ જવું છે આપ્ના થવું છે;

       આપો તો અમે લઈ લેશું ને ન આપો તો નહિ માંગશું,

              આપ્નામાં લપાઈ રહીને આપ્ના થવું છે;

       આપ્ના ઉપકારમાં રહીને આપ્ના કારભાર માટે,

              આપ્ની સરભરામાં રહીને આપ્ના થવું છે;

       આપણાપણું ભૂલાવીને પ્રભુ, આપ્ના થવું છે મારે આપ્ના થવું છે,

              જ્યાં જઉં ત્યાં આપ્નું મારે કાર્ય કરવું છે;

       થઈ શકે તો અપ્નાવજો મને, ન થઈ શકે તો જણાવજો,

              ભૂલો ક્યાં થઈ છે એની મને જાણ કરાવજો.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સાત્ત્વિક ગુણોના આભૂષણોની શોભા ધારણ થાય...

પ્રભુની પ્રાણ શક્તિ વાયુદેવ સ્વરૂપની ઊર્જા શક્તિ સાથે સૌના દેહમાં પ્રવેશ કરે, તે છે સર્વેને ક્ષણે ક્ષણે અર્પણ થતી પ્રભુની અણમોલ ભેટ. વર્તમાન સંજોગોમાં પ્રાણવાયુની જરૂરિયાતને માનવીએ જાણી, પણ પ્રાણવાયુની ટાંકીથી વધારાના શ્ર્વાસની ભેટ પ્રાપ્ત ન થઈ શકે એ જ્યારે સમજાય, ત્યારે શ્ર્વાસની હાજરીની મહત્તા સમજાય. અમૃત સ્વરૂપના શ્ર્વાસમાં ક્ષણેક્ષણના સંગાથને અહોભાવથી સ્વીકારવો જોઈએ, એટલે કે શ્ર્વાસની અમૂલ્યતાને જાણવી જોઈએ. એવી જાણ સ્વરૂપે મનનો વિચારવાનો ઢાળ બદલાતો જાય. કારણ મનોમન એટલું સમજાય કે, પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જા, જે ક્ષણે ક્ષણે શ્ર્વાસ રૂપે અર્પણ થાય છે તેનું સર્જન કોઈ માનવી કરી શકે એમ નથી. મન-બુદ્ધિના કૌશલ્યથી તેને મેળવી શકાય એમ નથી. માનવી શિક્ષણની ગમે તેટલી ઉચ્ચ પદવીનું સન્માન મેળવે, અથવા એશો આરામનો વૈભવ રૂપિયાથી મેળવે, અથવા અન્ન, વસ્ત્ર, રહેઠાણની બહુમૂલ્યવાન સ્થિતિને પ્રાપ્ત કરે. પરંતુ એ સર્વે ભોગ્ય પદાર્થોની કે માનસિક ચતુરાઈની પ્રાપ્તિથી શ્ર્વાસનું ધન ખરીદી શકાતું નથી.

       આ સત્યનો મર્મ જે સમજીને ગ્રહણ કરે, તેનાં હું પદના અહંકારી સ્વભાવનું પરિવર્તન થાય છે. હું મારા બુદ્ધિબળથી દુનિયાની કોઈ પણ વસ્તુને કે પરિસ્થિતિને મેળવી શકું છું. એવાં કર્તાભાવનો અહંકાર જ્યાં હોય, ત્યાં મારું-તારુંની ભેદ દૃષ્ટિથી વ્યવહાર થયાં કરે અને હજી ઘણું મેળવવાનું બાકી છે એવી ઈચ્છાઓને લીધે મનમાં અપ્રાપ્તિની ખોટ અનુભવાતી રહે છે. આવું અપ્રાપ્તિથી પીડાતું અહંકારી માનસ પોતાના બુદ્ધિબળની ચતુરાઈને પુરવાર કરવાના પ્રયત્નથી જીવન જીવે છે. અહંકારી માનવીના જીવનમાં ચિંતા, તાણ, વ્યગ્રતા વધતી રહે છે, જે શારીરિક આરોગ્યને અસ્થિર કરે છે. પ્રૌઢ ઉંમરે તનની એવી અસ્થિરતા વધે, ત્યારે ઔષધ ઉપચારના અવનવાં પ્રયોગોની શોધમાં મન ફરતું રહે અને ઉપચાર તો કરવાં જ પડે. કારણ શરીરના દર્દ, કે પીડાની વેદના સહન કરવી અસહ્ય હોય છે. તેથી જ જો માનવીને યુવાન વયથી શ્ર્વાસના સંગાથની મહત્ત્વતા સમજાય, અહંકારી સ્વભાવથી પોતે જ પોતાના શરીરનું સ્વાસ્થ્ય બગાડે છે એ સમજાય, તો સંસ્કારી વર્તન એટલે કે સાત્ત્વિકભાવની જાગૃતિ તરફ મન ઢળી શકે.

       સાત્ત્વિકભાવની જાગૃતિ, એટલે જીવંત જીવન જિવાડતી પ્રભુની ચેતનાનાં સ્વીકારથી જીવવું. આત્મીય ચેતનાની વાસ્તવિકતાનું દર્શન મનમાં જેમ જેમ સ્પષ્ટતાથી અંકિત થાય, તેમ તેમ સમજ શક્તિ વ્યાપક થતી જાય કે, આ જગતમાં કોઈ પણ સ્થિતિ જન્મે છે અથવા જે પણ સ્થિતિનો આરંભ થાય છે, તેની સાથમાં જ તેનો અંત થવાનો છે તે નિશ્ર્ચિત થયેલું હોય છે. આરંભ-અંતની ક્રિયા સર્વત્ર છે. પોતાના શરીરને જ્યારે પણ જોઈએ, ત્યારે તેનો મૃત્યુ રૂપે અંત થશે એવી સમજથી જીવવું જોઈએ. એવી સમજ જો ગ્રહણ થઈ હોય તો અંત થતી સ્થિતિના દુ:ખમાં કે શોકમાં, મન હતાશ થઈને નિરાશામાં ડૂબી નહિ જાય. એનો અર્થ એવો નથી કે આરંભ થતી સ્થિતિનો હર્ષ અનુભવવો નહિ. સુખદાયક સ્થિતિને મેળવવી, કે એનો ભોગ કરવો, અથવા સુખી રહેવાની ઈચ્છા, એ કંઈ મનની નિર્બળતા ન કહેવાય પણ અજ્ઞાનતા કહેવાય. સ્વ સ્વરૂપથી અજાણ રહેતી મનની અજ્ઞાનતા, જ્ઞાન-ભક્તિના આચરણથી વિલીન થઈ શકે. પછી સુખનું ઉચિત સ્વરૂપ સમજાય અને મારું-તારુંની ભેદ દૃષ્ટિથી થતાં વર્તનની ભૂલ સમજાય.

       મન અજ્ઞાનતાથી જાણકાર થાય, એટલે કે અજ્ઞાનનું જ્યારે જ્ઞાન થાય, ત્યારે સમજાય કે સુખની ઈચ્છામાં, કે મનની અતૃપ્તિમાં પ્રેમની ખોટ હેાય છે. મન પ્રેમને ઝંખે છે એટલે જ ખાદ્ય પદાર્થોના ભોગમાં, અવનવાં વસ્ત્રોના પરિધાનમાં, હરવા ફરવામાં સુખનો અનુભવ કરે છે. એવાં સુખના અનુભવનો પ્રયત્ન સામાન્યજન કરે તે સહજ કહેવાય. પરંતુ જે મન અમૃત સ્વરૂપના શ્ર્વાસના સંગાથની વાસ્તવિકતાને જાણે છે એ દુન્યવી પદાર્થોના ભોગમાં જ સુખને અનુભવે, તે મન અજ્ઞાની કહેવાય. એટલે સામાન્ય જનની સુખ પ્રાપ્તિની ઝંખનાને મનની નિર્બળતા ન કહેવાય, પણ જિજ્ઞાસુ ભક્ત જે વાસ્તવિકતાની સમજથી જીવન જીવે છે, તે જો દુન્યવી પદાર્થોના સુખની શોધમાં રહે, તો તે મનની નિર્બળતા કહેવાય.

      

       અવિનાશી પ્રાણ શક્તિનો સંચાર ક્ષણે ક્ષણે સૌ જીવંત કૃતિઓમાં થતો રહે છે;

       પ્રાણનાં સંગાથને ભક્ત અનુભવે

અને સમજી જાય કે સુખના સાથમાં સોનું નથી;

       નહિ તો સોનાના આભૂષણો પહેરવા છતાં માનવીને સૂનું લાગે છે

અને સુખની શોધમાં રહે છે;

       અવિનાશી સોનીનો સંગાથ અનુભવાય,

તો સાત્ત્વિકગુણોનાં આભૂષણોની શોભા ધારણ થાય.

 

       શ્ર્વાસનો સંગાથ અનુભવવો એટલે પ્રભુની ચેતના જિવાડે છે એવો વિશ્ર્વાસ દૃઢ થવો. દૃઢ વિશ્ર્વાસ રૂપે નિશ્ર્ચિત થાય કે, "મેં કરેલાં કર્મોના પરિણામ રૂપે આ જીવન મળ્યું છે. મારા અતૃપ્ત કર્મસંસ્કારોને તૃપ્ત કરાવતાં કાર્યો કરવા માટે દેહધારી જીવન જીવવાનું છે અને મનની ભીતરમાં સુષુપ્ત રહેલી સાત્ત્વિકતાને જ્ઞાન-ભક્તિના સદાચરણથી જાગૃત કરવાની છે.” આવી નિશ્ર્ચિત દૃષ્ટિથી પ્રભુના સંગાથની પ્રતીતિ થયાં કરે. એવી પ્રતીતિનો સંગાથ હોય તો ઈચ્છાપૂર્તિના કાર્યો સહજતાથી થાય તથા જ્ઞાન ભક્તિના સદાચરણનું માર્ગદર્શન પણ ધારણ થતું જાય. દુન્યવી પદાર્થોના ભોગનું આકર્ષણ પછી આપમેળે ઘટતું જાય. એટલે જે નથી તેને પામવાનો કે મેળવવાનો સંઘર્ષ મનમાં ઓછો થતાં, જેનો સંગાથ છે, જેની પ્રાપ્તિ છે, તેનાં સાથને મન માણતું જાય. પ્રભુના સંગાથને મન માણે, ત્યારે નિ:સ્વાર્થ પ્રેમની ધારા સહજ પ્રગટે અને પ્રભુના સંગાથની પ્રસન્નતા, આનંદ અનુભવતા જીવન જીવાતું જાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
માનવીમાંથી ભક્તનો પ્રાદુર્ભાવ

માનવી જીવે છે મનથી, ઈન્દ્રિયગમ્ય વિષયોનો આનંદ માણે છે મનથી. એટલે મનની વિચારવાની, સમજવાની કે ક્રિયા-પ્રતિક્રિયા કરવાની શક્તિ વગરના જીવનની કોઈ મહત્ત્વતા નથી. તેથી જ દરેક માનવીએ પોતાના મનને ઓળખવાની, એના સ્વરૂપને જાણવાની, એટલે કે મનની વિશિષ્ટ શક્તિની મહત્તાથી જાણકાર થવું જોઈએ. એવી જાણકારી રૂપે મનની દીર્ઘ દૃષ્ટિ ખીલતી જાય, સર્જનાત્મક વિચારોનું કૌશલ્ય ખીલતું જાય છે. મનથી મનને જાણવું એટલે મહાભૂતોની પ્રકૃતિથી પરિચિત થવું. આકાશ-વાયુ-અગ્નિ-જળ-પૃથ્વી તથા સૂર્ય-ચન્દ્રની ઊર્જા શક્તિથી દરેક દેહધારીનું જીવન ગૂંથાયેલું છે. અર્થાત્ વાયુ, અગ્નિ, જળ વગેરેનું પ્રકૃતિ રૂપી અન્ન આપણાં જીવનનો પોષક આહાર છે. જે પ્રકૃતિની ઊર્જાથી દેહનું ઘડતર થયું, તેનાં જ પોષણથી વિકાસ-વૃદ્ધિનું જીવન જીવી શકાય છે. તે ઊર્જાનું પોષણ દેહધારી જીવનને પોષે છે અને પ્રારબ્ધગત સંસ્કારો મુજબ વૃદ્ધિગત ઉછેર કરે છે. પરમાત્મ શક્તિના પ્રતિનિધિ છે મહાભૂતો સ્વરૂપની અણુ ઊર્જા. માનવી મોટેભાગે આ પ્રતિનિધિઓની સમર્પણભાવની ક્રિયાઓથી, સૌનું શ્રેય થાય એવાં અર્પણભાવની સેવાથી અજાણ રહીને જીવે છે. એટલે મનની ગુણિયલ સ્વભાવની સાત્ત્વિકતા સહજ જાગૃત થતી નથી અને શરીરની વૃદ્ધ અવસ્થામાં મન પણ વૃદ્ધ થાય છે.             

                મનનું વૃદ્ધ થવું એટલે યાદ રાખવાની સ્મરણ શક્તિ ઓછી થવી, સમજવાની કે ગ્રહણ કરવાની શક્તિ ઓછી થવી. જેનાં લીધે મહાભૂતોની પ્રકૃતિમાં સમાયેલું આત્મીય ગુણોનું સાત્ત્વિકભાવનું પોષણ મન ધારણ કરી શકતું નથી. મહાભૂતોની પ્રકૃતિના સંગમાં સતત રહીએ છીએ, પણ કદી તેઓની સૂક્ષ્મ કાર્યવાહીને જાણવાનો પ્રયત્ન નથી કરતાં. દરેક માનવીનો સંબંધ મહાભૂતોની પ્રકૃતિ સાથે છે. તેથી તે પ્રકૃતિને જાણવાનો, પરિચિત થવાનો પુરુષાર્થ કરવો, એ છે માનવી મનનો ધર્મ. સામાન્ય રૂપે માનવી નોકરી-ધંધાના કાર્યો કરવામાં એટલો વ્યસ્ત રહે છે કે, જે પોષણને મેળવે છે, જેનાં આધારે જીવન જિવાય છે તેને જાણવાનો એની પાસે સમય નથી!! લૌકિક જીવનના વ્યવહારમાં જો કોઈ આપણી સેવા કરે, આપણને રૂપિયાની મદદ કરે, તો આપણે સન્માનપૂર્વક એનો આભાર જેમ માનીએ છીએ; તેમ પરમાત્મ શક્તિના પ્રતિનિધિઓનું અહોભાવથી સન્માન થાય, તો મનની અહંકારી વૃત્તિઓ પરોપકાર ભાવની સેવા વૃત્તિમાં ફેરવાતી જાય. પરંતુ તે માટે વૈજ્ઞાનિક જ્ઞાનનો સહારો લેવો પડે. વૈજ્ઞાનકિ જ્ઞાનના સહારે અખંડ ગતિથી થતી પ્રકૃતિની સેવાને જાણવાનો પુરુષાર્થ થશે, ત્યારે મન આશ્ર્ચર્યમાં ડૂબી જશે.

                વૈજ્ઞાનિક જ્ઞાન રૂપી ચશ્માથી પરમાત્માએ સર્જાવેલી પ્રકૃતિને જાણવાથી મનની સૂક્ષ્મ દૃષ્ટિ ખીલે છે. મનની આશ્ર્ચર્ય સ્થિતિમાં જ સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થાય. પ્રકૃતિની ક્રિયાઓને જાણવામાં, પરમાત્માએ જીવંત જીવન રૂપે સર્વસ્વ અર્પણ કર્યું છે એવાં અહોભાવમાં મન સ્થિત થાય. પછી જ પરમાત્મા સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ થતી જાય અને મનની વિશાળતા ધારણ થાય, ત્યારે સાત્ત્વિકભાવની જાગૃતિથી કાર્યો થતાં અકર્તાભાવ જાગૃત થતો જાય. ‘હું કર્તા નથી, હું પ્રભુમાં માનું છું કે મને પ્રભુ માટે પ્રેમભાવ છે’ એવી વાતો પછી મહાસાગરના એક બિંદુ જેવી લાગશે. કારણ હું પોતે મહાભૂતોની પ્રકૃતિનો અંગત સ્વજન બની ગયો. જેનાં સ્વજન બન્યાં તેનાં જેવું વર્તન કરવાનું પછી મુશ્કેલ ન લાગે. પ્રકૃતિ રૂપી પોતાના સ્વજનોને, મહાભૂતોના સભ્યોને જાણવામાં મનની અહંકારી સ્વભાવની અજ્ઞાનતા કે રાગ-દ્વેષવાળી ભેદભાવની દૃષ્ટિનો અવરોધ વિલીન થતો જાય.

                મોટેભાગે માનવી એવું માની લે છે કે પ્રકૃતિ જગતનું તંત્ર એની મેળે ચાલ્યાં કરે છે. પરંતુ આપણાં વિચાર-વર્તનની અસર મહાભૂતોની પ્રકૃતિ પર પડે છે. જેનાં લીધે વાયુ, પાણી, ભૂમિ, ઋતુ, વાતાવરણ વગેરેની કુદરતી ક્રિયા અસ્તવ્યસ્ત થાય છે. જે જીવલેણ રોગના જંતુઓને જગાડે છે. એટલે કુદરતી આફતો, કે રોગચાળાની મુશ્કેલીઓ માનવીના અજ્ઞાની અહંકારી વર્તનથી આવે છે. જીવન દરમિયાન મન જો વાયુ, પાણી, કે ધરતીમાતાના અંગત સ્વજન બની, વંદનભાવથી, અકર્તાભાવથી પોતાના કાર્યો કરે, તો અમુક નક્કી કરેલાં સમયની સત્સંગની પ્રવૃત્તિ કરવી નહિ પડે. કારણ પ્રભુના પ્રતિનિધિઓની સંગમાં, તેઓની જેમ મન પણ સમર્પણભાવથી જીવે, તે છે ભક્તિનું આચરણ. મન પછી બની જાય ભક્તિનું સ્વરૂપ. એવું મન પ્રવૃત્તિની જેમ ભક્તિ ન કરે, કારણ ભક્તિની ભાવ શક્તિ જાગૃત થઈ હોવાંથી, તે જે પણ કાર્ય કરે તે ભક્તિભાવથી થતું રહે છે. ભાવની જાગૃતિ એટલે જ અજ્ઞાની સંકુચિત માનસનું વિશાળ થવું. વિશાળ મનનો સાત્ત્વિકભાવ પ્રકૃતિને સ્વજન માની પ્રકૃતિનો નિવાસી બને છે. વાસ્તવમાં દરેક દેહધારી જીવ પ્રકૃતિનો નિવાસી છે, પણ મનની અજ્ઞાનતાના લીધે નિવાસીને પ્રકૃતિની ક્રિયાઓમાં સમાયેલું પ્રભુનું સાત્ત્વિક ગુણોનું પોષણ પ્રાપ્ત થતું નથી. સાત્ત્વિક ગુણોના પોષણથી વંચિત રહેતું મન, જ્ઞાન-ભક્તિના પથનો પ્રવાસી બની શકે એવી પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.

 

                પ્રવાસીએ એવી સ્થિતિ સર્જાવવી જોઈએ, કે પ્રકૃતિને ગમે એવો તે નિવાસી થાય;

                તે માટે મનનાં સંકુચિત વિચારો જ્યારે બની જાય પ્રકૃતિના વિશાળ વિચારોનો ચારો;

                ત્યારે પ્રકૃતિનો ચારો ઉતારે પ્રભુના સાત્ત્વિક ગુણો અને આચાર-વિચાર બદલાવે;

                પ્રકૃતિનો ચારો એ જ મનનું આરોગ્ય જો થઈ જાય, તો પ્રકૃતિના સાચા નિવાસી થવાય.

 

                પ્રકૃતિની વિશાળતાના વિચારોની દૃષ્ટિ કેળવતાં કેળવતાં, તમે પોતે વિરાટ છો એવું જણાશે;

                વિરાટભાવ એ જ છે આત્મભાવ અને આત્મભાવ એ જ છે વિશેષ સ્વ અનુભૂતિ;

                પ્રભુ આત્મભાવની પ્રીતથી અણગીન પદાર્થ ચિત્રોનું સર્જન સૃષ્ટિ રૂપે સર્જે છે;

                એ જ પદાર્થ ચિત્રોનો ભાવાર્થ સમજાવતાં ચિંતનથી, પ્રભુ જેવો આત્મભાવ તમારો થશે.

               

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
ભક્ત અને ભક્તિ બે જુદી પરિસ્થિતિ નથી...

પરિવારના સભ્યોની સંભાળ રાખવી અને તે માટે આજીવિકાની પ્રવૃત્તિ કરતાં રહીને, અન્ન, વસ્ત્ર, રહેઠાણની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી, એવાં કર્તવ્યથી દરેક માનવી જાણકાર હોય છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેકના મનમાં પરિવારના સભ્યો સાથેના સંબંધોની ભાવના હોય છે. તે ભાવના અનુસાર માનવી પોતાના કર્તવ્ય કરતો રહે છે. એમાં ક્યારેક પોતાની ઈચ્છા મુજબનાં કાર્યો કરવા મળે, અથવા ક્યારેક બીજા સભ્યોની ખુશી માટે પોતાની ઈચ્છાઓને મનમાં સંઘરી રાખવી પડે. ઘણી વખત અપેક્ષા મુજબના કાર્યો થાય, છતાં એનાં પરિણામથી મન સંતુષ્ટ ન થાય. કારણ સત્ ભાવની જાગૃતિ વગર થયેલાં કર્મોમાં રાગ-દ્વેષના સ્વભાવનો અવરોધ હોય છે. એટલે તૃપ્તિ, આનંદ, સંતોષ કે પ્રેમની સહજતાનો અનુભવ થતો નથી. અવરોધક સ્વભાવનું પરિવર્તન થઈ શકે છે. તે માટે મનનું મૂળ શું છે, મન કઈ શક્તિના આધારે વિચારી શકે છે કે સમજી શકે છે. આ વાસ્તવિકતાથી પરિચિત થવાય તો દેહધારી જીવનનો હેતુ પરખાય અને સ્વભાવનું પરિવર્તન થતું જાય.

                જેમ માથું દુ:ખતું હોય તો મોટેભાગે આપણે ઘરગથ્થુ ઉપાય કરીએ અથવા સેરીડોન જેવી દવા લઈએ. એનાંથી થોડીવાર માટે સારું પણ લાગે, છતાં માથું દુ:ખવાનું બંધ ન થાય ત્યારે ડોકટર પાસે જઈએ છીએ. ડોકટરની સલાહ મુજબ ઉપચાર કરવાથી પણ જો સારું ન થાય, એટલે એક્ષ-રે, સીટી સ્કેનની મદદથી દુ:ખવાનું કારણ જાણવાનો પ્રયત્ન થાય; તેમ અવરોધક સ્વભાવથી મુક્ત થવાનો ઉપાય સત્સંગ, અધ્યયનથી થાય, ત્યારે કારણ સમજાય કે પ્રેમભાવ વગર થયેલાં કર્મમાં મનની સાત્ત્વિકતા જાગૃત થતી નથી. જ્યાં સાત્ત્વિકભાવની નિર્મળતા હોય ત્યાં મન જેનો અંશ છે તે આત્મ સ્વરૂપના સાત્ત્વિક ગુણોની પ્રતિભા પ્રગટતી જાય. સાત્ત્વિકભાવની જાગૃતિમાં મનનું ભક્ત સ્વરૂપ પ્રગટતું જાય, જે પ્રભુના ભાવને, પ્રભુના ગુણોને પ્રગટાવતી ભક્તિમાં લીન રહે છે. ભક્તિના ગુણિયલ વર્તનની અસર આજુબાજુના વાતાવરણમાં પ્રસરે છે. એવાં ભક્તના સંપર્કમાં જે લોકો આવે, જેઓ ભક્તની સાથે વ્યવહારિક કાર્યોથી બંધાયેલાં હોય, તેઓમાં પણ ભક્તિભાવનાં ગુણિયલ સંસ્કારોને જાગૃત કરવાની જિજ્ઞાસા જાગે છે. અર્થાત્ એવાં ભક્તની ભક્તિનો ભાવ પારસમણિ જેવો હોય છે.

                વાસ્તવમાં ભક્ત અને ભક્તિ એવી બે પરિસ્થિતિ નથી. ભક્ત એટલે જ ભગવાનની ગુણિયલ શક્તિને પ્રકાશિત કરતું વ્યક્તિત્વ. તેથી ભક્તને શરીરના રૂપ રંગથી ઓળખવાનો ન હોય, પણ એનાં ગુણિયલ પરમાર્થી સ્વભાવના સાંનિધ્યને માણવાનું હેાય. ભક્તના પરમાર્થી સાંનિધ્યમાં લૌકિક પ્રારબ્ધગત જીવનના ઉતાર-ચઢાવની વાતોને વાગોળવાની ન હોય, પણ સર્વેમાં સુષુપ્ત રીતે સંચાર કરતી દિવ્ય ચેતનાની આત્મીય શક્તિની પ્રશંસા હોય. પ્રશંસા એટલે પ્રભુના અનંત ગુણોની દિવ્યતાનો સાત્ત્વિકભાવ જાગૃત થવો. ભાવ સ્વરૂપની જાગૃતિમાં મનની સાત્ત્વિકતા પ્રદર્શિત થાય, ત્યારે ભક્તિની એટલે કે ભગવાનની ભગવત્ ભાવની શક્તિનો ગુણિયલ પ્રભાવ, પરમાર્થી કર્મ રૂપે પ્રગટ થાય. આમ સર્વેના મનમાં ભક્તિના ગુણિયલ સંસ્કાર સુષુપ્ત રીતે સમાયેલાં હોય છે. અહંકારી સ્વભાવનો અવરોધ જો ઓછો થાય તો સુષુપ્ત સંસ્કારો જ્ઞાન-ભક્તિના સત્સંગથી જાગૃત થતાં જાય. સત્સંગ માટે આરંભમાં સાત્ત્વિક વિચારોના અભ્યાસનો આધાર લેવો પડે. ગુરુ કે માર્ગદર્શકના સાંનિધ્યમાં જેમ જેમ મન સત્સંગમાં શ્રદ્ધાપૂર્વક સ્થિત થતું જાય, તેમ તેમ સત્-અસત્નું દર્શન મનોમન ધારણ થતું જાય.

                અભ્યાસ કે અધ્યયનથી સ્વયંની પ્રતીતિ રૂપે પછી સમજાતું જાય કે, જે શરીરનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ર્ચિત હોય છે. જેમ એક બીજમાંથી છોડ ઊગે અને ધીમે ધીમે પાન, ફૂલ, ઊગે અને અંતે કરમાઈને સુકાઈ જતાં તે પાન-ફૂલ-ફળનો આકાર વિલીન થઈ જાય છે, તેમ માતાના ગર્ભમાં શરીરના આકારની રચના થાય, તે આકારનો જન્મ થાય અને જન્મેલાં શરીરનો ઉછેર રૂપે વૃદ્ધિ-વિકાસ થાય છે. શરીરની યુવાન અવસ્થા સુધી વિકાસની પ્રક્રિયા થતી રહે. પછી પ્રૌઢ અવસ્થામાં વિકાસની ક્રિયા ફેરવાઈ જાય વિકારમાં અને વિકાર રૂપે શરીરની ક્રિયાઓ શિથિલ થતી જાય. મન પાસે જેટલાં શ્ર્વાસનું ધન હોય ત્યાં સુધી એ તનથી જીવે છે. જેટલું શ્ર્વાસનું ધન એટલું જીવન. એ ધન વગર શરીરનું મૃત્યુની ક્રિયાથી રૂપાંતર થાય છે. આમ જન્મ-મૃત્યુની અથવા વિકાસ-વિકારની, અથવા ખીલવાની-કરમાઈ જવાની ક્રિયાઓ પ્રકૃતિ જગતમાં સર્વત્ર ક્ષણે ક્ષણે થતી રહે છે. છતાં માનવી મન પોતાના શરીરને અમર રાખવાની ઈચ્છાથી જીવે છે. તેથી મૃત્યુની ક્રિયાને દુ:ખદાયક માને છે.

                મન એ આત્મીય ચેતનાનો જ અંશ છે, એ સત્યના સ્વીકારમાં સ્વયંની પ્રતિભાને જાણવાની જિજ્ઞાસા જાગે છે. આત્મીય ચેતનાના સાત્ત્વિક ગુણોથી પરિચિત થવાય, તેને કહેવાય સ્વમય ચિંતનની ભક્તિ. આવી અંતર ભક્તિમાં મન તરતું રહે, ત્યારે મનની વિચારવાની લૌકિક ગતિ બદલાઈ જાય. બુદ્ધિનો પ્રજ્ઞાભાવ જાગૃત થતાં સૂક્ષ્મ સૃષ્ટિનું રહસ્ય સમજવાની કળા ધારણ થતી જાય. અંતર ભક્તિભાવની આવી જાગૃતિમાં સ્વાર્થનો આપમતલબી વ્યવહાર નથી, કે રાગ-દ્વેષના ભેદભાવની જુદાઈ નથી, કે ક્રોધ-ઈર્ષ્યાની અહંકારી સ્વભાવની તોછડાઈ નથી. ભક્તિનું સદાચરણ એટલે જ પ્રેમભાવની નિખાલસતા. નિર્મળ પ્રેમના નીરથી જ મન અંતર પ્રયાણ કરી શકે છે. અંતર એટલે આત્માના અનંત, દિવ્ય ગુણોની ધારા. જેમાં મનનો સાત્ત્વિકભાવ સ્નાન કરતાં કરતાં આત્મસ્થિત થાય અને પ્રભુની ઐક્યતામાં એકરૂપ થાય. તેથી ભક્ત તો સદા પ્રભુને વિનવતો રહે કે..,

 

                "હે પ્રભુ! શું છે તું એ પણ નથી જાણવું, કારણ જાણ્યાં પછી પણ તારું અનંત સ્વરૂપ નહિ જણાશે!

                એનાં કરતાં અંતરમાં તારા પ્રકાશિત દર્શન ભક્તિ સ્વરૂપે થાય, તો ભાવની સૂક્ષ્મતા ખીલતી જશે;

                આપની કૃપાથી અનુભવાયું કે, આકારમાં રહું છું

અને નિરાકારિત મનનાં ભાવથી તારી ઐક્યતાને માણું છું;

                હે નાથ! સોઽહમ્ ભાવની જાગૃતિથી સમત્વ ભાવનું દાન અર્પો અને આપની ઐક્યતામાં એકરૂપ કરો.”

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
તારા રંગે રંગાયો ઘનશ્યામ...

વર્તમાન સમયમાં માનવી એવી સમસ્યાઓનો સામનો કરે છે, જેનાં વિશે ભૂતકાળમાં પણ એણે જાણ્યું ન્હોતું. કારણ આપણાં વડીલોએ-પૂર્વજોએ પણ આવી સમસ્યાની મુશ્કેલી અનુભવી ન્હોતી. આ મુશ્કેલીનું સ્વરૂપ એવું છે, કે એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો, એ પણ માનવી માટે પડકાર રૂપ છે. આવી મુશ્કેલીઓનાં લીધે માનસિક દબાણ વધતું જાય અને નિરાશામાં મન ડૂબી જાય. કોઈ પણ પડકાર રૂપ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી શકે છે. પરંતુ તે માટે જિવાડનાર પરમ શક્તિની હાજરીનો સ્વીકાર થવો જોઈએ. માનવી માને છે કે, તે પોતાનાં બુદ્ધિબળથી અશક્યનું પણ શક્ય કરી શકે એમ છે. આવાં અહંકારી, અભિમાની માનસથી જો કોઈ કાર્ય થાય, તો ઘણીવાર શક્ય લાગતી પરિસ્થિતિ પણ અશક્યમાં ફેરવાઈ જાય છે, અથવા મુશ્કેલીનો ઉકેલ મળે, પણ એની સાથે બીજી આડઅસર જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. કારણ યાંત્રિક ઉપકરણોની સુવિધામાં, અથવા રૂપિયાથી ખરીદી શકાય એવી સ્થિતિમાં જ સુખ મળી શકે એવી માન્યતાથી માનવી જીવે છે. એટલે રોજિંદા કાર્યો પણ એક યાંત્રિક મશીનની જેમ કરતો રહે છે.

                જીવંત જીવન જિવાડનાર પ્રભુની આત્મીય ચેતના, જે અદૃશ્ય છે તેને ગેરહાજર માનીને, માનવી માત્ર પોતાનો સ્વાર્થ સાધી શકાય એવાં વિચારોમાં, એવાં કાર્યોમાં જ ફરતું રહે છે. એવું મન જીવંત જીવનનાં ઉદ્ેશથી પણ અજાણ રહે છે. એટલે માનસિક વિકાસ કે ગુણિયલ આચરણ વગરના જીવનમાં તણાવ વધવાની શક્યતા વધી જાય છે. જ્યાં તણાવ હોય, દબાણ હોય, ત્યાં નિરાશા સાથે ચિંતાગ્રસ્ત મન રહે છે. વ્યક્તિગત સંબંધોમાં પછી શંકા સંદેહ જાગે તથા આજીવિકાના કાર્યક્ષેત્રમાં પણ સ્પર્ધાત્મક વલણના લીધે મન અસુરક્ષા અનુભવે છે. ભય, ચિંતા, નિરાશા કે અસુરક્ષા અનુભવતું મન મોટેભાગે મંદિરમાં જઈ, પોતે મુશ્કેલીમાંથી મુક્ત થઈ શકે એવી પ્રાર્થના કરે, અથવા કોઈ મહાત્મા કે ગુરુના શરણે જાય. જેથી કોઈ પણ પ્રયત્ન વગર ચિંતા, વ્યથા, કે દુ:ખથી મુક્ત થઈ શકાય. પરંતુ જેમ ટ્યૂબલાઈટ પર ધૂળ જામી ગઈ હોય તો લાઈટ ચાલુ કરવા છતાં રૂમમાં જોઈએ એટલું અજવાળું નથી થતું, તેથી પ્રથમ ધૂળ સાફ કરવી પડે છે; તેમ માનવી પોતાના સ્વાર્થી વર્તનને, કે અહંકારી સ્વભાવથી થતી ભૂલો રૂપી ધૂળને સ્વીકારે નહિ, ત્યાં સુધી ગમે તેટલાં દુ:ખ મુક્તિના ઉપચાર કરે, તો પણ મુક્ત થઈ શકે એમ નથી. કારણ ચિંતા કરતો નકારાત્મક સ્વભાવ જો હોય, તો ઉપચારમાં પણ તે સમસ્યા અનુભવે છે. તેથી પ્રથમ પોતાના મનનો ઉપચાર કરવો જોઈએ.

                રાગ-દ્વેષાત્મક સ્વાર્થી સ્વભાવ પાછળ મનની અજ્ઞાનતા છે કે, પોતે માત્ર માનવ આકારની હસ્તી છે. પોતાના ભૌતિક આકારને જ મહત્તા આપતું મન, એ સત્યને ભૂલી જાય છે કે આકારની જીવંત સ્થિતિ કોનાં સહારે જીવે છે. તેને શક્તિ કહો, ભગવાન કહો, કે પ્રભુની આત્મીય ઊર્જાની ચેતના કહો, તેની હાજરી સર્વત્ર છે. તે છે તો દેહની જીવંત સ્થિતિ છે એવાં અહોભાવથી જીવવાનું છે. કોઈ માનવી તે દિવ્ય શક્તિને કે ચેતનાને ચર્મ ચક્ષુથી જોઈ શકે એમ નથી અને કોઈએ એને મન-બુદ્ધિના પુરુષાર્થથી પ્રાપ્ત કરવાની નથી. કારણ તે સર્વવ્યાપ્ત છે અને તે જ દિવ્ય પ્રીતની ચેતનાના સહારે સર્જન-વિસર્જનની ક્રિયાઓ થયાં કરે છે. આ સત્યની પ્રતીતિ સ્વ જ્ઞાન રૂપે થાય તેને કહેવાય મનની ભક્તિભાવની જાગૃતિ. આવી જાગૃતિની સત્ દૃષ્ટિમાં હોય પ્રેમભાવની સહજતા, સેવાભાવની નિર્મળતા. પ્રેમભાવની નિ:સ્વાર્થતામાં જીવંત જીવનનું હાર્દ(રહસ્ય) ગ્રહણ કરાવતું સ્વ જ્ઞાન ધારણ થાય. સ્વ જ્ઞાન એ કંઈ શબ્દોથી ન મેળવાય, એ તો સ્વયંની ઓળખ રૂપે મનનો વિચારવાનો, સમજવાનો, અનુભવવાનો ઢાળ બદલાઈ જાય. જેમ નાનાં હતા ત્યારે ‘મા’ રસોઈ બનાવે અને ભાવતું ખાવાનું મળે છે, એટલી જ સમજ હતી. પછી મોટાં થયાં, શિક્ષણ-ભણતરથી શિક્ષિત થયાં ત્યારે સમજાયું કે ધાન્ય-શાકભાજી ક્યાં અને કેવી રીતે ઊગે છે. એ જ રીતે સૂક્ષ્મ-સ્થૂળ સૃષ્ટિના જોડાણથી, મન-આત્માના અતૂટ સંબંધથી જ્ઞાત થવાય, પછી પરિપક્વ મનનો સ્વભાવ બદલાઈ જાય છે. સ્વયંથી પરિચિત થયેલા મનનો કાર્ય કરવાનો ઢાળ બદલાઈ જાય છે.

                સ્વભાવનું પરિવર્તન થવું એટલે નિ:સ્વાર્થ પ્રેમભાવની સાત્ત્વિકતા જાગૃત થવી. વ્યક્તિગત સંબંધોમાં પ્રેમનો અનુભવ સહજ થાય, તથા વ્યવહારિક રોજિંદા કાર્યો પ્રેમભાવની ભીનાશથી થાય, ત્યારે મન પ્રભુ ભક્તિના રંગોથી રંગાતું જાય. ભક્તિનો રંગ એટલે સાત્ત્વિક ગુણોની જાગૃતિનું સદાચરણ. દરેક માનવીને પ્રેમની ભૂખ હોય છે. કારણ મનનું સ્વ સ્વરૂપ છે નિ:સ્વાર્થ પ્રેમનું. મનથી દૃઢ નિશ્ર્ચય થવો જોઈએ કે, હું જે છું તે દિવ્યતા કે સાત્ત્વિકતા જાગૃત થાય એવું ભક્તિભાવનું જીવન જીવવું છે. પ્રભુએ તો શરીરના અંગોની પ્રક્રિયાઓમાં જ મનની જાગૃતિ થઈ શકે છે એવો સંકેત આપણને ધર્યો છે. માનવ શરીરના પેટમાં(જઠરમાં) જલદ રસાયણ હોય છે. જેનાં લીધે ખાધેલા અન્નના બારીક ટૂકડાં થઈ શકે અને અન્નમાં સમાયેલું પોષણ પ્રગટ થઈ શકે. આ જલદ રસાયણનાં (એસીડ) લીધે પેટની ત્વચા બળી જાય છે. પરંતુ પ્રભુએ કુદરતી રચના એવી કરી છે, કે દર ત્રણ દિવસે પેટની નવી ત્વચાનું સર્જન આપમેળે થાય છે. શરીરમાં જો આપમેળે પ્રક્રિયાઓ થાય અને નવીન સર્જન થતું હોય તો મનની સ્વાર્થી સ્વભાવની અજ્ઞાનતા પણ વિલીન થઈ શકે છે. કારણ પ્રેમભાવનું રસાયણ ખૂબ જ જલદ હોય છે. પ્રેમનો સાત્ત્વિકભાવનો રંગ લાગે પછી સંસારના નકામા સ્વાર્થી રંગો ઝાંખા પડી જાય. નિ:સ્વાર્થ પ્રેમનો રંગ સૂર્ય પ્રકાશ જેવો છે, જેનાં પર પડે તેના અજ્ઞાની સ્વભાવનું અંધકાર વિલીન થઈ જાય. પ્રભુને વિનંતિ કરીએ કે જ્ઞાની ભક્તની જેમ જીવન રંગાઈ જાય.

                તારા રંગે રંગાયો ઘનશ્યામ, નકામા રંગો બધાં નીકળી રહ્યાં અને ચઢાવ્યા રંગો તારા શ્યામ;

                મારી ભાવના ને વાતોમાં તારા રંગો દેખાય, અહીં કોઈ ના સમજે મને શ્યામ;

                થોડાં સમયમાં તારા રંગે રંગાયો, છતાં અભિમાન ન લાવીશ ઘનશ્યામ;

                જેને જોઈએ તેને આપીશ, તારા રંગની સુવાસ, તારા રંગે રંગાયો ઘનશ્યામ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
શું નથી તારી દિવ્ય પ્રીતમાં...

નાનપણમાં આપણે નિશાળમાં જ્યારે ગુજરાતી ભાષાની બારાખડી શીખ્યાં, ત્યારે ક, ખ, ગ બોલવાનાં ઉચ્ચાર પહેલાં શીખ્યાં. તે પછી લખવાની કળાના શિક્ષણથી લખવાનું શીખ્યાં. સાંભળવાનું અને બોલવાનું એટલે કે કર્ણેન્દ્રિય અને કંઠ ઈન્દ્રિય, તે આકાશ મહાભૂતની પ્રસ્તુતિ છે. તેથી સાંભળવાની અને બોલવાની કળા બાળક પહેલાં શીખે છે. આકાશ તત્ત્વમાંથી વાયુ તત્ત્વ પ્રગટ થાય છે. વાયુ મહાભૂતની પ્રસ્તુતિથી સ્પર્શ અને હાથની ઈન્દ્રિય પ્રગટ થાય છે. આમ બાળપણમાં બોલવાના સ્પષ્ટ ઉચ્ચારો, આપણાંથી ઉંમરમાં મોટા લોકોને બોલતાં સાંભળીને ધીમે ધીમે શીખતાં ગયાં. નિશાળના પૂજનીય શિક્ષકોની સહાયથી બોલવાની તથા લખવાની કળા આપમેળે ખીલતી રહી અને ભણતર સાથે મનનો વિકાસ પણ થતો ગયો. એટલે માનવી તરીકેના ઉછેરમાં માતા-પિતાનો, ભાઈ-બહેનનો, મિત્રોનો, અંગત સગાંવહાલાઓનો તથા અતિ મહત્ત્વનો ફાળો શિક્ષકનો હોય છે. એ બધા સાથેના સંબંધોનું વ્યવહારિક જીવન જીવાતું રહ્યું. એમાં અન્ય નવાં નવાં સંબંધો પણ થતાં ગયાં અને અમુક સંબંધોનું અકાળે મૃત્યુ પણ થયું.

                કોઈ પણ સંબંધોનું મૃત્યુ કુદરતી રીતે સંબંધિત વ્યક્તિના શરીરના મૃત્યુ સાથે થાય, અથવા અહંકારી સ્વભાવની કડવાશથી કે સંકુચિત માનસના સ્વાર્થી વર્તનથી પણ ક્યારેક થાય છે. સ્વાર્થ અને અહંકારના લીધે એકબીજા સાથે અણબનાવ થાય, કે ઝઘડાં થાય છે, જે સંબંધોનું આયુષ્ય ઘટાડી દે છે. જેમ ભાષા બોલવાની અને લખવાની અમુક ચોક્કસ પદ્ધતિ હોય છે; તેમ સંબંધો જાળવવાની પદ્ધતિ એટલે પ્રેમભાવની, સુમેળભાવની, ઉદારભાવની મનની સંસ્કારી જાગૃતિ. ભાવનું સંસ્કારી વર્તન જ્યાં હોય ત્યાં મારું-તારુંના ભેદભાવને બદલે બીજાને સુખ, ખુશી અર્પણ કરવાનો ભાવ હોય છે, સરખામણીની હુંસાતુંસીનાં બદલે વહેંચણીની ઉદારતા હોય છે, વેરઝેરની તીખાશના બદલે સ્નેહની મીઠાશ હોય છે. આવી પ્રેમાળ ભાવ રૂપી નીરની ધારા જે સંબંધો રૂપી ભૂમિ પર વહેતી રહે, ત્યાં સંસ્કારી કાર્યોની હરિયાળી ઊગે છે. સંસ્કારી કાર્યો એટલે બીજાનું હિત થાય તથા જીવંત જીવનનો મહિમા સમજાય એવાં પરમાર્થી કાર્યો, જે માનવ જન્મની સિદ્ધિને સાર્થક કરાવે છે.

                માનવ જન્મની સાર્થકતા અનુભવવા માટે, પોતાના તન-મનમાં પ્રસરતી આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરવું પડે. અધ્યયન-અભ્યાસ રૂપે સ્થૂળ-સૂક્ષ્મ સ્થિતિના સંબંધથી પરિચિત થવાય, કે કોઈ પણ પદાર્થ કે આકારિત કૃતિની હસ્તી, નિરાકારિત અણુ ઊર્જાની સૂક્ષ્મતાના લીધે છે. અધ્યયનની નિષ્ઠાથી અનુભવાતું જાય કે, જગતમાં સર્વવ્યાપ્ત રહેલી જે ઊર્જાની ચેતના છે, તે જ મારા દેહમાં ફરે છે અને તે જ બીજા દરેક દેહમાં ફરે છે. જેનાં લીધે જીવંત સ્થિતિનું જીવન જીવી શકાય છે. અધ્યયન અને ચિંતનથી આત્મ સ્વરૂપની વાસ્તવિકતા ગ્રહણ થતી જાય. ગ્રહણ થવું એટલે મનોમન સ્વીકાર થતાં બાહ્ય જગતના વિષયોની નિરર્થકતા અનુભવાય અને વિષયોને ભોગવવાનું આકર્ષણ ઓછું થતું જાય. જેમ નાના હતાં ત્યારે પેન્સિલ-રબર માટેનું આકર્ષણ હતું. પરંતુ મોટાં થયાં પછી લખવાની પેનનું આકર્ષણ રહ્યું અને આજના સમયમાં તો સ્માર્ટ ફોનનું જબરું આકર્ષણ છે, તેમ મન જ્યાં સુધી સ્વયંથી પરિચિત થતું નથી, ત્યાં સુધી મનની અપરિપક્વતા માત્ર ઈન્દ્રિયગમ્ય વિષયોના ભોગને જ મહત્તા આપે છે. જેમ જેમ મનનો વિકાસ શ્રવણ, અધ્યયન તથા ગુરુના પાવન સાંનિધ્યથી થતો જાય, તેમ તેમ વિષય સુખની ક્ષણિકતા પરખાતી જાય. મનને પછી આંતરિક સૂક્ષ્મતાને, કે વિશાળતાને, કે સાત્ત્વિકતાને અનુભવવાની લગની જાગૃત થાય, ત્યારે સ્વ સંબંધની શાશ્ર્વતતા કે આત્મીય પ્રીતની દિવ્યતાનો સ્વીકાર થાય.

                સ્વ સ્વરૂપના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવતાં સત્ દર્શનમાં જ્યારે ભક્તનું મન સ્થિત થાય, ત્યારે તે સ્વ સ્મરણ રૂપે અંતરધ્યાનસ્થ થાય. એવાં ભક્તનું મન પ્રભુ ભક્તિ રૂપી ફૂલોથી, એટલે કે સાત્ત્વિક ગુણોથી છલકાતું જાય. તે ગુણિયલ ફૂલોની મહેંક, એનાં પ્રેમાળ સ્વભાવ રૂપે એનાં સ્વજનો જ્યારે પણ અનુભવે, ત્યારે તેઓમાં પણ ભક્તિભાવમાં લીન થવાંની લગની જાગૃત થાય છે. આવી લગની જાગૃત થાય, તે છે એકબીજા સાથેનાં સંબંધો રૂપી હરિયાળી ભૂમિની સાર્થકતા. એકબીજા સાથેના પ્રેમાળ સંબંધોની સાબિતી, એટલે જ એકબીજાનું હિત થાય એવાં સ્વમય જીવનનો ભક્તિભાવ જાગૃત થવો. સંબંધોમાં જ્યાં પ્રેમની સુવાસ હોય. ત્યાં મનુષ્યના રૂપ-રંગ, કે ઉંમરની મહત્તા ન હોય, પણ એકબીજા વચ્ચે પ્રભુભાવની સાક્ષાત્ હાજરીની મહત્તા હોય. તેથી સંબંધિત જે પણ વ્યવહારિક કાર્યો થાય, તેનું પરિણામ પ્રભુની હાજરીના લીધે પ્રગટ થયું છે એવાં સાત્ત્વિકભાવથી ભક્ત જીવન જીવે છે. સાત્ત્વિકભાવની જાગૃતિના લીધે ભક્ત સાથેનાં સંબંધો રૂપી ભૂમિ પર આત્માના સાત્ત્વિક ગુણો રૂપી ફળ-ફૂલ સ્વયંભૂ ઊગે છે. તેથી જીવનમાં જો કોઈ જ્ઞાની ભક્ત સાથે પ્રેમાળ સંબંધ રૂપે ભક્તિભાવમાં સ્થિત થવાનું સૌભાગ્ય મળે, તો બીજા અન્ય સંબંધોની ભૂમિ પણ હરિયાળી થતી જાય. પછી ભક્તિભાવની નિષ્ઠા વધતાં સ્વ સ્વરૂપની દિવ્ય પ્રીતની સ્વાનુભૂતિમાં સ્થિત થવાની લગની જાગૃત થાય, ત્યારે મનોમન એકરાર સાથે પ્રભુને વિનંતિ થાય કે..,

                હે પ્રભુ તારી દિવ્ય પ્રીતની લગની એવી લગાડ, કે પ્રેમની સર્વે રીત ભુલાવી દે;

                તારી દિવ્ય પ્રીતની આત્મીયતા છે અનોખી, એની અનેરી સ્વાનુભૂતિ છે સોનેરી;

                શું નથી તારી દિવ્ય પ્રીતમાં, કૃપા કરી મુજમાં એ કેવી રીતે પ્રગટે તે સમજાવ;

                જો ન સમજી શકું તો ભલે અણસમજું રહું, પણ તારી દિવ્ય પ્રીતમાં ડુબાડ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
ભાવગંગામાં સ્નાનનો ભાવ જગાડો...

બાળપણથી આપણો ઉછેર થયો એમાં માતા-પિતાની તો મહત્ત્વની ભૂમિકા હોય, પણ પરિવારના બીજા સભ્યો પણ ઉછેરમાં સહભાગી હોય છે. કારણ દરેક બાળક પોતાની ઉંમરથી જે મોટાં હોય તેઓના વર્તનને જુએ છે અને એવું વર્તન કરવાની પ્રેરણા મેળવે છે. ઘરનાં બીજા સભ્યોમાં ઈસ્ત્રીવાળો, ડ્રાઈવર, લીફ્ટમેન, ચોકીદાર, નોકર વગેરે બધાના વર્તનને બાળક નિહાળે છે. એટલે બાળકનો જો યોગ્ય ઉછેર કરવો હોય, તો પ્રથમ માતા-પિતાનો સહકારી, મિલનસાર, સંસ્કારી સ્વભાવ હોવો જરૂરી છે. બાળક હોય કે યુવાન હોય, તેઓને જો વાણીના સહારે સંસ્કારી વર્તન કરવાનો અનુરોધ કરીએ, તો તેઓ સાંભળશે બધું પણ વર્તન તો ઘરનાં બીજા સભ્યો જેવું કરે, તેવું જ કરવાનો આગ્રહ રાખે. જેમકે પડોશી અમુક વસ્તુ માંગે અને તે વસ્તુ ઘરમાં હોવા છતાં ન આપીએ, એ જોઈને બાળક પોતાની વસ્તુઓ બીજા સાથે વહેંચણી ન કરવાનું શીખે છે. એટલે મારું-તારુંના ભેદભાવવાળા વર્તનને બાળક સહજ માનીને કરે છે. તેથી બાળમાનસમાં સંસ્કારી વર્તનનું સિંચન જો ભક્તો-મહાત્માઓના ચરિત્રો તથા પુરાણોની કથાઓનાં શ્રવણથી થાય, તો મનનાં વિચારોને યોગ્ય દિશાનું માર્ગદર્શન મળતું જાય. માતા-પિતાને જો વાંચન-અભ્યાસનો શોખ હોય, તો બાળકને પણ બાળવાર્તાઓનું વાંચન કરવાનું ગમે.

