Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
...પણ મૃત્યુની ક્ષણે દેહમાંથી જાય છે કોણ?

જીવન આમ તો જિવાય જાય છે, પણ મૃત્યુની ક્ષણે દેહમાંથી જાય છે કોણ?

       મનમાં તો અનેક પ્રકારની આશાઓ મહેંકી રહે છે, પણ એમાં રહે છે કોણ?

       આંખો તો બધા દૃશ્યને જુએ છે, પણ જોનાર આંખોને જુએ છે કોણ?

       વાણી પ્રગટાવે છે બીજા સાથેના સંબંધોની સ્થિતિ, પણ કંઠમાં સ્થિત છે કોણ?

       આ કોણને શોધવાનું કોણમાપક, જીવનમાં કેમ કોઈ શોધતું નથી?

       અરે! એ તો છે અનુભવની પેલી પાર,

સ્વ અનુભૂતિના આસન પર કોણનો છે આવિષ્કાર.

 

       સ્વયંના સત્ સ્વરૂપને જાણવું, એટલે કે ‘તે કોણ છે’ એ જાણવાની જ્ઞાતા વૃત્તિનો આવિર્ભાવ સ્વયંભૂ થાય છે. પરંતુ સ્વયંભૂ થતાં પ્રાગટ્ય માટે, મનમાં સ્વયંને જાણવાની જિજ્ઞાસાનો અગ્નિ જાગૃત થવો જોઈએ. જાગૃતિના વર્તન માટે સત્સંગ, શ્રવણ, અધ્યયન, અભ્યાસ વગેરે સાત્ત્વિક પ્રવૃત્તિઓથી મનને કેળવવું પડે. એવી કેળવણી રૂપે સ્વ સ્વરૂપની ઓળખ થાય અને ઓળખ રૂપે અજ્ઞાની સ્વભાવની ભૂલોનું દર્શન થતું જાય. અજ્ઞાનને લીધે થતાં અહંકારી વર્તનની ભૂલોનું દર્શન જ્યારે સત્સંગ કે ગુરુના સાંનિધ્યમાં થાય, ત્યારે જાગૃતિના વર્તનને જાગૃત ન થવાં દેતાં, પોતાના અહંકારી સ્વભાવના અવરોધથી પરિચિત થતાં જવાય અને જાગૃતિના આચરણને જગાડતા શિક્ષણની મહત્તા સમજાય. તેથી મનને માત્ર ગુરુના સાંનિધ્યમાં નથી રાખવાનું, પરંતુ સાંનિધ્ય રૂપે પ્રાપ્ત થયેલાં શિક્ષણમાં મનને ઓતપ્રોત કરવાનું હોય. સાત્ત્વિક વિચારોનો ઉપદેશ ગ્રહણ થાય, આધ્યાત્મિક ગુહ્ય અર્થ પણ સમજાય, પછી તે સમજ અનુસાર સ્વભાવનું પરિવર્તન કરાવતું ચિંતન જો થાય, તો જ સાંનિધ્યનો, સત્સંગનો, અધ્યયનનો હેતુ સિદ્ધ થાય.

       જેમ કોમ્પ્યુટર શું છે, કેવી રીતે એનો ઉપયોગ થાય, તે જણાવનાર શિક્ષક પાસે શિક્ષણ લીધા પછી એની પાસે બેસી નથી રહેવાનું. શિક્ષકની પાસે શિક્ષણ લીધા પછી બેસી રહેવાંથી કોમ્પ્યુટર ચલાવતાં નહિ આવડે, પણ શિક્ષક જે દર્શાવે, જે સમજાવે, તેને સમજવાનો પ્રયત્ન કરી, કોમ્પ્યુટર પોતે જ ચલાવવું પડે, તેમ મન રૂપી કોમ્પ્યુટરને ચલાવનાર આત્મીય ચેતના વિશેનું સ્વ જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યા પછી, તેને સ્વાનુભૂતિના સદાચરણ રૂપે ધારણ કરવું પડે. આત્મીય ચેતનાની સ્વાનુભૂતિ માટે મન-ઈન્દ્રિયોની એક એક પ્રક્રિયાના ઊંડાણમાં મનનો જિજ્ઞાસુભાવ જો સ્થિત થાય, તો જ્ઞાતા વૃત્તિનો પ્રકાશ મનોમન ધારણ થતો જાય અને સ્વાનુભૂતિની અંતર યાત્રા તરફ પ્રયાણ થતું જાય. જિજ્ઞાસુભાવથી પરખાતું જાય કે, પ્રભુની આત્મીય ચેતનાના આધારે જગતની સર્વે કૃતિઓ જીવે છે તથા દેહમાં અનેક પ્રકારની પ્રક્રિયાઓ સતત થયાં કરે છે. દેહમાં થતી પ્રક્રિયાઓમાં મનનો ભાવ પણ સંકળાયેલો હોવાંથી, તન-મનની પ્રક્રિયાઓ એકબીજાને અસર કરે છે. આવી એકબીજાનાં સકારાત્મક કે નકારાત્મક ભાવથી થયાં કરતી પ્રક્રિયાઓનાં જીવંત દેહધારી જીવનમાં, માનવીએ સ્વયંના આત્મ સ્વરૂપની સાત્ત્વિકતાને પ્રગટાવતાં પરમાર્થી વર્તનને ધારણ કરવાનું છે. પરમાર્થી વર્તનની, કે સદાચરણના વર્તનની જાગૃતિ માટે જિજ્ઞાસુભાવની નિષ્ઠાથી પુરુષાર્થ કરવો પડે.

       એવો પુરુષાર્થ કરવાનું સરળ નથી, છતાં પુરુષાર્થ કરવો એ જ વાસ્તવમાં મનુષ્ય જન્મનો હેતુ છે. તેથી સ્વયંને જાણવાનો, કે સદાચરણનો પુરુષાર્થ કરવાનો નિર્ધાર જ્યારે  દૃઢ થાય છે, ત્યારે પુણ્યશાળી સાત્ત્વિક સંસ્કારોનો ઉદય થાય છે. બાકી સામાન્ય રૂપે માનવી રોજિંદા વ્યવહારિક કાર્યો કરવાનું જે રીતનું જીવન જીવે છે, એ રીતે જ પ્રભુનું સ્મરણ કે સત્સંગ-ભક્તિ કરે છે. એવી રીતે થતાં સત્સંગથી મનનો સ્વભાવ બદલાતો નથી, એટલે સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી નથી. માન-અપમાનથી મન જ્યારે વિચલિત ન થાય, અથવા પદવી-પ્રતિષ્ઠાના મોહમાં ન બંધાય અથવા પોતાના અહંકારી અજ્ઞાની સ્વભાવથી મુક્ત થવાની તત્પરતા જાગે, ત્યારે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો અગ્નિ પ્રબળ થાય છે. એવી પ્રબળતા દીવાના પ્રકાશ જેવી તેજસ્વી થતાં, સ્વયંની સ્વાનુભૂતિમાં સ્થિત થતી જ્ઞાતા વૃત્તિની જાગૃતિ ધારણ થાય. જિજ્ઞાસુભાવની પ્રબળતાના લીધે સંસારી વ્યવહારમાં રાગ-દ્વેષનો ભેદભાવ ઓછો થતો જાય અને પરસ્પર આધારિત દરેક સંબંધોની મહત્તા સમજાતી જાય. એવી સમજથી સંબંધો જળવાય પછી વેરઝેર, ઈર્ષ્યા, કે ધિક્કારના અહંકારી વર્તનથી મન મુક્ત થતું જાય છે.

       મનુષ્ય મોટેભાગે અહંકારી સ્વભાવથી વ્યવહાર કરે છે અને માન-સન્માન, કે કીર્તિની અપેક્ષાથી કર્મ કરે છે. તેથી સ્વયંને જાણવાનું જિજ્ઞાસુ વર્તન સહજ ધારણ થતું નથી. એટલે જ સદાચરણની જાગૃતિ માટેનો પુરુષાર્થ કરવાનું મુશ્કેલ લાગે છે. જિજ્ઞાસુભાવની જાગૃતિ અર્થે પ્રથમ સ્વીકારવું જોઈએ કે, તન-મન-ઈન્દ્રિયોના જીવંત દેહનો સંચાર પ્રભુની આત્મીય ઊર્જા શક્તિથી થાય છે. આ ઊર્જાની ચેતનાના આધારે સૃષ્ટિની સર્વે કૃતિઓ જીવે છે. ઊર્જાની ચેતનાની વાસ્તવિકતા સમજાય, તો ચેતનાના સ્વીકાર રૂપે સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન સ્થિત થતું જાય. જિજ્ઞાસુભાવથી થતાં ચિંતનમાં, મનની અહંકારી વૃત્તિઓને વિલીન કરાવતો સાત્ત્વિક ભાવ જાગૃત થતો જાય અને સ્વયંની સ્વાનુભૂતિનો જ્ઞાતા ભાવનો પ્રકાશ સ્વયંભૂ ધારણ થતો જાય. પ્રભુએ આપણને સૌને મનનું ઉચ્ચ કક્ષાનું શ્રેષ્ઠ વાહન અર્પણ કર્યું છે. એ વાહન જો જિજ્ઞાસુભાવથી સ્વયંને જાણવાની સ્વાનુભૂતિ અર્થે આવાહન કરે, તો ‘હું કોણ છું’ની અંતર યાત્રામાં સાત્ત્વિકભાવની જાગૃતિથી લીન થવાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, સ્વયંભૂ પ્રગટતી સ્વાનુભૂતિમાં સ્થિત કરાવતી મનની સાત્ત્વિકતા જાગૃત કરો, જેથી આ મનુષ્ય જન્મનો હેતુ સિદ્ધ થાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
મન આત્મ સ્વરૂપથી પરિચિત થાય તો સ્વભાવનું પરિવર્તન થાય

વ્યવહારિક જગતનું લૌકિક સ્તરનું જીવન એટલે બે(દ્વૈત) પ્રકારના વૃત્તિ-વિચારોની આવનજાવન. તેથી માન-અપમાન, સ્વીકાર-અસ્વીકાર, હર્ષ-શોક, નફો-ખોટ, વગેરે વિરોધી પ્રકારના વર્તનમાં મન બંધાયેલું રહે છે. આવો દ્વૈત પ્રકૃતિનો માનવીનો સ્વભાવ હોવાંથી મન મોટેભાગે પ્રતિક્રિયામાં વીંટળાઈને વર્તે છે. એવી દ્વૈત પ્રકૃતિના વિરોધી પ્રકારના અનુભવમાં મન જો સમતોલ રહે, એટલે કે વિરોધી પ્રકારની કોઈ પણ પરિસ્થિતિને મન જો સદ્ભાવથી સ્વીકારે, તો મનમાં સુષુપ્ત રહેલી સ્વ સ્વરૂપની સાત્ત્વિક પ્રતિભા પ્રગટ થતી જાય. જીવંત જીવન રૂપે ભૂતકાળમાં કરેલા કર્મોના પરિણામને ભોગવવાના કાર્યો થાય છે. તે પરિણામની ગમતી કે અણગમતી સ્થિતિની પ્રાપ્તિનો અસ્વીકાર થઈ શકતો નથી. દરેક માનવીને પોતે કરેલાં કર્મોનું ફળ ભોગવવાનું જીવન જીવવું જ પડે છે.  તેથી ગમતાં કે અણગમતાં સંજોગોનું જીવન જિવાય, ત્યારે અણગમતી પરિસ્થિતિમાં મન જો સતત પ્રતિક્રિયા કરે, વિહ્વળ થયાં કરે, કે નકારાત્મક વૃત્તિથી ઉશ્કેરાઈને વર્તે, તો મનની એવી અસમતોલતાની અસર તન પર થાય છે. તનનું સ્વાસ્થ્ય સ્વસ્થ ન રહેતાં રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય અને તનની અસ્વસ્થતાના લીધે નિરાશામાં, હતાશામાં મન ડૂબી જાય છે. મનની આવી નિરાશાજનક સ્થિતિમાં સર્જનાત્મક કાર્યો કરવાનું કૌશલ્ય ઘટતું જાય છે. બુદ્ધિગમ્ય કૌશલ્ય શિથિલ થાય, તે છે મનની વૃદ્ધ અવસ્થા.

       શરીરનો જે આકાર જન્મે છે તેનો વૃદ્ધિ રૂપે વિકાર થાય છે અને અંતે વૃદ્ધ થઈને મૃત્યુ પામે છે. પરંતુ પ્રભુએ દરેક માનવીને જે મનની ભેટ અર્પી છે, એ તો સદા ખીલતું રહે, વૃદ્ધિ પામતું રહે. એનો અંત આકારિત શરીરની જેમ થતો નથી. મનનું સ્વરૂપ વિલીન થઈ શકે, એટલે કે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારો વિલીન થાય, ત્યારે તે સ્વયંના આત્મ સ્વરૂપમાં સ્થિત થાય. પછી તે સ્વયંની સાત્ત્વિક પ્રતિભાને, આત્મીય ગુણોની દિવ્યતાને પ્રગટાવતું પરમાર્થી જીવન જીવે છે. તેથી  મનની વૃદ્ધ અવસ્થા જ્યાં નથી, ત્યાં છે સર્જનાત્મક વિચારોની કૌશલ્યતાને, પરોપકારી ભાવની સૌજન્યતાને, અર્પણભાવની નિર્મળતાને ખીલવતી વૃદ્ધિની સ્થિતિ. ભક્ત તો પ્રભુએ અર્પણ કરેલી ભેટનો સદુપયોગ થાય, તે માટે જ્ઞાન-ભક્તિ સ્વરૂપે સાત્ત્વિક વિચારોમાં મનને તરતું રાખે છે. તેથી ગમતી પરિસ્થિતિ હોય કે, અણગમતી દુ:ખદ પરિસ્થિતિ હોય, એ તો વિરોધી પ્રકારની પરિસ્થિતિઓને શરણભાવથી સ્વીકારે છે. કારણ દરેક પરિસ્થિતિ રૂપે થતાં કાર્ય કે પ્રવૃત્તિના કર્મ, પ્રભુની ચેતનવંત ઊર્જા શક્તિના સહારે થઈ શકે છે. એ સત્યને પચાવીને ભક્ત દરેક પરિસ્થિતિને સમભાવથી સ્વીકારી, અકર્તાભાવથી કર્મ કરે છે. તે સત્યનું સ્પષ્ટ દર્શન મનમાં જો સ્થપાઈ જાય તો સમજાય કે, વિરોધી પ્રકારની કોઈ પણ પરિસ્થિતિની આવનજાવન થતી રહે છે. તે સ્થાયી રહેતી નથી એમાં વધઘટ થતી રહે છે. પરંતુ સત્ય એ છે કે જેમાં આકારોની જેમ વધઘટ નથી, તે છે પ્રભુની ચેતના અને તે ઊર્જા શક્તિ રૂપે સૌને સતત પ્રાપ્ત થયાં કરે છે. તેથી જેની સંગાથે કાર્યો થાય છે, તે પ્રભુના અંશ રૂપે પ્રાપ્ત થયેલાં મનના સ્વરૂપથી માનવીએ પરિચિત થવું જોઈએ. જેથી મનને પોતાને જ પોતાની નિર્મળતા કે સબળતાનો અંદાજ આવી શકે.

       મન સ્વયંથી એટલે કે આત્મ સ્વરૂપથી પરિચિત થાય, તો પોતાના સ્વભાવનું પરિવર્તન        આપોઆપ થઈ શકે. કારણ પરિચિત મનને આત્માની દિવ્યગુણોની પ્રતિભાને ખીલવવાની જિજ્ઞાસા જાગે છે. મનને પછી પ્રતિક્રિયાના વર્તનમાં સ્થિત થવાનું ગમશે નહિ. અણગમતી પરિસ્થિતિમાં વિહ્વળ થવાને બદલે તે પરિસ્થિતિનો તાગ કાઢશે, પોતાના સ્વભાવની ભૂલોને સ્વીકારશે, જેનાં કારણે અણગમતી સ્થિતિ જન્મે છે. આમ જ્ઞાન ભક્તિના સત્સંગ રૂપે સ્વ પરિચયની જાગૃતિ ધારણ થાય અને સમતોલભાવથી સંજોગોને સ્વીકારવાની નિષ્ઠા વધતી જાય. એવી નિષ્ઠામાં મનનું ગુણિયલ પ્રતિભાનું સામર્થ્ય પ્રગટતું જાય અને સાત્ત્વિક આચરણનું સૌંદર્ય ખીલતું જાય. પછી પ્રભુ સાથેની ઐક્યતાનો અહેસાસ થાય, એટલે કે આત્મ સ્વરૂપની અભિન્નતા અનુભવાય. મનને પછી ભેદ દૃષ્ટિથી પોતાની ભૂલ પરખાય. જેમ ભેદ દૃષ્ટિના લીધે સૂર્યનો પ્રકાશ અને પ્રકાશિત કિરણો જુદાં ભાસે છે, તેમ આત્મા અને મનની ભિન્નતા ભાસે છે. સૂર્યનો પ્રકાશ કિરણ રૂપે પ્રસરે છે એવી સમજની જાગૃતિ થાય પછી ભેદભાવની દૃષ્ટિને ઓગાળતું ચિંતન થાય. ભક્ત તો એકમ દૃષ્ટિની જાગૃતિથી જીવે છે અને નિ:સ્વાર્થ પ્રેમના સદ્ભાવથી પ્રભુ સાથેની ઐક્યતાને માણે છે.

 

       પ્રભુની ચેતનાનો વસવાટ શ્ર્વાસ રૂપે દેહમાં છે,

મન જો ચેતનાના સંગાથને ભક્તિભાવથી અનુભવે;        

તો નિ:સ્વાર્થ પ્રેમના સદાચરણને ધારણ કરે

અને સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં સ્થિત થાય;

       અધ્યયનમાં મન એકતાર થઈને અંતર ધ્યાનસ્થ થતું જાય

અને પ્રેમનો સદ્ભાવ સ્વયંભૂ જાગૃત થાય;

       સદ્ભાવ જાગે પછી સંસારી ભોગનો અભાવ નહિ રહે,

પ્રેમની ધારા તો ભેદભાવને મીટાવી દે.

 

       જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે અહંકારી વૃત્તિઓનું સમર્પણ થતું જાય, અર્થાત્ સમર્પણભાવની જાગૃતિમાં નિ:સ્વાર્થ પ્રેમની ધારા પ્રગટે. પ્રેમની નિર્મળતાથી ભક્ત બીજી સંબંધિત પરિસ્થિતિ સાથે વ્યવહાર કરે. કારણ એ તો દરેક પરિસ્થિતિ રૂપે પ્રભુની ચેતનાના આવિષ્કારને સ્વીકારે છે. એવાં સ્વીકારમાં ભેદ દૃષ્ટિ વિલીન થઈ હોવાંથી સ્વમય ચિંતનમાં તલ્લીન થતાં જવાય. ભક્તની એવી તલ્લીનતા અનુભવે સ્વ સ્વરૂપની સાત્ત્વિક પ્રતિભાને, જે સમદૃષ્ટિની સૂક્ષ્મતાથી અંતરની પારદર્શક વિશાળતામાં ઓતપ્રોત રહે તથા અંતર્યામીએ અર્પણ કરેલાં સાત્ત્વિક વિચારોના ધનને, બીજા જિજ્ઞાસુઓને તે અર્પણ કરતો રહે.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
પ્રીત-પૂર્તિના ભૂખ્યા પ્રભુનો સથવારો સૌને હોય

નિ:સ્વાર્થ પ્રેમનો અનુભવ ક્યારે થાય, કોની સંગમાં થાય, એવાં વિચારો જિજ્ઞાસુ ભક્તના મનમાં આરંભમાં જાગે છે. કારણ વ્યવહારિક જગતના સંબંધોમાં મોટેભાગે સ્વાર્થ છૂપાયેલો હોવાંથી, નિ:સ્વાર્થ પ્રેમની પ્રતીતિ સહજતાથી થતી નથી. નિ:સ્વાર્થભાવની દુર્લભ પ્રતીતિ માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી. પ્રભુએ આ જગતમાં સર્વે જીવંત કૃતિ સ્વરૂપે દિવ્ય પ્રીતની ચેતનાનો પ્રાદુર્ભાવ ધર્યો છે. જેથી જિજ્ઞાસુ ભક્ત નિ:સ્વાર્થતાની પ્રતીતિથી સ્વયંની આત્મીય ચેતનાનું સંવેદન ઝીલી શકે. પ્રભુની આત્મીય ચેતના એટલે કે પ્રાણ શક્તિના લીધે દરેક દેહધારી આકૃતિઓની જીવંત સ્થિતિ છે. તે પ્રાણની ચેતનાના આધારે દેહધારી કૃતિઓ જન્મે છે અને એ જ ચેતનાના શ્ર્વાસ રૂપી પોષણથી વૃદ્ધિ-વિકાસનું જીવન જીવી શકે છે. અર્થાત્ દરેક જન્મેલી કૃતિઓ, કે જગતમાં ઉત્પન્ન થતી પ્રકૃતિમાં પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાનો પ્રાણ છે. એટલે જ સર્વે જીવંત કૃતિઓ પ્રભુ પ્રીતની અભિવ્યક્તિ છે. પ્રાણની ચેતના  છે કે નથી એવાં વિચારો સંદિગ્ધ કે અર્થહીન છે. કારણ તે જો નથી તો ખુદનું અસ્તિત્વ નથી અને અસ્તિત્વ વગર વિચારોની જ હસ્તી નથી અને તે જો છે તો એવાં વિચારોના આધારે કોઈની જીવંત સ્થિતિ નથી. કારણકે મનનાં ઉચિત કે અનુચિત વિચારોથી પ્રભુની પ્રાણ શક્તિને આપણે ધારણ કરી શકતાં નથી. તે દિવ્ય પ્રીતની ચેતના તો પ્રાણ શક્તિ સ્વરૂપે સર્વત્ર પ્રસરેલી છે અને કોઈપણ પુરુષાર્થ વગર સૌને સહજતાથી શ્ર્વાસ રૂપે ક્ષણે ક્ષણે પ્રાપ્ત થયાં કરે છે.

     દરેક માનવીનો એવો સ્વભાવ છે કે, જે કોઈપણ મહેનત વગર સહજ મળી જાય અને સતત પાસે હોય તેની ઉપેક્ષા કરવી. પ્રભુની દિવ્ય ચેતનાની સતત હાજરીના લીધે જીવંત જીવનની ઉપલબ્ધિ છે. એટલે તે સત્યના માત્ર જાણકાર થવાનું ન હોય, પણ એનાંમય થઈ જીવવાનું હોય. તેથી ભક્તનું મન માત્ર જાણકાર ન થાય પણ પ્રભુ પ્રીતનો અનુભવ કરાવતી અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રહે. એ તો વાતાવરણની પ્રકૃતિમાં, વનસ્પતિ જગતની પ્રકૃતિમાં દિવ્ય પ્રીતની ચેતનાનો સંચાર અનુભવે, તથા પોતાના દેહના અંગોની પ્રક્રિયાઓમાં આત્મીય ચેતનાના સંચારને, ઊર્જાના વિદ્યુતિ સ્પંદનો સ્વરૂપે અનુભવે. એવાં અનુભવ રૂપે પ્રકૃતિમાં કે અંગોમાં થતી સેવા રૂપી પ્રક્રિયાઓમાં, મનના રાગ-દ્વેષનો વિક્ષેપ ન થાય તેની કાળજી રાખે છે. ભક્તની આવી કાળજીભરી પ્રેમભાવની લાગણી, એ જ છે ભક્તિનું સદાચરણ. ભક્તની જેમ દરેક માનવી ભક્તિમય જીવનની શાંત સૌમ્યતાને ધારણ કરી શકે એમ છે. કારણ દરેકની જીવંત સ્થિતિ છે અને જીવંત સ્થિતિ રૂપે પ્રભુની આત્મીય ચેતનાનું સાક્ષાત્ સાંનિધ્ય છે. માનવી જો દરેક પ્રકારના સંબંધમાં જે પણ કૃતિઓનો સંગ કરે, તેને અહોભાવથી સ્વીકારે તો રાગ-દ્વેષ, ક્રોધ, ઈર્ષ્યા, અપેક્ષા ઓછાં થતાં જાય. દરેક કૃતિ પ્રભુ પ્રીતની અભિવ્યક્તિ છે એવાં સ્વીકારમાં રાગ-દ્વેષના ભેદભાવનો કોલાહલ ઓછો થતો જાય. જેટલો કોલાહલ ઓછો તેટલો સ્વયંને જાણવાનો, અનુભવવાનો જિજ્ઞાસુ ભાવ વધતો જાય.

 

પ્રભુ પ્રીત તો પ્રાણ પૂર્તિની ભૂખી હોય,

તે કદી પૂજા કે સન્માનની ભૂખી ન હોય;

પ્રીત પૂર્તિના ભૂખ્યાં પ્રભુનો સથવારો સૌને હોય,

સ્વાર્થીનો પણ હાથ કદી છોડ્યો ન હોય;

પ્રભુ પ્રીતને માણવા ભક્ત તો શરણાગતિના સૂરથી ગત વાતો ભૂલી,

પ્રાણની ગતિને શરણે જાય;

જ્યાં નથી અહંકારી વૃત્તિનો સ્વાર્થ,

પણ હોય ત્યાં પ્રગતિ રૂપે પ્રીતની ચેતનાનો પ્રકાશિત પથ.

 

     પ્રભુની પ્રીત એટલે કે પ્રાણ શક્તિની ઊર્જાનું દાન, સર્વે દેહધારી જીવોને નિરંતર પ્રાપ્ત થતું રહે છે. તે દાન મેળવવા માટે કોઈને સ્તુતિ કે પૂજા કરવી પડતી નથી, કે પ્રભુની પરમોપરમ સત્તાને પામર બની વિનંતિ કરવી પડતી નથી. કોઈપણ કક્ષાના ભેદભાવ વગર નિરપેક્ષભાવથી અર્પણ થતી, પ્રાણની ઊર્જા શ્ર્વાસ રૂપે સહજ ધારણ થયાં કરે છે. આવાં શ્રેષ્ઠ દાનની પ્રાપ્તિને અહોભાવથી, શરણભાવથી, પ્રેમભાવથી સ્વીકારે, તે છે ભક્તિનું આચરણ. જીવંત જીવનનો જે પાયો છે, જે મૂળભૂત શક્તિ છે, તે પ્રાણની ઊર્જાનો ભક્ત માત્ર સ્વીકાર નથી કરતો, પણ શ્ર્વાસનાં ધબકારે ધબકારે પ્રભુ પ્રીતને આવકારે છે. જેમ એક નાનું બાળક પોતાની માતાના ખોળામાં નચિંતપણે સૂતું હોય છે; તેમ ભક્ત શ્ર્વાસ-પ્રાણ રૂપી માતાના ખોળામાં સૂઈ જાય છે, એટલે કે ભૂત-ભવિષ્યની ચિંતા છોડી, વર્તમાનની જીવંત ક્ષણે તે આત્મીય પ્રાણની દિવ્યતાને, પ્રીતને, સાત્ત્વિક ગુણોને પ્રકાશિત કરાવતી ભક્તિના આચરણમાં ઓતપ્રોત રહે છે. અર્થાત્ ભક્તિભાવની અંતર ગતિથી પ્રભુ પ્રીતને ભક્ત માણે છે.

     ભક્તની જેમ પ્રભુ પ્રીતને માણવી હોય, તો રાગ-દ્વેષના કોલાહલને શાંત કરવો પડે અને અહંકારી માનસને ઓગાળવું પડે. મનનું અહંકારી, અજ્ઞાની સ્વભાવનું માનસ ત્યારે ઓગળી શકે, જ્યારે એને પરખાઈ જાય કે, સર્વત્ર પ્રભુની ચેતનાનો જ સંચાર છે અને તેનાં વગર હું નિરાધાર છું તથા એનાં સંગાથ વગર દેહધારી જીવનની હસ્તી નથી. આવી પારખ રૂપે સચ્ચિદાનંદ સ્વરૂપથી પરિચિત થવાય, તે છે મનની શરણાગતિની જાગૃતિ. એવી જાગૃતિ પ્રભુ પ્રીતની ઐક્યતાને અનુભવે અને એકમનો મોહ લગાડે છે. ભક્ત પ્રભુ પ્રીતમાં એકરૂપ થવાં માટે મોહાંધ થાય, તે છે ભાવની અંતરધ્યાનસ્થ સ્થિતિ. એવી ધ્યાનસ્થ સ્થિતિમાં ન હોય રાગ-દ્વેષના અહંકારી વિચારો, પણ હોય ભાવની નિર્મળતાના પ્રકાશિત તરંગો. આવી ભાવમય એકાગ્રતામાં સ્વયંભૂ સ્થિત થવાય, ત્યારે સ્વ જ્ઞાનનો તત્ત્વાર્થ ધારણ થતો જાય. એવાં ભક્તનું અસ્તિત્વ પ્રભુ પ્રીતની અભિવ્યક્તિ ધરે, જેની પ્રતીતિ બીજા જિજ્ઞાસુઓને કરુણા રૂપે, પ્રેમનાં વહાલ રૂપે, સહાનુભૂતિ રૂપે થાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, "આપની દિવ્ય પ્રીતની સત્ત્વિક ગુણોની પ્રતિભા ભક્તિ ભાવ સ્વરૂપે પ્રકાશિત થાય એવી કૃપાનું ધન શ્ર્વાસે શ્ર્વાસે ધારણ કરાવો.”

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્થૂળમાં બંધાઈ રહી જીવન કર્યું ધૂળ જેવું

આપણે સૌ શરીરની સંગાથે દેહધારી જીવન જીવીએ છીએ. એવું લૌકિક જીવન પ્રકૃતિ જગતના આધારે, અરસપરસના સહયોગથી જીવાય છે. જેમકે વનસ્પતિ જગતની અનેક આકૃતિઓ છે. તે લીલીછમ કૃતિઓનો અપાનવાયુ માનવી માટે પાન કરવાનો વાયુ છે અને માનવ સહિત બીજા પ્રાણીઓનો અપાનવાયુ વનસ્પતિ જગત માટેનો પાનવાયુ છે. વાયુની આવી લેવડદેવડમાં કોઈ એકબીજાના કરજદાર નથી. પરંતુ મન જો આ લેવડદેવડની પ્રક્રિયાથી અજાણ રહે અને પોતાની અહંકારી વૃત્તિના માલિકીભાવથી જીવે તો એવું મન દેવાદાર છે. કારણ પ્રભુની આત્મીય ચેતનાથી સર્જાયેલાં વાયુ, અગ્નિ, પાણી તથા સૂર્ય-ચન્દ્રના પ્રકાશની ઊર્જાનો સ્ત્રોત સર્વેને સમર્પણભાવથી અર્પણ થાય છે. તેથી તેનો ઉપયોગ માનવી જો સ્વચ્છંદતાથી, વિચાર્યા વગર ઉદ્વત્તાઈથી, સ્વાર્થી સ્વભાવથી કરતો રહે તો પ્રભુએ પ્રગટાવેલી મહાભૂતોની પ્રકૃતિનું દાન, જે સમર્પણભાવથી અર્પણ થાય છે, તેનું નિયમિત ચક્ર ખોરવાઈ જાય છે. અર્થાત્ મનની અણસમજ, અજ્ઞાનતા, કે અહંકારી સ્વભાવની જડતાના લીધે જ પ્રકૃતિ જગત સાથેનું અરસપરસની પ્રક્રિયાઓનું તંત્ર અસમતોલ થતું જાય છે. જે કુદરતી આફતો લાવે છે, તથા ચર્મચક્ષુથી ન દેખાતાં જંતુઓની જે વિશાળ સૃષ્ટિ છે તેની કાર્યવાહી ખોરવાઈ જતાં, અસાધ્ય રોગના જંતુઓ વાયુમંડળમાં પ્રસરે છે. જેનાં લીધે દેહધારી આકૃતિઓમાં વ્યાધિનું પ્રમાણ વધતું જાય છે. આધિ-વ્યાધિની અસ્વસ્થતાનાં લીધે માનવીના એકબીજા સાથેના સંબંધો પણ સ્વસ્થ નથી રહેતાં.

     દરેક માનવીનો સ્વભાવ એની વાણી-વિચારોના વર્તનથી ઓળખાય છે. એટલે માનવી પોતાના વર્તનથી કર્મસંસ્કારોના લેખ લખે છે. તેથી જ કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છાઓમાં બંધાયેલું જીવન સૌને જીવવું પડે છે. કારણ મનથી પોતે જ ઈચ્છેલું છે, વિચારેલું છે, આચરેલું છે. એટલે પ્રારબ્ધ રૂપે વર્તમાન જીવન અત્યારે મળ્યું છે તેનાથી છટકી શકાય તેમ નથી. ખુદ પોતાના જ સ્વભાવથી, વિચાર-વર્તનથી જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ, તેની પ્રતિક્રિયા રૂપે વર્તમાનનું જીવન મળે છે. આ વાસ્તવિક્તાનો સ્વીકાર કરીને જે જીવે છે તેને સરળતાથી સમજાય છે કે, પ્રભુએ પ્રકૃતિ સાથેની અરસપરસની પ્રક્રિયાઓનું ચક્ર સર્જાવીને, સર્વત્ર સહયોગી સ્થિતિની, સહાયકારી સ્થિતિની પ્રસન્નતાને પ્રગટાવી છે. ક્યાંય કોઈ કરજદાર કે દેવાદાર નથી. પરંતુ માનવી આ વાસ્તવિક્તાથી અજાણ રહીને જીવે છે એટલે પ્રભુની સર્વવ્યાપક આત્મીય ચેતનાથી પણ મન અપરિચિત રહે છે. અપરિચિત મનની અજ્ઞાનતા માત્ર સંસારી કાર્યોમાં, લૌકિક સંબંધોમાં, રાગ-દ્વેષનાં ભેદભાવથી ઓતપ્રોત રહે છે. એટલે દેહધારી પ્રકૃતિની સમતોલતા ખોરવાતી જાય છે. સ્વયંથી અજાણ રહેતાં મનની અજ્ઞાનતાના લીધે સમાજમાં ભેદભાવની ભિન્નતાથી વ્યવહાર થાય છે. જે એકબીજા સાથે સરખામણી કરી, ઉચ્ચ-નિમ્ન સ્તરના તોલમાપથી સંબંધ નિભાવે છે. એવાં સંબંધોમાં પ્રેમની સુવાસના બદલે સ્વાર્થનો બદબો હોવાંથી લાગણી, સ્નેહ, વહાલ મનમાં સુષુપ્ત રહે છે. એવી સુષુપ્તિના લીધે મન યાંત્રિક ઉપકરણોનો ગુલામ બની જાય છે. તેની સાબિતી એટલે આજના સમયનું સ્માર્ટ ફોન સાથેનું સગપણ.

     આજકાલ માનવીનું માનસ એવું થઈ ગયું છે કે વ્યક્તિગત સંબંધોની અમૂલ્યતા ખાસ મહત્વની નથી, પણ આધુનિક સાધનોનું મહત્વ વધુ છે, એવી રીતે જીવવાની ગોઠવણ કરી દીધી છે. જો સ્માર્ટ ફોન એક દિવસ ન ચાલે તો બેચેની લાગે, કોઈ કાર્ય કરવાનું ગમે નહીં, કારણ ફોનનાં આધારે જ બધાં કાર્ય થતાં હોય છે. એનો અર્થ એવો નથી કે સ્માર્ટ ફોનનો ઉપયોગ યોગ્ય નથી. પરંતુ જીવતાં માનવી સાથેના સંબંધોને ભૂલીને, જડ સાધનો સાથે આખો દિવસ બંધાઈને જેઓ જીવે છે, તેઓનું મન ભાવવિહીન શુષ્ક થતું જાય છે. એવાં મનમાં સહજ આપમેળે પ્રેમની લાગણીઓ જાગૃત થતી નથી. તે માટે પાર્ટી કરવી પડે, કે હોટલમાં જવું પડે, કે મોલમાં શોપિંગ કરવા જવું પડે, તો જ પ્રેમ કે આનંદનો તેઓને ક્ષણિક અનુભવ થાય છે. એવાં ક્ષણિક અનુભવનાં લીધે, વારંવાર તેઓ એ જ પાર્ટી જેવાં કાર્યો કરવા માટે બેચેન રહે છે. આમ છતાં હૃદયભાવની નિ:સ્વાર્થ પ્રેમની લાગણીનો અનુભવ થતો નથી. એટલે નિ:સ્વાર્થ પ્રેમના અભાવમાં જીવતો માનવી બાહ્ય પદાર્થોમાં, વસ્તુઓમાં કે વાતાવરણમાં ફરતો રહે છે અને બાહ્ય સાધનોના વળગણમાં રહીને પોતે પણ એક સાધન જેવો બની જાય છે.

 

     સંસારમાં સુખ, પ્રેમ, આનંદનું સાચું કૂખ નથી અને દુ:ખનું સાચું મુખ નથી;

     સૂક્ષ્મનું જ્ઞાન જાણવા મન પુરુષાર્થ કરે નહીં અને સ્થૂળમાં શોધે સુખની ખાણ;

પ્રેમ, લાગણી વગરનું અધુરું જીવન રહે અધીરાઈનું,

એટલે નિ:સ્વાર્થભાવનું પોષણ મેળવે નહીં;

     સ્થૂળમાં જ બંધાઈ રહીને જીવન ધૂળ જેવું કરી, સમજે નહીં કે આ મેં ભૂલ કરી!

 

     સામાન્ય માનવી માટે પ્રેમ કે આનંદનો અનુભવ, પોતાને ગમતી પરિસ્થિતિ કે વ્યક્તિ પર નિર્ભર રહે છે. તેથી ગમતી સ્થિતિની ગેરહાજરીમાં પ્રેમ કે આનંદ માટે મન ઝૂરે છે. વાસ્તવમાં આનંદ સ્વરૂપની, દિવ્ય પ્રીત સ્વરૂપની પ્રકાશિત આત્મીય ચેતના આપણે ધારણ કરી છે. એટલે ગમતી પરિસ્થિતિનાં સંગમાં આનંદનો અનુભવ મન કરી શકે છે. પરંતુ એવાં ક્ષણિક આનંદના અનુભવથી મન તે ગમતી પરિસ્થિતિનો માલિકીભાવથી ભોગવવાનો પ્રયત્ન કરે છે. એવાં પ્રયત્નમાં રાગ-દ્વેષ, ઈર્ષ્યા, લોભ, અદેખાઈ વગેરે નકારાત્મક વૃત્તિઓમાં મન બંધાઈ જાય છે અને સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપની નિ:સ્વાર્થ ભાવની પ્રીતથી અજાણ રહે છે. મનની એવી અજ્ઞાનતા જો પ્રકૃતિ જગતની અનેક કૃતિઓની વિશેષતાને જાણે, એની ગુણિયલ પ્રતિભાને આભારપૂર્વક ગ્રહણ કરે, તો નિ:સ્વાર્થ ભાવની ધારા મનોમન જાગૃત થતી જશે. પછી આત્મ સ્વરૂપની ભાળ મળતી જાય અને મન અંતર પ્રયાણ તરફ ઢળતું જાય.

 

પ્રત્યેક કૃતિની પ્રશંસામાં પ્રભુની આત્મીય પ્રીતનો અંશ

મનોમન જો ધારણ થાય;

તો ગૌરવ લેજો પ્રકૃતિને સમજવામાં,

કારણ સંસારને સમજવો બહુ મુશ્કેલ છે;

આજનો મિત્ર ક્યારેક બની જાય કાલનો દુશ્મન,

પણ પ્રકૃતિની મૈત્રીમાં છે પ્રભુની છત્રી;

તે ખૂલે તો જાગે અંતર પ્રયાણનો ભાગ્યોદય

અને આપે દુર્લભ દિવ્ય ભાવની મતિ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
આત્મીય ચેતનાની પ્રતીતિ ધારણ થાય

સ્વયંના આત્મ સ્વરૂપથી અપરિચિત રહેતી મનની અજ્ઞાનતાનો અંધકાર મીટાવવા માટે, આપણને માનવ જન્મનો પુરસ્કાર મળ્યો છે. પરંતુ રાગ-દ્વેષના ભેદભાવમાં રહીને, મારું-તારુંની સરખામણી કરતાં રહેવાંથી, તે પુરસ્કારનો અજાણતાં તિરસ્કાર થાય છે. માનવીને જાણ નથી કે તિરસ્કાર કરવાથી, પ્રાપ્ત થયેલી દેહની સ્વસ્થતા જળવાતી નથી.   તનનું સ્વાસ્થ્ય કદાચ ઔષધ ઉપચારથી પ્રાપ્ત થાય, પરંતુ મનનું સ્વાસ્થ્ય બગડે પછી એને પુન: સ્વસ્થ કરવામાં ઘણીવાર અનેક જન્મોની યાત્રા કરવી પડે છે. વારંવાર જન્મ-મૃત્યુના આવાગમનના ફેરા ફરતાં ફરતાં, જ્યારે દેહધારી જીવનનો મહિમા જણાય, ત્યારે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જાગૃત થાય. મન જો રાગ-દ્વેષના કાદવમાં ફરતું રહીને, ક્રિયા-પ્રતિક્રિયાના વ્યવહારમાં બંધાયેલું રહે, તો મહિમા જાણવા છતાં જિજ્ઞાસુભાવનો અગ્નિ જાગૃત થતો નથી. એવું મન જાણ રૂપે માહિતી મેળવી, ચર્ચા કરવામાં તર્કબદ્ધ દલીલ કરવામાં હોંશિયાર બનતું જાય. એવી હોંશિયારીથી સંસારી જીવનની સમૃદ્ધિ મળી શકે, પણ આધ્યાત્મિક અંતર જીવનની પરમાર્થતા ધારણ થઈ ન શકે. જિજ્ઞાસુભાવની જાગૃતિમાં હૃદયભાવની નિખાલસતા ધારણ થાય. મનની બુદ્ધિ પ્રતિભા કે ચિત્તની એકાગ્રતાથી પણ હૃદયભાવની નિર્મળતા શ્રેષ્ઠ છે. કારણ જ્યાં ભાવ છે, ત્યાં વિચારોની આવનજાવન નથી, પણ નિ:સ્વાર્થ પ્રેમભાવની સંવાદિતા(સુમેળતા) છે અને ભાવની જાગૃતિ જે મન-બુદ્ધિથી અગમ્ય આત્મીય ચેતના છે, તેનું સંવેદન ઝીલી શકે છે.

     મનની અહંકારી અજ્ઞાની વૃત્તિઓનો જે કર્તાભાવ છે, તે લેવડદેવડના વિનિમય વ્યવહારથી જીવન જીવે છે. એટલે ભાવની નિ:સ્વાર્થતાને ધારણ કરી શકતું નથી. મનની એવી અજ્ઞાનતાનો અંધકાર સાત્ત્વિક વિચારોનો અધ્યયનથી વિલીન થતો જાય. અધ્યયન રૂપે મનોમન મંથન થાય, ત્યારે શ્ર્વાસે શ્ર્વાસે અર્પણ થતી આત્મીય ચેતનાની પ્રતીતિ થાય અને પ્રતીતિ સ્વરૂપે મનનો આજ્ઞાંકિત, નિખાલસ, જિજ્ઞાસુભાવ પ્રબળ થતો જાય. જિજ્ઞાસુભાવની જાગૃતિ સ્વયંની  સ્વાનુભૂતિમાં સ્થિત થવાં માટે, હૃદયભાવની તળેટીમાં રહીને સ્વમય ચિંતન કરે છે. જેથી ભૂતકાળના લૌકિક વિચારોમાં ફરવાનો, કે ભવિષ્યના સ્વપ્ના જોવાનો ફાજલ સમય બચે નહિ. જિજ્ઞાસુ ભક્ત પાસે સંસારી વિચારોમાં ફરતાં રહેવનો ફાજલ સમય ન હોવાંથી તે જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત રહીને સ્વયંના સૂક્ષ્મ અસ્તિત્વની વિશાળતાને અનુભવતો જાય. આવી સૂક્ષ્મ-વિશાળતામાં ભાવની જાગૃતિ તરતી રહે, તેને કહેવાય સ્વમય અંતર ભક્તિનું આચરણ. સ્વ ભક્તિ સ્વરૂપે સમર્પણભાવની જાગૃતિ હોવાંથી, અહંકારી સ્વભાવની કે રાગ-દ્વેષના ભેદભાવની દુર્ગંધને બદલે નિ:સ્વાર્થ પ્રેમભાવની સુગંધ પ્રસરે છે. તે સુગંધ એટલે જ સાત્ત્વિક ગુણોનું પરમાર્થી જીવન. ગુણિયલ પ્રતિભાની પ્રગતિથી ભક્ત તો અંતર યાત્રા કરતો રહે અને પ્રભુએ અર્પણ કરેલાં ગુણિયલ પ્રસાદને, બીજા માનવીઓને ભક્તિના માર્ગે ઢાળવા માટે વહેંચતો રહે.

     માનવી મન એટલે જ અનેક પ્રકારના પ્રેમની ભૂખ. મન જો પ્રેમની ભૂખને સંતોષી શકે તો પ્રગતિની ગુણિયલતા ધારણ કરી શકે. અર્થાત્ પ્રભુએ પ્રગતિની ઉન્નતિ માટે મનનું વાહન ધર્યું છે. દેહધારી જીવનની દરેક પ્રક્રિયાઓ મનના વાહનથી અનુભવી શકાય છે. તથા સાત્ત્વિક ગુણોની ઉન્નતિને પણ ધારણ કરી શકાય છે. પરંતુ ઉન્નતિની પ્રગતિને અટકાવે છે અહંકારી સ્વભાવની અજ્ઞાનતા. જે રીત રિવાજોની જૂની ઘરેડમાં બંધાઈને પોતાને આકારિત દેહ માને છે. એટલે એવું અહંકારી મન દેહના મૃત્યુથી ડરે છે અને ભય પ્રેરિત રહીને કર્મકાંડની વિધિઓમાં વ્યવસ્ત રહે છે. એવાં મનને સાત્ત્વિક વિચારોમાં ઢાળવા માટે અથાગ પ્રયત્ન કરવો પડે. કારણ અમુક રીત રિવાજોના સંસ્કારોમાં મન બંધાયેલું હોવાંથી, તે રીત-રિવાજોનું પુનરાવર્તન થયાં કરે છે. તેથી એવાં કર્મસંસ્કારોને બાળવા માટે, સાત્ત્વિકભાવના પ્રભુ સંસ્કારોનું જલદ રસાયણ જોઈએ. એવાં રસાયણનો પ્રસાદ જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિના સત્સંગથી અર્પણ થાય. તેથી જીવનમાં જો કોઈ જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મળે, તો સદ્ભાગ્યનો સૂર્યોદય થયો કહેવાય. એવા સદ્ભાગ્યથી મનનો ઉધ્ધાર કરાવતી પ્રગતિની ઉન્નતિનું ધન મળે, ત્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગમાં લીન થવાનો પુરુષાર્થ કરવો જોઈએ.

    

મનને ડૂબવો ધ્યો ભાવથી જ્ઞાન-ભક્તિના તળાવમાં

અને એની તળેટીમાં જઈને સ્વમય ચિંતન કરો;

તો પ્રગતિનું સમતોલ ધન ધારણ થતું જશે

અને મન બની જશે હૃદયભાવની નિખાલસતા;

ભાવની નિખાલસ ધારામાં નીચોવાઈ જાય રાગ-દ્વેષ-ઈર્ષ્યા,

ત્યારે થાય અહંકારી વૃત્તિઓનું સમર્પણ;

હૃદયભાવથી અંતરની સૂક્ષ્મતા અનુભવાય

અને આત્મીય ચેતનાની પ્રતીતિ ધારણ થાય.

    

     સાત્ત્વિક વિચારોનું મંથન કરાવતું શિક્ષણ બાળપણથી જ મનને મળવું જોઈએ. મારી દૃષ્ટિએ નિશાળમાં જ આ શિક્ષણના મંડાણ થાય, તો યુવાન અવસ્થાની બુદ્ધિની તીક્ષ્ણતાથી સ્વ સ્વરૂપની સૂક્ષ્મતા, કે વિશાળતા સહજતાથી પરખાતી જાય. સ્વ સ્વરૂપની ઓળખથી પ્રગતિની દિશાના દ્વાર ખૂલતાં જાય છે. સ્વ સ્વરૂપની વાસ્તવિકતાનો સ્વીકાર થશય, તો સંસારી જીવનની ઘણી મુંઝવણોથી પણ મુક્ત રહી શકાય. જીવનમાં ઘણીવાર પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલીઓમાંથી પસાર થવા માટે વીરતા જરૂરી હોય, અથવા અનુકૂળ સંજોગોને સંતની જેમ અકર્તાભાવથી ભોગવવાની સૌમ્યતા જરૂરી હોય. જીવનની વિવિધ ઘટનાઓના અનુભવમાં, મનનો અહંકાર જો જ્ઞાન-ભક્તિના સદ્ભાવને લીધે ઓછો જણાય, તો અંતરની ઉન્નતિ ધારણ થતી જાય. તેથી અજ્ઞાની અહંકારી વૃત્તિ રૂપી ઈંડાને, જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી ફોડી નાંખવું જોઈએ. અજ્ઞાનના લીધે જ કર્તાભાવનો અહંકાર વધતો રહે છે. જો આ ઈંડાને ફોડીશું નહિ, તો અજ્ઞાની વૃત્તિઓ અજ્ઞાની વર્તન રૂપી બચ્ચાને જન્માવશે. તેથી પોતાના અજ્ઞાની વર્તનના અહંકારનો સ્વીકાર જો થાય, તો સાત્ત્વિક વિચારોના મનોમંથનથી જ્ઞાન-ભક્તિમાં મન સ્થિત થતું જશે. પછી હૃદયભાવની નિખાલસતા આત્મીય ચેતનાની ઐક્યતામાં એકરૂપ આપમેળે થતી જશે. એવી એકરૂપતાની યાત્રા જીવતા જ કરવાની હોય. આ જીવનમાં ભાવનો નિખાલસ કુંડ બનીએ અને પ્રેમભાવનું પ્રસરણ કરી શકીએ એવી પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.

    

    

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્વયંને જાણવાની અંતરયાત્રા

મને ગોકુળ હવે લઈ જા, વિનવું છું ગોવર્ધનના નાથ,  

     મારી આંખ્યોમાં તારો આભાસ, છતાં અંધાપો છે હે નાથ;

     હું તો શોધું તને સારી સૃષ્ટિમાં શ્યામ, છતાં કોઈ ન આપે તારી ભાળ;

     તારી જાતે તું મારો હાથ પકડ, ને દેખાડ હરિ તારો માર્ગ;

     મારા માર્ગમાં આવતી ભરતી ને ઓટ, હવે અટકાવ મારા નાથ;

     મારી હોડી છે બહુ હજી નાની, એને પાર ઉતારો ભગવાન.

 

     સ્વયંને જાણવાનું જાગૃતિનું વર્તન એટલે જ હૃદયભાવની સાત્ત્વિકતાનો ઉજાગર થવો. સ્વયંને જાણવાની અંતર યાત્રામાં જિજ્ઞાસુ ભક્ત પુરુષાર્થ કરતો રહે છે. એવા પુરુષાર્થ સ્વરૂપે સાત્ત્વિક વિચારોનું ચિંતન થાય અને મન સૂક્ષ્મ સૃષ્ટિની ક્રિયાઓથી પરિચિત થતું જાય. સ્થૂળ આકારિત જગતને સર્જાવતી સૂક્ષ્મ સૃષ્ટિથી પરિચિત થવું, એટલે સ્વયંનો અનુભવ કરાવતી સ્વમય જાગૃતિમાં સ્થિત થવું. અર્થાત્ જાગૃત મનને પરખાતું જાય કે, પોતાનું અસ્તિત્વ અણુ સ્વરૂપનું છે અને અણુની ભીતરમાં આત્મ સ્વરૂપની પ્રકાશિત મહેલાત સમાયેલી છે. મન અને આત્માની અભિન્નતાનો સ્વીકાર જાગૃત મનથી થાય, ત્યારે સ્વમય ચિંતનની એકાગ્રતા વધતી જાય તથા સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય. આમ ચિંતનની સહજતાથી સ્વમય જાગૃતિનું અંતર પ્રયાણ ત્યારે શક્ય બને, જ્યારે જિજ્ઞાસુભાવની તત્પરતા હોય અને સ્વયંને જાણવાની આગ જેવી પ્રબળતા હોય. એવી આગ એકવાર જાગે પછી કદી બુઝાતી નથી. જાણવાની આગ જેવી વૃત્તિના લીધે અંતરની અગમ્યતા, અદૃશ્યતા સ્વયંભૂ સુગમ્ય થતી જાય અને પ્રકાશિત દર્શનથી અંતર વિહાર થતો જાય. પ્રકાશિત સ્વ દર્શન રૂપે મનનો જ્ઞાતાભાવ પ્રગટતો જાય, જે મન-ઈન્દ્રિયોથી પરનું આત્મીય દિવ્યતાના સ્પંદનોનું સંવેદન ઝીલી શકે છે. જ્ઞાતાભાવનું સંવેદન એટલે જ સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રતીતિ થવી. સ્વયંની પ્રતીતિ રૂપે ગ્રહણ કરેલાં સાત્ત્વિક ભાવાર્થ રૂપી પ્રસાદનો ભોગ થાય. એવાં ભોગ માટે જિજ્ઞાસુ ભક્ત પ્રભુને વિનંતિ કરતો રહે કે, ‘તારી જાતે તું મારો હાથ પકડ અને દેખાડ હરિ તારો માર્ગ..’

     આત્મ સ્થિત થવાનું અંતર પ્રયાણ માત્ર મનના પુરુષાર્થથી નથી થતું. ચિંતનનો પુરુષાર્થ થઈ શકે, પરંતુ અંતર પ્રયાણ સાત્ત્વિકભાવની જાગૃતિથી સ્વયંભૂ થાય છે. અર્થાત્ અહંકારી વૃત્તિ-વિચારો રહિત હૃદયભાવની જાગૃત્રત મનોમન ધારણ થાય, ત્યારે એ ભાવની જાગૃતિ સ્વયંભૂ અંતરમાં વિહાર કરે છે. જ્યાં સુધી મન કર્તાભાવની અહંકારી વૃત્તિઓથી મુક્ત થતું નથી, ત્યાં સુધી ભાવની સાત્ત્વિકતા જાગૃત થતી નથી. તેથી જિજ્ઞાસુ ભક્ત પ્રભુને વિનવે છે કે, "મારા માર્ગમાં પ્રારબ્ધના કર્મસંસ્કારોના લીધે અહંકારી કર્તાભાવની ભરતી-ઓટ આવ્યાં કરે છે. અહંકારી સ્વભાવની ભૂલો મને જ્ઞાન-ભક્તિના સત્સંગથી, સાત્ત્વિક વિચારોનાં અધ્યયનથી પરખાય છે. છતાં પ્રારબ્ધને ભોગવતી વખતે મારું મન રાગ-દ્વેષમાં અટવાઈ જાય છે. પ્રારબ્ધગત સંજોગોની અથડામણ જ્યારે ઓછી અનુભવાય ત્યારે મારું મન પાછું સ્વસ્થ થઈ આપનાં સ્મરણથી અંતર વિહાર તરફ ઢળે છે. આવી ભરતી-ઓટના લીધે એકાગ્ર ચિત્તનો પ્રભાવ તીક્ષ્ણ થતો નથી અને અંતરની પ્રકાશિત દર્શનની સુગમ્યતા ધારણ થતી નથી. આપનો જ હું અંશ છું, એવી આત્મીય ભાવની જાગૃતિમાં આપની કૃપાથી સ્થિત થવાય તે હું જાણું છું. તેથી વારંવાર વિનવું છું કે આપની કૃપા હશે તો અંતર ચક્ષુના આવરણ વિલીન થતાં પ્રકાશિત દર્શન સુલભ થશે. આપની કૃપાથી જ સાત્ત્વિકભાવની જાગૃતિનો સ્પર્શ થયો, હવે તે સાત્ત્વિકભાવની નાની હોડીનેા આપના ભગવત્ ભાવના સ્પંદનોથી વિશાળ કરો.”

 

અહંકારી વર્તન વ્રત લેવાંથી ન બદલાય, કે નિયમો પાળવાથી પણ ન બદલાય;

તન-મનની મહત્તા દર્શાવતાં સદ્વિચારોના ધનમાં આળોટતાં રહેવાય, તો બદલવાનું કંઈ નથી;

સાત્ત્વિકભાવની વૃદ્ધિમાં નિયમોની બારખડી નથી, કે વૃત્તિ-વિચારોના ભેદ નથી;

ત્યાં છે સૂક્ષ્મ સમજની ભાવિક જાગૃતિ, જે અંતર ગમનની ઊર્ધ્વગતિમાં સ્વયંભૂ ગતિમાન રહે.

 

     મોટેભાગે સૌ કોઈ જાણે છે કે, ઉપવાસ, વ્રત, અથવા અમુક નામ-સ્મરણની પ્રવૃત્તિ કરવાના નિયમો પાળવાથી અહંકારી સ્વભાવનું પરિવર્તન થતું નથી. છતાં મન નિયમોનો બંધનથી છૂટવાનો પ્રયત્ન કરતું નથી. એકની એક પ્રવૃત્તિની રૂઢિમાં બંધાયેલા મનને, ભાવની સહજતાનો, ભાવની નિ:સ્વાર્થતાનો, ભાવની નિર્મળ ધારાના પ્રકાશિત સ્પંદનોનો જો પ્રભુ કૃપાથી સ્પર્શ થાય, તો એ દિવ્ય સ્પર્શની સ્વાનુભૂતિમાં તે બંધાયેલું મન સ્થિત થઈ શકતું નથી. કારણ જ્યાં સુધી ‘હું કરનાર છું’, એવાં કર્તાભાવથી નિયમો પાળવાની પ્રવૃત્તિ થાય, ત્યાં સુધી અહંકારી માનસનું અજ્ઞાની આવરણ ઓગળતું નથી. તન-મનનાં આત્મીય ચેતનાના જોડાણની મહત્તા સમજવાનો પુરુષાર્થ થાય, તો અહંકારી સ્વભાવમાં વળાંક આવતો જાય. તન-મનની પ્રક્રિયાઓ રૂપે પછી આત્મીય ચેતનાનો સ્વીકાર થાય અને સ્વયંની પ્રતિભાને જાણવાની જિજ્ઞાસા જાગે તથા શરણભાવથી એકરાર થાય કે, ‘પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જા દ્વારા અણગીન પ્રક્રિયાઓ જગતમાં થયાં કરે છે, જેને હું પૂર્ણ રૂપે સમજી શકું એમ નથી.’ એવાં એકરારથી જિજ્ઞાસુ મનમાં સાત્ત્વિકભાવનો સંચાર થતો જાય અને અંતરગમનની પ્રભુ કૃપા ધારણ થતી જાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
ભાવભીની ભક્તિનો ઉમંગ હૃદયમાં પથરાય

ભાવભીની ભક્તિની ભેખ લો,

તો મનનું ભિખારી બની વિષય ભોગને ભોગવવાનું છૂટતું જશે;

ભક્તિના ભાવ માટે ન જોઈએ ભણતરની પદવી,

ભાવનો ગુણ સમાયો છે પ્રકૃતિના મૂળમાં;

મૂળમાં મન જો સ્થિત થાય,

તો પ્રકૃતિને સર્જાવતી પ્રભુની ચેતનાનો સ્વીકાર થાય;

સ્વીકાર રૂપે સૂક્ષ્મ સમજ ખીલતી જાય

અને ભાવભીની ભક્તિનો ઉમંગ હૃદયમાં પથરાય.

 

     પ્રકૃતિની અનેક પ્રકારની કૃતિઓના મૂળમાં છે સાત્ત્વિક ગુણોની ઊર્જાની ચેતનાનું પ્રસરણ. ઊર્જાની ચેતનાનું પ્રસરણ વાસ્તવમાં સર્વત્ર છે, સર્વેમાં છે અને સર્વે કૃતિઓ ચેતનાના લીધે જીવંત સ્થિતિને ધારણ કરી શકે છે. આ સત્ય સમજાય છે, સ્વીકાર પણ થાય છે. છતાં માનવી એ સત્યને પોતાના જીવનમાં વણી લઈ, અંતર યાત્રા તરફ ઢળતો નથી. પ્રભુને માત્ર મંદિરમાં કે તહેવારોની ઉજવણીમાં મૂકી રાખ્યો છે. જો દુ:ખદ ઘટનાની મુશ્કેલી અનુભવાય તો પ્રભુ સ્મરણનો સમય વધી જાય. બાકી રોજિંદા કાર્યોની જેમ અમુક નક્કી કરેલા સમયમાં સ્મરણ કરી લેવાનું અને બાકીના સમયમાં કર્તાભાવથી, અહંકારી રાગ-દ્વેષથી જીવવાનું. માનવીના આવા સંકુચિત, અજ્ઞાની સ્વાર્થી માનસ પાછળનું કારણ એ છે કે, પ્રભુની ચેતનાનું ધન વિના મૂલ્યે કોઈ પણ પુરુષાર્થ વગર ક્ષણે ક્ષણે કોઈ પણ પુરુષાર્થ વગર સૌને પ્રાપ્ત થયાં કરે છે. તેથી મનને તે અમૂલ્ય ધનનો કોઈ અંદાજ નથી કે કિંમત નથી. જેમ આજના યાંત્રિક ઉપકરણોના સુવિધાભર્યા જીવનમાં, નવયુવાનોને અંદાજ આવતો નથી, કે બાળપણથી તેઓના યોગ્ય ઉછેર માટે માતા-પિતાએ કેટલો પુરુષાર્થ કર્યો છે! તેઓ એવું જ માની લે છે કે, એ તો માતા-પિતાની ફરજ છે. એ જ રીતે પ્રભુની આત્મીય ચેતનાની પુરવણી પળે પળે થાય છે, એનો અંદાજ માનવીને નથી, અથવા તે સત્યને જાણવાનો પ્રયત્ન કરવાનું ટાળે છે.

     માનવી જો સ્થૂળ શરીર સાથે જોડાયેલા સૂક્ષ્મ મનની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરે, તો વિચારોની નિરાકારિત સ્થિતિનો સ્વીકાર થતાં, આકારિત વૃત્તિના બંધનમાંથી મુક્ત થવાનો રાહ મળતો જાય. મોટેભાગે માનવી પોતાના મનને શરીરની જેમ આકારિત માને છે. એટલે મન જે આત્મીય ચેતનાનો અંશ જ છે તેઓ સ્વીકાર થતો નથી અને નિ:સ્વાર્થભાવની લાગણી મનમાં જાગૃત થતી નથી. આપણે સૌ જાણીએ છીએ કે, પ્રેમભાવ, સ્નેહ કે લાગણી વગરનાં સંસારી જીવનમાં જ્યારે અદેખાઈ, વેરઝેર વધુ જણાય, ત્યારે સંબંધોની ખુશનુમા અનુભવાતી નથી. પ્રેમભાવ વગરના સંબંધો ફુલની જેમ કરમાઈ જાય છે અને કરમાયેલા સંબંધોમાં રાગ-દ્વેષ, ઈર્ષ્યા વગેરે અહંકારી વર્તનની દુર્ગંધ પ્રસરે છે. અર્થાત્ સંબંધો રૂપે પ્રેમભાવની ઊર્જાનું પોષણ ધારણ થાય, તો મન વિકાસની પ્રગતિને ધારણ કરી શકે છે. તેથી ભક્ત પ્રભુ સાથેના આત્મીય સંબંધને પ્રેમભાવ રૂપી પોષણથી અનુભવે છે અને એવા અનુભવથી પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ કરાવતાં જ્ઞાન-ભક્તિના સદાચરણને ધારણ કરે છે. જ્ઞાન-ભક્તિના સદાચરણ માટે સાત્ત્વિક વિચારોમાં અધ્યયનમાં ભાવથી મન જો સ્થિત થાય, તો અધ્યયનની એકાગ્રતા મનના રાગ-દ્વેષના સ્વભાવની જડતાને ઓગાળી દેશે.

     ભાવથી અધ્યયન કે ચિંતન કરવા માટે કોઈ ભણતરની પદવી-ડીગ્રીઓની જરૂર નથી. એક માતા પોતાના બાળકનો ઉછેર ભાવથી કરે છે. તે માટે માતાને કોઈ કોલેજમાં અભ્યાસ કરીને ડીગ્રી મેળવવી પડતી નથી. એ તો સહજ પ્રેમભાવની લાગણીથી, ઉછેરની એક એક ક્રિયા નિષ્કામભાવીથી કરે છે. ઉછેરની ક્રિયા જો ન સમજાય તો વડીલોની સલાહ લઈને, પોતે જ ઉછેરની ક્રિયા કરે છે. એ જ રીતે આત્મા સાથેના આત્મીય સંબંધને જાણવા માટે તે અતૂટ સંબંધની ગરિમા કે મહત્ત્વતા સમજવા માટે સાત્ત્વિક વિચારો રૂપી વડીલોનો સહારો લેવો જરૂરી છે. એવો સહારો મળી જાય, પરંતુ તે સાત્ત્વિક વિચારોના ભાવાર્થને આચરણ રૂપે સમર્પણભાવની જાગૃતિથી ધારણ કરવા માટે, ગુરુ કે માર્ગદર્શકનો સંગાથ પણ એટલો જ જરૂરી છે. માર્ગદર્શકનો સંગાથ મળી જાય, પણ સમર્પણભાવની જાગૃતિ માટે જ્ઞાન-ભક્તિના અનુસંધાનથી જીવવાનો પુરુષાર્થ તો માનવીએ પોતે જ કરવાનો હોય. ગુરુના સાંનિધ્યમાં પુરુષાર્થ કરવાની સહજતા મળે, પણ અધ્યયન કે ચિંતનની અંતર યાત્રા ખુદ કરવાની હોય. જેટલો સમય ચિંતન થાય, એમાં મનની નિષ્ઠા હોવી જરૂરી છે. સ્વયંની સ્વાનુભૂતિમાં સ્થિત થવાનો ઉત્સાહ હોય, સ્વયંના આત્મીય ઘરની સાત્ત્વિકતાને કે દિવ્યતાને માણવાનો જિજ્ઞાસુભાવનો ઉમંગ હોય, તો જ ચિંતનની અંતર યાત્રા થાય.

     જિજ્ઞાસુભાવની વૃત્તિ મનોમન દૃઢ થાય, તો પોતાના મૂળને જાણવાનું મનોમંથન આપોઆપ થશે. જિજ્ઞાસુ ભક્ત મૂળ સ્વરૂપની વાસ્તવિકતાને સ્વીકારે છે. જેથી એ જ્યારે પંખાને ફરતો જુએ અને ઠંડી હવાને માણે, ત્યારે પ્રભુએ પ્રગટાવેલી વિદ્યુતિ શક્તિનો સ્વીકાર અહોભાવથી કરશે. એ જ રીતે ફળ, ફુલ, કે પાનના ઉપભોગમાં વૃક્ષને પ્રણામ કરી, એમાં મૂળ જે ધરતીમાતાની ગોદમાં લપાઈને રહ્યાં છે, તેનો સ્વીકાર અહોભાવથી કરી, પોતાનું સ્વ સ્વરૂપનું મૂળ પ્રભુની આત્મીય ચેતના સાથે જોડાયેલું છે, તે વિચારનું સ્મરણ મનોમન અંકિત કરતો રહે છે. એવી સ્મરણ ભક્તિથી અંકિત થયેલી મનની સ્થિતિમાં પ્રેમભાવ આપમેળે ઊભરાય. પછી મનને યાદ કરવું ન પડે અથવા અમુક નક્કી કરેલા સમયે જ પ્રભુનું સ્મરણ કરવું ન પડે. એવો ભક્ત પ્રેમભાવથી અંતરની સૂક્ષ્મતામાં તરતો રહે, ત્યારે સ્વાનુભૂતિના પ્રકાશિત ઓજસમાં કર્મસંસ્કારોનું અંધકાર અદૃશ્ય થતું જાય અને અતૃપ્ત ઈચ્છાઓના વલખાં વિલીન થતાં જાય. આપણે સૌ નવા વર્ષની શુભ શરૂઆત સ્મરણ શક્તિના પ્રેમભાવથી કરતાં રહીએ. એવી પ્રભુને પ્રાર્થના કરીએ અને સ્વસ્થ આરોગ્ય જળવાળ એવી વિનંતિ કરતાં રહીએ. 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્વયંના સ્વ સ્વરૂપનું સત્ દર્શન

         પ્રભુની અસીમ કૃપાની બલિહારીથી આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. દરેક માનવીના મનમાં સૂક્ષ્મને જાણવાની, સમજવાની અને અનુભવવાની સાત્ત્વિક વૃત્તિની વિદ્વત્તા સુષુપ્ત રૂપે સમાયેલી હોય છે. પરંતુ પ્રારબ્ધગત જીવનની ઘટમાળમાં ફરતાં રહેતાં મનને, સ્વયંની સૂક્ષ્મ ગુણોની શ્રેષ્ઠતાને જાગૃત કરવાની ઈચ્છા થતી નથી. રોજિંદા કાર્યોની પ્રવૃત્તિમાં, સંસારી વિષયોના ઉપભોગમાં મન એટલું બધું ઓતપ્રોત રહે છે કે એમાં જ બંધાઈને જીવે છે. બંધાયેલા મનને સ્વયંની સાત્ત્વિકતાને જાણવાનો સમય મળતો નથી. એવાં મનને સનાતન સત્યને જાણવાની તમન્ના જાગતી નથી અને તે સત્યને સમજવાની એને મુશ્કેલી લાગે કે, "પોતે શરીરને ધારણ કર્યું છે અને પોતાનું આત્મ સ્વરૂપ પ્રભુથી અભિન્ન છે.” આમ છતાં એવું મન જો સ્વયંને સમજવાનો થોડો પણ પુરુષાર્થ ક્યારેક કરે, તો એને જણાય કે, આકારિત શરીરની ભેટ તો પ્રભુએ પશુ, પક્ષી, જળચર, જંતુ વગેરે બધાને આપી છે. ચર્મચક્ષુથી દેખાઈ ન શકે એવાં જંતુઓનો અતિશય નાનો આકાર છે અને હાથી જેવા પશુઓનો વિશાળ આકાર છે. પ્રકૃતિ જગતમાં નાના-મોટા આકારોની વિવિધતા છે. તે સર્વેને પ્રાણની આત્મીય ચેતનાનું દાન શ્ર્વાસ રૂપે અર્પણ થતું રહે છે. આમ દરેક જીવ પ્રભુની આત્મીય ચેતનાના આધારે આકારને ધારણ કરી જીવંત જીવન જીવી શકે છે. જે મન જીવંત જીવન રૂપે આધારિત શક્તિની સાત્ત્વિક ગુણિયલતાને અનુભવવાનો પુરુષાર્થ કરે, તે છે ભક્ત સ્વરૂપની જાગૃતિ. એવાં ભક્તિમય જીવનમાં ભક્ત તો શ્ર્વાસના દાનને અહોભાવથી સ્વીકારી, પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરે છે.

         આકારોની સંગમાં રહીને ભક્ત પોતાનું સંસારી જીવન જીવે, પણ આકારોની આસક્તિમાં પોતાના મનને આળોટવા ન દે. એ તો આકારોમાં ફરતી પ્રાણ શક્તિની પ્રતીતિમાં મનને ઓતપ્રોત રાખે. કારણ શ્ર્વાસની પાન-અપાનની ગતિથી પ્રભુની પ્રાણ શક્તિની પ્રતીતિ થાય, એમાં પ્રભુની આત્મીય ચેતનાની દિવ્ય પ્રીતના અણસારા મળતાં જાય. તેથી ભક્ત અહોભાવની નમ્રતાથી શ્ર્વાસના સંગીતને અનુભવે અને વાચાથી પ્રભુની સ્તુતિને રેલાવે. સ્તુતિ રૂપે અંતરભક્તિમાં તન્મય રહેતાં ભક્તનો સાત્ત્વિકભાવ અંતર સ્ફુરણની બોલીને ધારણ કરે, જે સાત્ત્વિક વિચારો રૂપે પ્રગટતી જાય. પ્રભુની આત્મીય શક્તિને કોઈ માપદંડથી માપી શકાય એમ નથી કે શબ્દોના અર્થથી પૂર્ણ રૂપે સમજી શકાય એમ નથી. એટલે સાત્ત્વિકભાવની જ્ઞાતા વૃત્તિથી ભક્ત તો આત્મીય ચેતનાની વ્યાપક્તાના, દિવ્યતાના, અનંતતાના અણસારા ઝીલતો રહે અને અણસારે અણસારે પ્રભુ સાથેની ઐક્યતાને માણતો રહે. માણવું એટલે સાત્ત્વિક વિચારોના કહેણ રૂપે જે આત્મબોધ પ્રગટ થાય, તેનો ભાવાર્થ જ્ઞાન-ભક્તિના પરમાર્થી સદાચરણ રૂપે પ્રગટ કરવું. એવા પ્રાગટ્યમાં બીજા સંસારી માનવીઓને સ્વયંના સ્વ સ્વરૂપનું સત્ દર્શન થાય અને જીવંત જીવનનો હેતુ સમજાય.

        

પળે પળે પ્રભુની પ્રાણ શક્તિનું દાન મળે અને સાત્ત્વિક ગુણોના ઝરણાં રોજ રોજ નવાં પ્રગટે;

તે ઝરણાં પ્રભુની ચેતનાના સરોવરમાં ભળીને, પદ્ય પદોની સરિતા રૂપે વહેતાં રહે;

પ્રભુના દિવ્ય કહેણના પદ્ય પદોનો ભાવાર્થ કરાવે મનને સ્વમય અને પ્રગટાવે અંતર જ્યોત;

જ્યોતિર્મય જીવનનાં અજવાળે, કર્મસંસ્કારોના આવરણનું અંધકાર આપમેળે વિલીન થાય.

 

         પ્રભુના કહેણની બોલીનો ભાવાર્થ સમજવા માટે મનની સૂક્ષ્મને ગ્રહણ કરતી, હૃદયભાવની જાગૃતિ જોઈએ. હૃદયભાવની જાગૃતિ માટે મનોમન સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગે, તો ભાવની નિષ્ઠા ધારણ થાય. જિજ્ઞાસા એટલે પ્રગટ થયેલી સાત્ત્વિક બોલીના શબ્દોનો માત્ર અર્થ સમજવાનો નથી. પરંતુ ભાવની જાગૃતિ રૂપે મન પોતાના સાત્ત્વિક સ્વરૂપમાં ઓતપ્રોત થવા માંગે, તે છે જિજ્ઞાસુભાવનું વર્તન. એવાં વર્તન રૂપે મન શરણભાવની પ્રેરિત ગતિથી પોતાના દેહનું સંચાલન કરતી આત્મીય ચેતનાના અણસારા ઝીલતું રહે અને રાગ-દ્વેષના સંકુચિત વિચારોથી મુક્ત થવા માટે ભક્તિભાવથી પ્રભુની સ્તુતિમાં લીન રહે. દેહધારી જીવન જેના સહારે જિવાય છે અને જેના આધારે તનની અનેક પ્રકારની પ્રક્રિયાઓ સતત થયાં કરે છે, તે આત્મીય ઊર્જાની ચેતનાને જાણીને, સમજીને જે ભક્ત જીવન જીવે, એ પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાને સ્વાનુભૂતિથી માણે. સ્વયંના અનુભવની સ્વાનુભૂતિની અંતર યાત્રામાં તે તલ્લીન રહે અને પ્રભુના કહેણ રૂપે પ્રગટ થયેલા આત્મ બોધનું ધન બીજા જિજ્ઞાસુઓને અર્પણ કરતો રહે.

         આત્મબોધના અક્ષર શબ્દોનો જો ભાવાર્થ ગ્રહણ થાય, તો આત્મ સ્વરૂપની જે વાસ્તવિકતાનો સ્વીકાર સહજ થતો નથી, તેનો સ્વીકાર કરાવતો જિજ્ઞાસુભાવ જાગૃત થતો જાય. જેમ એક અનુભવી, પ્રમાણિક શિક્ષક જ્યારે પોતાના વિદ્યાર્થીને જે પણ વિષયનો અભ્યાસ કરાવે, ત્યારે આરંભમાં વિદ્યાર્થીને તે સરળતાથી સમજાય નહિ. પરંતુ શિક્ષકની બુદ્ધિ પ્રતિભા તથા વિદ્યાર્થીને જ્ઞાન અર્પણ કરવાનો જે નિષ્કામ પ્રેમભાવ હોય, તે શિક્ષક વિદ્યાર્થીની અણસમજની વૃત્તિઓનાં તારને ઓગાળી દે છે અને વિદ્યાર્થીના જ્ઞાનતંતુઓમાં સમજપૂર્વક ગ્રહણ કરાવતો જ્ઞાતા વૃત્તિનો ઉજાસ પથરાય છે, તેમ જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને જ્ઞાન-ભક્તિના સત્સંગમાં મન જો એકાગ્ર થાય, તો અજ્ઞાની વૃત્તિઓનો અંધકાર વિલીન થતો જાય. આત્મબોધનો ભાવાર્થ ગ્રહણ થતાં, સ્વ સ્વરૂપથી પરિચિત કરાવતી જ્ઞાતા વૃત્તિનો ઉજાસ હૃદયભાવની જાગૃતિ રૂપે ધારણ થતો જાય. ૨૦૨૧ના વરસમાં ભક્તિભાવનો આનંદ માણી શકાય અને હૃદયભાવની જાગૃતિથી અંતર યાત્રા થયાં કરે એવી પ્રભુને પ્રાર્થના આજે કરીએ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સદ્ભાવ જ્યારે સ્વભાવ બને છે

સ્વભાવ તારો સારો છે, એ તારો છે એમ માનીશ નહિ,

એ તો સ્વનો ભાવ વ્યક્ત થાય છે, એ સ્વભાવને તું ગણે છે તારો;

સ્વભાવ તારો ખરાબ છે, એ છે તારો પોતાનો સ્વભાવ, જેમાં સ્વ સાથેનો ભાવ ઘટતો ગયો,

એટલે બન્યો તારો સ્વભાવ;

સ્વનો ભાવ જ્યારે જાગે ત્યારે તારો પોતાનો સ્વભાવ ન રહે, ખાલી સદ્ભાવ જ વ્યક્ત થતો રહે;

એવાં સદ્ભાવનો જે સ્વભાવ હોય, તે છે જ્ઞાની ભક્તનું વર્તન,

                                           જ્યાં ભગવત્ ભાવની ચેતના પ્રકાશિત થાય.

 

         પ્રસ્તુત પદ્ય પદનો ભાવાર્થ જો સમજાય, તો કોઈને ન કહેવાશે કે તારો સ્વભાવ ખરાબ છે. માનવીનો જે સ્વભાવ હોય, એમાં એની અતૃપ્ત ઈચ્છાઓ, કામનાઓ, લાગણીઓ, કે પ્રાપ્ત થયેલા ભોગની તૃપ્તિનું પ્રતિબિંબ હોય. માનવી અતૃપ્ત ઈચ્છાઓને ભોગવવા માટે વ્યક્તિ કે પદાર્થોનો સંગ કરાવતું જીવન જીવે છે. એવાં સંગમાં ખોવાયેલા મનને સ્વ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ થતી નથી. માનવીના એવાં સંસારી સ્વભાવની પ્રતિક્રિયામાં પણ રાગ-દ્વેષના ભેદભાવ હોય છે. એવું મન દરેક પ્રકારના વ્યવહારમાં એકબીજા સાથે અહંકારી સ્વભાવથી ટકરાયા કરે, જે તકરારની, વિવાદની, કે ઝઘડાની સ્થિતિને જન્માવે છે. એવાં સ્વભાવના લીધે વેરઝેરની ઘૃણા વધતી જાય છે. એવાં સ્વભાવવાળા લોકો સંબંધોને પ્રેમથી જાળવવાને બદલે તકરારથી તોડવામાં હોંશિયાર હોય છે. તેઓ લાગણીઓને, ભાવની ઊર્મિઓને ઘણીવાર તાળા મારી દે અને પોતાનો અંગત સ્વાર્થ સાધવો હોય તો તાળાઓ ખોલી પણ દે. એવાં સ્વાર્થી, અહંકારી મનને જો જ્ઞાની ભક્તનું સાંનિધ્ય પુણ્યોનાં ઉદય રૂપે મળે, તો સ્વભાવની શુદ્ધિ થતી જાય. મનની અહંકારી વૃત્તિઓની જડતાને ઓગાળવી હોય, તો ભક્તિભાવની ચેતનાનું બળ જોઈએ. એવું બળ જ્ઞાની ભક્તની નિ:સ્વાર્થ પ્રેમની ધારામાં પ્રગટે છે. અહંકારી સ્વભાવનું જેમ જેમ પ્રેમ ધારામાં સ્નાન થાય, તેમ તેમ સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જાગૃત થતો જાય. અર્થાત્ દરેક માનવીના સ્વભાવમાં જિજ્ઞાસુભાવ, સાત્ત્વિકભાવ, શરણભાવ, સમર્પણભાવ વગેરે સુષુપ્ત હોય છે.

         જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં ભગવત્ ભાવની આત્મીય ચેતનાનો સ્પર્શ મળે, એટલે કે એની વાણી દ્વારા જે સાત્ત્વિક વિચારોના કહેણ પ્રગટે, તેમાં સાત્ત્વિકભાવના સ્પંદનો પ્રસરે, જે અજ્ઞાની મનની જડતાને વિલીન કરાવે અને જિજ્ઞાસુભાવને જાગૃત કરાવે છે. સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો અગ્નિ એકવાર પ્રગટે પછી બુઝાતો નથી. તે જો પ્રતિકૂળ સંજોગોમાં બુઝાય જાય, તો સમજી જવું કે અગ્નિ જેવો ભાવ પ્રગટ્યો ન્હોતો, પણ જાણવાની ઉપરછલકી તણખલા જેવી વૃત્તિ હતી. ઘણીવાર સંજોગોને આધીન થઈને દુ:ખી મન સત્સંગ કરે અથવા જાણવાની ઈચ્છાથી શાસ્ત્રોનો અભ્યાસ કરે. પરંતુ એવી જાણવાની વૃત્તિ માત્ર વિચારોમાં ફેરવાય છે અને તે વિચારો, વર્તન કે આચરણમાં ફેરવાતા નથી. તેથી ઘણીવાર જિજ્ઞાસુભાવનો અગ્નિ પ્રજ્વલિત રહેતો નથી. સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જો અગ્નિની જેમ પ્રબળ હોય, તો સાત્ત્વિક વિચારોના ચિંતનથી સ્વભાવ બદલાતો જાય અને સાત્ત્વિક વર્તનની નિર્મળતા ધારણ થતી જાય.

         જ્ઞાની ભક્તના સ્વભાવને સામાન્ય મનની કક્ષા સમજી ન શકે. કારણ જ્ઞાન-ભક્તિ સ્વરૂપે ભક્તમાં સાત્ત્વિક ગુણોનો સદ્ભાવ પ્રગટતો રહે છે. સદ્ભાવનો પ્રવાહ એકનો એક ન હોય. સદ્ભાવ સ્વરૂપે અનંત તત્ત્વગુણોનું પ્રભુત્વ પ્રકાશિત થતું હોય. એટલે જ્ઞાની ભક્તના સદ્ભાવમાં વધઘટ ન હોય પણ ગુણિયલ વૃદ્ધિની સમૃદ્ધિ હોય. અર્થાત્ ભક્તનો ગુણિયલ પ્રભાવ ક્યારેક નિ:સ્વાર્થ પ્રેમ રૂપે છલકાય, ક્યારેક કરુણા રૂપે ઊભરાય, તો ક્યારેક આત્મીય બોધની પ્રજ્ઞા વાણી રૂપે વ્યક્ત થાય. અથવા ક્યારેક ક્રોધ રૂપે જો વ્યક્ત થાય તો અહંકારી સ્વભાવની જડતાને ઓગાળતો અગ્નિ જેવો પ્રકોપ અનુભવાય, જે મનને હૃદયભાવની જાગૃતિ ધરી, અંતરની આત્મીયતામાં સ્થિત કરાવે છે. મન જેમ જેમ અંતરની આત્મીયતામાં ઓતપ્રોત થાય, તેમ તેમ વિચારોની ગતિ બદલાતી જાય. કારણ દરેક વિચારમાં પછી સ્વયંને જાણવાના જિજ્ઞાસુ અગ્નિની ચિનગારી હોય છે. એવી ચિનગારીના લીધે સ્વમય ચિંતનની લગની વધતી જાય અને સ્વયંના આત્મ સ્વરૂપથી મન પરિચિત થતું જાય. સ્વમય ચિંતન સ્વરૂપે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય અને ભાવાર્થ રૂપી પ્રસાદનો ભોગ થયાં કરે એવી જ્ઞાન-ભક્તિમાં મન એકાગ્ર થતું જાય.

 

મનનાં ચોરામાંથી સંસારી રાગ-દ્વેષને કાઢવા માટે, ભક્તિની ચૉરીમાં મનને પ્રભુ બેસાડે;

ત્યારે ચૉરીને સદ્ભાવથી શણગારે અને કર્મસંસ્કારોની દોરવણી રૂપે જિજ્ઞાસુભાવ જગાડે;

દોરવણીમાં સદ્ગુણોની પરોવણી થતી રહે અને સ્વ જ્ઞાનમાં ઓતપ્રોત કરાવે;

મન પછી અંતર ભક્તિમાં સ્થિત થાય અને સોઽહમ્ભાવની જાગૃતિને ધારણ કરે.

 

         પ્રભુ કૃપા સ્વરૂપે ભક્તિની ચૉરીમાં(લગ્નમંડપમાં) મન બેસે અને સ્વભાવ આપોઆપ બદલાતો જાય. કારણ ભક્તિની ભગવત્ ભાવની શક્તિના સાંનિધ્યમાં અતૃપ્ત કર્મસંસ્કારોને તૃપ્તિનો રાહ મળી જાય છે. ભક્તિ ભાવની જાગૃતિ રૂપે મનની અજ્ઞાની વૃત્તિનો પડદો હઠી જાય અને સ્વયંના સ્વ સ્વરૂપની વાસ્તવિકતા અનુભવાય. પછી પ્રભુ સાથેની ઐક્યતામાં એકરૂપ થવાની મહેચ્છા દૃઢ થતી જાય. ત્યારે જીવન જિવવાની રીત બદલાઈ જાય, વિચારો અને સિદ્ધાંતોનો ઢાળ બદલાઈ જાય. એવો ભક્ત સોઽહમ્ ભાવની જાગૃતિથી સ્વયંના અસ્તિત્વની ગુણિયલતાને માણતો જાય.

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More