Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
જ્ઞાન-ભક્તિથી અંતરયાત્રા સહજ બને

જ્ઞાન ભક્તિ રૂપે અંતર સ્થિત ન થવાય, તો અહંકારી વૃત્તિઓનું આવરણ વધતું જાય;

         આવરણથી વીંટળાયેલા મનને ટપારો અને સ્વયંને જાણવાની જિજ્ઞાસાનો અગ્નિ જ્વલંત કરો;

         મન પછી સમજશે કે આ હાટડી નથી મારી, એ તો છે હરિની

અને તન-મનમાં ફરે છે હરિની ચેતના;

         આવરણ પછી ભક્તિભાવથી વિલીન થતું જાય

અને અંતરગમન રૂપે અવિનાશી સ્વરૂપની પ્રતીતિ થાય.

 

         આપણાં સૌનું જીવન એટલે સંસારી ઘટનાઓની સતત ઉપજતી ઘટમાળ. રોજિંદા કાર્યોની ઘટમાળમાં બંધાયેલું મન પારિવારિક, સામાજિક, આજીવિકાલક્ષી કે શારીરિક કાર્યોની હારમાળા ગૂંથાતું રહે છે. ઘડિયાળના સમયને લક્ષમાં રાખીને એવાં રોજિંદા કાર્યો મન કરતું રહે છે. આવા કાર્યો તન-મનના આકારિત દેહ રૂપી હાટડીના (નાની દુકાન) સહારે થાય છે. હાટડીની સહાયક સ્થિતિ વિશે મનને જ્યારે સમજાય, ત્યારે ઘટમાળ રૂપે થતાં કાર્યોનું કારણ સમજાય કે, માનવ દેહની હાટડી દ્વારા અતૃપ્ત કર્મસંસ્કારોની જે કારણભૂત સ્થિતિ છે, તે કાર્યોની ઘટમાળને પ્રગટાવે છે. દેહની હાટડીના સહારે વિવિધ કાર્યો થાય, એમાં અતૃપ્ત ઈચ્છાઓની તૃપ્તિ થાય અને નવી ઈચ્છાઓની ગાંઠો પણ બંધાતી જાય. દેહને હાટડીની ઉપમા આપી, જેથી સમજાય કે દેહની દુકાન મળી છે પોતે કરેલાં કર્મોના પરિણામથી. જેમ દુકાનદાર પાસે વેંચવાનો માલ હોય તો જ તે દુકાન ખોલીને ધંધો કરે, તેમ મન રૂપી દુકાનદાર પાસે અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારો રૂપી માલ છે. તેથી તે દેહરૂપી દુકાન દ્વારા પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરાવતું જીવન જીવે છે. એટલે તેને ઘટમાળના કાર્યોમાં ગૂંથાવું પડે છે. આમ દરેક માનવીને દેહ રૂપી દુકાન જે પ્રાપ્ત થઈ છે, તે દુકાન મેળવવાનું દ્રવ્ય એટલે જ અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના કર્મસંસ્કારો. જેના લીધે સતત વિચાર-વર્તનના કર્મ કરવા પડે છે અથવા થયાં કરે છે.

         પોતાના દેહની દુકાનને મૃત્યુ રૂપે બંધ કરવાની ચાવી આપણી પાસે નથી. શ્ર્વાસનું અવિનાશી ધન પૂરું થઈ જાય પછી દુકાનદારને દુકાન છોડી દેવી પડે. પરંતુ એની (મન) પાસે અતૃપ્ત ઈચ્છાઓનો ઘણો માલ હોવાંથી તે દેહની દુકાન રૂપે બીજો જન્મ ધારણ કરે છે. આ દેહની દુકાનને ધારણ કરવાનું વાસ્તવિક જ્ઞાન જ્યારે માનવીને સમજાય, ત્યારે તેને પોતાના તન-મનમાં ફરતી આત્મીય ચેતનાને, કે પુરુષાર્થ વગર ક્ષણે ક્ષણે પ્રાપ્ત થતી શ્ર્વાસની ચેતનાને જાણવાની જિજ્ઞાસા જાગે. કારણ તન-મનનાં કાર્યો થાય છે તે આત્મીય ચેતનાની ઊર્જા શક્તિથી. જિજ્ઞાસુ મનમાં સૂક્ષ્મ સમજની હારમાળા ગૂંથાતી જાય કે,"જે શક્તિના આધારે આ દેહની દુકાનનું કાર્ય કરવાનું શક્ય થાય છે, તે આત્મીય ચેતનામાં એવા કયા દિવ્ય ગુણોનું ચૈતન્ય છે, જે તન-મનની હસ્તીને પળે પળે જીવંત સ્થિતિનું પોષણ અર્પે છે!” જો આ ચેતનવંત ઊર્જા શક્તિનો સહારો નથી, તો અતૃપ્ત ઈચ્છાઓને (જીવને/મનને) શરીરના મૃત્યુ પછી ભટકવું પડે છે. તેથી જીવતાં જ હરિની કૃપાથી મળેલી આ દુકાનની મહત્તા સમજવી અનિવાર્ય છે. મહત્તા સમજીને પોતે કરેલાં કર્મોના ફળ રૂપે જે આકારની દુકાન મળી છે, તેને જીવંત સ્વરૂપનું પોષણ આપનાર પ્રભુની ચેતનાની પ્રતીતિ કરવી જોઈએ. પ્રતીતિ રૂપે અનુભવાય કે પ્રભુની ચેતનાની સાક્ષાત્ હાજરી સર્વત્ર સર્વેમાં છે અને તેની ખાતરી થવી એટલે જ દેહની જીવંત સ્થિતિ. સંસારી મન ચેતનાનો અનુભવ કરી શકતું નથી. અનુભવ કરવા માટે મનના લૌકિક વિચારોની આવનજાવન જ્યારે જ્ઞાન-ભક્તિના સદાચરણથી ઓછી થાય, ત્યારે મનની સૂક્ષ્મને ગ્રહણ કરવાની તીક્ષ્ણતા જાગૃત થાય, તે છે હૃદયભાવની જાગૃતિ. મનનું ભાવ સ્વરૂપ સ્વયંની પ્રતીતિ રૂપે અંતરની સૂક્ષ્મતામાં ઓતપ્રોત થાય.

         ભાવની જાગૃતિ દેહની ચેતનવંત સ્થિતિની સાત્ત્વિકતાને અનુભવે, એટલે કે સાત્ત્વિકભાવની જાગૃતિ જ્યારે અંતરની સૂક્ષ્મતાને કે વિશાળતાને અનુભવે, ત્યારે આત્મીય ચેતનાની સુષુપ્ત રહેલી દિવ્યતા પ્રકાશિત થાય. એવી સ્વ અનુભૂતિમાં ભક્તનું અસ્તિત્વ વીંટળાઈ જાય અને એનાં દેહની હાટડીમાંથી ચેતનાના પ્રકાશિત તરંગો પ્રસરતા જાય. જે પ્રભુની ચેતનાના આધારે આ દેહ રૂપી હાટડી ધારણ થઈ, તેનું જ પ્રભુત્વ હાટડીના કાર્યોથી પ્રકાશિત થાય, તેને કહેવાય હાટડીનું પવિત્ર મંદિર બની જવું. જ્ઞાની ભક્તો જેવી શ્રેષ્ઠ વિભૂતિઓનો દેહ છે મંદિર જેવી પાવન સ્થિતિ. તેથી એવી શ્રેષ્ઠ વિભૂતિઓના સાંનિધ્યમાં રહેવાનું જો સદ્ભાગ્ય જાગે, તો આપણાં દેહની હાટડીના વૃત્તિ-વિચારો બદલાઈ જાય અને ભક્તિ ભાવનો રંગ લાગી જતાં, મન પર પથરાયેલું અહંકારી સ્વભાવનું આવરણ ઓગળતું જાય.

         જે જિજ્ઞાસુ ભક્ત હોય તે મનની રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિઓના આવરણથી પરિચિત થતો જાય. જેથી બીજી નવી લૌકિક ઈચ્છાઓની ગાંઠો બંધાય નહિ. પરિચિત થવું એટલે જ્ઞાન-ભક્તિના સત્સંગથી દેહ અને આત્માના અતૂટ સંબંધની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. એવાં સ્વીકાર રૂપે દેહની હાટડીથી જે પણ કાર્યો થાય, તે અકર્તાભાવથી થતાં જાય. કરાવનાર પ્રભુની ચેતનાની ઊર્જા શક્તિના સ્પંદનો પછી હૃદયભાવથી ધારણ થતાં જાય. ચેતનાના સ્પંદનોનું પાવન દાન મનનું સાત્ત્વિકભાવનું ઑજસ પ્રગટાવતું જાય. સામાન્ય રૂપે માનવી મન પોતાના દેહના મોહમાં બંધાયેલું રહે છે. માનવી શરીરના મૃત્યુને અશુભ ગણે છે અને સ્વજનોના મૃત્યુથી દુ:ખી થાય છે. શરીરના મોહથી છૂટવું સરળ નથી. પરંતુ દેહને જીવંત રાખનાર પ્રભુની આત્મીય ચેતનાનો જો મનોમન સ્વીકાર થાય, તો દુ:ખથી વ્યાકુળ ઓછું થવાય અને મનની સાત્ત્વિક ગુણોની પ્રતિભા જાગૃત થતી જાય. સ્વજનોના મૃત્યુથી પોતાના દેહમાં આત્મીય ચેતનાની હાજરી છે એવો સ્વીકાર થાય છે. કોઈ પણ પ્રાપ્ત થયેલી સ્થિતિની જ્યારે ગેરહાજરી વર્તાય, ત્યારે પ્રાપ્ત હતી તે સ્થિતિનો મહત્ત્વતા માનવીને સમજાય છે. જેમ માતા-પિતાની ગેરહાજરીમાં તેઓની હાજરી રૂપે પ્રેમ, લાગણીનો સંતોષ મળતો હતો તે સમજાય, તેમ પોતાના સ્વજનોના મૃત્યુથી પ્રભુની ચેતનાનો મહિમા દેહની હાટડી રૂપે સમજાય. પછી અહંકારી હું પદની ઓળખ થાય અને જ્ઞાન-ભક્તિથી અંતર યાત્રા સહજતાથી થાય. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
અહંકારી સ્વભાવની ત્રુટિઓ જાણવી જરૂરી

માટી, જળ, અગ્નિ, વાયુ, આકાશ તથા સૂર્ય-ચન્દ્રની ઊર્જાની આધારિત ક્રિયાથી આ જગતમાં દરેક જીવ દેહધારી જીવન જીવી શકે છે. અર્થાત્ બાહ્ય પ્રકૃતિની ક્રિયા સાથે દેહધારી જીવનની પ્રક્રિયાઓ અરસપરસ સંકળાયેલી છે. માનવીના વિચારોની અસર સંકળાયેલી પ્રકૃતિને તથા સંબંધિત વ્યક્તિઓને અને વસ્તુઓને પણ થાય છે. એટલે માનવી એકલો નથી જીવતો, એનું જીવન આધારિત પ્રકૃતિ અને સંબંધિત પરિસ્થિતિ સાથે સંકળાયેલું છે. જીવંત જીવનની આ વાસ્તવિકતાને સમજવાનો જો પ્રયત્ન થાય, તો પોતાના નકારાત્મક કે સકારાત્મક સ્વભાવથી પરિચિત થઈને માનવી સહકારી, પરોપકારી જીવન જીવવાની દિશામાં સહજતાથી પ્રયાણ કરી શકે. મનનો નકારાત્મક દોષિત સ્વભાવ એટલે રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તન, જે માત્ર પોતાના હિત વિશે વિચારે. એવા સ્વાર્થી વર્તનથી બીજાનું અહિત થાય અને તેની અસર પ્રકૃતિ જગતની ક્રિયાઓને પણ થાય છે. મનના આવાં દોષિત વર્તનથી પ્રકૃતિ જગતની ક્રમબદ્ધ થતી ક્રિયાઓનું ચક્ર ખોરવાતું જાય છે, જે કુદરતી આફતોને સર્જાવે છે. તેથી પ્રાચીન કાળથી ઋષિઓએ સાત્ત્વિક વર્તનનો નિર્દેશ ધર્યો છે. જેથી સુસંસ્કારી સાત્ત્વિક વર્તનની સુમેળતાથી સંતોષી જીવનનો આનંદ માણી શકાય. અર્વાચીન સમયમાં પણ ઋષિમુનિઓ સાત્ત્વિક વર્તનનો જ ઉપદેશ ધરે છે. જેથી સુસંસ્કારી સાત્ત્વિક વર્તનની સુમેળતાથી સંતોષી જીવનનો આનંદ માણી શકાય. ઋષિઓએ અર્પણ કરેલાં સાત્ત્વિક બોધને માનવી લગભગ વિસરી ગયો છે. કારણ આધુનીકરણની યાંત્રિક સુખ સગવગડતામાં તે એકબીજા સાથે હરીફાઈ કરતો રહે છે અને પરોપકારી વર્તનથી વિમુખ થતો જાય છે.