       ધીમે ધીમે તેઓને વાંચનના ફાયદા સમજાવતાં, તેઓની સાથે બેસીને વાંચન થાય, તો વાંચનની કળા બાળકમાં ખીલતી જાય. પછી યુવાન થતાં તેઓને સાત્ત્વિક-આધ્યાત્મિક વાંચનના પુસ્તકોનો સંગાથ ગમતો જાય અને વિકાસના પથ પર પ્રયાણ કરાવતાં સુસંસ્કારી આચરણની મહત્તા પરખાતી જાય. ઘરમાં જેમ મનપસંદ ફર્નિચરની વસ્તુઓ સાથે મોંઘા ટીવી, સોફાસેટ વગેરે સુશોભનની વસ્તુઓ વસાવીએ છીએ, તેમ સાત્ત્વિક સંસ્કારી આચરણને જાગૃત કરાવતાં પુસ્તકોને પણ વસાવવાં જોઈએ. આપણે દરરોજ ચોક્કસ સમયે જમીએ, રોજિંદા કાર્યો કરીએ છીએ અને ટીવી જોવાનો, કે મોબાઈલ પર મેસેજ જોવાનો સમય જેમ કાઢીએ છીએ, તેમ પુસ્તકો વાંચવાનો સમય જે કાઢે, તે માનવીના વિચાર-વર્તનમાં સંસ્કારી સુગંધ પ્રસરતી જાય. પરિવાર કે મિત્રો સાથેના પ્રેમાળ સંબંધો રૂપી ઈમારતનો પાયો ત્યારે જ મજબૂતાઈથી ટકી રહે, જ્યારે સંસ્કારી વિચારોના વર્તનથી જીવવાની કેળવણી બાળપણથી પ્રાપ્ત થઈ હોય. એવી કેળવણીથી કેળવાયેલા મનમાં સ્વયંની અનુભૂતિ કરાવતાં આધ્યાત્મિક વર્તનની જાગૃતિ થઈ શકે છે.

       સ્વયંને જાણવાની જિજ્ઞાસાથી શ્રવણ, વાંચન, અભ્યાસમાં જેમ જેમ મન ઓતપ્રોત થતું જાય, તેમ તેમ જ્ઞાન-ભક્તિના સદાચરણ તરફ પ્રયાણ સહજતાથી થતું જાય. એવાં પ્રયાણ સ્વરૂપે મનની ભીતરમાં સુષુપ્ત રીતે સમાયેલાં સાત્ત્વિક ગુણોના સંસ્કારો જાગૃત થતાં જાય. સંસ્કારી સ્વભાવમાં હું પદનો અહંકાર ઓછો હોવાંથી સ્વમય ચિંતનનું માર્ગદર્શન ગુરુના સાંનિધ્યમાં ધારણ થતું જાય અને સ્વયંની ઓળખથી અજાણ રાખતાં મનનાં અજ્ઞાની સ્વભાવથી પરિચિત થવાય. સ્વયંને જાણવું એટલે જે સ્વભાવથી અત્યારે જીવન જિવાય છે, જેનાં લીધે સ્વ સ્વરૂપની પ્રતીતિ થતી નથી અથવા ગુણિયલ આચરણ જાગૃત થતું નથી, તે અજ્ઞાની, અહંકારી સ્વભાવના અવરોધક વર્તનને જાણવું. એટલે જ જિજ્ઞાસુ ભક્ત પોતાના અજ્ઞાની સ્વભાવના અવરોધને જણાવતું આત્મ નિરીક્ષણ કરે અને સાત્ત્વિક વર્તનની જાગૃતિ માટે જ્ઞાન-ભક્તિના પ્રભાવથી જીવન જીવે. આમ સ્વયંની ઓળખાણ રૂપે મનનાં દોષ કે વિકારી વૃત્તિઓથી પરિચિત થવું અત્યંત જરૂરી છે. જ્યાં સુધી રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનના દોષથી મન પરિચિત થતું નથી, ત્યાં સુધી શ્રવણ, અભ્યાસ, કે સત્સંગ રૂપે મેળવેલી સમજ માત્ર માહિતીની જેમ રહે છે, તે સાત્ત્વિક વર્તન રૂપે ધારણ થતી નથી. માહિતી જેવી સમજથી આધ્યાત્મિક ચર્ચા વિચારણા કરી શકાય, પણ સાત્ત્વિકભાવની જાગૃતિ ન થાય. તેથી જિજ્ઞાસુ ભક્ત ભક્તિ ભાવથી પ્રભુને વિનંતિ કરે કે..,

 

       સત્સંગમાં પ્રભુ આવો તમે, ભાવભરી વિનંતિ છે પધારો તમે;

       ભાવનો સાથિયો મનમાં પૂરો, તમે સાથી બની સાત્ત્વિકભાવ જગાડો;

       સાત્ત્વિકભાવની જાગૃતિથી સત્સંગ થાય, એવી કૃપાનું દાન આપો હવે;

       ભાવિક બનાવો અને આપની ભાવ ગંગામાં સ્નાન થાય એવો ભાવ જગાડો.

      

       અહંકારી સ્વભાવનાં દોષને કે વિકારી વૃત્તિઓને વિલીન કરવાની દૃઢતા ભક્તિભાવથી વધે છે. ભક્તિ કદી પ્રવૃત્તિની જેમ કરવાની નથી; પણ ભક્તિ સ્વરૂપે ભાવની નિર્મળતા, પ્રેમની સુમેળતા જાગૃત થવી જોઈએ. જીવનમાં સાત્ત્વિક આચરણની જાગૃતિ એવી ધારણ કરવી જોઈએ, કે પ્રભુનો દિવ્ય ભાવ સાક્ષાત્ સારથિ બને. પછી મન રૂપી રથની ગતિ ભાવની થતાં, ભક્ત જ્યાં જ્યાં ફરે, જે પણ વિચારે, એમાં ભાવની સાત્ત્વિકતા પ્રસરતી જાય. મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે જેમ પૂજાની વિધિ દ્વારા ભાવથી આવાહ્ન કરીએ છીએ, તેમ ભક્તિની મનોમન પ્રતિષ્ઠા  કરાવવા માટે પ્રભુના દિવ્યભાવનું આવાહ્ન થાય, ત્યારે અહંકારી સ્વભાવનું વર્ચસ્વ ઓછું થતું જાય. હું પદની અહંકારી વૃત્તિઓ પર ભક્તિભાવનો ચંદન લેપ થતો જાય અને પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ થતી જાય. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જો ભક્તિભાવથી સત્સંગ થાય, તો ભાવનું દાન ધારણ થતું જાય. ભાવની જાગૃતિથી જ તન-મનને જીવંત સ્થિતિનું દાન અર્પણ કરતી પ્રભુની દિવ્ય ચેતનાના સ્પંદનો ધારણ થાય. પછી ખરો પશ્ર્ચાત્તાપ થાય કે, "આત્મીય ચેતના સ્વરૂપે પ્રભુ તો મારી સાથે ને સાથે જ છે. સતત સંગાથ હોવાં છતાં હું અજ્ઞાત રહ્યો! પ્રભુને માત્ર મંદિરોની મૂર્તિ રૂપે સ્વીકાર્યો અને પ્રભુની અમૂર્ત શક્તિથી અજ્ઞાત રહ્યો!!” આવો પશ્ર્ચાત્તાપ પણ પ્રભુની કૃપા રૂપે થાય ત્યારે સ્વ સ્મૃતિ રૂપે અજ્ઞાની સ્વભાવનો અવરોધ વિલીન થતો જાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

                                 

 

Read More