Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
...ત્યારે મન ચોખ્ખું થાય

માનવ આકારના બાળકનો જ્યારે જન્મ થયો, ત્યારે એનું મન ચોખ્ખાથી પણ ચોખ્ખું હતું;

પછી અંદર સ્વાર્થનો કચરો ભર્યો, જે પહેલા કાચો હતો અને ઉંમર વધતાં તે પાકી ગયો;

એ પાકો થઈ પાક્કો વધ્યો અને પાકાં ગૂમડાંની માફક રાગ-દ્વેષનું પરુ એમાં ભરાતું ગયું;

એ રાગ-દ્વેષનું ગૂમડું ફાટ્યું, ત્યારે મન ચોખ્ખું થયું અને અંતર ગમનમાં સ્થિત થયું.

 

         પરમાત્માએ દરેક માનવીને મન રૂપી વાહનની શ્રેષ્ઠતા અર્પી છે, જેથી લૌકિક જીવનને ભોગવી શકે અને અંતરની સ્વાનુભૂતિનો આનંદ માણી શકે. એટલે પુણ્યશાળી જીવ હોય તે જ સ્વયંને જાણવાની અંતર યાત્રા કરી શકે, એવું ભેદભાવનું સર્જન પરમાત્માએ નથી કર્યું. તેથી દરેક માનવી અંતર યાત્રા કરી શકે છે. પરંતુ અંતર યાત્રા માટે સ્વયંને જાણવાની જિજ્ઞાસા માનવીમાં સહજ જાગૃત થતી નથી. ઘણીવાર જિજ્ઞાસા જાગે તો તર્ક-વિતર્ક સાથે સાબિતીના આગ્રહથી માત્ર ચર્ચા કરવાનું મનને ગમે છે. મનની વાહન જેવી શ્રેષ્ઠતાનો જો સ્વીકાર થાય, તો વાહનનો ઉપભોગ ઉચિત દિશામાં પ્રયાણ કરાવી શકે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે શાકભાજી, ફળ, દૂધ વગેરે ખાદ્ય સામગ્રીને લાંબો સમય સાચવવા માટે ફ્રીજનું ઉપયોગી સાધન છે. દાગીના કે વસ્ત્રો મૂકવા માટે આપણે ફ્રીજનો ઉપયોગ નથી કરતાં. એ જ રીતે મનનો ઉપયોગ રાગ-દ્વેષના અહંકારી વિચારોનો સંગ્રહ કરવા માટે નથી કરવાનો. પરંતુ સાત્ત્વિક વિચારોના અધ્યયનથી, સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરવા માટે મનનું વાહન પ્રાપ્ત થયું છે. તેથી અજ્ઞાની મનની અહંકારી સ્વભાવની અશુદ્ધતા રૂપી ગૂમડાંઓથી મુક્ત થવા માટે મન દ્વારા મનથી પરિચિત કરાવતું શ્રવણ, અધ્યયન, વાંચન, ચિંતન કરવું જરૂરી છે. સ્વ પરિચય રૂપે પોતાના સ્વભાવની નબળાઈઓ જણાશે, ત્યારે રાગ-દ્વેષાત્મક વર્તન રૂપી પરુ મનમાં ઓછું ભરાશે અને વિનય-વિવેકીભાવથી વ્યવહારિક જીવન જિવાશે.

         જેમ પાણીને હાથમાં લાંબો સમય સુધી ઝાલી ન રખાય, કે મુઠ્ઠીમાં બાંધી ન શકાય; તેમ મનને પણ આખો વખત શ્રવણ-અધ્યયનની સત્સંગની પ્રવૃત્તિમાં બાંધી ન શકાય. મનને કદી એકની એક પ્રવૃત્તિમાં બંધાવું ગમતું નથી, એટલે સત્સંગમાં એકાગ્ર થતું નથી. જો પ્રવૃત્તિનો આધાર મુક્ત રૂપે મળે તો પ્રવૃત્તિમાં  મન સહજતાથી એકાગ્ર થાય છે. મોટેભાગે માનવીને અમુક પ્રવૃત્તિઓ ફરજના બંધનથી કરવી પડે છે. સત્સંગની પ્રવૃત્તિ તરફ શરીરની વય વધતા મૃત્યુના ભયથી માનવી ઢળે છે. એવાં સત્સંગીઓને વારંવાર અમુક નીતિ-નિયમોના પાલન વિશે જણાવવું પડે છે. કારણ તેઓનું મન પરાણે સત્સંગની પ્રવૃત્તિને સ્વીકારે છે. તેથી જ્યાં સુધી સ્વયંને જાણવાના દૃઢ સંકલ્પથી મનની જિજ્ઞાસુ વૃત્તિ જાગૃત થતી નથી, ત્યાં સુધી સત્સંગની પ્રવૃત્તિના નીતિ-નિયમોથી મનને કેળવવું પડે છે. સત્સંગની પ્રવૃત્તિઓમાં યાંત્રિકતા ન પ્રવેશે, તે માટે મનોમન સજાગ રહેવું જોઈએ. મનની સજાગતા હોય તો પ્રવૃત્તિના પુનરાવર્તનમાં નવું નવું જાણવાની જિજ્ઞાસા જાગે છે. જિજ્ઞાસુભાવની એવી સજાગતા કે જાગૃતિ જાગે, પછી દેહધારી જીવંત સ્થિતિનો હેતુ સિદ્ધ કરાવતી અંતર યાત્રા થતી જાય.

         સ્વયંને જાણવાની અંતર યાત્રા રૂપે સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન જો ગતિમાન થઈ શકે, તો મનની વાહન સ્વરૂપની શ્રેષ્ઠતાનો અનુભવ થાય. એવું મન કદી એકની એક સંસારી વાતોમાં, કે એકના એક સાત્ત્વિક વિચારોના રટણમાં બંધાયેલું રહેતું નથી. કારણ જિજ્ઞાસુ મન સાત્ત્વિક વિચારોના સ્વમય ચિંતનથી, સ્વયંના આત્મ સ્વરૂપની સાત્ત્વિકતાથી, દિવ્યતાથી, અનંતતાથી પરિચિત થતું જાય છે. તે એકના એક સાત્ત્વિક વિચાર રૂપી વહેણને પકડી રાખતો નથી, પણ વિચાર રૂપી નદીના વહેણમાં સ્વમય ચિંતનથી તરતો રહે છે. સાત્ત્વિક વિચારો રૂપી ગંગા નદીમાં જે નવાં નવાં ભાવ રૂપી વહેણ સાથે ચિંતન રૂપે તરે; તે છે મનનું ભક્ત સ્વરૂપ. ભક્ત એટલે જ સાત્ત્વિક ભાવની જાગૃતિ. જે સ્વયંને જણાવતી સ્વાનુભૂતિની અંતર યાત્રામાં લીન રહે. ભક્ત સદ્વિચારોના ભાવાર્થને ગ્રહણ કરતો જાય, એટલે ભાવાર્થ રૂપે તરતો જાય અને સ્વાનુભૂતિના કિનારે સ્થિત થતો જાય. સામાન્ય રૂપે રાગ-દ્વેષના ભેદભાવમાં વ્યસ્ત રહેતાં મનને અલૌકિક સદ્વિચારોમાં તરવાનું ફાવતું નથી. એવાં મનને સત્સંગ, અભ્યાસ, ચિંતન, ભક્તિ કે ધ્યાન વગેરેમાં એકાગ્ર થવાનું મુશ્કેલ લાગે છે, એટલે આધ્યાત્મિક સૂક્ષ્મ સમજ સહજતાથી ગ્રહણ થતી નથી.

         મન જ્યાં સુધી આકારોને સર્જાવતી નિરાકારિત ઊર્જાની ચેતનાને સ્વીકારતું નથી, ત્યાં સુધી તે પોતે આકારિત દેહ છે એવી અજ્ઞાનતામાં જીવે છે અને દુન્યવી ઉપભોગમાં બંધાયેલું રહે છે. ભક્ત સ્વરૂપની સાત્ત્વિકભાવની જાગૃતિ એટલે જ રાગ-દ્વેષના અહંકારી સ્વભાવ રૂપી ગૂમડાંનું ફાટવું. અજ્ઞાની, અહંકારી સ્વભાવની ભૂલોથી મન જાણકાર થતું જાય, ત્યારે જિજ્ઞાસુ ભાવની દૃઢતા વધતી જાય. પછી તન-મનના જીવનની શ્રેષ્ઠતા અનુભવાય. મન એટલે જ અંત:કરણ, જે બુદ્ધિ, ચિત્ત, હૃદયભાવ રૂપે વર્તે છે. તર્ક-વિતર્કથી ઈચ્છાપૂર્તિના વિચારો થાય, તે છે મનનું સામાન્ય વર્તન. જ્યારે કોઈ ચોક્કસ નિર્ણય કરી, તે અનુસાર વર્તે, તે છે મનનું બુદ્ધિ સ્વરૂપ અને મક્કમ વિચારોના નિર્ણયથી કાર્ય એકાગ્રતાથી, દૃઢતાથી થાય, તે છે મનની ચિત્ત સ્વરૂપની સ્થિરતા. મનની આવી સ્થિરતા જ્યારે સ્વયંને જણાવતી ભાવની નિ:સ્વાર્થતાને ધારણ કરે, તે છે હૃદયભાવની જાગૃતિ. ભક્ત આવી સાત્ત્વિકભાવની જાગૃતિથી અંતર યાત્રામાં એકરૂપ થઈ સ્વાનુભૂતિનો આનંદ માણે છે.

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
ભાર્યા વૃત્તિના ભાવથી મૂકો સર્વસ્વ પ્રભુમાં

ભાવનાના શિખરે પહોચવા ખોદો હૃદયના ખૂણે ખૂણાં,

હૃદય છે ભાવનું સરોવર, ખૂણે ખૂણેથી પ્રગટે ચેતનાના ઝરણાં;

સાત્ત્વિક વિચારોના સ્ફુરણને પ્રગટાવે ચેતનાના ઝરણાં,

ત્યારે સૂક્ષ્મ સમજથી ઊભરાય હૃદયનું સરોવર;

નિ:સ્વાર્થ પ્રેમના ભાવને જગાડવા સમજો સૂક્ષ્મ સૃષ્ટિની વિશાળતા

અને ભાર્યા વૃત્તિના ભાવથી મૂકો સર્વસ્વ પ્રભુમાં;

પ્રભુ નામમાં તરબોળ થઈ આત્મીયભાવનો તાર જ્વલંત કરો,

વિદ્વત્તાને વિયોગ આપી વિશાળતાની યોગ્યતા સમજો.

 

શ્રેષ્ઠ ભક્તોએ પ્રાચીન કાળથી આપણી ભારત ભૂમિ પર ભક્તિના સ્પંદનો વહેતા મૂક્યાં છે. ભક્તો દ્વારા પ્રભુ નામની મહત્તાનું સુદર્શન થતાં, માનવી મનને સ્વયંની હસ્તીની ઓળખ કરાવતા રાહનું માર્ગદર્શન મળ્યું છે. ભક્તિ એટલે જ સ્વયંના આત્મ સ્વરૂપથી જાણકાર થઈ, આત્માના સાત્ત્વિક ગુણોની જાગૃતિને ધારણ કરવી. એવી જાગૃતિનું જીવન એટલે જ જ્ઞાન-ભક્તિનું સદાચરણ. ભક્તિ અને જ્ઞાન, એવી બે જુદી દિશા નથી. ભક્તિ એટલે જ જ્ઞાન અને જ્ઞાન એટલે જ ભક્તિ, તથા જ્ઞાન-ભક્તિનું સદાચરણ એટલે જ અકર્તાભાવની કે સમર્પણભાવની જાગૃતિ. સ્વયંની ઓળખ કરાવતી, સ્વયંની ગુણિયલ પ્રતિભાનો અનુભવ કરાવતી અંતર યાત્રામાં જુદી જુદી દિશા નથી. પરંતુ અંતરના સૂક્ષ્મ સ્તરોના વિહાર સ્વરૂપે મન જેમ જેમ સ્વયંથી જાણકાર થતું જાય, તેમ તેમ હૃદયભાવની નિર્મળતા પ્રગટતી જાય. મનનું નિ:સ્વાર્થભાવનું સ્વરૂપ જ સ્વયંના અનુભવની સ્વાનુભૂતિમાં સ્થિત થઈ શકે છે. એટલે મનને સાત્ત્વિક વિચારોના ચિંતનમાં, પ્રભુ નામના કીર્તનમાં જિજ્ઞાસુભાવથી તરતું રાખીએ, તો હૃદયભાવની નિર્મળતા જાગૃત થાય. ભાવની નિર્મળતાને સૌએ અનુભવી છે. શિશુ અવસ્થામાં રાગ-દ્વેષવાળાં મનના વિચારો ન હોય, પણ લાગણી, પ્રેમની ભાવભીની ધારા વહેતી હોય. એવી ભાવની ધારાનો ઉછેર માતા-પિતાના પ્રેમથી થયો, પરંતુ બાળપણની વિદાયમાં ભાવની નિર્મળતા ઓછી થતી ગઈ અને શિશુ અવસ્થામાં અનુભવેલાં પ્રેમભાવની ધારામાં ઝબોળાઈ જવા માટે, બાહ્ય જગતના ઈન્દ્રિયગમ્ય વિષયો પાછળ માનવી દોડતો રહ્યો. વિષય ભોગની એવી દોડ જો રાગ-દ્વેષના ભેદભાવ વગર થાય, તો ભાવ જાગૃત થઈ શકે.

         મનનું વાહન હૃદયભાવનું સરોવર ત્યારે બને, જ્યારે માનવ દેહનો મહિમા સમજાય તથા પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતું ચિંતન થાય. માનવ દેહનો મહિમા સમજાય તો અનુભવાય કે, સર્વત્ર પ્રભુની ચેતનાનું પ્રસરણ ઊર્જા સ્વરૂપે હોવાંથી, જીવંત સ્થિતિ રૂપે દરેક કૃતિઓ જીવે છે. શરીરમાં સતત થતી વિવિધ અંગોની ક્રિયાનો મહિમા જણાતાં, પ્રભુની ચેતનાની પ્રત્યક્ષ હાજરીનો સ્વીકાર થાય અને મન અહોભાવથી છલકાતું જાય. સૂક્ષ્મ સમજ પછી ગ્રહણ થતી જાય કે, પાણીનું પ્રવાહી સ્વરૂપ જેમ સંગઠિત થઈને બરફનો આકાર ધારણ કરે છે; તેમ ઊર્જાની ચેતનાના પ્રકાશિત વહેણ સંગઠિત થતાં, આકારિત કૃતિઓનું રૂપ પ્રદર્શિત થાય છે. ઊર્જાની ચેતનાના વહેણ જીવકોશની સૂક્ષ્મ કૃતિ રૂપે સ્વયંભૂ પ્રદર્શિત થાય છે અને અનેક જીવકોશના સંગઠનથી માનવ આકારના શરીરની રચના થાય છે. આ નિરાકારિત ઊર્જાનું આકારિત કૃતિ સ્વરૂપે પ્રદર્શિત થવું, એ માત્ર શબ્દોનાં આધારે જાણવાથી મનની રાગ-દ્વેષની વૃત્તિઓ, કે કર્તાભાવનો અહંકાર ઓગળશે નહિ. તેથી મનને પ્રભુ નામમાં સ્થિત કરાવતાં સ્વમય ચિંતનમાં ઓતપ્રોત કરવું પડે. સૂક્ષ્મ ક્રિયાઓનાં જ્ઞાનમાં મન જો અહોભાવથી તરતું રહે, તો હૃદયભાવનું સરોવર મન બની જાય. એકવાર પ્રયત્ન થાય પોતાના શરીરના કોઈ પણ અંગની ક્રિયાને જાણવાનો, તો વૈજ્ઞાનિક જ્ઞાનના આધારે એટલું તો સમજાય કે શરીરની ભીતરમાં થતી ક્રિયાઓ ઊર્જાની આત્મીય ચેતનાની હાજરીના લીધે સતત થતી રહે છે. એવી જાણ રૂપે મનનો અહંકારી સ્વભાવ પીગળતો જશે અને પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતી અંતર યાત્રા તરફ મન ઢળતું જશે. અહંકારી વૃત્તિઓ પીગળે, પછી ભાર્યાભાવ જાગૃત થાય.

         ભાર્યા એટલે પત્ની. એક પત્ની જેમ પોતાનું સર્વસ્વ પતિને ભાવથી અર્પે છે; તેમ ભક્ત સર્વસ્વ એટલે કે પોતાની ઈચ્છાઓ, લાગણીઓ, અપેક્ષાઓ, સિદ્ધાંતો અર્થાત્ ભૂત-ભવિષ્યના વિચારોવાળું મન સમર્પી દે છે પ્રભુનામનાં સ્વમય ચિંતનમાં. એવો ભક્ત સમર્પણભાવથી, અકર્તાભાવથી કર્મ કરતો રહે. મનનું આવું ભાર્યાભાવ રૂપે સમર્પણ થાય, ત્યારે સ્વયંની આત્મીય ચેતનાની સ્વાનુભૂતિ કરાવતાં ચેતનાના ઝરણાં પ્રગટતાં જાય. એવાં ઝરણાંનું પ્રાગટ્ય સાત્ત્વિક વિચારોને પ્રગટાવે, તથા ભાવની ધારાના સ્પંદનોનો અનુભવ કરાવે, ત્યારે ચેતનાના સાત્ત્વિક ગુણોની પ્રતિભા ભક્તના વર્તન રૂપે પ્રગટતી જાય, તેને કહેવાય જ્ઞાન ભક્તિનું સદાચરણ. ભક્તિના સદાચરણથી આત્મ સ્વરૂપની ઐક્યતામાં એકરૂપ થવાય અને સ્વયંની આત્મીય ગુણોની સાત્ત્વિકતા વિચાર-વર્તન રૂપે પ્રકાશિત થતી જાય.

         આમ ભાર્યા વૃત્તિની જાગૃતિમાં ચેતનાની ગુણિયલ સંપત્તિનો ભોગ સમર્પણભાવથી ભક્ત કરે છે. જ્ઞાની ભક્તના સમર્પણભાવનું ઊંડાણ સમજવા માટે જળની સાત્ત્વિક ક્રિયાને સમજીએ. જળના વહેણ જ્યાં પણ વહે, ત્યાં એનો કોઈ સ્વીકાર કરે કે ન કરે, એનો હર્ષ કે શોક જળને ન હોય. એને એવી ચિંતા પણ ન હોય કે, સંસ્કારી કે અસંસ્કારી જીવ એનો કેવા પ્રકારનો ઉપભોગ કરશે. માનવીઓ જળની ધારામાં અશુદ્ધિને, ગંદકીને વહેતી મૂકે, તો પણ તે અશુદ્ધિને ઓગાળી દઈ પોતાનું સંપૂર્ણ સત્ત્વ સમર્પિત કર્યા કરે છે, એ જ રીતે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જે પણ આવે. જેવી જેની અંતર યાત્રાની જિજ્ઞાસા, તે પ્રમાણે સાત્ત્વિક ગુણોનું ધન ભક્તિ રૂપે સમર્પિત થતું રહે. જ્ઞાની ભક્ત કદી વિચારે નહિ કે મારે પ્રભુનું ધન અર્પણ કરવું છે. કારણ એની અવિચારિત ભાવની સ્થિતિ હોય છે. અવિચારિત ભાવનું સરોવર છલકાય, ત્યારે આત્મીય ચેતનાના સાત્ત્વિક ગુણોના ઝરણાં સ્વયંભૂ ઝરતાં જાય અને જિજ્ઞાસુ પાત્રને જ્ઞાન-ભક્તિના સદાચરણનું પોષણ મળતું જાય. એવા પોષણના અર્પણની સૂક્ષ્મ ક્રિયામાં ન હોય રાગ-દ્વેષ કે વિદ્વત્તાનો અહમ્, હોય માત્ર ભાર્યા ભાવનું સમર્પણ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પામર મનની અજ્ઞાનતા સંસારી ઢાળમાં ઢળતી રહે

સદાચરણના શિખરે પહોંચવાની નેમ હોય,

તે જ સાત્ત્વિક ભાવને પ્રસરાવતું પ્રભુમય જીવન જીવે;

પામર મનની અજ્ઞાનતા સંસારી ઢાળમાં ઢળતી રહે, એટલે ભક્તિ ભાવથી શિખરે ચઢવાનું ટાળે;

જિજ્ઞાસુ ભક્તની જેમ પ્રભુ મિલનની આશ જગાડે, પણ આરોહણના પુરુષાર્થથી દૂર ભાગે;

મંદિરમાં જઈ સંસારી ઈચ્છા પૂર્તિની પ્રાર્થના કરે, પણ મિલનની આગ ન જગાડે.

 

         મનથી વિવેકપૂર્વક વિચારવાની અને બુદ્ધિથી સમજપૂર્વક નિર્ણય લેવાની કળાનું દાન, પ્રભુને અર્પણ કરીને માનવીને શ્રેષ્ઠ કક્ષાની પદવી ધરી છે. પ્રભુએ આ અમૂલ્ય પદવી દાન અર્પણ કરીને, બીજી જાતિના દેહધારી જીવોથી ઉચ્ચ સ્તરની સ્થિતિ આપણને અર્પી છે. એવી ઉચ્ચ સ્થિતિનું દાન ધરીને દરેક માનવ સ્વરૂપની કૃતિઓનું પ્રભુએ સન્માન કર્યું છે. એવા સન્માનયુક્ત ખિતાબનાં લીધે જ આપણે લૌકિક જીવનના વ્યવહારિક કાર્યો કરી શકીએ છીએ તથા દરેક પ્રકારના સંબંધો સાથે જોડાઈને જીવંત જીવનને માણી શકીએ છીએ. નિશાળ-કોલેજમાં ભણીને શિક્ષિત થયાં અને ભણતરની જે પદવી મેળવી શક્યાં, તે પણ પ્રભુએ અર્પણ કરેલાં પદવી દાનના લીધે જ મેળવી શક્યાં. એક વિદ્યાર્થી ભણતરની ઉચ્ચ કક્ષાની પદવી માટે અભ્યાસનો પુરુષાર્થ કરે છે, તથા અમુક શાખાના ભણવાના વિષયોની વિશેષતા જાણ્યાં પછી જ મહાવિદ્યાલયમાં જઈ તેનું શિક્ષણ લેવાનો પુરુષાર્થ કરે છે. એટલે જ ડોક્ટર, સી.એ., એન્જિનીયર વગેરે જે પણ વિષયની પદવી જેણે મેળવી, તેની પાસે તે ભણેલાં વિષયોનું જ્ઞાન હોય છે. આમ મેળવેલી પદવીના આધારે દરેક વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર, સુખ સગવડયુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. ભણતરની પદવીનો હોદ્દો મેળવ્યાં પછી તે હોદ્દાને અનુરૂપ નોકરી ધંધાના કાર્યો થાય અને તેનાં વળતર રૂપે રૂપિયાની કમાણી થતી જાય. તે રૂપિયાથી કુટુંબની અન્ન, ઘર, વસ્ત્ર કે શિક્ષણની મૂળભૂત જરૂરિયાત પૂરી થાય તથા પરિવારના સભ્યોની પાલનપોષણ કરાવતી ઈચ્છાઓ પૂરી થાય.

         પ્રભુએ અર્પણ કરેલાં પદવી દાનથી આપણે માનવી કહેવાયા અને તે પદવી દાનના સહારે શિક્ષિત થઈ ભણતરની પદવી મેળવી શક્યાં. મહાવિદ્યાલયના શિક્ષણની જે પદવી મેળવે, તે માનવીને પદવીનું જ્ઞાન હોય, પરંતુ પ્રભુએ અર્પણ કરેલી પદવીનું જ્ઞાન જેની પાસે હોય, તેને કહેવાય જ્ઞાની ભક્ત. જેમ ભણતરની પદવીનો દરજ્જો મેળવીને રૂપિયાની કમાણી કરવાના કાર્યો થાય, તેમ ભક્ત મન-બુદ્ધિની તે પદવીનો જે દરજ્જો મેળવ્યો છે, તે અનુસાર સદાચરણના શિખરે પહોંચવાનો પુરુષાર્થ કરે. સાત્ત્વિક વિચારોના ચિંતનથી જિજ્ઞાસુ ભક્ત તન-મનના માનવી જીવનની મહત્તાને વિશેષ રૂપે જાણવાનો પ્રયત્ન કરે. એવી વિશેષ જાણકારી રૂપે જ્ઞાન-ભક્તિના સત્સંગથી મનના આસનને વિશાળ કરતો જાય. માનવી પોતે મનને વિશાળ કરી ન શકે, પરંતુ સત્સંગ, અધ્યયન, સ્વજ્ઞાન રૂપે વિશાળતાના સાત્ત્વિક વિચારોમાં વિહાર થતાં, રાગ-દ્વેષાત્મક સંકુચિત માનસ ઓગળતું જાય. સંકુચિત માનસની અજ્ઞાનતા ઓગળે, ત્યારે હૃદયભાવની, માનવતાની, પરોપકારની, સમાધાનની ગુણિયલતા પ્રગટતી જાય. અર્થાત્ ભક્ત પ્રભુએ અર્પણ કરેલી પદવીના સહયોગથી, સાત્ત્વિક ગુણોના સદાચરણની કમાણી કરતો જાય. એવી કમાણીથી તે સ્વયંના આત્મ સ્વરૂપની દિવ્યતાનો, શાશ્ર્વતતાનો અનુભવ કરાવતી અંતર યાત્રા કરતો જાય. સ્વયંને જાણવાની એટલે કે સ્વાનુભૂતિની અંતરયાત્રા થાય, ત્યારે પ્રભુએ અર્પણ કરેલાં પદવી દાનનો યથાર્થ રૂપે સદુપયોગ થાય.

                 કોઈકવાર વિચારવું જોઈએ કે પ્રભુએ અર્પણ કરેલી પદવીની જો પ્રાપ્તિ ન થઈ હોત, તો અત્યારે જે પ્રકારનું માનવી જીવન જીવીએ છીએ તેના બદલે પશુ જેવું જીવન હોત. આજકાલ મગજની બિમારીઓ વધતી જાય છે. પ્રૌઢ ઉંમરે સ્મરણ શક્તિ ઓછી થવી એ તો સામાન્ય કહેવાય, પણ વસ્તુ, વ્યક્તિની ઓળખાણ ભૂલી જવાય, એવી મગજની અસાધ્ય બિમારી જેને થઈ હોય, તેઓને મળીએ ત્યારે પ્રભુએ અર્પણ કરેલી પદવીની મહત્તા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનવી મોટેભાગે પ્રાપ્ત થયેલી પરિસ્થિતિની મહત્તાને જાણવાનો પ્રયત્ન નથી કરતો. પરંતુ તે પરિસ્થિતિમાં ઉણપ શોધવાનો, ખામી જોવાનો પ્રયત્ન કરશે. એવાં નકારાત્મક સ્વભાવના લીધે જે પણ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય, તેનો સંતોષપૂર્વક ઉપભોગ મન કરી શકતું નથી. એવું અસંતોષી મન દરેકના દોષ જોવાનો પ્રયત્ન કરે છે. પોતે બીજાથી હોંશિયાર છે, વધુ બુદ્ધિશાળી છે, એવું માનીને નકારાત્મક સ્વભાવથી દોષ દર્શન કરવામાં તે સંતોષ અનુભવે છે. કદાચ અહંકારી સ્વભાવની દોષિત મનોવૃત્તિવાળા પાસે બીજાના દોષ દર્શન કરવાનો ફાજલ સમય હશે! પણ તેઓ એક હકીકત ભૂલી જાય છે કે, વર્તમાનમાં જેવાં વિચાર-વર્તનની ક્રિયા થાય, તે અનુસાર ભવિષ્યની પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. તેથી માનવી પોતાના વર્તનથી જ ભવિષ્યની પ્રતિકૂળ પરિસ્થિતિને મેળવે છે.

                 દોષ જોવાની, બીજાને નિમ્ન કક્ષાના ગણવાની, બીજાની સારી પરિસ્થિતિને વખોડવાની, મનને એકવાર ટેવ પડી જાય, પછી તે ટેવ અનુસારના નકારાત્મક વિચારોની અસર શરીર પર થાય છે. શરીરના અંગોની ક્રિયા પ્રૌઢ ઉંમરે શિથિલ થવાનું કારણ છે પોતાનો નકારાત્મક અહંકારી સ્વભાવ. પ્રભુની આત્મીય ચેતનાના આધારે જીવન જીવાય છે તે સત્યનો મહિમા જાણ્યાં વગર જે જીવે છે, તેઓ તનની બિમારી કરતાં મનની  બિમારીથી પિડાય છે. તનની બિમારી કરતાં મનની બિમારી બધુ જીવલેણ હોય છે. કારણ ખોટ, ઉણપના વિચારો જ્યાં હોય, ત્યાં ભય સાથે ચિંતાનો કુંડ મન બની જાય અને ચિંતા કરતું મન કદી પ્રભુના ચિંતનમાં લીન થઈ ન શકે. જેમ એક એન્જિનીયર થયેલો માનવી જો કમાણી ન કરી શકે અને ભીખ માંગે, તો એણે મેળવેલી પદવીનું અપમાન થયું કહેવાય; તેમ પ્રભુમય સાત્ત્વિક જીવન જીવવાનો જો પુરુષાર્થ ન થાય, તો પ્રભુએ અર્પણ કરેલી પદવીનું અપમાન થયું કહેવાય. મનની પદવીથી સાત્ત્વિક ભાવને જાગૃત કરાવતું, માનવી સ્વરૂપની શોભા વધારતું, તથા આત્મીય ચેતનાનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ પ્રગટાવતું, જ્ઞાની ભક્ત જેવું પરમાર્થી જીવન જીવીએ. જેથી મનુષ્ય જન્મની સિદ્ધિ સાર્થક થાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સાત્ત્વિકભાવની જાગૃતિ

સંસારી વિચારોની ભેદભાવની પ્રકૃતિનો પહાડ ઓળંગવા માટે, જ્ઞાન-ભક્તિથી મનને કેળવો;

ગત વિચારોમાં આળોટવાનું છોડીને, સ્વ અધ્યયનની બુદ્ધિને નિષ્કામભાવથી ધારણ કરો;

દરેક જીવને સાત્ત્વિક ભાવનું જીવન જિવાડવા માટે,

આત્મ સ્વરૂપે પ્રભુ તો જન્મથી સાથે જ રહ્યાં છે;

અંતર જ્યોત પ્રગટાવતું સાત્ત્વિક જીવન જે જીવે, તેનો સારથિ પ્રભુ બની આત્મ સ્થિત કરાવે.

 

         સંસારના લૌકિક વિચારો એટલે આકારિત જગતની અનેક પ્રકારની પરિસ્થિતિના વિચારો. એવાં વિચારો રૂપે વસ્તુ કે પદાર્થની આકૃતિઓ સાથેનાં તથા વ્યક્તિ સાથેનાં પરસ્પર વ્યવહારનું વર્તન હોય. માનવી મન એવાં વ્યવહારની પ્રક્રિયામાં બંધાયેલું રહે છે. તે પ્રક્રિયાઓ કરવા માટે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં સંસ્કારો મનને પ્રેરે છે. અર્થાત્ ઈચ્છાવૃત્તિની કારણભૂત સ્થિતિના લીધે વિચાર-વર્તનના કાર્યોમાં મન વીંટળાતું રહે છે. લૌકિક વિચારોની આવી માનસિક પ્રકૃતિથી મુક્ત થવાં માટે, જિજ્ઞાસુ ભક્ત અલૌકિક સાત્ત્વિક વિચારોમાં, મનને સ્થિત કરવાનો પુરુષાર્થ કરતો રહે છે. ગતના (ભૂતકાળના) સંસારી વિચારોમાં આળોટવાની મનને સહજ ટેવ પડી ગઈ હોય છે. તેથી સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજાવતાં અધ્યયન માટે પુરુષાર્થ કરવો પડે છે. પરંતુ અમુક મર્યાદિત સમયના અધ્યયનથી, કે સત્સંગથી ગતમાં આળોટવાની ટેવથી મુક્ત થવાતું નથી. ભવોનાં કર્મસંસ્કારોની વૃત્તિઓ મનમાં સ્થપાયેલી છે. તે વૃત્તિઓનાં તાર કાપી ન શકાય. કારણ અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓ જ્યારે તૃપ્તિ માટે વિચાર-વર્તનની પ્રક્રિયામાં ફેરવાય, ત્યારે સ્વયંથી અજાણ રહેતી મનની અજ્ઞાનતાનાં લીધે, બીજી નવીન ઈચ્છાઓનાં તાર ગૂંથાતા રહે છે. જેમ કે અજ્ઞાની મન પોતાને દેહ માને છે, એટલે ઈન્દ્રિયગમ્ય વિષયોનાં ભોગમાં જ આનંદ કે સુખ છે, એવી માન્યતાથી એક ઈચ્છાપૂર્તિની પ્રક્રિયામાં બીજી નવી ઈચ્છાઓ જનમતી રહે છે. આ ક્ષણે મનપસંદ ખાદ્ય પદાર્થનો ભોગ મન કરતું હોય, ત્યારે સ્વાદનો આનંદ ક્ષણ-બેક્ષણ માણે અને ભવિષ્યમાં ફરીવાર તેનો ભોગ કરવાની ઈચ્છાના તાર મનમાં ગૂંથાતાં રહે છે.

         આમ અવનવી ઈચ્છાવૃત્તિઓનાં તાર ગૂંથાતા જ રહે છે. તેથી જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક આચરણની મહત્તાને સ્વીકારી, સ્વ અધ્યયનનો પુરુષાર્થ કરે છે. એવાં પુરુષાર્થ રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ થાય, ત્યારે મન અકર્તાભાવમાં સ્થિત થતું જાય. મનને જેમ જેમ સ્વયંના આત્મ સ્વરૂપની ઓળખ થાય, તથા પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીની સર્વેમાં પ્રતીતિ કરાવતું સત્ દર્શન ધારણ થાય, તેમ તેમ હું કર્તા નથી, કરાવનાર પ્રભુની ચેતનાથી કર્મની ક્રિયાઓ થાય છે એવી અકર્તાભાવની જાગૃતિ ધારણ થતી જાય. પરંતુ તે માટે નિષ્ઠાપૂર્વક દૃઢ સંકલ્પથી સ્વ અધ્યયનમાં મનને સ્થિત રાખવું જોઈએ. શરણભાવથી, નિષ્કામભાવથી, અધ્યયન થતું જાય અને સંસારી વિચારોની નિરર્થકતા સમજાતી જાય. પછી નકામના રાગ-દ્વેષાત્મક સંસારી વિચારોમાં આળોટવાનું ઓછું થતું જશે. સાત્ત્વિકભાવની જાગૃતિ રૂપે પછી મનનો ગુણિયલ પ્રભાવ વ્યવહારિક કાર્યોની ક્રિયામાં પ્રદર્શિત થાય. મનની ગુણિયલ તેજસ્વીતા પ્રગટે, ત્યારે રાગ-દ્વેષાત્મક ભેદભાવમાં આળોટવાનું ભૂલાતું જાય અને પ્રેમની નિ:સ્વાર્થ ધારા સહજતાથી વિચાર-વર્તનમાં પ્રગટતી જાય. જિજ્ઞાસુ ભક્તની વિવેકી મનોદૃષ્ટિને સમજાતું જાય કે, જીવંત જીવન નિ:સ્વાર્થ પ્રેમથી જ માણી શકાય છે. મન પ્રેમાનંદને અનુભવવા માટે ઝૂરે છે. એટલે જ્યાં પ્રેમાનંદની ખોટ હોય, ત્યાં સ્વાર્થ, લોભ, ઈર્ષ્યા વગેરે નકારાત્મક વિચારોની હાજરી રહે છે. જે માનવીને અપ્રાપ્તિનો, અતૃપ્તિનો, અસંતોષનો અનુભવ કરાવે છે.

         નકારાત્મક વિચારોના રાગ-દ્વેષમાં બંધાયેલા મનને હંમેશા કોઈ પણ પરસ્થિતિની પ્રાપ્તિમાં ઉણપ લાગે, ખોટ લાગે. એવું મન સારું-ખરાબ કે હલકાં પ્રકારનું છે એવાં ભેદથી પ્રાપ્ત થયેલાં ભોગને ભોગવે છે. તેથી સંતોષ કે પ્રેમનો અનુભવ પૂર્ણ રૂપે થતો નથી. અપૂર્ણતાની એવી અતૃપ્તિના લીધે મન વારંવાર આકારિત પદાર્થોના ભોગનો જ વિચાર કરતું રહે છે. એટલે સંસારી ભોગની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ જે મન કરતું રહે, તેને સત્સંગનો કે અધ્યયનનો પુરુષાર્થ કરવાનું મુશ્કેલ લાગે છે. એવાં મનને બળપૂર્વક અધ્યયનમાં સ્થિત કરી ન શકાય. પરંતુ પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે દેહની જીવંત સ્થિતિ છે, એ સત્યનો સ્વીકાર જો થાય તો મન અધ્યયન તરફ ઢળતું જાય. સંસારી મનને પ્રભુની ચેતના વિશે સમજાવવાનું ન હોય, પણ ચેતનાની હાજરી સર્વેમાં શ્ર્વાસ રૂપે છે તે સત્યની પ્રતીતિ કરાવવી જોઈએ. એવી પ્રતીતિમાં મન ઝબોળાઈ જાય, પછી સત્યનો સ્વીકાર ન હોય પણ મન સ્વયં તે સત્યના દર્શનમાં પરોવાઈ જાય.

         જે શાશ્ર્વત સત્ય છે તેનો સ્વીકસાર તર્કબદ્ધ વિચારોથી ન થઈ શકે. તે માટે પ્રતીતિ કરવાની, અનુભવ કરવાની મનની તત્પરતા જરૂરી છે. તત્પર મન સત્યને જાણવાનો મોકળાશથી પુરુષાર્થ કરે છે અને પુરુષાર્થની સજ્જતા અનુભવના દ્વાર ખોલી, સત્યનું દર્શન ધારણ કરાવે છે. મનની તત્પરતા જ્યાં હોય, ત્યાં સત્ય જાણવાની ઉત્સુકતા હોય, સત્યની વાસ્તવિકતાને ગ્રહણ કરવાનો ઉમંગ હોય, તથા સત્યનું દર્શન કરાવતાં સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાની તૈયારી હોય. તેથી સત્યનો અનુભવ કરતી વખતે સંસારી વિચારોમાં આળોટવાનું ભૂલીને, તત્પર મન સહજતાથી સત્ દર્શનમાં લીન થાય છે. એવું તત્પર મન પોતાનાં દેહમાં થતી પ્રક્રિયાઓ રૂપે પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરતું રહે. પ્રતીતિ રૂપે અનુભવાય કે, દેહના અંગો બંધનમાં નથી, તેઓ તો ચેતનાની મુક્ત ગતિના સાંનિધ્યમાં રહીને પોતાની ક્રિયા સતત કરતાં રહે છે. જીભ મોઢાની કેદમાં બંધાયેલી છે એવું દેખાય, પણ ચેતનાની દિવ્ય પ્રીતના સાંનિધ્યને તે માણે છે, એટલે તો શબ્દોની બોલીનો ઉચ્ચાર થઈ શકે છે, અન્નનો સ્વાદ ગ્રહણ થાય છે અને ગ્રહણ થયેલાં અન્નનું પોષણ ધારણ થઈ શકે, તે માટે દાંતોથી ચવાતાં અન્નને ફેરવતી રહે છે, તથા ચવાયેલાં અન્ન રૂપી ધનને પ્રેમભાવથી અન્નનળીને અર્પી દે છે. આમ એક એક અવયવની અને ઈન્દ્રિયોની પ્રક્રિયા દિવ્ય પ્રીતની ચેતનાનાં સાંનિધ્યમાં થાય છે. એ સત્યના દર્શનથી જિજ્ઞાસુ ભક્ત સ્વમય અધ્યયનમાં સ્થિત થઈને જીવંત જીવનને માણે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
આત્માની પાંખો આત્માને લઈને પ્રકાશમાં ભળી જશે

પ્રારબ્ધગત સંસારી જીવનમાં જો સ્વયંને જાણવાની તરસ જાગે,

તો કર્મસંસ્કારોથી મુક્ત થવાનો રાહ શોધાય;

ખોવાયેલી વસ્તુને શોધી શકાય પણ સાત્ત્વિક વિચારોના રાહને શોધી ન શકાય,

એ રાહ મન બની જાય;

એવું સ્વયંનું સત્ દર્શન મનોમન જો ધારણ થાય,

તો સંસારી વિચારોનો ઢાળ આપમેળે બદલાતો જાય;

સાત્ત્વિક વિચારોના ચિંતન રૂપે પછી રાહનું દર્શન મન બની જાય,

ત્યારે સ્વ સ્વરૂપની ભાળ મળતી જાય.

 

         પ્રભુની આત્મીય ચેતના રૂપી સાગરના આધારે સર્વે દેહધારી કૃતિઓ જન્મે છે અને જન્મીને એમાં જ તરે છે. તેથી માનવીને દેહધારી જીવન જીવવા માટેની, ઊર્જાની ચેતનાને મેળવવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. આ દિવ્ય ચેતનાનું ઊર્જા પ્રસરણ સ્વયંભૂ ચેતના પોતે જ કરે છે. જેમ ગંગા નદીના વહેણને વહેવા માટે, પાણીનું પોતાનું જ ગતિમાન સ્વરૂપ છે. ગંગા જળના વહેણને વહેવા માટે બીજી કોઈ સ્થિતિનો આધાર લેવો પડતો નથી; તેમ દેહધારી જીવંત જીવન જિવાડનાર પ્રભુની ચેતનાનો શ્ર્વાસ રૂપે પાન કરવાનો પુરુષાર્થ કોઈને કરવો પડતો નથી, કે બીજાનો આધાર લેવો પડતો નથી. અર્થાત્ પ્રભુની આત્મીય ચેતનાનો ઊર્જા સ્ત્રોત, સર્વેને સર્વે કાળે, સ્વયંભૂ સતત પ્રાપ્ત થયાં કરે છે. એવી પ્રાપ્તિની વિના મૂલ્યે અર્પણ થતી શ્ર્વાસની ધારાના લીધે દરેક દેહધારી જીવ સહજતાથી જીવે છે. જ્યાં સહજતા હોય ત્યાં જ્ઞાનેન્દ્રિયથી, કે કર્મેન્દ્રિયથી થતી ક્રિયાઓનો કર્તાભાવ ન હોય. કારણ સૌને વિદિત છે કે શ્ર્વાસની ચેતનાને કોઈ ફેકટરીમાં બનાવી શકાય એમ નથી, કે રૂપિયા ખર્ચીને મેળવી શકાય એમ નથી. એટલે જે સ્થિતિની પ્રાપ્તિ માટે મનથી પુરુષાર્થ થઈ શકે એમ નથી, તે સ્થિતિ માટે કર્તાભાવ, કે માલિકીભાવ ઉદ્ભવતો નથી. વળી સત્ય હકીકત એવી છે કે, માનવીને મોટેભાગે સ્મરણ જ થતું નથી કે તે શ્ર્વાસ લે છે. કારણ જે ક્રિયામાં મનનો પુરુષાર્થ ન હોય, તેનું સ્મરણ મનમાં સ્થપાતું નથી. એટલે જ પ્રભુ સ્મરણ કરવાનો માનવીને પુરુષાર્થ કરવો પડે છે!

         પ્રભુની ચેતનાના આધારે આ પ્રકૃતિ જગત છે અને પોતાની જીવંત હસ્તી છે, એ વાસ્તવિકતાને ગ્રહણ કરવા માટે ચિંતનનો, સત્સંગનો, શ્રવણ કરવાનો પુરુષાર્થ કરવો પડે, તેને કહેવાય માનવીનું મન અને ભક્તનું મન એટલે વહી જતી સરિતાનાં વહેણ. તે પ્રભુની ચેતનાને દરેક પરિસ્થિતિમાં અનુભવે અને ચેતના છે તો હું છું, એવાં શરણભાવથી આત્મીય ચેતનાની પ્રતીતિ કરતો રહે, તે છે સત્ સંગનું સદાચરણ. એવાં સત્ સંગ રૂપે સ્વયંની ઓળખ થાય અને પ્રભુ સાથેની ઐક્યતાથી પરિચિત થતાં જવાય. મન જો જિજ્ઞાસુભાવથી ભક્તની જેમ ચેતનાના સત્ દર્શનમાં ઓતપ્રોત થાય, તો રાગ-દ્વેષાત્મક વર્તનમાં ફરવાનું ઓછું થતું જાય. સ્વભાવનું સાત્ત્વિક આચરણ રૂપે પરિવર્તન થવું એટલું સરળ નથી. તેથી જ્ઞાન-ભક્તિના સત્સંગમાં મનને વારંવાર સ્નાન કરાવીએ, તો સત્ દર્શન ધારણ કરાવતો શરણભાવ જાગૃત થાય. સત્ દર્શન રૂપે જીવંત જીવનનો મહિમા સમજાય, હેતુ જણાય અને સ્વ સ્વરૂપનો, એટલે કે પ્રભુની આત્મીય ચેતનાનો ભાવાર્થ ગ્રહણ થાય. જ્ઞાન-ભક્તિના સત્સંગથી ભાવાર્થ સમજાય, છતાં સ્વભાવનું પરિવર્તન ઝટ થતું નથી. કારણ ભવોના લૌકિક કર્મસંસ્કારો મનમાં સ્થપાયેલાં છે. તે કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં ડોકિયાં સત્સંગ વખતે, અધ્યયન કરતી વખતે, કે સ્વમય ચિંતન કરતી વખતે થાય, ત્યારે તે અતૃપ્ત વૃત્તિઓના વિચાર વર્તનમાં આપમેળે મન વીંટળાઈ જાય છે. જે સાત્ત્વિક વિચારોના ચિંતનની ધારાને અટકાવી દે છે.

         સંસારી વિચારોના ડોકિયાં જિજ્ઞાસુ ભક્તની ચિંતનની યાત્રાને અસ્થિર કરે છે. તેથી ઘણીવાર પ્રારબ્ધગત પ્રતિકૂળ સંજોગોમાં જિજ્ઞાસુ મન નિરાશ થઈ વિહ્વળ થાય. એવી વિહ્વળતામાં સ્વયંને જાણવાની, સ્વ અનુભૂતિમાં સ્થિત થવાંની તરસ છૂપાયેલી હોય છે. તે તરસને તૃપ્તિ મળે એવાં સ્વમય ચિંતનનાં વહેણ સહજ વહેતાં રહે, તે માટે જિજ્ઞાસુ મન પશ્ર્ચાત્તાપૂર્વક પ્રભુને પ્રાર્થના કરતું રહે કે, ‘હે પ્રભુ! હું એકરાર કરું છું કે અહંકારી સ્વભાવની અજ્ઞાનતાના લીધે આપના સ્મરણમાં મારું મન પ્રેમભાવથી સ્થિત થતું ન્હોતું. પરંતુ જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપી સ્નાનથી હવે સત્યનું દર્શન સ્પષ્ટ થાય છે. હું જાણું છું કે પ્રારબ્ધગત સંસારી જીવનની રચના મેં જ કરી છે. મન અને આત્મ સ્વરૂપની અભિન્નતાને જાણ્યાં વગર ભવોથી લૌકિક જીવન જીવવાની ઈચ્છાથી જન્મ-મૃત્યુની આવનજાવનમાં ફરતો રહ્યો. સ્વયંથી અજ્ઞાત રહ્યો, એટલે દુન્યવી ભોગને રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવથી ભોગવતો રહ્યો. એવા ભોગમાં તૃપ્તિ ન મળી, એટલે બીજી અનેક અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારો વધતાં ગયાં. મારો અજ્ઞાની અહંકારી સ્વભાવ જ મારા કર્મસંસ્કારોનો રચયિતા છે. અજ્ઞાનવશ હું પોતે દેહ છું એવી માન્યતાથી જીવતો હતો. તેથી દેહ સાથેનાં વ્યક્તિગત સંબંધને, કે વ્યવહારિક પરિસ્તિતિના સંબંધોને માલિકીભાવથી, મારું-તારું-પરાયુંના ભેદભાવતી ભોગવતો રહ્યો અને ખુદ ઈર્ષ્યાની, મોહની, લોભની આગમાં બળતો રહ્યો..!

         ..સગાં-સ્વજનોના દેહના મૃત્યુનો ભાવાર્થ જાણવાનો મેં પ્રયત્ન કર્યો નહિ કે, હું દેહ નથી તો હું કોણ છું! પરંતુ હવે એટલું તો સજાય છે કે, હું દેહમાં નિવાસ કરું છું અને હું એટલે જ કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનો સમૂહ. તે વૃત્તિઓ જ વિચાર-વર્તનથી તૃપ્તિ અનુભવવા માટે માનવ દેહનો આધાર લે છે. કારણ માનવ દેહની તમે ઉત્કૃષ્ટ રચના કરી છે. દસ ઈન્દ્રિયો અને મગજની વિશેષ ભેટ અર્પણ કરી છે. તે ભેટથી સ્વયંને ભેટવાનું છે તે હવે સમજાયું. તેથી નિષ્કામ પ્રેમભાવની જાગૃતિ ધારણ થાય, એવાં સ્વમય ચિંતનમાં સ્થિત થવાંનો પુરુષાર્થ કરું છું. પરંતુ હે પ્રભુ! પ્રતિકૂળ ઘટનાઓમાં મારા મનની સ્થિરતા અસ્થિર થઈ જાય છે. તેથી હૃદયભાવની ઊર્મિથી આપને વિનંતિ કરું છું કે અંતર સ્થિત થવાંનો મને રાહ દર્શાવો. નહિ તો દેહના મૃત્યુ પછી દેહની માટી પંચમહાભૂતોમાં ભળી જશે અને દેહ વગરની સ્થિતિમાં આત્મીય ચેતનાનો સહારો ન મળતાં અતૃપ્ત કર્મસંસ્કારો ભટકતાં રહેશે. પછી તે સંસ્કારો બીજો માનવ જન્મ લેશે. મારે પુન: લૌકિક જીવનમાં બંધાવું પડશે. એટલે કૃપા કરી મુજને સત્ દર્શનમાં ઓતપ્રોત કરી, નિષ્કામ હૃદયભાવની જાગૃતિથી સ્વ અનુભૂતિની અંતર યાત્રામાં સ્થિત કરો.

 

 રાહ દેખાડો, રાહ દેખાડો, રાહ ન જોવાય પળવાર, કાઢું દિવસ રોઈ રોઈ;

 રાખો નહિ તો રાખમાં મળી ક્યાંથી શોધશું, રક્ષા કરો ને રાહ દેખાડો, મારે આપમાં ભળવું;

 રોવું નથી સહેવું નથી આ સંસારની દાહ આગવી,

આવવું છે તારી પાસ પ્રભુ, જ્યોતિ સહારો લઈ;

 માટીની હાંડી ને માટીની કુંડી માટીમાં ભળી જશે,

 આત્માની પાંખો આત્માને લઈને, પ્રકાશમાં ભળી જશે;

 ઉદ્ધાર કરજો આ આત્માનો મને રાહ દેખાડતાં જાવ,

મને રોતો નહિ તમે રાખતાં, મને રાહ દેખાડતાં જાવ.’

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
મનની શ્રેષ્ઠ આસનની પ્રાપ્તિ

સામાન્ય રૂપે માનવીને અમુક રૂઢિગત રીત-રિવાજોના કાર્ય કરવાનું ગમે છે. કારણ રૂઢિગત કાર્યોમાં બુદ્ધિનો ઉપયોગ ઓછો હોય છે. બુદ્ધિનો જ્યાં ઉપયોગ હોય ત્યાં સમજપૂર્વકનો પુરુષાર્થ કરવો પડે. તેથી જ રોજિંદા કાર્યો કરવાની જૂની રીતને બદલવાનું માનવીને ગમતું નથી. અર્થાત્ માનવીનું મન અમુક માન્યતાઓમાં બંધાયેલું રહે છે. મોટેભાગે સૌ જાણે છે કે જે જન્મે છે, તેનું એક દિવસ મૃત્યુ નિશ્ર્ચિત છે. છતાં મૃત્યુની ઘટનાને સૌ અશુભ માને છે અને જન્મની ઘટનાને સુખદ માને છે. વાસ્તવમાં જન્મ-મૃત્યુની ઘટનાથી સુખ કે દુ:ખ ઉત્પન્ન થતું નથી. સુખનો અનુભવ કે દુ:ખની પીડાનો અનુભવ મન કરે છે. એવી સમજ ત્યારે ખીલે, જ્યારે સમજાય કે શરીર જન્મે છે અને શરીરમાં મનનો નિવાસ છે અને તેને પ્રભુની આત્મીય ચેતનાનો આધાર છે. આ સત્ય સમજાતું નથી એટલે અમુક માન્યતાઓમાં બંધાઈને માનવી જીવે છે. પોતાની સીમિત સમજથી સારી-ખરાબ ઘટનાઓનાં વિભાગ પાડીને, લૌકિક જીવનની ઘટમાળમાં મન ફરતું રહે છે. સીમિત સમજ એટલે અમુક હદ સુધીની મનની સમજ શક્તિ ખીલી હોય. જેમકે આ ક્ષણે જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તિ હાથમાં છે અને આ લેખના શબ્દોનું વાંચન થાય છે. વાંચન ત્યારે જ શક્ય થાય જ્યારે આ શબ્દોનાં ચિત્રોને આંખો જુએ અને મગજથી તેની સમજ ગ્રહણ થાય. તેની સાથમાં જ અખંડ ગતિથી ફરતા લોહીનો પુરવઠો મગજને સતત મળે છે, તેથી આ શબ્દોની સમજ ગ્રહણ થાય છે. આ રીતે તન-મનથી થતાં દરેક કાર્યો પ્રભુની ચેતનાના આધારે થાય છે. એવી બુદ્ધિગમ્ય સમજમાં સીમિત સમજની સીમા છોડીને, મનની સૂક્ષ્મ સમજની તીક્ષ્ણતા ખીલતી જાય છે.

         આમ છતાં સૂક્ષ્મ સમજ દ્વારા પણ તે ચેતનાની ક્રિયા વિશે પૂર્ણતાથી જાણકારી મેળવી શકાય એમ નથી. વૈજ્ઞાનિક જ્ઞાનથી મગજની ક્રિયા વિશે જેટલું જણાય તે અનુસાર મગજની અમુક બીમારીના ઉપચારનો ઉકેલ મળે. પરંતુ મગજમાં ક્ષણેક્ષણે થતી ક્રિયાઓ વિશે પૂર્ણતાથી જાણી શકાય એમ નથી. અર્થાત્ લૌકિક સ્તરે કોઈ પણ શાખાનું જ્ઞાન માનવી મેળવે તે સીમિત જ રહેવાનું. સો વરસ પહેલાં ટેલીફોન વિશેનું જે જ્ઞાન હતું, તે આજના સ્માર્ટ ફોનની શોધથી ઘણું સીમિત કહેવાય. જેમ સો વરસ પહેલાંનું જ્ઞાન આજે સીમિત લાગે છે; તેમ સો વરસ પછી આજનું જ્ઞાન સીમિત લાગશે. તેથી મનને સીમિત સમજની અમુક માન્યતાઓની ગ્રંથિમાં કે રીત-રિવાજોની રૂઢિમાં બાંધી રાખવું ઉચિત નથી. એટલે જ ભક્ત દરેક કાર્યમાં મન-બુદ્ધિને પાણીના વહેણની જેમ વહેતાં રાખે. તે કોઈ માન્યતાઓમાં મનને બાંધે નહિ. કારણ અંતર યાત્રા અનંત સ્વરૂપની છે. યાત્રા રૂપે સ્વ જ્ઞાનના અણગીન તાત્ત્વિક સ્તરોની અનુભૂતિ થાય. આજે જે સ્વ અનુભૂતિ થઈ તેની સૂક્ષ્મ સમજમાં મનને બાંધી ન રાખે. એટલે કે આત્મ સ્વરૂપની અનુભૂતિને માત્ર અનુભવ રૂપે ધારણ નથી કરવાની. પરંતુ સ્વ અનુભૂતિ રૂપે આત્મીય ચેતનાનું જે પ્રભુત્વ પ્રકાશિત થયું તે હું જ છું,એવી એકરૂપતામાં સ્થિત થવાય તો જ યાત્રા થતી રહે, નહિ તો અનુભૂતિ સ્વરૂપનું પ્રકાશન અને અનુભૂતિ કરનાર હું, એવી બે સ્થિતિ રહે તો અંતર યાત્રાની ઉન્નતિમાં સ્થિત ન થવાય.

         એકમની અંતર યાત્રા માટે ભક્ત પોતાના સ્વ સ્વરૂપનું સ્મરણ મનથી નથી કરતો. પરંતુ સ્મરણ રૂપે લૌકિક મનોવૃત્તિઓનું મરણ થાય અને સ્વ સ્વરૂપની સ્મૃતિ જાગૃત થાય એવી અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રહે છે. ભક્તની જેમ અંતરધ્યાનમાં સ્થિત થવાં માટે, સ્વ અનુભૂતિનો આનંદ માણવા માટે માનવીએ આરંભમાં સત્સંગ, શ્રવણ, અધ્યયન વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી મનને કેળવવું પડે. એવી કેળવણી રૂપે રૂઢિગત માન્યતાઓમાં, સીમિત સમજમાં બંધાયેલું મન સ્વયંથી પરિચિત થતું જશે. માનવી જો પોતાના સ્વ સ્વરૂપથી પરિચિત થાય, તો જે આત્મીય ચેતનાની ઊર્જાથી તન-મનની ક્રિયાઓ થાય છે, તેની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ દરેક ક્રિયા રૂપે કરી શકે છે. કારણ પ્રભુની ચેતના સર્વત્ર છે અને સર્વેમાં પ્રસરેલી છે. તે દિવ્ય ચેતનાની શક્તિ વગર તન-મનની જીવંત સ્થિતિ નથી. તે શક્તિ પળે પળે દરેક દેહધારી આકૃતિઓનું જતન જનની બનીને સેવાભાવથી, પ્રીતભાવથી કરે છે. તે જનની સાથે સૌ જોડાયેલાં છે, છતાં જનનીની દિવ્ય ગુણોની પ્રતિભા, કે દિવ્ય પ્રીતની નિ:સ્વાર્થતા માનવીનાં વર્તન રૂપે પ્રગટતી નથી!! તે દર્શાવે છે કે માનવી પોતાની જનની સાથેનાં આત્મીય સંબંધને વિસરીને, સ્વાનુભૂતિ વગરનું જડતાનું જીવન જીવે છે.

         જે માનવી પોતાના સ્વ સ્વરૂપની સાત્ત્વિકતાને અથવા જિવાડનાર જનનીની દિવ્યતાને જાણ્યાં વગર જીવે છે, તે જીવંત જીવન રૂપી પાણીમાં તરતો હોવાં છતાં પાણીની ભીનાશને અનુભવી શકતો નથી. અર્થાત્ જીવંત જીવનની ચેતનવંત પ્રતિભાને જે અનુભવી ન શકે, તે મન સદા અતૃપ્તિને અનુભવે છે. એને સુખદ ઘટનામાં પણ ઉણપ લાગે. એવું સંશય-શંકાવાળું મન નકારાત્મક વિચારોમાં બંધાઈને દીર્ઘ દૃષ્ટિથી વિચારવાની કળાને કુંઠિત કરી નાંખે છે. માનવી જન્મની સિદ્ધિ એટલે જ મનના શ્રેષ્ઠ આસનની પ્રાપ્તિ. મનનું આસન જે અર્પણ થયું છે, તે મગજના સહારે વિચારી શકે છે, સમજી શકે છે, અનુભવી શકે છે. મગજના અસંખ્ય જ્ઞાનતંતુઓની વિદ્યુતિ શક્તિ અને રસાયણ શક્તિ સતત પ્રગટે છે. તેના આધારે સમજપૂર્વક દરેક પરિસ્થિતિને મન અનુભવી શકે છે. માનવી જો પોતાની આશ્રયદાતા આત્મીય ચેતનાને જાણે નહિ, એને અહોભાવથી સ્વીકારે નહિ, તો મનની અજ્ઞાનતાના લીધે જીવંત જીવનની અમૂલ્યતાને તે વેડફી નાંખે છે. જેનાં આધારે જીવન જિવાય છે, મન-બુદ્ધિ-ઈન્દ્રિયોની કાર્યવાહી થાય છે, તેને જાણ્યાં વગરનું જીવન પશુ જેવું છે. પશુ પાસે મન નથી, તે માત્ર ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, એવું ઉપભોગી જીવન તે જીવે છે. પરંતુ માનવી જીવન માત્ર ઉપભોગી નથી પણ ઉપયોગી છે, સહયોગી છે, અરે! એ તો પ્રભુની દિવ્યતાને, સાત્ત્વિકતાને, ગુણિયલતાને પ્રગટાવતું અને તેને અર્પણ કરી શકતું સૂર્ય જેવું શ્રેષ્ઠ છે. સાત્ત્વિક ભાવની જાગૃતિથી પોતાના સ્વ સ્વરૂપને જો જાણો, તો જાણ સ્વરૂપે પ્રભુ સાથેની આત્મીયતા, નિકટતા, નિ:સ્વાર્થ પ્રેમના સાત્ત્વિક આચરણ રૂપે પ્રદર્શિત થાય. પછી સુખ-દુ:ખના, શુભ-અશુભના, વાદવિવાદ ન રહે, પણ ભક્તની જેમ સ્વ અનુભૂતિના સંવાદ રૂપે પ્રભુ સાથેની આત્મીય પ્રીતનો આનંદ અનુભવાય.

 

         પ્રભુ સાથેનો સંબંધ જો નિકટ થાય, તો અખૂટ મળે સાત્ત્વિક વિચારોનો ખોરાક;

         થયાં કરે પછી ખરી વાત અને ખરી પડે સીમિત સમજના મનનાં વાદવિવાદ;

         સ્વ સંવાદની સ્વાનુભૂતિમાં થાય અંતરની સૂક્ષ્મતાનો સહવાસ, જે અર્પે તૃપ્તિનો આનંદ;

         સ્વયંની સૂક્ષ્માતીત સ્થિતિના અણસારા મળે અને મન બને પ્રભુ સંબંધનું આત્મીય તીર્થ ધામ.

   

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
ભૂલશો નહીં પ્રભુની ઊર્જાનો છે સહારો

ઉન્નત જીવનના સંતોષ માટે સદ્ભાવના, સદ્વિચારો અને સત્સંગનો લ્યો સહારો;

ઈશ્ર્વરની છબીને માત્ર હારો પહેરાવવાથી, ન ઉતારી શકાય કર્મસંસ્કારોનો ભારો;

ભાવના ઢાળો સાત્ત્વિક વિચારોનાં ચિંતનમાં અને સત્સંગમાં મનને ભાવથી પરોવો;

મનુષ્ય જન્મ પરભવ પુણ્યે મળ્યો, ભૂલશો નહિ પ્રભુની ઊર્જા શક્તિનો છે સહારો.

મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા વિશે ઘણીવાર સાંભળ્યું હશે, પણ તે શ્રેષ્ઠતાનો અનુભવ કરાવતું સાત્ત્વિક જીવન જ્યારે જિવાય, ત્યારે અહોભાવ સાથે આશ્ર્વર્ય પ્રગટે. કારણ આકારિત સ્થૂળ શરીરમાં વિચારી ન શકાય એવી વિશિષ્ટ ક્રિયાઓ સતત થાય છે, જેનાંથી માનવી મોટેભાગે અજાણ રહે છે. દરેક અવયવની જુદી જુદી ક્રિયાઓ છે અને તે ક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી છે, એવું વૈજ્ઞાનિક જ્ઞાનથી સમજાય. પરંતુ પોતાના જ શરીરમાં અવનવી ક્રિયાઓ સતત થાય, જેનાં લીધે રોજિંદા કાર્યો કરી શકાય છે, તેનાંથી બેખબર રહીને મન માત્ર બાહ્ય જગતમાં થતી ઘટનાઓથી જાણકાર થવાનો પ્રયત્ન કરે, તે છે પોતાની અંગત સંપત્તિની અવગણના કરી ગરીબીમાં જીવવું. એવી ગરીબ મન સમાચાર પત્ર બનીને માત્ર માહિતીઓ ભેગી કરે. સગાંઓનું, મિત્રો, કે પડોશીને ત્યાં શું થાય છે, તેની જાણકારી મેળવવા મન તલસે. જો એની જાણકારી રૂપે અમુક પ્રસગં, કે ઘટના વિશે સગાંવહાલાં કે મિત્રો જણાવે નહિ, અથવા મોડેથી જણાવે તો બહુ ખરાબ લાગે. મનને એટલું ખોટું લાગે કે સંબંધોમાં કડવાશ ઊભી થતાં પ્રેમભાવની હળવાશ રહે નહિ. એવું સમાચાર પત્રક જેવું મન કદી વિચારે નહિ વિચારો કરાવતી પ્રભુ શક્તિ વિશે, કે તે શક્તિ તન-મનમાં કેવી રીતે ધારણ થાય છે. કારણ જેમ મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે ઈલેકટ્રીસીટી=વિદ્યુતિ શક્તિ જોઈએ; તેમ વિચારવા  માટેની, સમજવા માટેની, અનુભવ કરવા માટેની શક્તિ મનને સતત મળે જ છે, તો એ શક્તિનો સ્ત્રોત કયો? એવાં વિચારો તરફ મન ઢળે, તો માનસિક શક્તિનો વ્યાપ વધી જાય. મનની શક્તિ વધતાં સર્જનાત્મક સાત્ત્વિક વિચારોથી માનવતાનું, પ્રેમભાવનું સંસ્કારી જીવન જિવાય, જે સંતોષની ઉન્નતિ ધરે.

         રોજિંદા જીવનની ઘટમાળમાં બંધાયેલા માનવીને પોતાના દેહની શ્રેષ્ઠતાને જાણવાની ફુરસદ મળતી નથી. તેથી દુ:ખદાયક ઘટના ઘટે, ત્યારે કદાચ મન વિચારે કે આ જીવનનો મહિમા શું છે. આમ મુખ્યત્વે આધિ-વ્યાધિની મુશ્કેલીથી માનવી પરેશાન થાય, ત્યારે મુશ્કેલીને દૂર કરવાના ઉપાય રૂપે મન પ્રભુ ભક્તિ તરફ ઢળે છે. મનની આવી સ્વાર્થી વૃત્તિના લીધે માનવી બીજા માનવીથી વિખૂટો પડતો જાય છે. વિખૂટા પડવું એટલે એકબીજા સાથેનાં સ્વાર્થી વ્યવહારના લીધે પ્રેમની મધુરતા, લાગણીની મીઠાશ અનુભવાતી નથી. એટલે પરસ્પર એકબીજાની હૂંફ વગર પ્રેમને માટે મન તલસે છે. આપણે જાણીએ છીએ કે, માટીને-ધરતીને પાણીનો ભેજ જોઈએ, હૂંફ જોઈએ. પાણીની ધારા સાથે માટીનો સંયોગ ન થાય તો માટીનો ફળદ્રુપતાનો સ્વભાવ બદલાઈ જાય છે. ઉજ્જડ ધરતીની ફળદ્રુપતા વિલીન થતાં, ધાન્ય ઉગાડવાની સર્જનાત્મક ક્રિયાનો ધરતીનો સ્વભાવ જેમ બદલાઈ જાય છે; તેમ મન રૂપી ધરતીનો જે સાત્ત્વિકભાવનો મૌલિક સ્વભાવ છે, તે સાત્ત્વિક વિચાર રૂપી પાણી વગર શુષ્ક થઈ જતાં સ્વાર્થી, લોભી, ઈર્ષ્યાળુ જેવી અહંકારી વૃત્તિની ઉજ્જડ ધરતી બની જાય છે. મનની એવી ઉજ્જડતામાં સાત્ત્વિક ગુણોનું પરોપકારી ધાન્ય ઊગી શકતું નથી.

         વાસ્તવમાં દરેક માનવીના મનની ભીતરમાં સાત્ત્વિક ગુણોના બીજ સુષુપ્ત રૂપે સમાયેલાં છે. તેને જો સાત્ત્વિક વિચારોના અધ્યયન રૂપી પાણીનું સિંચન મળે, જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપી ખાતરનો સહયોગ મળે, ગુરુ રૂપી સૂર્ય પ્રકાશનું સાંનિધ્ય મળે, તો સાત્ત્વિક આચરણનું ધાન્ય પ્રગટતું જાય. ધાન્ય ઉગાડતી ધરતીના આ દૃષ્ટાંતથી આપણને એટલું સમજાય છે કે, સાત્ત્વિકભાવની જાગૃતિ વગરના જીવનમાં અસંતોષની માત્રા વધતી જાય છે. પછી સંસારી જીવનમાં દરેક સ્તરે, અસંતોષી મનોવૃત્તિના લીધે સુખદ ઘટનાને, કે સફળ પરિણામને, મન યોગ્ય રીતે માણી શકતું નથી. એટલે પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં, કે વ્યક્તિઓ સાથેના સંબંધમાં, કે પદાર્થોનાં ઉપભોગમાં મનને ખોટ લાગે, ઉણપ લાગે. એવી ખોટની મનોદૃષ્ટિ દોષ દર્શન કર્યા કરે અને દોષ જોવાંથી દરેક કાર્યમાં વાંધાવચકાનાં(ખામી) મતભેદ ઊભા થતાં મન વધુ અહંકારી, ઘમંડી બનતું જાય છે. એવાં દોષિત, સંકુચિત માનસની બીમારીથી મુક્ત થવા માટે સત્સંગ, ચિંતન રૂપી ઔષધને મન જો દરરોજ ગ્રહણ કરે, તો નિ:સ્વાર્થ પ્રેમના સ્વભાવનું સ્વાસ્થ્ય ધારણ થતું જાય.

         મનનું યથાર્થ સ્વાસ્થ્ય છે પ્રેમભાવનું, સાત્ત્વિકભાવનું, સેવાભાવનું, સમર્પણભાવનું. ભાવની નિર્મળતા જ્યાં સુધી જાગૃત થતી નથી, ત્યાં સુધી સ્વ યોગી અંતરયાત્રામાં મન સ્થિત થતું નથી. ભાવની ગેરહાજરીમાં ભેદભાવના વિચારો ઉદ્ભવતાં રહે છે. જ્યાં હૃદયભાવની નિર્મળતા હોય, ત્યાં રાગ-દ્વેષાત્મક ભેદભાવ વિલીન થયાં હોવાંથી, પ્રભુ ભક્તિનો ભાવાર્થ સહજતાથી ધારણ થાય. ભક્તિનો ભાવાર્થ એટલે નિષ્કામ ભાવની ચેતના જાગૃત થવી. ભાવની ચેતના પ્રકાશિત થાય ત્યારે મન બની જાય હૃદયની પારદર્શક સ્થિતિ. હૃદયની પારદર્શક સ્થિતિ જ અંતરની સૂક્ષ્મતામાં ઓતપ્રોત થાય. અંતર યાત્રામાં લીન રહેતાં ભક્તને સર્વેમાં પ્રભુની દિવ્ય ચેતનાની અનુભૂતિ થાય. વૃક્ષની ઝૂલતી ડાળીઓમાં પ્રભુના દર્શન વાયુ રૂપે કરે. વૃક્ષ પરથી સૂકું પાન નીચે પડે તો ગુરુત્વાકર્ષણ રૂપે પ્રભુની શક્તિને નિહાળે. કોઈ શબ્દોની ભાષાથી બોલે, કે ભજનના શબ્દનોનું ગુંજન કરે, તો એમાં પ્રભુની ધ્વનિ શક્તિની હાજરીને અનુભવે. ધ્વનિ શક્તિના સ્વીકારમાં તે ભક્ત ભીતરના ૐકાર નાદનો સાક્ષાત્કાર કરે. આમ પ્રભુના સાત્ત્વિક પ્રભાવની ચેતનાના સાક્ષાત્કાર રૂપે, ભક્ત સત્ ચિત્ આનંદ સ્વરૂપની આત્મીય પ્રીતનું સંવેદન ઝીલતો જાય અને જિજ્ઞાસુ માનવીઓને દર્શાવતો જાય કે, "જ્યાં હું નથી ત્યાં તું પણ નથી, છે માત્ર તે. આ તે જ સર્વત્ર છે, તેનું જ તેજ છે અને આપણે સૌ તેનાં જ અંશ જ છીએ.”

 

         અમારી યુ-ટ્યુબ ચેનલ પર આજે ‘મન-આકૃતિ’ વિશે જ્ઞાન-ભક્તિનો પ્રોગામ લાઈવ ટેલીકાસ્ટ થવાંનો છે. સવારે ૧૦:૩૦ વાગ્યાથી. આપ સૌ વાચક મિત્રોને અમારી સાથે જોડાવવા ભાવભર્યું નિમંત્રણ છે.  

યુ-ટ્યુબ ચેનલ - ‘યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’.

 

 

                                                            સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્વાર્થી વૃત્તિઓનો અહંકાર

સ્વાર્થી મન સ્વમાં સ્થિત થઈ ન શકે,

પણ જ્ઞાન-ભક્તિના સત્સંગથી જો નિ:સ્વાર્થ પ્રેમનો સ્પર્શ મળે;

         તો સ્વાર્થી વૃત્તિઓ ઓગળે અને પ્રભુ પ્રેમની લગની લાગે,

ત્યારે સ્વને જાણવાની જિજ્ઞાસા તીવ્ર થાય;

         મનનો પડદો પછી ખૂલતો જાય અને અંતરગમનના માર્ગે હૃદયભાવથી પ્રયાણ થતું જાય;

         હૃદય તો ભવેભવની ભક્તિનું ભાથું લઈને અંતરયાત્રા કરે અને નિ:સ્વાર્થી પ્રેમનું પ્રસરણ કરે.

 

         ‘ડુંગર દૂરથી રળીયામણાં..’, આ કહેવતનો ભાવાર્થ માનવીને જ્યારે સમજાય ત્યારે આકારિત જગતની કોઈ પણ આકૃતિ હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય, કે પરિસ્થિતિ હોય, તે સર્વેની સ્થિતિ સીમિત છે, મર્યાદિત છે એવી સમજ મનોમન ગ્રહણ થતી જાય. એવી સમજ રૂપે મનનું રાગ-દ્વેષવાળું સંકુચિત માનસ બદલાતું જાય છે અને આકારોની ભીતરમાં સમાયેલી પ્રભુની ઊર્જા શક્તિની ચેતનાને, એટલે કે સ્વને જાણવાની જિજ્ઞાસા જાગે છે. જિજ્ઞાસુ મનને પછી આકાર-નિરાકારની એટલે કે સ્થૂળ-સૂક્ષ્મની વાસ્તવિકતાનો પરિચય થાય કે, આકારિત દૃશ્યમાન કૃતિઓનું સર્જન થાય છે, એટલે કે જન્મે છે અને તે જન્મેલી કૃતિઓનું પરિવર્તન વિકાસની ક્રિયા રૂપે થતું રહે છે. તેથી સર્જાયેલી આકારિત પરિસ્થિતિનું વિસર્જન રૂપે રૂપાતંર થાય છે અથવા જે શરીરનો જન્મ થાય છે, તેનો વિકાસશીલ ઉછેર થાય અને અંતે મૃત્યુની ક્રિયાથી શરીરનો આકાર ક્ષીણ થાય. આવી વાસ્તવિક સમજની પરિપક્વતામાં જ્યારે ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ ન થાય, કે ઈચ્છેલી પરિસ્થિતિનું યોગ્ય પરિણામ ન મળે, ત્યારે લાચારીથી દુ:ખી થતાં મનનો ઉદ્વેગ ઘણે અંશે ઓછો થતો જાય. અપ્રાપ્તિની વ્યથામાં મન જ્યાં સુધી બંધાયેલું રહે છે, ત્યાં સુધી તેને વાસ્તવિકતાનું સત્ દર્શન ગ્રહણ થતું નથી. એવું વ્યથિત મન સતત પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતું રહે છે. પરંતુ પ્રાપ્ત થયાં પછી પણ મનની વ્યથા ઓછી થતી નથી. કારણ સ્વાર્થી, અહંકારી, વર્તનના લીધે પ્રેમનો અનુભવ થતો નથી. એટલે જ્યાં પ્રેમની પૂર્તિ નથી, ત્યાં સ્વાર્થનું પ્રસરણ પ્રાપ્ત થયેલાં ભોગનો આનંદ માણવા દેતું નથી.

         વૈભવી જીવન જીવતાં ધનવાન લોકોનાં એશોઆરામ જોઈને, મધ્યમ વર્ગના લોકો હંમેશા એવું વિચારે કે, પોતાની પાસે રૂપિયાની ખોટ હોવાંથી, ઉત્તમ પ્રકારના પદાર્થોનો કે વસ્તુઓનો ભોગ કરવાનો આનંદ મળતો નથી. દરેક માનવીને મુખ્ય રૂપે અન્ન, પાણી, ઘર, વસ્ત્રની જરૂરિયાત હોય. એ જરૂરિયાત મુજબનું મળી જાય, તો પણ વધુ ને વધુ શ્રેષ્ઠ પ્રકારનું મેળવવાની ઈચ્છા મનમાં રહે છે. અન્ન કે ધાન્ય, જે ધરતી માતાએ અર્પણ કરેલું ધન છે, એ અણમોલ ધનથી દરેકનાં તન-મનનું સ્વાસ્થ્ય જળવાય છે. ધરતી માતાએ અર્પણ કરેલાં ધનની પ્રાપ્તિ થાય, ત્યારે એને ચાંદીની થાળીમાં લઈને ખાઈએ, કે કાગળની ડીશમાં લઈને ખાઈએ, તે મહત્ત્વનું નથી. પરંતુ ધનની પ્રાપ્તિ થઈ છે અને અન્ન ખાવા મળે છે તે જ મહત્ત્વનું છે. આ હકીકતને દરેક માનવી મોટેભાગે જાણે છે. છતાં મોંઘી વસ્તુઓ કે પદાર્થોને મેળવવાની અથવા વૈભવી જીવનની અવનવી ઈચ્છાઓની હારમાળા મનમાં ગૂંથાતી રહે છે. પ્રાપ્તિ રૂપે જે પણ વસ્તુ સ્થિતિ કે પરિસ્થિતિનો ભોગ થાય, ત્યારે એ ભોગના આનંદને મન થોડી ક્ષણ માટે માણે છે. કારણ અતૃપ્ત ઈચ્છાઓનાં સંસ્કારોને લીધે, મનમાં સતત વિચારો ઉદ્ભવતાં રહે છે. જો રાગ-દ્વેષાત્મક સ્વાર્થી વૃત્તિના વિચારો શરૂ થઈ જાય, તો પ્રેમ કે આનંદનો અનુભવ થોડી ક્ષણો માટે થાય છે. આનંદ, સંતોષ, કે તૃપ્તિના અનુભવમાં ત્યારે તરતાં રહેવાય, જ્યારે વિચારો ઓછાં થાય અને ભાવની ધારા પ્રગટે. હૃદયભાવથી જ સંતોષ, આનંદ કે, પ્રેમના અનુભવમાં ઓતપ્રોત થવાય.

         થોડી ક્ષણોનો અનુભવ મનને વધુ બેચેન કરે છે અને જે પરિસ્થિતિ, વસ્તુ કે વ્યક્તિના સંગમાં થોડી ક્ષણોનો આનંદ અનુભવાયો, તેને પુન: મેળવવાની નવી ઈચ્છાઓ મનમાં બંધાય છે. એટલે ભોગ રૂપે ઈચ્છા પૂર્તિ થયાં પછી પણ વારંવાર તેને ભોગવવાની ઈચ્છાઓ જનમતી રહે છે. વળી ભોગ કરતી વખતે દોષ દર્શન કરવું, પર્યાપ્ત હોવાં છતાં ઓછું લાગવું, અથવા સારું-ખરાબ, ઉચ્ચ-નિમ્ન એવાં ભેદભાવના વિચારોથી મન દરેક પરિસ્થિતિની તુલના કરતું રહે છે. માનવી મનની તુલના કરવાની, સરખામણી કરવાની ભેદભાવની દૃષ્ટિના લીધે, જ્યારે પોતાને ગમતી પરિસ્થિતિનો ભોગ થાય, ત્યારે આનંદ, પ્રેમ, સંતોષ કે તૃપ્તિ જેવાં સાત્ત્વિકભાવનો યોગ થતો નથી. ભોગ સ્વરૂપે જે પણ પરિસ્થિતિનો સંગ થાય, અર્થાત્ જે પણ વ્યક્તિ કે વસ્તુ સાથે સંપર્ક થાય, ત્યારે મનોમન તે પરિસ્થિતિ સાથે જોડાણ થાય, તે છે ભોગ રૂપે યોગ થવો. તેથી સંબંધિત પરિસ્થિતિના યોગ રૂપે ભોગની ક્રિયા છે, એટલે ભોગની ક્રિયામાં ભાવની પ્રતીતિ થવી જ જોઈએ. આ વાસ્તવિકતાને સ્વીકારીને ભક્ત લૌકિક જીવન જીવે છે અને અલૌકિક અંતર યાત્રા કરતો રહી, નિ:સ્વાર્થ પ્રેમનું પ્રસરણ કરતો રહે છે.

         દરેક ભોગ્ય પદાર્થોમાં કે જગતની કોઈ પણ પરિસ્થિતિમાં સમાયેલી પ્રભુની ચેતનાનો સ્વીકાર થાય, ત્યારે સ્વાર્થી વૃત્તિઓનો અહંકાર ઓગળવાનું શરૂ થાય. પ્રભુની સાક્ષાત્ હાજરીનાં સ્વીકાર રૂપે ભોગ થાય, એટલે કે ભોગની ક્રિયા રૂપે જે ચેતનાની ઊર્જાનો સતત યોગ થાય છે, તે દિવ્ય ચેતનાનું ગુણિયલ ભાવનું સંવેદન ધારણ થતું જાય. એવાં સંવેદનની જ્ઞાતા વૃત્તિથી ભક્ત સ્વયંના આત્મ સ્વરૂપની સ્વાનુભૂતિમાં તરતો જાય, તેને કહેવાય અંતર ભક્તિનું સદાચરણ. માનવી મોટેભાગે ભોગ-યોગ રૂપી જીવનનો મર્મ જાણ્યા વગર જીવે છે અને બાહ્ય દૃશ્યમાન જગતના વ્યવહારમાં મનને એટલું બધું વ્યસ્ત રાખે છે, કે મનનું વાહન અંતર દિશાના માર્ગે પ્રયાણ કરી શકતું નથી. આપણે માનવી સ્વરૂપે જન્મ લઈને આ પૃથ્વી ગ્રહ પર વસીએ છીએ. તેથી માનવતાને ખીલવે એવાં જાગૃતિના સદાચરણથી જીવવું જોઈએ. એવાં જીવન માટેની કોઈ લેખિત વ્યાખ્યા નથી. પરંતુ નિ:સ્વાર્થ પ્રેમની, કરુણાભાવની નમ્રતા જીવનમાં અનુભવાય, તે છે અંતર દિશાનું ભક્તિભાવનું ભ્રમણ. જ્યાં રાગ-દ્વેષનું રટણ નથી, પણ જીવંત હસ્તીની ગુણિયલતાનો ભોગ છે તથા પ્રભુ સાથેની ઐક્યતાને માણવાનો વિહાર છે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, અંતર યોગ સ્વરૂપે સાત્ત્વિક ગુણોનો ભોગ ભક્તિભાવથી થયાં કરે અને ભાવનું પ્રસરણ ધરતી પર પ્રસરતું રહે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્વાનુભવની તરસ તૃપ્ત થવી

બાળપણમાં વાર્તાઓ સાંભળવાનો આનંદ અનેરો હતો. સંતો જેવી વિદ્વાન વિભૂતિઓ દ્વારા રચાયેલી પંચતંત્રની વાર્તાઓનો બોધ ખરેખર અમૂલ્ય છે. કારણ બોધદાયક વાર્તાઓથી બાળમાનસનું સુસંસ્કારી ઘડતર થાય છે. બાળપણમાં મનને સંસ્કારી વર્તનથી શિક્ષિત કરવાના પ્રયાસમાં, માતા-પિતા તથા શિક્ષકો સાથે દાદા-દાદીનો સહયોગ ઘણો હોય છે. જે માનવીને દાદા કે દાદીનો પ્રેમ બાળપણમાં ન મળે, તેનાં જીવનમાં વાત્સલ્ય પ્રેમના અનુભવની ખોટ રહે છે. કારણ વડીલોની છત્રછાયા વૃક્ષ જેવી હોય છે. તેઓની હાજરીમાં વર્ણવી ન શકાય એવાં વાત્સલ્ય પ્રેમની હૂંફ મળે છે. વ્યવહારિક જીવનની કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં તેઓ સહાયકારી થઈ ઉકેલનો રાહ પણ દર્શાવે છે. તેઓએ લૌકિક જીવનની અવનવી ઘટનાઓના ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો હોય છે. તેથી અનુભવી સ્થિતિના નિચોડ રૂપે પોતાના પૌત્ર કે પૌત્રીને વહાલથી તેઓ કેળવે છે. એટલે જ તેઓનાં પ્રેમની સ્મૃતિ મનમાં સ્થાપિત રહે છે. તેઓનાં પ્રેમમાં સ્વાર્થ ઓછો હોવાંથી નિ:સ્વાર્થ પ્રેમથી બાળમાનસનું યોગ્ય ઘડતર સહજ રૂપે થાય છે. તેઓનાં વહાલભર્યા શબ્દોથી, કે વર્તનથી બાળકને સંતોષનું પોષણ મળે છે. માનવીને બાળપણમાં જો પ્રેમ અને સંતોષની તૃપ્તિ મળે, તો યુવાનીમાં આધ્યાત્મિક સદાચરણનાં સુસંસ્કારી વર્તનની ખીલવણી ધારણ થઈ શકે. એવી ખીલવણીના પરિણામ રૂપે મનનો હૃદયભાવ જાગૃત થાય અને અંતર યાત્રાનું પ્રયાણ થતું જાય.

         આજે બાળપણમાં સાંભળેલી એક વાર્તાનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. જેથી મનને સાત્ત્વિક વર્તનના અણસારા મળી શકે અને સાત્ત્વિકભાવની જાગૃતિમાં સ્થિત થઈ શકે. તે વાર્તા આપણે બધાએ સાંભળી છે કે, એક કાગડો ઊડતો ઊડતો ગાઢ વનમાં આવે છે, ત્યારે તેને પાણી પીવાની ખૂબ તરસ લાગે છે. તેથી દૂર દૂર સુધી ઊડીને એણે જોયું, પણ ક્યાંય તળાવ કે સરોવર ન દેખાયું. થાકીને તે એક વૃક્ષની ડાળી પર બેઠો. થોડીવાર પછી એને વૃક્ષની સમીપમાં એક માટીનો ઘડો દેખાયો. કાગડો તરત ઊડીને ઘડા પાસે ગયો અને જોયું તો અંદર પાણી ખૂબ ઓછું હતું. ઘડામાં ચાંચ ડુબાડીને પી શકાય એમ ન્હોતું. તરસ ખૂબ લાગેલી અને બીજે ક્યાંયથી પાણી મળે એમ ન્હોતું. તેથી કાગડાએ ચતુરાઈપૂર્વક આજુબાજુ પડેલા નાના પથ્થરોને ઘડામાં નાંખ્યાં. ઘડામાં પથ્થર-કાંકરીઓનું થર થવાંથી પાણીની સપાટી ઉપર આવી અને કાગડાએ પછી ધરાઈને પાણી પીધું. આ વાર્તા ખૂબ સામાન્ય લાગે છે. પરંતુ એનો આધ્યાત્મિક ભાવાર્થ જો ગ્રહણ થાય, તો સંકુચિત માનસનું રૂપાંતર કરાવતું આચરણ ધારણ થઈ શકે. કાગડો એટલે સંસારી મનનાં વિચારો. માનવીનું મન પોતાને ગમતાં દુન્યવી વિષયોને ભોગવવા માટે, સંસારી વિચારોથી ઊડતું રહે છે. ઈન્દ્રિયગમ્ય વિષયોની પ્રાપ્તિ ઘણીવાર પ્રત્યક્ષ મળી જાય. છતાં વધારે પ્રાપ્તિના વિચારોમાં મન ઊડતું રહે છે. જેમકે સવારે જમતી વખતે વિચારે કે રાતે શું ખાશું! આમ ભોગી મન ભવિષ્યના વિચારોમાં સતત ઊડતું રહે છે. પરંતુ મન જો જિજ્ઞાસુભાવથી સ્વયંને જાણવાનો પુરુષાર્થ કરે, તો સંસારી વિષયોનો ભોગ ભોગવાય, પણ ભોગ ભોગવવા જે દેહની જીવંત સ્થિતિનો યોગ થયો, તે યોગ રૂપે અહોભાવપૂર્વક સ્મરણ ભક્તિમાં સ્થિત થવાય, તેને કહેવાય વિચારો રૂપી કાગડાનું સત્સંગ રૂપી વૃક્ષ પર બેસવું.

         સત્સંગ એ કોઈ વ્યવહારિક કાર્ય જેવી પ્રવૃત્તિ નથી. સ્વયંના આત્મીય સત્ સ્વરૂપના સંગની પ્રતીતિ કરાવે, તે છે સત્સંગ રૂપી વૃક્ષની સાત્ત્વિક વિચારો રૂપી ડાળી. અર્થાત્ સાત્ત્વિક વિચારો રૂપી ડાળીઓનો સહારો જ્યારે મળે, ત્યારે જિજ્ઞાસુ મનને સંસારી રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોના ઘર્ષણથી મુક્ત કરાવતી સૂક્ષ્મ સમજ ગ્રહણ થતી જાય. એવી સમજથી પરિપક્વ થયેલાં મનને પોતાની ભીતરમાં સમાયેલી, આત્મીય ચેતનાની ભક્તિ ભાવથી અનુભૂતિ કરવાની તરસ પ્રબળ થાય. તેને કહેવાય સદ્ગુરુ રૂપી ઘડાની સમીપ જવું. પુણ્યોદયથી ગુરુ કે માર્ગદર્શક રૂપી ઘડાની પ્રાપ્તિ થાય. પરંતુ ગુરુની દિવ્ય ચેતના રૂપી પાણીનું પાન કરવું સહજ નથી. જિજ્ઞાસુ મનને અંતર ઊંડાણમાં સ્થિત થવું પડે. મનોવૃત્તિઓ જ્યાં સુધી અંતરધ્યાનસ્થ થતી નથી, ત્યાં સુધી આત્મીય ચેતનાનો જ્યોતિર્મય પ્રકાશ અનુભવાતો નથી. તેથી ગુરુનાં સાંનિધ્યમાં રહેવાં છતાં જિજ્ઞાસુ મનની સ્વમય જાગૃતિનો સાત્ત્વિકભાવ જાગૃત ન થાય, તે છે ઘડાના ઊંડાણમાં જઈને જિજ્ઞાસુ મનની પાણી પીવાની અસમર્થતા. જિજ્ઞાસુ મનની અજાગૃત સ્થિતિને સાત્ત્વિક વિચારોના અધ્યયનની તરસ હોય. પરંતુ જ્યારે અંતર યાત્રાની તાલાવેલી જાગે, ત્યારે ગુરુકૃપા સ્વરૂપે સ્વમય ચિંતનની એકાગ્રતા વધતી જાય. જાગૃતિની તરસ હોવી, એ જિજ્ઞાસુ મનની સ્થિતિ છે અને તરસ મીટાવવાનો અંતર યાત્રાનો પુરુષાર્થ કરવો, એ છે જ્ઞાન-ભક્તિનું સદાચરણ. એવાં સદાચરણ માટે કાગડાની જેમ ચતુરાઈપૂર્વક પોતાના ગુરુના સાંનિધ્યમાં રહીને નાનાં પથ્થરોને ભેગાં કરવા એટલે કે પોતાની અહંકારી, અજ્ઞાની સ્વભાવની પ્રતિક્રિયાને શાંત કરવા માટે, પ્રભુની ચેતનાની સાક્ષાત્ ઉપસ્થિતિને અનુભવવાનો પુરુષાર્થ કરવો.

         અંતર યાત્રાના પુરુષાર્થ રૂપે તન-મનના દેહધારી જીવનનો સાત્ત્વિક પ્રભાવ પછી અનુભવાય અને અંતરના સૂક્ષ્મ સ્વરૂપની સમજમાં મનનો અહંકારી સ્વભાવ ઓગળતો જાય. એવી સમજ રૂપે મનની પ્રતિક્રિયા ઓછી થાય. જેમકે નવા વસ્ત્રની ખરીદી થાય અને ઘરના સભ્યોના તે વસ્ત્ર માટેના જુદાં જુદાં મંતવ્યો હોય. તે સાંભળીને ભક્ત કદી સામી દલીલ ન કરે, કોઈ પ્રતિક્રિયા દર્શાવી એવું ન જણાવે કે પોતે જે ખરીદી કરી છે તે યોગ્ય છે. આમ મનનાં તર્કબદ્ધ વિચારોની દલીલ જ્યાં ઓછી હોય, ત્યાં સ્વમય ચિંતનનો પ્રવાહ વહે કે, આ શરીર રૂપી વસ્ત્ર કોઈ બજારમાંથી ખરીદ્યું નથી, એ તો પ્રભુ કૃપાની ઊર્જા શક્તિથી સર્જાયું છે. બજારમાંથી ખરીદેલા વસ્ત્રો માટે જુદાં જુદાં મંતવ્ય હોય શકે, પણ પ્રભુની શક્તિથી ઘડાયેલા શરીર માટે ગમો-અણગમો ન હોય શકે. શરીરના રૂપ-કુરૂપને જોવાની ભેદ દૃષ્ટિ જો વિલીન થાય, તો અંતરમાં સમાયેલી પ્રભુની ચેતનાની સ્વાનુભૂતિ કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ થાય. સાત્ત્વિકભાવની જાગૃતિ જ ગુરુની દિવ્ય ચેતનાના સ્પંદનોનું સંવેદન ધારણ કરી શકે છે. સંવેદનની જ્ઞાતા વૃત્તિથી સ્વયંની આત્મીય ચેતનાની દિવ્યતામાં ઓતપ્રોત થવાય, તે છે સ્વાનુભૂતિની તરસ તૃપ્ત થવી. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, કાગડાની જેમ નાના પથ્થરો રૂપી અહંકારી વિચારોને અર્પણ કરાવતાં સ્વમય ચિંતનમાં મન ભક્તિભાવથી સ્થિત રહે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More