આપણો જન્મ થયો તે પહેલાંની સ્થિતિ જે હોય, તે માનવ દેહ વગરની અતૃપ્ત કર્મસંસ્કારોની છે. એ કર્મસંસ્કારોનો સામાન, એટલે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં સંસ્કાર. એ જ્યારે માનવ દેહને ધારણ કરે, ત્યારે મનુષ્ય દેહધારી સ્થિતિમાં એ સામાનને મન તરીકે આપણે જાણીએ છીએ. મનને ધારણ કરનાર માનવીને, જન્મ લીધાં પછી પૃથ્વી ગ્રહની ધરતી પર રહેવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. આ સત્ય લગભગ સૌ જાણે છે. છતાં માનવીએ પૃથ્વી ગ્રહની ધરતી પર વિભાગ પાડી, મારો-તારો દેશ એવાં ભેદભાવ ઊભા કર્યા. એવાં વિભાગ કરવા પાછળ માનવીની પોતાની વ્યક્તિગત ઓળખની મહત્તા હોય શકે. કારણ દરેક માનવી પોતાની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓને તૃપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે અને દરેકના કર્મસંસ્કારો ભિન્ન હોવાંથી, માનવી બીજા કરતાં પોતે જુદો છે એવી ભિન્નતાની માન્યતામાં બંધાઈને જીવે છે. ભિન્નતાવાળી માન્યતાના લીધે પોતાના શરીરના રૂપ-રંગનો આકાર અને બીજાના શરીરના આકારની ભિન્નતા છે એવાં વિચારો મનમાં ગૂંથાતા રહ્યાં અને માનવી પોતાના સ્વરૂપની સાચી ઓળખને ભૂલી ગયો.
જીવનમાં જો એટલી પણ સ્પષ્ટતા આવે, કે હું શરીર નથી પણ અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની નિરાકારિત સ્થિતિ છું, તો આકારના મોહમાંથી, માત્ર આકારિત પદાર્થોને ભોગવવાની આસક્તિમાંથી મન ઘણે અંશે મુક્ત થઈ શકે. તેથી જ સ્વજનોનાં શરીરના મૃત્યુ પછી ખરખરો કરવાની પ્રથા છે. જેથી ખરેખર શું છે તે સત્યનું દર્શન મન કરી શકે અને એ દર્શન રૂપે સ્વયંના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા જાગી શકે. શરીરના જન્મ-મૃત્યુની વાસ્તવિકતા સમજાય તો પરખાય, કે પૃથ્વી માતાની ધરતી પર રહેવાની જગા જેમ સૌને મળી છે; તેમ માનવી શરીર રૂપી ધરતીની જગા મનને રહેવા માટે મળી છે. જેથી અતૃપ્ત ઈચ્છાઓનાં ભોગ દસ ઈન્દ્રિયોના આધારે મન ભોગવી શકે. મનનું ખરું ઘર તો પ્રભુનો આત્મીય નિવાસ છે. પરંતુ કર્મસંસ્કારો પ્રેરિત સંસારી વિચારોમાં ગૂંથાયેલા મનને પોતાના સ્વ ઘરની સ્મૃતિ નથી. કારણ અતૃપ્ત ઈચ્છાઓને ભોગવવાની પ્રબળતા હોવાંથી, માનવી શરીરને જ પોતાનું ઘર માની એની આસક્તિમાં મન જીવે છે. એટલે શરીરના મૃત્યુનો ભય લાગે છે અને સ્વજનોના મૃત્યુની ઘટના દુ:ખદ લાગે છે. પરંતુ માનવીને પોતાના શરીર અને મનની ઓળખનું સત્ય જાણવાનો અવસર પ્રભુ આપે છે. તે અવસર રૂપે મન માતા-પિતાનું પાત્ર જ્યારે ભજવે, એટલે કે એક બાળકનો આકાર જન્મે, ત્યારે સમજણ ગ્રહણ થવી જોઈએ કે જન્મેલી કોઈ પણ સ્થિતિનો અંત આવે છે.