         દોષિત વર્તન કે અહંકારી અજ્ઞાની સ્વભાવની ત્રુટિઓને પ્રથમ જાણવી જરૂરી છે. કારણ પોતાના નકારાત્મક સ્વભાવથી થતાં નુકસાનનો અંદાજ આવે તો મન તે દોષથી મુક્ત થવાનો પ્રયત્ન કરે. જ્યાં સુધી પોતાની ભૂલોથી થતાં નુકસાન વિશે મન જાણકાર નથી થતું, ત્યાં સુધી તે પોતાના દોષિત સ્વભાવની જડતામાં બંધાયેલું રહે છે. તે માટે પોતાની ભૂલોનું દર્શન કરાવનાર ગુરુનું સાંનિધ્ય અથવા સત્સંગ કે અધ્યયન અતિ મહત્ત્વનું છે અને એનાંથી પણ વધુ મહત્ત્વનું છે સાંનિધ્ય રૂપે પ્રાપ્ત થયેલું માર્ગદર્શન. મન પોતે માર્ગદર્શન મેળવી શકતું નથી. કારણ અજ્ઞાની સ્વભાવના અંધકારના લીધે સ્વયંના સાત્ત્વિક સ્વરૂપનું દર્શન થતું નથી. જેમ રાત્રે જો ઈલેક્ટ્રીસીટીનો પાવર ન હોય, તો અંધકારને લીધે ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જતાં ફર્નીચર સાથે અથડાઈ જવાય અથવા ઘરના બીજા સભ્યને ધક્કો લાગી જાય, તેમ મનના અજ્ઞાની સ્વભાવ રૂપી અંધકારના લીધે એકબીજા સાથેના વ્યવહારમાં અહંકારી વર્તનથી અથડામણ થતી રહે છે. મોહ, લોભ, ઈર્ષ્યા, વેરઝેર વગેરે દોષિત વૃત્તિઓનાં વર્તનથી સંઘર્ષ થયાં કરે છે. ગુરુ એટલે જ મનનાં અંધકારને વિલીન કરાવતી સાત્ત્વિકભાવની સ્થિતિ. તેથી ગુરુ કે માર્ગદર્શક જે માર્ગદર્શન રૂપે સુબોધનો સાત્ત્વિક વિચારોનો પ્રસાદ અર્પે, તેને આચરણ રૂપે ગ્રહણ કરવો જોઈએ.

         ગુરુના સાંનિધ્યમાં રહીને સુબોધ વાણીનું શ્રવણ કરવાનું મનને ગમે, પરંતુ તે સુબોધનો સૂક્ષ્મ ભાવાર્થ સમજાવતું અધ્યયન કરવાનું મન મોટેભાગે ટાળે છે. આવી ટાળવાની વૃત્તિ એટલે સાત્ત્વિક વર્તનની જાગૃતિ માટેની તરસ ઓછી હોવી. જાગૃતિની તરસ જ્યાં નથી, ત્યાં ‘કાલે સમજીશું ઉતાવળ શું છે’ એવી શિથિલ મનોવૃત્તિ હોય છે. મનની એવી શિથિલતાનો કે સ્વને જાણવાની જાગૃતિ માટેની તરસનો અભાવ જ્યાં સુધી વિલીન થતો નથી, ત્યાં સુધી સત્સંગ, શ્રવણ, કે ભક્તિ તે માત્ર પ્રવૃત્તિની જેમ થાય છે. આવું શિથિલ મન વર્ષો સુધી સત્સંગ કરે, ભજન-કીર્તન કરે, ગુરુના સાંનિધ્યમાં પણ રહે, છતાં પોતાના નકારાત્મક વૃત્તિઓના અજ્ઞાની સ્વભાવથી મુક્ત થતું નથી. જેટલો સમય મન સત્સંગમાં રહે, તેટલીવાર સાત્ત્વિક ભાવ રૂપી કિનારે બેસે, પણ સત્સંગની પ્રવૃત્તિ થઈ જાય, પછી કિનારો છોડીને વ્યવહારિક જીવનના કાર્યોમાં ગૂંથાઈ જાય.  કારણ સાત્ત્વિકભાવને જાગૃત કરવાની તીવ્ર તરસ જાગી નથી. જો તરસ જાગે તો મન માત્ર કિનારા પર ન બેસે, પણ સૂક્ષ્મ ભાવાર્થની સમજણ રૂપી ડૂબકી મારી સાત્ત્વિકભાવનું સંવેદન ધારણ કરે. સંવેદનનું પાવન દાન, વ્યવહારિક કાર્યો કરતી વખતે દોષિત વૃત્તિ-વિચારોને અટકાવે છે. મન સાવધ થઈ જાય કે, કાર્ય કરાવનાર પ્રભુની ચેતના છે, જે સર્વેમાં સમાયેલી છે. મનની એવી સાવધાની, એ છે સૂક્ષ્મ સમજ અનુસાર સ્વમય જાગૃતિનું વર્તન.

         જાગૃત મનને સમજાય કે કર્મ કરવાની ઊર્જા શક્તિને અર્પણ કરે છે પ્રભુની ચેતના. તેથી કર્મ કરતી વખતે જો પ્રભુની હાજરીનો સ્વીકારભાવ જાગૃત રહે, તો દોષિત વૃત્તિ-વિચારોનો અવરોધ ઓછો થતો જાય. દોષિત વૃત્તિઓને ઓગાળવા માટે વૃત્તિ-વિચારોનું વર્તન જેના આધારે થાય છે, તે પ્રભુની શક્તિનો, એટલે કે આત્મીય ચેતનાનો સમજપૂર્વક સ્વીકાર થાય, તો અહંકારી સ્વભાવનું ઘર્ષણ ઓછું થતું જાય. અહંકારી સ્વભાવનો આગ્રહ હોય કે, પોતે જે વિચારે છે તે જ સાચું છે અથવા પોતાના મંતવ્યને બીજા બધાએ માન્ય રાખવું જોઈએ. એવાં આગ્રહી સ્વભાવથી બીજા સાથે અથડામણ થાય, જેને અંગ્રેજીમાં ઈગો ક્લેશ કહે છે. એવા ક્લેશમાં એકબીજા સાથેના સંબંધોમાં પ્રેમને બદલે સંઘર્ષ વધુ રહે છે. પ્રેમ નથી ત્યાં ક્રોધ છે અને ક્રોધના આવેગની અસર તન પર થાય છે. તનની રોગી સ્થિતિ મનના સાત્ત્વિકભાવને સુષુપ્ત રાખે છે. માનવીને ઈગો ક્લેશથી થતી નુકસાનીનો અંદાજ જ્યારે આવે ત્યારે સ્વભાવનું પરિવર્તન કરવાનો નિશ્ર્ચય થાય. વાસ્તવમાં દરેક માનવીમાં સાત્ત્વિકભાવને કે પ્રેમને માણવાની ઈચ્છા હોય છે. આ ઈચ્છાને તૃપ્ત થવાનો સાત્ત્વિક વર્તનનો રાહ મળતો નથી, એટલે અહંકારી સ્વભાવથી પ્રેમને માણવામાં અથડામણ થાય છે. જે ક્ષણથી પોતાની ભૂલોથી પરિચિત થઈ સ્વયંને જાણવાનો જિજ્ઞાસુ અગ્નિ પ્રગટે એવી પ્રાર્થના થશે, તે ક્ષણથી પોતાની ભૂલોનો એકરાર થશે અને દોષિત વૃત્તિઓથી મુક્ત કરાવતું સ્વમય ચિંતન થતું જશે. પછી પશ્ર્ચાત્તાપ સાથે અનુભવાશે કે..,

 

         મહિમા તારો અમે સમજ્યા નહીં, મોતને આરે આવી ઊભા રહ્યાં...

         જ્યોતિ કદી તારી અમે દીઠી નહીં, અંધારામાં દિવાળીએ દીવા કર્યાં...

         વેદોનાં ગર્ભમાં અમે ઊતર્યાં નહીં, વેદોનાં યજ્ઞ અને પઠન કીધાં...             

         માળા ને મંત્રોનાં અર્થ સમજ્યા વિના, સમુદ્રના મોજા જેમ અથડાતાં રહ્યાં...(ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રાણશક્તિનું સાત્ત્વિક ધન : ભક્તિભાવ

ભક્તની કલમને કોઈ દી કિનારો ન હોય, એની કલમ તો હૃદયને કોરી નાંખે;

         ભક્તિની તલ્લીનતામાં ભક્તને પૂછજો કે, ભગવાન ક્યાં મળે એ લખાવો;

         તો ભક્ત કહેશે કે, "મારું હૃદય કોરીને જો, ભગવાન બેઠાં છે, એનો ભાવ વહે છે”;

         એવી બેઠકમાં બેસી ભક્ત તો ભક્તિમાં લીન રહે અને ભગવાન એની કલમ ચલાવે.

 

         શ્રેષ્ઠ ભક્તના ભાવને ઓળખવાની કોઈ પારાશીશી આ જગતમાં નથી. એ તો અમૂલ્ય ભાવ રૂપી સાગરના ઊંડાણમાં તરતો રહે. એવાં ભક્તના ભાવનું મૂલ્યાંકન શબ્દોથી કરી ન શકાય, કે એનાં પ્રેમ, ભાવને માપી ન શકાય. તેથી કોઈ પદાર્થ કે વસ્તુને એની કિંમતથી જેમ આંકીએ, તેમ ભક્તના ભાવની કિંમત આંકી ન શકાય. આજે ભાવની ભરતી હોય અને કાલે ભાવની ઓટ આવે એવી વધઘટ શ્રેષ્ઠ ભક્તના ભાવમાં ન હોય. એટલે ભાવતાલની જેમ ભક્તના સ્વભાવનું પણ મૂલ્ય આંકવાનો પ્રયત્ન કરવો નહિ. કારણ ભક્તના ભાવ રૂપે ભગવાનનો ભગવત્‌ ભાવ પ્રગટે છે. ભગવાનનો ભગવત્‌ ભાવ એટલે આત્મીય ચેતનાનો સ્ત્રોત, જે પ્રાણની ઊર્જા રૂપે પ્રકાશિત થઈને વહેતો રહે છે. આપણને સર્વેને ભગવાનની પ્રાણ શક્તિ કોઈ પણ ભેદભાવ વગર સતત શ્વાસ રૂપે પ્રાપ્ત થતી રહે છે. દેહધારી જીવંત જીવન જીવવા પૂરતું જ પ્રાણનું આત્મીય ધન સામાન્ય મનુષ્ય ધારણ કરે છે. પરંતુ ભક્તિ ભાવ રૂપે ભક્તમાં પ્રાણ શક્તિના સાત્ત્વિક ધનની વિશેષતા પ્રગટતી રહે છે. એવી વિશેષ ધનની જાગૃતિ રૂપે સાત્ત્વિક ગુણોનું સત્ત્વ પ્રગટતું રહે. જે ભક્તને અંતરની સૂક્ષ્મતામાં વિહાર કરાવે તથા સ્વાનુભૂતિમાં સ્થિત કરાવે. આમ સ્વયંની સાત્ત્વિકતાને જાગૃત કરાવતું મનનું અણમોલ વાહન ભગવાને મનુષ્યને અર્પણ કર્યું છે, જેથી તે જીવતાં જ સાત્ત્વિક ધનને ભોગવી શકે. જે મનુષ્ય અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રહીને આત્મીય ધનની જાગૃતિને ધારણ કરે, તે જાગૃતિને કહેવાય માનવીમાંથી ભક્તનો પ્રાદુર્ભાવ.

         આત્મીય ચેતનાની દિવ્યતાનું જેમ કોઈ પ્રમાણ નથી અથવા એનાં સાત્ત્વિક ગુણોને ગણી ન શકાય; તેમ શ્રેષ્ઠ ભક્તના ભાવની માપણી કરી શકાય એમ નથી. ભાવ રૂપે આત્મીય ચેતનાની ઊર્જાના તરંગો ભક્તની ભક્તિ રૂપે પ્રસરતા રહે. એવાં ભાવનાં તરંગોથી બીજા જિજ્ઞાસુ માનવીના વિચારોની અશુદ્ધિનું પરિવર્તન થતું જાય. તેથી જો કોઈ જિજ્ઞાસુ એવાં શ્રેષ્ઠ ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે રહે, તો સાત્ત્વિક ભાવના તરંગોનો સ્પર્શ થતાં જિજ્ઞાસુ વિચારોને અંતર યાત્રાનો ઢાળ સહજ મળતો જાય. એવાં ઢાળ પર ઢળતા સ્વમય ચતનમાં સ્થિત કરાવતું ભાથું મળી જાય. ભાથું એટલે મનને એવું પોષણ મળે, જે સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરવાની લગની લગાડે તથા એનાં સૂક્ષ્મ ભાવાર્થને ગ્રહણ કરાવી સાત્ત્વિક વર્તનમાં સ્થિત કરાવે. પ્રભુ કૃપા રૂપે સાત્ત્વિક પોષણનું ભાથું ધારણ થાય તો મનનું ઉચ્ચતમ પારદર્શક સ્વરૂપ પ્રગટતું જાય, તેને કહેવાય નિ:સ્વાર્થ પ્રેમભાવનું હૃદય. પૂજા, પઠન, ઉપવાસ, કે શાસ્ત્રોનો અભ્યાસ વગેરે પ્રવૃત્તિઓથી મનની હૃદયભાવની જાગૃતિ થતી નથી. જ્યાં સુધી સ્વયંને જાણવાની તાલાવેલી થતી નથી, કે સ્વયંમાં સમાયેલા આત્મીય ધનને ઉજાગર કરવાની જિજ્ઞાસા પ્રબળ થતી નથી, ત્યાં સુધી અંતરની વિશાળતાને કે સૂક્ષ્મતાને મન સમજી શકતું નથી. તેથી સત્સંગમાં, કે ગુરુના સાંનિધ્યમાં, કે તીર્થધામના પાવન વાતાવરણમાં થોડી ક્ષણો માટે ભાવની લહેરી જાગે પછી શમી જાય છે. ભાવની એવી વાછટમાં મન થોડીવાર માટે ભાવુક બને, પણ ભાવનું ચેતનવંત તરંગોનું સ્નાન થઈ શકતું નથી.

 

         શ્રેષ્ઠ ભક્તનું અંતર જીવન એટલે ભગવત્‌ ભાવની પ્રસ્તુતિનું પરમાર્થી જીવન. એવી પ્રસ્તુતિ માટે તે કોઈ વિશેષ પ્રકારનો પુરુષાર્થ ન કરે. પરંતુ જેમ ફુલને સુગંધ પ્રસરાવવાનો પ્રયત્ન કરવો પડતો નથી, એ તો ફુલની હાજરીમાં આપોઆપ પ્રસરે છે, તેમ ભક્તના ભાવની પ્રસ્તુતિ સહજતાથી પ્રકાશિત થતી રહે છે. જે જિજ્ઞાસુ ખરો અધિકારી પાત્ર હોય, તે ભક્તના ભાવની સાત્ત્વિકતાને ઝીલી શકે. એવાં પ્રકાશિત સ્પંદનોનાં ભાવની પ્રસ્તુતિ વિચારોથી ન થાય. જ્યારે એક માતા પ્રેમભાવથી પોતાના બાળકને ખોળામાં સુવાડે છે. ત્યારે હાલરડું ગાય છે. બાળક તે હાલરડાંનાં શબ્દોને સમજી ન શકે પણ માતાના કંઠમાંથી વહેતાં સૂરને અનુભવી શકે છે. કારણ માતાના સૂરમાં તે ક્ષણે કોઈ રાગ-દ્વેષાત્મક વિચારોનો અવરોધ નથી, પણ વહાલનો ધોધ વહેતો હોવાંથી બાળક માતાના પ્રેમભાવમાં એકાકાર થઈને સૂઈ જાય છે. પ્રેમભાવનું પોષણ વિચારોની ગેરહાજરીમાં પ્રગટે છે. તેથી થોડી ક્ષણો માટે વિચારોને બદલે ભાવ વહે, ત્યારે ભાવની ઊર્જાના સ્પંદનો સંતોષ, તૃપ્તિ, શાંતિનો અનુભવ કરાવે છે. એટલે જ શ્રેષ્ઠ ભક્ત જ્યારે ભગવાનની સ્તુતિ કરે કે ભજન ગાય, ત્યારે ભાવના સ્પંદનો આપમેળે પ્રસરે, તે ક્ષણે બીજા જિજ્ઞાસુઓને પ્રેમનું, સંતોષનું પોષણ સહજ મળતું જાય. શ્રેષ્ઠ ભક્ત કદી એવું ન વિચારે કે `મારામાંથી ભાવ વહે છે અથવા ભાવ વહે એવાં વર્તનમાં મારે સ્થિત રહેવું જોઈએ.' કારણ સાત્ત્વિક વિચારોના પરિણામથી ભાવની જાગૃતિ નથી થતી. જ્યારે મારું-તારું, કે હું-તું એવાં ભેદની સીમા છૂટી જાય, ત્યારે મનની વૃત્તિઓનું સમર્પણ થતાં ભાવ સ્વયંભૂ પ્રગટે છે.

         જેમ દરિયા કિનારે ચાલીએ ત્યારે પાણીની લહેરીઓને જોવાનો આનંદ આવે છે. પરંતુ કિનારો છોડીને પાણીમાં તરીએ ત્યારે પાણીના શીતળ સ્પર્શનો આનંદ અનુભવાય. તે ક્ષણે કિનારો નથી પણ ચોતરફ આજુબાજુ માત્ર પાણી જ હોય; તેમ મન જ્યારે સાત્ત્વિક વિચારો રૂપી કિનારે ચાલે, ત્યારે મનોમંથનથી સૂક્ષ્મ સમજ ગ્રહણ થતાં મન ખુશ થઈ જાય. પરંતુ તે સૂક્ષ્મ સમજ અનુસાર આચરણમાં સ્થિત થવા માટે જો વિચારો ઓછાં થાય તો અંતરધ્યાનની સ્થિતિમાં મન લીન થાય. તે ક્ષણે વિચારો નથી પણ સાત્ત્વિકભાવની આત્મીયતામાં મન ખોવાઈ જાય. પાણીમાં તરતી વખતે પાણીના સ્પર્શનો આનંદ છે, એ જ રીતે વિચારોનું મૌન હોય એવી અંતરધ્યાનસ્થ સ્થિતિમાં ભક્ત ભાવમાં તરતો રહે, ત્યારે ભક્તનો ભાવ સ્વયંના આત્મીય ભાવમાં ખોવાઈ જાય. તેથી ભકત કદી ભૂતકાળમાં ન ભટકે, કે સમજણની અથવા સ્વ અનુભવની વિદ્વત્તાનું વર્ણન ન કરે, કે સફળતા-નિષ્ફળતાનું વિવેચન ન કરે. ટૂંકમાં ભાવમાં તલ્લીન રહેતાં ભક્તને સ્વયંની સ્થિતિનું વર્ણન કરવું પડતું નથી. એને આજુબાજુ સર્વત્ર ભાવની આત્મીય ચેતનાની જ અનુભૂતિ થાય. ભાવ સિવાય બીજી સ્થિતિ નથી તો શબ્દોથી જણાવવાનું શેષ બચતું નથી. એટલે ભક્ત જે પણ કર્તવ્ય કરે, એમાં ભાવની પ્રસ્તુતિ આપમેળે થતી રહે છે. એવાં શ્રેષ્ઠ ભક્તને કોટિ કોટિ પ્રણામ. (ક્રમશ:)

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુને પ્રેમ કરવાની રીત ન હોય

બાળપણ, યુવાની પ્રૌઢ એવી ત્રણ અવસ્થાઓ શરીરની હોય છે. શરીરની અવસ્થા સાથે મનનો વિચારવાનો, સમજવાનો, કે વિકાસની ગતિનો ઢાળ બદલાતો રહે છે. પ્રૌઢ અવસ્થા રૂપે મનના વિકસિત માનસનો ગુણિયલ વૈભવ ધારણ થાય. અર્થાત્‌ શિક્ષણની તાલીમથી યુવાનીમાં જે વિકાસશીલ કાર્યોથી ઘડતર થાય, તેનાં પરિણામ રૂપે મનની વિકસિત પરિપક્વ સ્થિતિ જાગૃત થાય. મનની પરિપક્વતાને જ્યારે જીવંત જીવનનો મહિમા સમજાય, ત્યારે શરીરના જન્મ-મૃત્યુની ક્રિયાનો ભાવાર્થ સમજાતો જાય. આવી સમજમાં જો તરતાં રહેવાય તો શરીરની અંતિમ વૃદ્ધ અવસ્થા માટે અણગમો ન થાય, પણ મન વૃદ્ધિની ગતિના સોપાન ચઢતું જાય. વૃદ્ધ અવસ્થામાં શરીરના અંગોની તથા ઈન્દ્રિયોની શિથિલ થતી પ્રક્રિયાઓ સાથે મનની વિચારવાની અને સ્મરણમાં રાખવાની શક્તિ પણ શિથિલ થાય. એટલે નવીન વિચારોના ઢાળ પર ઢળી શકવાનું ઘણીવાર મુશ્કેલ લાગે. તેથી પ્રૌઢ અવસ્થામાં જ સૂક્ષ્મ સમજની સરિતામાં જો તરતાં રહેવાય તો શરીરની વૃદ્ધ અવસ્થાની શારીરિક ખોટ જ્યારે ઉદ્ભવે, ત્યારે સમજથી પરિપક્વ થયેલું મન તે ખોટ સાથે સમન્વય સાધી શકે. પછી જિવાડનાર પ્રભુની આત્મીય ચેતના સાથે સંવાદ રૂપે સ્વાનુભૂતિના આનંદને પણ માણી શકે. મનની એવી પરિપક્વતા હોય તો વૃદ્ધ અવસ્થાની લાચારી નહિ લાગશે, પરાધીનતાનું દુ:ખ નહિ લાગશે, પણ સૂક્ષ્મ સમજની પ્રૌઢતાથી ગૌરવયુક્ત જીવન જીવી શકાશે અને સ્વમય ચતનમાં સ્થિત રહેવાનું મુશ્કેલ નહિ લાગશે.

         બાળપણની અવસ્થામાં જ્યારે શિશુ સ્થિતિ હતી, ત્યારે વિચારવાની કે બોલવાની ક્ષમતા જાગૃત થઈ ન્હોતી. શિશુ સ્થિતિમાં તો માતા-પિતાના વહાલમાં સ્નાન થયાં કરતું હતું. માતાની વાત્સલ્યભરી અમીદૃષ્ટિ સાથે જો પ્રેમભર્યો સ્પર્શ ન મળે, તો રુદનની બોલીથી માતાના ખોળામાં રહેવાનું સૌભાગ્ય મેળવી લેવાતું હતું. બાળપણના એવા સૌભાગ્ય રૂપી લાલન પાલન પછી તબક્કાવાર શિક્ષણની તાલીમ શરૂ થઈ. એવી તાલીમના લીધે મનની વિચારવાની, સમજવાની, કે અનુભવવાની પ્રક્રિયાનો વિકાસ થતો ગયો. તરુણ અવસ્થામાંથી યુવાન અવસ્થામાં પ્રવેશ થયો અને વિવિધ વિષયોનું શિક્ષણ મેળવતાં રહ્યાં. એમાં મન રૂપી બાગનાં વિકાસમાં કેટલાંયે પ્રકારના વિચારો રૂપી ફુલો ખીલતાં રહ્યાં. જ્યાં જ્યાં વિચારોની હારમાળામાં નવીન વિચાર રૂપી ફુલની ખોટ વર્તાઈ ત્યાં ભૂલ રૂપે અટકી જતાં હતાં. તે વખતે માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો અને વધારે તો શિક્ષકોનો સહયોગ મળવાથી અટકેલી મનની ગતિ આગળ પ્રયાણ કરી શકી. તેઓના સહયોગ સાથે જો વિકાસશીલ ભાથું અર્પણ કરતાં પુસ્તકોનો સહારો ન હોત, તો મનની કેળવણી અધૂરી રહેતે એવું માનવું અયોગ્ય નથી. કારણ આપણાં માતા-પિતા સહિત શિક્ષકોએ પણ શિક્ષણની તાલીમ માટે અથવા મનના વિકાસની પ્રગતિ માટે પુસ્તકોનો જ આધાર લીધો હોય છે. નિશાળમાં કે કોલેજમાં શિક્ષકો જે વિદ્યાનું દાન અર્પે, ત્યારે પુસ્તકોના શબ્દોને વાણીથી પ્રગટાવે. વિદ્યાર્થી તે વિદ્યા દાનની વાણીને ઝીલે, પછી તેને મનમાં અંકિત કરવા માટે પુસ્તકનો સહારો લે.

         જે ખરો અભ્યાસુ વિદ્યાર્થી હોય અથવા વાંચન પ્રેમી હોય, તે એક પુસ્તકને કે ચોપડીને જ્યારે હાથમાં પકડે, ત્યારે એનાં બાહ્ય પૂઠાંના રંગને જોવાં કરતાં એમાં છપાયેલાં શબ્દોને વાંચવાનો આનંદ માણે છે. પુસ્તકમાં જે વિષયનું લખાણ રજૂ થયું હોય, તેનો જો સ્વીકાર થાય તો મનના બાગમાં નવીન ફુલો રૂપી વિચારોની સુંદરતા વધતી જાય. આમ વાંચવાના આનંદથી અને નવીન વિચારોની સુંદરતાથી શરીરના અંગોની ક્રિયામાં રોગ પ્રતિકારક રસાયણોનું બળ પુરાતું જાય તથા મગજના વિદ્યુતિ રસાયણો(ન્યૂરોટ્રાન્સમીટર) દ્વારા સ્ફુર્તિદાયક સ્થિતિ પ્રગટતી જાય. વર્તમાન સમયમાં પુસ્તક પ્રેમીઓની સંખ્યા ઘટતી જાય છે. કારણ હવેનો જમાનો છે ઈ-બૂકનો. કીન્ડલ નામની ઈ બૂક એટલે સ્માર્ટ ફોનમાં કાગળ વગરની બૂક. જેમાં એક સાથે ઘણાં બધા પુસ્તકોનું લખાણ હોય. તમને જ્યારે સમય મળે ત્યારે જે લેખકનું વાંચવું હોય તે મળી શકે. ઘણાં લેખકો પોતાના પુસ્તકોને ઈ-બૂક રૂપે રજૂ કરે છે. એટલે ઘણાં લોકો પૈસા ખર્ચીને પુસ્તક ખરીદવાને બદલે ઈ-બૂકની એપ પર વાંચન કરે છે. ઈ-બૂક કે સ્માર્ટ ફોનની સુવિધા ભવિષ્યમાં વધતી જશે. છતાં આપણાં જેવાં સમાચાર પત્રોનું વાંચન કરનારા ઘટશે નહિ. દર રવિવારે મધુવન પૂર્તિને હાથમાં પકડીને વાંચવાનો આનંદ તો વાંચનાર જ અનુભવી શકે. ખરેખર `જન્મભૂમિ' સમાચાર પત્રનું છાપવાનું કાર્ય કરનારાઓનો તથા સંપાદકશ્રીનો તથા લેખકોનો આભાર માનવાના શબ્દો પણ ઓછાં પડે!

         માનવી મનનું ઘડતર યોગ્ય વિચારોથી ઘડી શકાય છે. શબ્દોના સહારે વિચારો રૂપી માળા મન ગૂંથતું રહે છે. એટલે શબ્દોનો અર્થ સમજાયો હોય તો વિચારોની માળા સહજ ગૂંથાતી રહે અને અર્થ સમજવામાં પણ બીજા શબ્દોનો સંગ થતો જાય. આમ શબ્દોના આધારે વિચારવાનું કે સમજવાનું કાર્ય થાય તથા વાણીથી વ્યક્ત થાય. તેથી અન્ન, પાણી, હવા જેટલું જ મહત્ત્વ અક્ષર શબ્દોનું છે. પરંતુ જ્યાં સ્નેહ, પ્રેમ, લાગણીનો અનુભવ હોય ત્યાં શબ્દનો પનો ટૂંકો પડે છે. ઘણીવાર શબ્દ રહિત મૌન સ્થિતિ રૂપે થયેલાં પ્રેમના અનુભવની તૃપ્તિનું વર્ણન શબ્દોથી કરવું મુશ્કેલ બની જાય. આ હકીકતને જાણનારો જિજ્ઞાસુ ભક્ત જ્યારે શબ્દના સહારે સ્વયંને જાણવાનો પુરુષાર્થ કરે, ત્યારે આરંભમાં શબ્દોનો ભાવાર્થ ગ્રહણ કરાવતો અભ્યાસ થાય. એમાં એને મનોમંથન રૂપે સમજાતું જાય કે, "સ્વ સ્વરૂપની આત્મીયતામાં એકરૂપ કરાવતાં ચતનથી મારા મનની સ્વથી અજાણ રહેતી મનોદશા ઓગળતી જાય છે. પરંતુ જ્યાં સુધી સ્વ અનુભૂતિની અંતર યાત્રા નહિ થાય, ત્યાં સુધી હું પોતાની આત્મીય પ્રીતનો આનંદ માણી શકતો નથી. તેથી સ્વ અનુભૂતિની અંતર યાત્રા માટે શબ્દ રૂપી બસમાં બેસવાનો (ભાવાર્થ સમજી ચતનમાં સ્થિત થવાનો) પુરુષાર્થ કરતો રહીશ. પરંતુ સ્વ અનુભૂતિ રૂપી બસ સ્ટોપ પર ઊતરી જઈશ ત્યારે બસનો સંગાથ છૂટી જશે. કારણ બસનો(શબ્દનો) સંગાથ છૂટે તો જ બસ સ્ટોપ પર ઊતરવાનું(સ્વ અનુભૂતિમાં સ્થિત થવાંનું) શક્ય થાય.” આવું મનોમંથન થાય ઋષિ વાણીએ પ્રગટાવેલાં શબ્દોથી. એ શબ્દોના લખાણની રજૂઆતને શાસ્ત્રોની પોથી કે ગ્રંથ કહેવાય. પરંતુ પ્રભુ પ્રેમનાં અંતર સાગરમાં તરવા માટે, એટલે કે સ્વાનુભૂતિમાં સ્થિત થવા માટે પોથી, કે શાસ્ત્રોના શબ્દોનો સહારો પણ છોડવો પડે તે હકીકતને પ્રસ્તુત પદ્ય પદથી સ્વીકારીએ અને સ્વ અનુભૂતિમાં સ્થિત થવાં પ્રભુ કૃપાને યાચીએ.

 

         પ્રભુને પ્રેમ કરવાની રીત ન હોય, એની પોથીઓ ન હોય, પોથીઓનાં પ્રેમ તો પ્રમાણસર હોય;

         પ્રભુ પ્રેમમાં તરવા પોથીઓ ન વંચાય, કારણ પોથીઓમાં ક્યાંય પ્રભુ પ્રેમનું નથી લખાણ;

         ભાવભર્યો નિર્મળ પ્રેમ અને ભાવભીની ભક્તિ, લઈ જાય ભક્તને પ્રેમના અંતર સાગરમાં;

         ડૂબતાંને તરતા શીખવાડે તારણહાર, તમે ઝંપલાવો જલ્દી પ્રેમના અંતર સાગરમાં. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સાત્ત્વિકભાવનો પ્રસાદ

હજારો વાર નામ લેવા છતાં પ્રભુ પ્રતીતિ ન થાય, તો માનજો કે નામ લેવામાં ભાવની ખોટ છે;

         નિષ્કામભાવથી લેવાયેલાં પ્રભુનામમાં પુરાય પ્રભુની ભગવત્‌ શક્તિનો ભાવ,

પછી ભક્તિમાં સ્થિત થવાય;

         ભક્તિ રૂપે હૃદયભાવની જાગૃતિ થતાં મન પ્રેમભાવમાં વિલીન થાય

અને રાગ-દ્વેષની ગાંઠો ઓેગળતી જાય;

         ભક્તનો પ્રેમભાવ છે ભક્તિનું સદાચરણ

અને એનાં પ્રેમાળ વર્તનની વાણીથી પ્રગટે સાત્ત્વિકભાવનો પ્રસાદ.

 

         લૌકિક જીવન એટલે અનેક પ્રકારના વિધ વિધ કાર્યોની પ્રવૃત્તિ. એવાં જીવનમાં દરેક સ્તરે કાર્ય કરવાની મનની કુશળતા અથવા કાર્ય કરવાની રીતનું બુદ્ધિગમ્ય કૌશલ્ય જાગૃત કરવું પડે. જે પણ કાર્ય કરીએ તે સમયે જો મનની કુશળતાનો સહયોગ ન હોય, કે બુદ્ધિની કૌશલ્યતાનો સહારો ન હોય, તો તે કાર્યનું યોગ્ય ઉચિત પરિણામ ઉપજતું નથી. સામાન્ય રૂપે માનવી પોતાના અંગત કાર્યોના યોગ્ય પરિણામ માટે અથવા અપેક્ષિત ઈચ્છા મુજબ દુન્યવી ભોગને ભોગવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતો હોય છે. એવાં પ્રયત્નમાં જો પોતાના સ્વભાવની ત્રુટિ જણાય તો સ્વભાવને સુધારીને ઈચ્છિત સફળ પરિણામ મેળવવાનો પ્રયત્ન કરશે. તેથી માનવી જો પોતે નક્કી કરે અને ધારે તો ધાર્યા કાર્યો કરી શકે છે. કારણ કાર્ય કરાવતું મન-બુદ્ધિનું વિશેષ કુશળતાનું બળ પ્રભુએ માનવીને અર્પણ કર્યું છે. પરંતુ મોટેભાગે માનવી સ્વાર્થી સ્વભાવના પજરામાં બંધાઈને માત્ર પોતાને લાભ થાય એવાં સીમિત સંકુચિત માનસથી જીવે છે. એટલે વિશેષ સ્વરૂપની સાત્ત્વિક સ્વભાવની કુશળતા જાગૃત થતી નથી. એવી વિશેષ જાગૃતિ માટે પ્રથમ પોતાના સ્વ સ્વરૂપથી અજાણ રહેતી મનની અજ્ઞાની સ્થિતિથી જાણકાર થવું પડે. અજ્ઞાની સ્વભાવથી જાણકાર થવામાં ઘણાં બધા પ્રકારની ચતાઓના ભારથી મન મુક્ત થઈ શકે. કારણ માનવી શરીરને પોતાનું અસ્તિત્વ માને છે, એટલે કે નિરાકાર હોવાં છતાં મન પોતાને શરીરનો આકાર માને છે. આવી અજ્ઞાનતાના લીધે જીવનમાં ડગલે ને પગલે એને શરીરના મૃત્યુનો ડર રહે છે અથવા ઘણીવાર રોગની પીડામાં ચતાગ્રસ્ત રહેવાંથી ઔષધ ઉપચારમાં મન અવરોધક બને છે.

         અજ્ઞાની સ્થિતિથી જાણકાર થવાય ત્યારે સમજના તાર મનમાં ગૂંથાતા જાય કે, શરીરનું મૃત્યુ થાય પણ પોતાનું નિરાકારિત સ્વરૂપ જે શરીરમાં નિવાસ કરે છે તેનું મૃત્યુ થતું નથી. આવી વાસ્તવિક સમજના સ્વીકારમાં તન-મનનાં જોડાણની મહત્તા સમજાય તથા બન્નેની એકબીજા પર થતી અસરની જાણકારી થતી જાય. એવી અસરનો અનુભવ તો લગભગ દરેક માનવીને થતો હોય કે, એનાં લીધે શરીરનું સ્વાસ્થ્ય બગડે અને મનની કાર્ય કરવાની એકાગ્રતા કે કુશળતા કુંઠિત થતી જાય. જેમકે તીખું તળેલું વધારે પડતું ખવાઈ જાય તો યોગ્ય પાચન ન થવાંથી બેચેની લાગે, એસીડીટીના લીધે ખાટાં ઓડકાર આવે અથવા ઝાડા પણ થઈ શકે. તે વખતે ગમે એટલું અગત્યનું કાર્ય થતું હોય તો પણ મન એકાગ્રતાથી કરી શકતું નથી. એ જ રીતે કોઈ સ્વજન કે અંગત મિત્રના અકસ્માતની જાણ થાય અથવા પરિવારના સભ્યો સાથે ઝઘડો થાય ત્યારે મન દુ:ખી થઈને ઉદાસ થઈ જાય. તે સમયમાં શરીરના રસાયણોની ગુણવત્તા બદલાઈ જાય, લોહીનાં દબાણની વધઘટ થાય અને જે કાર્ય કરતાં હોઈએ તે કરવાનું ગમે નહિ. ટૂંકમાં શરીરની સ્વસ્થતામાં મનનું હકારાત્મક પ્રેરક બળ વધે છે. પરંતુ મનની જો તાણયુક્ત રાગદ્વેષાત્મક વર્તનની અસ્વસ્થતા હોય, તો શરીરની નિરોગી સ્વસ્થતાને એ અસ્થિર કરી દે છે અને શરીરની રોગી સ્થિતિ મનને ચતા સાથે અસ્વસ્થ રાખે છે.

         આવી વાસ્તવિક સમજ સાથે મન જેમ જેમ પોતાની અજ્ઞાનતાથી જાણકાર થાય, તેમ તેમ મનનું વિશેષ જાગૃતિનું કૌશલ્ય પ્રગટતું જાય. પછી પ્રારબ્ધવશ કોઈક અસાધ્ય રોગની બીમારી આવે, કે વારસાગત રોગ આવે, ત્યારે મનની જાગૃતિની સ્વસ્થતાના લીધે ઘણીવાર તે આસધ્ય રોગનો પ્રતિકાર કરાવતું મનોબળ સહાયરૂપ થાય. સાત્ત્વિક વિચારોનાં સત્સંગનો પ્રભાવ મનને એવું હકારાત્મક બળ ધરે છે કે તે રોગ માટે  જે પણ ઔષધિ કે ઉપચાર થાય તેનું યોગ્ય પરિણામ ઝડપથી મળતું જાય. સારાંશ રૂપે એટલી સમજને મનમાં સ્થાપી દઈએ, કે સ્વયંની જાણમાં કે પોતાના અજ્ઞાની સ્વભાવના સંકુચિત માનસને જાણવામાં, તન-મનની ક્રિયાના માનવી જીવનને પ્રગતિની નવીન દિશાનું સત્ત્વ મળે છે. નવીન દિશાના પ્રયાણમાં જે પણ સમજ રૂપે જાણ્યું એમાં અજ્ઞાની સ્વભાવથી થતી ભૂલોનું જે દર્શન થયું, એમાં ફરવાનું છૂટતું જશે અને મનનું કળાત્મક, રચનાત્મક કૌશલ્ય પ્રગટાવતાં વિચારોનું ચતન થતું જશે. ચતન રૂપે ભેદભાવની મનોદૃષ્ટિના વિકારો ઓગળતાં વિવેકી દૃષ્ટિ જાગૃત થતી જશે.

         જિજ્ઞાસુ ભક્ત પ્રગતિની દિશામાં પ્રયાણ કરે, ત્યારે એનાં વિચારોમાં માત્ર લૌકિક ભોગના વિષયોને પ્રાપ્ત કરવાનું રટણ ન હોય, પણ માનવ જન્મની સિદ્ધિને સાર્થક કરાવતાં સાત્ત્વિકભાવની જાગૃતિનો પુરુષાર્થ હોય. જિજ્ઞાસુ ભક્ત જાણે છે કે શરીરના અંગોની પ્રક્રિયામાં જો મનની સ્વસ્થ સકારાત્મક વિચારસરણીનો સહયોગ રહે, તો અંગોની સાત્ત્વિકભાવથી થતી પ્રક્રિયાઓનો પડઘો મનને સર્જનાત્મક વિચારોમાં સ્થિત રાખી શકે છે. તેથી નિષ્કામભાવથી એ તો લૌકિક જીવનના કાર્યો કરવાનો પુરુષાર્થ કરે. અર્થાત્‌ લૌકિક જીવનના કાર્યો દ્વારા સાત્ત્વિકભાવની જાગૃતિ થાય એવાં સ્વભાવને ખીલવતો રહે. તે માટે મન જો રાગ-દ્વેષના ઉન્માદમાં ઓછું ફરે, ઈર્ષ્યા કે અદેખાઈની બળતરામાં ઓછું આળોટે, કે અહંકારી માનસથી બીજાને નકામા ગણીને દોષ જોવામાં સમય ઓછો વેડફે, કે પદવીની લાલસા સાથે સન્માનની ઈચ્છાઓને ઓછી કરે, તો શરીરમાં લોહીના ભ્રમણ દ્વારા સાત્ત્વિકભાવના તરંગો વહેવાનું શરૂ થાય અને આંતરસ્ત્રાવી પીંડોના(એન્ડોક્રાઈન ગ્લેન્ડસ) રસાયણોની શુદ્ધતા વધતી જાય.

         આંતરસ્ત્રાવી રસાયણોની શુદ્ધ સ્વસ્થતાના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય અને મગજના જ્ઞાનતંતુઓ પણ સ્વસ્થ રહે. જ્ઞાનતંતુઓ સ્વસ્થ રહે તો ઓછાં ક્ષીણ થાય. કારણ જ્ઞાનતંતુઓ ક્ષીણ થાય તો સ્મરણ શક્તિ ઓછી થતી જાય. મોટેભાગે પચાસ વરસની વય પછી સ્મરણ શક્તિ શિથિલ થવા માંડે, કાનની બહેરાશ શરૂ થાય, હાથ-પગના સાંધાઓમાં પીડા શરૂ થાય, બ્લડપ્રેશરને નોર્મલ રાખવાની ગોળી ખાવી પડે, વગેરે રૂપે શરીરની અસ્વસ્થતામાં મનનો અજ્ઞાની અહંકારી સ્વભાવ કારણ રૂપ હોય છે. તે કારણને વિલીન કરાવતું વર્તન એટલે પ્રેમભાવનું આચરણ. જે પ્રેમની પરિભાષાથી જીવવાનો ધ્યેય રાખે તેને કહેવાય ભક્ત. મંદિરે જાય, ભજન-કીર્તન કરે એને જ માત્ર ભક્ત ન કહેવાય. ભક્ત એટલે પ્રભુની ભગવત્‌ ભાવની શક્તિના કૌશલ્યને નિષ્કામ પ્રેમભાવથી ધારણ કરાવતું સ્વમય ચતન કરે. દરેક માનવીમાં ભક્તના જેવું કૌશલ્ય છે અને તે પ્રેમભાવથી જાગૃત થઈ શકે છે. પ્રેમભાવથી સંસારી જીવનના વ્યવહાર કે કમાણી કરવાના કાર્યો થાય, તો દરેક કાર્યો પ્રભુની ભક્તિ રૂપે થતાં જાય. પછી ભક્તિ કરવાનો ફાજલ સમય શોધવો નહિ પડે, પણ ભક્તિમય જીવનમાં પ્રભુના પ્રસાદ રૂપે સાત્ત્વિકભાવની પ્રસન્નતા અનુભવાય. (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
મનની રુચિ વધતાં ગુરુનું સાંનિધ્ય પ્રાપ્ત થાય

ભક્તિનો ભાવ જાગે ત્યારે સીમિતનો મોહ છૂટે

અને પ્રભુ પ્રીત માટે સાત્ત્વિક આચરણ તરફ મન ઢળે;

         સાત્ત્વિકતા તરફ ઢળવાના કોઈ કારણો નહિ મળે,

કારણ ભક્તિનો ભાવ કે પ્રભુ પ્રીત જાગે અનાયાસે;

         એકવાર ભાવની ધારા જાગૃત થાય,

પછી કોઈના કહેવાથી ઓછી ન થાય કે ઓટ જેવી સ્થિતિ ન આવે;

         સમજાય નહિ એવી ભાવની લહેરીઓ હૃદયમાં વંટોળીયા માફક ઊડતી રહે અને સંતોષને લાવે.

 

         નકારાત્મક સ્વભાવની નબળાઈથી, કે મારું-તારુંની સરખામણી કરવાના સંકુચિત માનસથી, કે બીજાથી ચડિયાતા થવાની ચડસાચડસીથી મુક્ત કરાવતાં ભક્તિ ભાવની મહત્તાને સમજવાનો પ્રયત્ન માનવી જો કરે, તો મનનું બળ, મનની કળાત્મક વિદ્વતા, કે બુદ્ધિની દક્ષતા સુષુપ્ત નહિ રહે. પરંતુ એક વિદ્યાર્થી જેમ વિદ્યા અભ્યાસની કેળવણીથી કેળવાતો જાય, તેમ રચનાત્મક ઉન્નત વિચારોથી મન કેળવાતું જાય. એવી કેળવણી અર્થે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થાય તથા માનવતાના સંસ્કારો જાગૃત થાય, એવાં જ્ઞાન-ભક્તિના સત્સંગનો આધાર લેવો પડે. કારણ મારું-તારુંના રાગદ્વેષાત્મક વર્તનમાં માનવી એટલી હદે ગૂંથાયેલો રહે છે કે સાત્ત્વિક વર્તન વિશે તે અજાણ રહે છે, અથવા સાત્ત્વિક વર્તનની ખીલવણી કરાવતા સકારાત્મક વિચારોથી તે અપરિચિત રહે છે. તેથી સત્સંગ રૂપી વૃક્ષની આધારભૂત છાયા જરૂરી છે. જેથી નકારાત્મક સ્વભાવનો આક્રોશ કે ક્રોધ અમુક અંશે શાંત થતો જાય. નકારાત્મક સ્વભાવમાં બંધાયેલું મન પોતાના સંસારી જીવનના સુખદ પ્રસંગોને મોટેભાગે સંતોષપૂર્વક માણી શકતું નથી. નકારાત્મક વર્તનમાં પોતાની વસ્તુ કે પરિસ્થિતિની સરખામણી બીજા સાથે કરવાની અજ્ઞાનતા હોય છે. એવી અજ્ઞાનતામાં બીજાથી ચડિયાતા થવાનો, કે ચડિયાતા રહેવાનો અજંપો સતત રહે છે અને મન ભેદભાવનાં વિચારોમાં જ બંધાયેલું રહે છે.

         ભેદભાવની મનોદૃષ્ટિના લીધે જીવનમાં દરેક સ્તરે માનવી વિભાગો પાડીને વિખૂટો પડતો જાય છે. તેથી એકબીજા સાથેની લાગણીને, હૂંફને સહજ માણી શકતો નથી. જ્ઞાતિ કે જાતિના ભેદભાવમાં, શરીરના રૂપરંગના ભેદભાવમાં, મોંઘા કે સસ્તા વસ્ત્રોના ભેદભાવમાં બંધાઈને જે જીવે, તેની યથાર્થ વિચારવાની શક્તિ સુષુપ્ત રહે છે. એટલે સ્વયંનો અનુભવ કરાવતી અંતર યાત્રા માટેનો સાત્ત્વિકભાવ જાગૃત થતો નથી. સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થાય, પણ તે માટે મનને ઉચિત વાતાવરણ મળવું જોઈએ. એક વિદ્યાર્થી વિદ્યા અભ્યાસ માટે જેમ શાળા કે કોલેજમાં જાય, તેમ જ્ઞાન-ભક્તિનો સત્સંગ જે ભૂમિમાં થાય, તેનો સંગ કરવાનો, કે ત્યાં જઈને શરણ ગતિથી સ્થિત થવાંનો પુરુષાર્થ કરવો જરૂરી છે. જે ઘરમાં માતા-પિતાના મન સત્સંગની કેળવણીથી જો શિક્ષિત થતાં હોય, તો સાત્ત્વિક વિચારોના તરંગોથી એ ઘરના વાતાવરણમાં ભેદભાવનાં સંસ્કારો ટકી શકતા નથી. એવાં ઘરના બાળકોમાં બાળપણથી સાત્ત્વિક સંસ્કારોની ખીલવણી થતી જાય. એવા બાળકો જ્યારે યુવાન થાય, ત્યારે પ્રતિકૂળ સંજોગોનાં સંઘર્ષમાં નિરાશ થઈને બેસી નહિ રહે, પણ ઉકેલની દિશામાં સહજતાથી પ્રયાણ કરતાં રહે.

         સાત્ત્વિક વાતાવરણમાં ઉછેર થાય, તો જીવન રૂપી ગાડી સ્વયંને જાણવાના ધ્યેય સાથે ગતિમાન રહી શકે. સાત્ત્વિક વાતાવરણ હોય ત્યાં પ્રભુની ચેતનવંત શક્તિનો મહિમા સમજીને દયા, કરુણા, કે સુમેળભાવથી ધાર્મિક કાર્યો થાય, તથા પરિવારના સભ્યો એકબીજા સાથેના પ્રેમના સંબંધને મહત્ત્વ વધુ આપે. એટલે ઈર્ષ્યા, વેરઝેર, કે કુસંપની નકારાત્મક વૃત્તિઓ નહિ રહે. નકારાત્મક સ્વભાવની જો કંગાલિયલ હોય, તો સંસારી જીવનમાં ખોટ કે ઉણપનો જ અનુભવ થયાં કરશે. એવું મન સ્વ સ્વરૂપની સૂક્ષ્મતાને, કે વિશાળતાને સમજી નથી શકતું. તેથી શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો પુરુષાર્થ જો તેઓ કરે, કે સત્સંગમાં અચૂક હાજરી પુરાવે, તો પણ નકારાત્મક સ્વભાવના લીધે સ્વ સ્વરૂપની વાસ્તવિકતાને સમજવામાં શંકા સંદેહ જાગે. એવું નકારાત્મક અહંકારી માનસ સૂક્ષ્મ સમજને સાબિતી વગર ન સ્વીકારે અથવા તર્કબદ્ધ દલીલોથી શબ્દોના અર્થઘટનમાં રમ્યાં કરે. એટલે એવાં મનનો નિખાલસ હૃદયભાવ જાગૃત થતો નથી અને હૃદયભાવની, કે પ્રેમભાવની, કે ભક્તિભાવની જાગૃતિ વગર સદ્ગુણોની સાત્ત્વિકતા ધારણ થઈ ન શકે.

         આમ પ્રેમાળ સ્વભાવની કે ભક્તિભાવની જાગૃતિ માટે સ્વયંને જાણવાની લગની લાગવી જોઈએ. એવી લગની ઘરનાં ધાર્મિક વાતાવરણથી, કે માતા-પિતાના સાત્ત્વિક આચરણની કેળવણીથી, કે પૂર્વે કરેલાં આધ્યાત્મિક યાત્રાના પુણ્યબળથી જાગે છે. કોઈના કહેવાથી નહિ પણ સ્વયંને જાણવાની લગની સહજ જાગે, ત્યારે અંતરથી દૈવી બળનો સહારો મળતો જાય. દૈવી બળની પ્રેરણા રૂપે સત્સંગ માટે અને શાસ્ત્રોના અધ્યયન માટે મનની રુચિ વધતી જાય તથા ગુરુનું અલભ્ય સાંનિધ્ય પ્રાપ્ત થાય. પછી અતિશય વ્યસ્ત લૌકિક જીવન હોય, કે જવાબદારીભર્યા કાર્યોની સતત પ્રવૃત્તિ હોય, તે છતાં મનમાં એકવાર સ્વયંને જાણવાની લગનીની ધારા વહેવાનું શરૂ થાય પછી તે અટકે નહિ, પણ સ્વને જાણવાની જિજ્ઞાસુ વૃત્તિ અગ્નિની જેમ પ્રજ્વલિત રહે. એવી લગનીમાં સાત્ત્વિક વિચારોનું સચન લાગણીથી કરતાં રહેવું જોઈએ, નહિ તો અહંકારી વૃત્તિના ડોકિયા થયાં કરશે, જે સ્વની સૂક્ષ્મતામાં મનને ઓતપ્રોત નહિ થવા દેશે. જેમ બાળકને જન્મ આપનાર જનેતાને નવ મહિના સુધી પોતાના બાળકને પ્રેમથી ઉછેરવાની લગની હોય છે અને એવી લગનીમાં અહંકારી વૃત્તિનો કચરો ન હોય, અર્થાત્‌ `નવ મહિના સુધી બાળકને મારા શરીરમાં ઉછેરીશ કે બાળકને જન્માવીશ', એવી અહમભાવની લાગણી માતામાં હોતી નથી.

         માતૃત્વ ભાવની લાગણીમાં તો પોતાના બાળકના ઉછેર માટે શું કરું અને શું ના કરું એવાં પ્રેમની ધારા સતત વહેતી રહે છે. માતાના પ્રેમમાં, વહાલમાં હંમેશા પોતાના બાળકને બધું જ અર્પણ કરવાની ભાવના હોય છે. આવી માતૃત્વભાવની લગની જગાડવા માટે કોઈ સ્ત્રી નિશાળમાં, કે કોચિંગ કલાસમાં શિક્ષણ લેવા જતી નથી. કોઈ પુસ્તકના વાંચનથી શબ્દોના સહારે માતૃત્વભાવની લગની જાગે નહિ. આ તથ્ય જો સમજાય તો ભક્તિભાવની જાગૃતિ આપમેળે થાય. આપમેળે થતી જાગૃતિના છોડ ટે પ્રેમાળ હકારાત્મક સ્વભાવ રૂપી પાણીનું સચન ખૂબ જરૂરી છે. એવાં સચન માટે સત્સંગ, શ્રવણ, અભ્યાસનો સહારો હોય તો એક માતા જેવી લાગણી સ્વયંને જાણવા માટે થશે. પછી પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલી હશે તો પણ લાગણીમાં, કે જિજ્ઞાસુભાવમાં ઓટ નહિ આવે. કારણ કોઈના કહેવાથી સ્વયંને જાણવાની લાગણી જાગી નથી, પણ અંતર પ્રેરણાથી, માતા-પિતાની સંસ્કારી કેળવણીથી જાગી હોવાંથી પ્રેમભાવની, ભક્તિભાવની નિ:સ્વાર્થતા ધારણ થતી જશે અને સ્થૂળ આકારિત જગત સાથે જોડાયેલી સૂક્ષ્મ સૃષ્ટિનું રહસ્ય પરખાતું જશે. (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સત્સંગ થકી મનનો મેલ કાઢવો શક્ય છે

મારું-તારું-પરાયુંની જેલમાં જે બંધાઈને રહે, તેનાં વધતાં જાય મનના મેલ;

         મેલ મનનાં કાઢવા પ્રભુ નામમાં મન ડૂબે, તો મન બને સદ્ભાવનો મહેલ;

         સદ્ભાવથી જે જીવે, તે જેલના બંધનમાંથી મુક્ત થાય અને મહેલની ભવ્યતા જણાતી જાય;

         મહેલની ભગવત્‌ સ્વરૂપની આત્મીયતા અનુભવાય

અને સાત્ત્વિક ગુણોનો શણગાર ધારણ થતો જાય.

 

         પ્રાણી કે પક્ષીને પણ પાંજરાની જેલ જેવી સ્થિતિ ગમતી નથી, તેમ કોઈ પણ માનવીને જેલમાં રહેવું ન ગમે. મહેલમાં રહેવાનું કોને ન ગમે? જો કેદખાનામાં રહીને જીવવાનું ગમતું નથી, તો મનને આપણે રાગ-દ્વેષની હું પદની બેડીમાં શું કામ બાંધી રાખીએ છીએ? મનનું બંધન એટલે જ હું પદની કાંટાળી વાડ. મન એમાં બંધાઈને રાગ-દ્વેષ-ઈર્ષ્યા-નદા-શંકા વગેરે નકારાત્મક વૃત્તિ-વિચારોના વર્તનમાં ફરતું રહીને, સ્વયંના સૂક્ષ્મ-વિશાળ સ્વરૂપથી અજાણ રહે છે. આ અજાણતા કે અજ્ઞાનતાના લીધે પોતે પાંચ કે છ ફૂટનું શરીર છે એવી માન્યતામાં મન જીવે છે. શરીરના સંગમાં રહીને પોતાને આકારિત માનીને, શરીરની જેવી ક્ષીણ થવાંની વિકારી વૃત્તિમાં મન વીંટળાયેલું રહે છે. એટલે એવાં વિચારોનાં વર્તનમાં રહીને પોતાના સાત્ત્વિક ગુણોના સ્વભાવને મન વિસરી જાય છે. જેમ જનમટીપની સજા ભોગવનાર કેદી, જેલના બંધિયાર વાતાવરણથી એટલો ટેવાઈ જાય, કે વૃદ્ધાવસ્થામાં એને જો જેલમાંથી છોડવામાં આવે, તો બહારની દુનિયામાં જીવવાનું એને ફાવતું નથી અને બહારની દુનિયાની કુદરતી પ્રકૃતિની વાતોને તે વીસરી ગયો હોવાંથી જેલના વાતાવરણનું કે જૂની આદતોનું જ સ્મરણ રહે છે; તેમ હું પદની જેલમાં રહેતાં મનને સોઽહમ્‌ ભાવનાં વર્તનથી જીવવાનું ફાવતું નથી, એટલે હુંનું સંકુચિત માનસ પોતાના સીમિત વિચારોના ફોટા પાડી એ ફોટાની ફ્રેમમાં જ બંધાઈને રહે છે.

         સોઽહમ્‌ ભાવનું મનનું વિશાળ માનસ જાગૃત ત્યારે થાય, જ્યારે માનવી અનુભવે કે અહંકારી અજ્ઞાની વૃત્તિના વર્તનમાં પોતે બંધાઈ ગયો છે અને એવા બંધનના લીધે જીવનમાં સુસંસ્કારી, પરોપકારી વર્તનની પ્રસન્નતા અનુભવાતી નથી. જ્યાં સુધી પ્રભુની ચેતનાનો સ્વીકાર ન થાય, ત્યાં સુધી મુક્ત સ્વરૂપની પ્રસન્નતા કે વિશાળતાને મન અનુભવી શકતું નથી. હું પ્રભુની ચેતનાનો જ અંશ છું. અજ્ઞાનમાં બંધાયેલા મનને સ્વયંના મુક્ત સ્વરૂપની સ્મૃતિ થાય, એવાં સાત્ત્વિક વિચારોના અનેક પદોનું આલેખન તેઓએ કર્યું છે. તેઓ દર્શાવે છે કે મનનો મેલ કાઢવો અશક્ય નથી. જેમ એક ખેડૂત ખેતરમાં આખો દિવસ કામ કરે, ત્યારે એનાં શરીરની ત્વચા પર માટીનો મેલ જામી જાય છે. પરંતુ પાણીથી સ્નાન કરતાં તે મેલ નીકળી જાય છે; તેમ સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરાવતું સ્નાન જો દિવસમાં એકવાર પણ થાય, તો ધીમે ધીમે અહંકારી વૃત્તિના મેલ નીકળતાં જાય. એવું નથી કે એકવાર પાણીનાં સ્નાનથી જેમ શરીરનો મેલ નીકળી જાય છે, તેમ અજ્ઞાની વૃત્તિના મેલ તરત નીકળી જાય. કારણ ભવોથી આ મેલ ભેગો થયો છે અને આ જનમમાં પણ ભેગો કર્યો. વળી જ્યારથી મનને સ્નાન કરાવતી સત્સંગની પ્રવૃત્તિ શરૂ થઈ, ત્યારથી મેલ સદંતર ન લાગે એવું વર્તન સહજ થતું નથી. અર્થાત્‌ જૂનાં કર્મસંસ્કારો કંઈ એક ઝાટકે વિલીન નથી થતાં. તેથી અભ્યાસ, અધ્યયન, મનોમંથન, ચતન વગેરે શુદ્ધિકરણની પ્રક્રિયામાં મનને તરબોળ રાખવું આવશ્યક છે.

 

         સોઽહમ્‌ ભાવ એ કોઈ તત્ત્વ નથી, એ તો મનની શુદ્ધ ભાવની સરિતા છે,

જેને મહાસાગરમાં ભળવાની તમન્ના છે;

         તે હું જ છું, એવો સોઽહમ્‌ ભાવ જાગે,

ત્યારે અનુભવાય નસેનસમાં ફરતાં લોહીમાં આત્મીય ચેતનાની પ્રીત;

         નિ:સ્વાર્થ ચેતનાની પ્રીત સર્વે આકૃતિના અણુએ અણુમાં સમાયેલી છે,

તેની પ્રતીતિ જેમ જેમ થાય;

         તેમ તેમ સોઽહમભાવ સ્વરૂપે,

આત્મીય ચેતનાની પ્રસન્નતાને કર્મ-ફળની પ્રક્રિયાથી મન માણતું જાય.

 

         સોઽહમ્‌ ભાવની જાગૃતિથી જીવન જિવાય, ત્યારે જ સંતોષ કે તૃપ્તિના રંગોથી મન રંગાતું જાય. અર્થાત્‌ પોતાના સ્વ સ્વરૂપના સાત્ત્વિક ગુણોની ભવ્યતાને સોઽહમ્‌ ભાવથી માણવા માટે મનને સાત્ત્વિક વિચારોના અધ્યયનનું સ્નાન કરાવતાં રહીશું, તો તન-મનના જોડાણની જીવંત સ્થિતિને જિવાડતી આત્મીય ચેતનાનો સ્વીકાર થતો જશે. હું દેહ નથી, દેહને જાણનારો, દેહને ધારણ કરનારો છું, એવી જાગૃતિ એ છે મનની શુદ્ધ સ્થિતિ, જે સ્વયંની સૂક્ષ્મતાથી, વિશાળતાથી પરિચિત થતી જાય અને દેહની પ્રકૃતિ-આકૃતિ સ્વરૂપે ચેતનાનું નિવેદન ગ્રહણ કરતી જાય. ચેતનાનું નિવેદન સોઽહમ્ભાવની જાગૃતિ સ્વરૂપે થાય ત્યારે સ્વયંની મુક્ત સ્થિતિનો આનંદ અનુભવાય. આવી સ્વાનુભૂતિની ઊંચાઈએ પહોંચવા માટે મક્કમતાથી, નિષ્ઠાપૂર્વક આરોહણ થવું જોઈએ. જેમ જન્મેલું બાળક તરત ખોરાક ખાઈ ન શકે, પણ માનું દૂધ પીતાં પીતાં મોટું થાય, પછી પ્રવાહી ખોરાક અપાય અને દાંતથી પોતે ચાવતાં શીખે પછી જ ખોરાક પચાવી શકાય; તેમ સ્વયંની જાણ કરાવતાં સાત્ત્વિક વિચારોનો પ્રથમ ભાવાર્થ સમજવો પડે. અભ્યાસની નિષ્ઠાથી, શાસ્ત્રોનાં સહારે સ્વથી પરિચિત થવું, તે છે પ્રવાહી ખોરાક લેવાની મનની નાના બાળક જેવી સ્થિતિ. પછી ધીમે ધીમે સ્વ પરિચિત મન સાત્ત્વિક વિચારોના ચતન રૂપી ખોરાકને વર્તન રૂપે પચાવી શકે, ત્યારે હું પદની સીમિત વૃત્તિઓ વિલીન થતી જાય. એવાં પોષણથી મનનો સોઽહમ્‌ ભાવ જાગૃત થાય અને અંતરની નિરાકારિત સૂક્ષ્મતાનો સ્વીકાર થતો જાય. તે પછી સ્વયંના મહેલની પ્રતીતિમાં ચેતનાનું સંવેદન જાગૃત થાય, ત્યારે મનનું મૌન થાય અને અંતરધ્યાનની સહેલ શરૂ થાય. તે સહેલની મુક્ત ગતિમાં આત્મીય ગુણોનું આચરણ ધારણ થાય, ત્યારે હું દેહ નથી, આત્મા છું, એવી સ્વાનુભૂતિમાં તરતાં રહેવાય. પછી સ્વંયની ભાળમાં સ્વયં ખોવાઈ જઈને એકરૂપ થવાય એવી અનંતયાત્રા થતી રહે. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
દિવ્ય પ્રેમ છે પુરાતન પ્રભુ સ્વરૂપ

હે પ્રભુ! આજે તો મને તારી નજરોમાં રાખજો, આંધી આવી છે પ્રેમની હૃદયમાં;

         છાંયડો તારો આપજો, નથી મારી આ સંસારી માંગણી, આ તો `મા'ગણીને માંગું છું;

         અંધારી રાત્રીએ નીકળ્યો છું, હૃદયમાં સ્વમય ચતનની જાગૃતિનો દીવો છે સાથમાં;

         જ્યોત પ્રજ્વલિત તે કરી, તારી યાદમાં ખોવાયેલો રાખે, કોને કહેવાય આત્મીય સંબંધની વાતો?

 

         પ્રભુ પ્રેમના સ્પંદનોને ભક્ત જ્યારે સ્વમય ચતનની એકાગ્રતાથી અનુભવતો જાય, ત્યારે એની તન-મનની ક્રિયાઓનું આમૂલ પરિવર્તન થતું જાય. કારણ પ્રેમના સ્પંદનો રૂપે ઊર્જાના વિશેષ તરંગો પ્રગટે. વિશેષ રૂપે ઊર્જા ધન પ્રગટે ત્યારે મનનાં વિચારોમાં પ્રસરી જાય ભાવની ધારા. હૃદયનો પ્રેમ ભાવ સ્વયંભૂ પ્રગટે છે અને તે અંતરની સૂક્ષ્મતામાં ઓતપ્રોત થઈ સ્વયંનું સંવેદન ઝીલે. સ્વયંનું સંવેદન ઝીલવું, એટલે હું ચેતના છું તેની પ્રતીતિ થવી. એવી પ્રતીતિના લીધે કાર્ય કરતી વખતે ચેતનાના દિવ્ય સ્પંદનો અનુભવાય. આમ દિવ્ય સ્પંદનોનું વિશેષ ઊર્જા ધન ધારણ થાય, ત્યારે પ્રેમના મ્યાનમાં રહીને મન પોતાના સ્વ સ્વરૂપના સંવેદનમાં ઓતપ્રોત થતું જાય. લૌકિક વ્યવહારમાં પ્રેમ શબ્દનો ઉચ્ચાર થાય, પ્રેમ વિશે વૃત્તાંત થાય, પણ અલૌકિક અંતર યાત્રામાં પ્રેમનું કદી વૃત્તાંત ન હોય. આપણાં સૌનું અસ્તિત્વ પ્રેમ સ્વરૂપનું જ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે જ પ્રેમાનંદ સ્વરૂપની આત્મીય ચેતના. તેથી જ દરેક માનવીને અથવા દરેક જીવને પ્રેમનો અનુભવ ગમે છે. જ્યાં સુધી મન એવું માને કે એને અમુક વ્યક્તિ કે વસ્તુની સંગમાં પ્રેમ મળે છે, ત્યાં સુધી સ્વયંના આત્મીય સ્વરૂપની પ્રતીતિ થતી નથી. માનવીનું મન અને ભક્તના મનનો એટલો જ તફાવત છે કે, ભક્ત કદી પ્રેમનું વકતવ્ય શબ્દોથી રજૂ ન કરે, પણ એનાં સાત્ત્વિક ભાવનાં પ્રેમાળ વર્તનથી પ્રેમના સ્પંદનો આપમેળે પ્રગટે અને માનવી મનનો પ્રેમ કોઈક વસ્તુ, વ્યક્તિ, કે પરિસ્થિતિના આધારે પ્રતિક્રિયા રૂપે પ્રગટે.

         પ્રેમના સ્વયંભૂ થતાં અનુભવનો દાખલો જો ગણવો હોય, તો પ્રથમ પ્રભુ સાથેની ઐક્યતાને જાણવાનો કે સમજવાનો અભ્યાસ કરવો પડે. એવાં અભ્યાસ રૂપે જીવનું સ્વરૂપ સમજાય અને માનવી જીવનની શ્રેષ્ઠતાનો સ્વીકાર થાય. `હું આકારિત દેહ નથી પણ આત્મીય ચેતના છું', એવી સમજના ઊંડાણમાં મન સૂક્ષ્મ સૃષ્ટિથી પરિચિત થતું જાય, તથા સ્થૂળ-સૂક્ષ્મ-સૃષ્ટિની આધારિત ક્રિયાઓનો ભાવાર્થ સમજાતો જાય. અભ્યાસ-અધ્યયનની પરિપક્વતામાં રૂઢિગત વિચારોનું મનનું સંકુચિત માનસ ઓગળતું જાય, પાઠ-પૂજાની કર્મકાંડની વિધિઓનું વળગણ છૂટતું જાય, મારું-તારું-પરાયુંના ભેદભાવ રૂપી સરવાળા ભૂલાતાં જાય. પછી સાત્ત્વિક ભાવની વૃદ્ધિ કરાવતો સ્વમય ચતન રૂપી ગુણાકાર થતો જાય. લૌકિક જીવનના સંબંધોમાં તથા પ્રકૃતિ જગત સાથેના આદાનપ્રદાનના સંબંધોમાં પ્રેમ ભાવનો સરવાળો થતો જાય. ભક્તની આવી સ્વમય અનુભવોની અંતર યાત્રાથી એનું મન પોતે જ પ્રેમનું મ્યાન બની જાય. પ્રેમ ભાવ રૂપી મ્યાન એટલે રાગદ્વેષાદિ અહંકારી વર્તન રહિત નિ:સ્વાર્થ પ્રેમનું આચરણ. એવાં ભક્તના સાંનિધ્યમાં પ્રેમની શાંતિ, પ્રેમની પ્રસન્નતા, કે પ્રેમની સૌજન્યતા અનુભવાય. કારણ અંતર ભક્તિ રૂપે થતાં અંતરધ્યાનની સ્થિરતામાં અજ્ઞાની, અહંકારી વૃત્તિઓનું આવરણ વિલીન થયું હોવાંથી, ભક્તમાંથી પ્રેમભાવના સ્પંદનો કોઈ પણ અવરોધ વગર પ્રસરતાં રહે છે.

         જ્ઞાની ભકતના પ્રેમાળ સાંનિધ્યની મહત્તાને જે જિજ્ઞાસુ સમજે, તેનાં મનની દિશા પ્રેમના સ્પંદનોથી બદલાતી જાય અને સ્વ સ્વરૂપની વાસ્તવિકતા એને સમજાતી જાય. તે જિજ્ઞાસુને પછી અંતર યાત્રાની લગની શિથિલ થતું જાય. જિજ્ઞાસુ મનની સ્વમય અંતર યાત્રાની પ્રબળ ઈચ્છાની પૂર્તિ રૂપે, જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં દિવ્ય પ્રેમના સ્પંદનોનું પાવન દાન ધારણ થાય. તે પાવન દાનથી જિજ્ઞાસુ મનના વિચારો પર પ્રેમનો પ્રકાશિત રંગ પુરાતો જાય. પ્રેમનો રંગ એટલે તૃપ્તિનો આનંદ. સામાન્ય રૂપે માનવીને લૌકિક જીવનમાં દિવ્ય પ્રેમનો અનુભવ થતો નથી. શિશુ અવસ્થામાં બાળકને માતા-પિતાના વહાલમાં તે દિવ્ય પ્રેમનો અનુભવ થાય છે, કારણ તે વખતે મનનું રાગ-દ્વેષના વિચારોનું અહંકારી વર્તન નથી.

         જ્ઞાની ભક્ત જેવાં ગુરુનું સાંનિધ્ય જો મળે, તો કુબેરનો ભંડાર પણ ઓછો કહેવાય. એવાં દિવ્ય પ્રેમના સ્પંદનોનું દાન ઝીલવા માટે, અથવા તે સ્પંદનોને ધારણ કરવા માટે જો મનમાં વિચારોનો ખળભળાટ ન હોય, તો સ્પંદનોની પૂર્તિથી મનોમન પ્રેમ વિહાતો જાય. એટલે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જો દુન્યવી ઈચ્છાઓની માંગણી વગર, સંસારી મુશ્કેલીઓને દૂર કરવાની ઈચ્છા વગર સત્સંગ રૂપે રહેવાય તો મનમાં સાત્ત્વિક ભાવની કૂંપળો આપમેળે પ્રગટતી જાય. જિજ્ઞાસુ મનને પછી સત્-અસત્નો ભેદ સમજાય અને તન-મનનાં જીવન રૂપે સ્વયંના પ્રેમાનંદ સ્વરૂપને ભોગવવાનો કે માણવાનો આશય પરખાય. પછી આશય પૂરો કરાવતી જાગૃતિનું જીવન જિવાય, ત્યારે સંસારી ભોગની માંગણીઓ ઓછી થાય અને સાત્ત્વિક ભોગ રૂપે સાત્ત્વિક વિચારોના ભાવાર્થની સૂક્ષ્મ સમજ ધારણ થતી જાય. દુન્યવી ભોગ પછી પ્રભુ પ્રેમની છાયાથી ભોગવાય એટલે સંસારી ભોગની ઈચ્છાઓ ઓછી થતી જાય અને સાત્ત્વિક ભાવની જાગૃતિમાં પ્રેમની દિવ્યતા અનુભવાતી જાય.

        

         જાગો તો જાગૃતિમાં અનુભવાશે પ્રેમનાં સ્પંદનો, તે કરાવશે કર્તવ્ય અકર્તા ભાવથી પ્રભુ નામનાં;

         પ્રેમની જાગૃતિમાં પરોવાય પ્રેમની પ્રકૃતિ, જે બનાવે મનને પ્રેમની અલૌકિક ઝોળી;

         તે ગીત ગાય પ્રભુ પ્રેમનાં, તે ગીત રૂપે પ્રભુ પ્રેમ વિહાય અને પ્રભુ પ્રેમ પુરાય;

         એ પ્રેમની પુરાંત કોઈ દી નીકળશે નહિ, દિવ્ય પ્રેમ છે પુરાતન સ્વરૂપનું પ્રભુનું ધન. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
મનમાં પ્રગટાવો ભક્તિનું બીજ

ભગવત્‌ ભાવની ચેતના કહો, કે ઊર્જા શક્તિનો પ્રાણ કહો, કે પ્રભુ શક્તિ કહો, જે પણ સાંપ્રદાયિક ધર્મનું અનુસરણ કરનારા લોકો છે, તેઓ આ ભાવભીની શક્તિને વિવિધ નામથી સંબોધે છે. સંબોધન મહત્ત્વનું નથી, પણ તે પરમ શક્તિની ચેતનાના પ્રભાવને જાણવો તથા જાણીને એની દિવ્યતાને માણવા માટે એનાં સાત્ત્વિક સદ્ગુણોને પરમાર્થી કર્મની ક્રિયાથી પ્રગટાવવા તે જ મહત્ત્વનું છે. એવાં પરમાર્થી કર્મને જ ધર્મનું આચરણ કહેવાય. ધર્મ એટલે જે સાત્ત્વિક ગુણોની ચેતનાને ધારણ કરી છે, તેના પરમાર્થી મર્મને કર્મ સ્વરૂપે પ્રગટ કરવો. પરમાર્થી કર્મ રૂપે ભગવત્‌ ભાવની ચેતનાના ગુણો જે મન દ્વારા પ્રગટે, તે છે ભક્ત સ્વરૂપનું વર્તન. મનનું એવું ભક્ત સ્વરૂપ આત્મીય ચેતનાના આશ્રયે રહીને સ્વાનુભૂતિની અંતર યાત્રા કરે, તેને કહેવાય અંતર ભક્તિનું સદાચરણ. આમ ભક્તનો હૃદયભાવ પરમાર્થી કર્મ કરે, એટલે કે અકર્તાભાવથી કર્મ કરવાના પ્રયત્નમાં એનો સમર્પણભાવ જાગૃત થતો જાય. આમ મનની સ્વયંને જાણવાની અંતર યાત્રા અકર્તાભાવથી થતી જાય. એટલે પ્રારબ્ધગત કર્મ કરતાં કરતાં જ સ્વયંનો પરિચય થાય એવું ભક્તિભાવનું આચરણ આપમેળે ધારણ થતું જાય. એવાં આચરણથી જીવને જ્યાં સ્થિત થવાનું છે, તે આત્મ સ્થિત અંતર જીવન જીવી શકાય.

 

         મનમાં બીજ પ્રગટાવો ભક્તિનું, જે જિજ્ઞાસુ વૃત્તિને જગાડી સ્વ જ્ઞાનમાં તરાવશે;

         ભગવત્‌ ભાવની શક્તિનું જ્ઞાન પ્રાણમાં છે, તે જ્ઞાનમાં તરવા કરો આત્મ નિવેદન ભક્તિ;

         વિવેકી દૃષ્ટિના મનોમંથનથી સ્વમય ચતન થાય, તે છે માનવીનું ભૂમિ પરનું ખરું રટણ;

         સ્વ જ્ઞાનની ભક્તિ રૂપે અંતરગમન થાય, પછી અંતર ભક્તિ રૂપે દિવ્ય ગુણો પ્રકાશિત થાય.

 

         સૌને એટલી તો જાણ હોય છે કે કોઈક શક્તિ છે ભીતરમાં, જેનાં લીધે જીવન જિવાય છે. તેને જાણવાનો પુરુષાર્થ થાય, ત્યારે સમજાય કે આત્મીય ચેતનાનો ગુણિયલ પ્રભાવ છે, જે સૃષ્ટિની વિવિધ કૃતિઓ રૂપે અભિવ્યક્ત થાય છે. તે દિવ્ય ચેતનાની ઊર્જા શક્તિને જોવાની નથી પણ એની ગુણિયલ પ્રતિભાને અનુભવવાની છે. એવાં અનુભવ રૂપે મનનું સંકુચિત અહંકારી માનસ વિલીન થતું જાય અને સાત્ત્વિકભાવની જાગૃતિ થાય. ચેતનાનો પ્રભાવ જાણવા માટે આપણાં દેહના અંગોની પ્રક્રિયાનો જો ભાવાર્થ ગ્રહણ થાય તો અહંકારી માનસની જડતા ઘટતી જશે. કારણ અંગેઅંગની ક્રમબદ્ધ થતી પ્રક્રિયાનો સારાંશ જ્યારે સમજાય, ત્યારે મનની અહમ્‌ વૃત્તિને પોતાની પામરતાનો અહેસાસ થાય છે. જેમકે લોહીની અખંડ ગતિની ક્રિયા વિશે અલ્પ પ્રમાણમાં પણ જો સમજાય, તો મન આશ્ચર્યભાવમાં ધ્યાનસ્થ થઈ જશે. લોહીની ક્રિયા વિશે પૂર્ણ રૂપે સમજી શકાય એમ નથી. છતાં વૈજ્ઞાનિક જ્ઞાનના સહારે સમજવામાં આશ્ચર્ય થશે કે `આટલી વિશાળ સ્વરૂપની ક્રિયાઓ મારા શરીરમાં થાય છે છતાં તે વિશાળતાને હું અનુભવી શકતો નથી અને મારું-તારુંના રાગ-દ્વેષથી દેહની સમર્પણભાવથી થતી પ્રક્રિયામાં અવરોધક બનું છું!'

         પ્રભુએ કોઈ પણ ભેદભાવ વગર માનવ શરીરની રચના કરી છે. અર્થાત્‌ દરેકના શરીરમાં પ્રાણ શક્તિના સત્ત્વને લોહી પ્રસરાવે છે. રાય-રંકના ભેદભાવ વગર શ્વાસ રૂપે પ્રાપ્ત થતું પ્રાણનું સત્ત્વ ફેફસા દ્વારા ઝીલીને લોહી પૂર્ણ દેહમાં પ્રસરાવે છે. લોહીની આ સતત થતી ક્રિયામાં કોઈ આડંબર નથી, કે પ્રભુનું સત્ત્વ ઝીલવાનો અહંકાર પણ નથી. માનવ દેહમાં લોહીના પરિવહનનો પ્રવાસ માર્ગ લગભગ એક લાખ બાર હજાર કિલોમીટર જેટલો છે. આટલો પ્રવાસ લોહી માત્ર ૬૦ સેક્નડમાં જ પસાર કરે છે. અર્થાત્‌ પ્રાણનું સત્ત્વ ધારણ કરેલું શુદ્ધ લોહી આખા શરીરમાં એક મિનિટમાં ફરીને શરીરના બીજા અંગો પાસેથી મેળવેલી અશુદ્ધિ  સાથે પાછું હૃદયમાં આવે. લોહીમાં ઉમેરાયેલી તે અશુદ્ધિ પછી મૂત્રપડની ક્રિયાથી શરીરમાંથી બહાર નીકળી જાય અને અશુદ્ધિથી મુક્ત થયેલું લોહી પાછું ફેફસા પાસે જઈ પ્રભુનું સત્ત્વ ધારણ કરીને શરીરના અંગોને અર્પણ કરી દે. આ બધી ક્રિયામાં મનનો પુરુષાર્થ નથી, પણ ભગવત્‌ ભાવની ચેતનાનું એટલે કે ઊર્જા શક્તિનું સંચાલન છે.

         અખંડ ક્રિયાનું આવું સંચાલન જાણીને જે મનની અહમ્‌ વૃત્તિ નમે, તે છે ભક્તનું સ્વરૂપ. ભજન-કીર્તન ગાય એટલું સીમિત વર્તન ભક્તનું ન હોય. એ તો ભગવત્‌ ભાવની ચેતનાનાં સાત્ત્વિક ગુણોને પ્રગટાવતી જ્ઞાતા વૃત્તિનું આસન છે. જ્ઞાતા વૃત્તિનું ભક્તિભાવનું આચરણ એટલું મુશ્કેલ નથી. માનવીને તે મુશ્કેલ લાગે છે કારણ સ્વયંને જાણવાની, કે સ્વયંની ગુણિયલતાને અનુભવવાની તરસ જાગતી નથી. જ્ઞાતા વૃત્તિને ખીલવવા માટે સદ્વિચારોનું અધ્યયન જરૂરી છે. અધ્યયનને જીવનમાં અગ્ર સ્થાને રાખીએ તો મનનો સાત્ત્વિકભાવ જાગૃત થાય. ભાવની જાગૃતિથી જ સ્વયંને અનુભવવાની અંતર યાત્રા થઈ શકે. એટલે જિજ્ઞાસુ ભક્ત તન-મનની ક્રિયાનો ભાવાર્થ તથા પ્રકૃતિમાં થતી સર્જન-વિસર્જનની ક્રિયાનો સંદર્ભ સમજવાનો પુરુષાર્થ કરે. જેથી પ્રભુની ચેતનવંત ઊર્જાથી થતી ક્રિયાઓને જાણીને અહમ્‌ વૃત્તિનું સમર્પણ થાય અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ સાત્ત્વિકભાવથી થતી જાય. સાત્ત્વિકભાવની જાગૃતિ કરાવતાં આ અક્ષર શબ્દોમાં સ્નાન કરીએ.

 

         મનની અંદરના માહ્યરામાં રોજ રોજ ડોકિયાં કરો અને પૂછજો કે આ તું કોણ છે?

         અંગોની વિવિધ પ્રક્રિયા સતત થાય છે, ઊંઘતા કે જાગતાં કોણ કરે છે આ નોકરી?

         માનવી રૂપે જન્મ લીધો, પણ શ્વાસ અંદર અને બહાર કાઢતાં કોણ આવી શીખવાડે છે?

         આંખોમાં તેજ પૂરી અંધારામાં દેખાડે, કોણ છે આ અંધકાર અને પ્રકાશનો અધિપતિ?

         જીભના સ્વાદ રોજ બદલાય છતાં જૂનાની યાદ ત્વરિત આપે, કોણ છે આ સ્વાદ ધરનાર?

         વિશાળતાના આવા વિચારો મન જો કરતું રહે, તો સ્વ આવી સ્વયં આપશે ઓળખાણ. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More