બીજમાંથી એક છોડ ઊગે, તેનો ધીમે ધીમે વૃદ્ધિ વિકાસ થાય અને ફળ-ફૂલ ઊગે અને અંતે તે છોડ, ફળ, ફૂલ, પાંદડા, ડાળી વગેરે સૂકાઈને કરમાઈ જાય છે. આમ પ્રકૃતિ જગત પણ જન્મ-મૃત્યુની વાસ્તવિકતાનું દર્શન આપણને કરાવે છે. તેથી બાળકના ઉછેર રૂપે માતા-પિતા જો પોતે તે સત્યનું દર્શન સમજીને, બાળક જેમ મોટું થાય તેમ એને પણ આ દર્શન કરાવે તો મનોમન વિવેકી દૃષ્ટિ જાગૃત થાય. પછી જ્ઞાન-ભક્તિના સત્સંગથી તે દર્શનનો મર્મ ધારણ થાય કે, " મન રૂપી થેલીનો જે કર્મસંસ્કારનો સામાન છે, તેને ખાલી કરવા માટે મેં માનવ જન્મ ધારણ કર્યો છે.” લૌકિક સંસારના વિષયોને ભોગવવાની જે અતૃપ્ત ઈચ્છાઓ છે, તે તૃપ્તિ રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિથી જ શાંત થાય છે. સાત્ત્વિકભાવની જાગૃતિ થાય સાત્ત્વિક વિચારોના ચિંતનથી. જ્યાં સુધી જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ થતી નથી, ત્યાં સુધી મનની થેલીનો કર્મસંસ્કારોનો સામાન ઘટવાને બદલે વધતો જાય છે. એટલે જ એક શરીર રૂપી ઘર ર્જીણ થાય એટલે કે જ્યારે મૃત્યુ પામે, ત્યારે મન બીજું ઘર શોધે છે. આમ જન્મ-મૃત્યુના આવાગમનમાં મન ફરતું રહે છે.
માનવી જન્મની ભેટ આપણને કર્મસંસ્કારોના સામાનનો ભાર હળવો કરવા માટે મળી છે. પરંતુ મન પોતાના સ્વ ઘરથી અજાણ રહીને શરીર રૂપી ઘરને જ સત્ય માને છે. આત્મા રૂપી ઘરના સત્યથી અજાણ રહેતું અજ્ઞાની મન અહંકારી રાગ-દ્વેષના વર્તનથી જીવે છે. એટલે એક ઈચ્છાપૂર્તિનું કર્મ કરે, એમાં બીજી નવી નવી ઈચ્છાઓ મનમાં ઉદ્ભવતી રહે છે. આમ ઈચ્છાઓ ઘટવાને બદલે વધતી રહે છે. તેથી જ ભક્તિભાવનો પરોપકારી વર્તનનો મહિમા સમજાય એવાં સાત્ત્વિક વિચારોમાં મનને ગૂંથવું જોઈએ. પૂજનીય ગુરુજનોના સાંનિધ્યમાં સાત્ત્વિક વિચારોની વાણીનું જ્યારે શ્રવણ થાય, એનો ભાવાર્થ ગ્રહણ થાય, ત્યારે મનને પોતાની અજ્ઞાનતાનો પરિચય થતો જાય. પછી સાત્ત્વિક વિચારોનું તાત્પર્ય કે ભાવાર્થ ગ્રહણ થાય એવું મનોમંથન થવું જોઈએ. મનોમંથનથી જ્ઞાન-ભક્તિમાં મન સ્થિત થતું જાય અને અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ તૃપ્તિના વર્તનમાં ફેરવાતી જાય. અતૃપ્ત ઈચ્છાઓ તૃૃૃપ્તિમાં ફેરવાય સાત્ત્વિકભાવની જાગૃતિથી. એટલે સાત્ત્વિકભાવનો જન્મ થાય એમાં અતૃપ્ત ઈચ્છાઓનું તૃપ્તિ રૂપે મૃત્યુ થાય. સ્વજનોનાં શરીરના મૃત્યુ પછી ખરખરો કરીએ છીએ, પણ કર્મસંસ્કારોવાળા મનનું મૃત્યુ થતાં જે ખરખરો થાય, તે છે સાત્ત્વિક આચરણની અંતર ભક્તિનો ઉદય. અંતર ભક્તિ એટલે મનની સાત્ત્વિકભાવની જાગૃતિ, જે અંતરધ્યાન રૂપે પોતાના આત્મીય ઘર તરફ પ્રયાણ કરે અને આત્મીય ઘરના સાત્ત્વિક ગુણોનો વૈભવ ધારણ કરાવતી સ્વાનુભૂતિમાં એકરૂપ થાય. તેથી જીવતાં જ સત્યનું દર્શન મનોમન ગ્રહણ કરીએ કે,
પ્રભુની દિવ્ય ચેતના સર્વત્ર છે,
એટલે પૃથ્વી માતાની ધરતી પર રહેવાની જગા મળી છે;
દેહ રૂપી ધરતીની જગા રહેવા માટે મળી,
તે જગાને ખાલી કરવી પડશે કોઈ દી;
જ્ઞાન-ભક્તિના સદાચરણથી જો મનને ખાલી કરીશું,
તો સદ્ ભાવ લઈને પ્રભુ પાસે જઈશું;
ત્યારે મનની થેલી પર પ્રભુનું નામ લખાયું હોવાંથી,
પ્રભુના ઘરમાં પ્રવેશ સહજતાથી થશે.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા