Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
જ્ઞાન-ભક્તિના સત્સંગમાં મનને તરબોળ રાખીએ

માનવી પોતાના મનની શક્તિને માપી શકે એમ નથી. કારણ મન છે પ્રભુની આત્મીય ચેતનાનો અંશ અને એની શક્તિ અમાપ છે. જેમ માતા-પિતાના સ્વભાવના, દેખાવના, રીતભાતના વારસાગત સંસ્કારો એમના અંશજ રૂપી બાળકોમાં પ્રદર્શિત થાય છે; તેમ આત્મીય ચેતના રૂપી માતા-પિતાના જે દિવ્ય ગુણોના સંસ્કારો છે, તે અંશજ રૂપી જીવમાં=મનમાં સમાયેલાં છે. તે દિવ્ય ગુણોની વારસદારીને ભોગવવા માટે જ આપણને માનવી જન્મનો પુરસ્કાર મળ્યો છે. એટલે આત્મીય ગુણોનાં સાત્ત્વિક ભાવને મન અનુભવી શકે એમ છે. પરંતુ અતૃપ્ત ઈચ્છાઓનાં આવરણને લીધે, મનની ભીતરમાં સમાયેલો સાત્ત્વિક ગુણોનો ભાવ સુષુપ્ત સ્થિતિમાં રહે છે. મનની એવી સુષુપ્તિના લીધે સ્વયંનું ગુણિયલ કૌશલ્ય, કર્મ-ફળની પ્રક્રિયા રૂપે પ્રગટતું નથી અને પોતે નિરાકારિત હોવાં છતાં મનના વિચારો આકારોની સીમામાં બંધાઈને, પોતે શરીરનો આકાર છે એવાં અજ્ઞાનમાં જીવે છે. જાણે કે અબજો રૂપિયા પાસે હોવાં છતાં એનો ઉપયોગ કરવાનું આવડે નહિ, એવી કંગાળ સ્થિતિ અજ્ઞાની મનની છે. તેથી અજ્ઞાની મન પોતાના આત્મ સ્વરૂપની અમાપ ગુણિયલ શક્તિના સ્ત્રોતથી અજાણ રહીને માત્ર રોજિંદા વ્યવહારના દુન્યવી કાર્યો કરતું રહે છે. દુન્યવી કાર્યો કરવા માટે મનને માત્ર પાંચ કે દસ રૂપિયા જેટલી આત્મીય ઊર્જા શક્તિ જોઈએ. એટલે અબજો રૂપિયા જેટલી આત્મીય શક્તિ મનમાં સુષુપ્ત રહે છે. એ શક્તિને અકર્તાભાવથી કે સમર્પણભાવથી જાગૃત કરવી, તેને કહેવાય ભક્તિનું સાત્ત્વિકભાવનું આચરણ.

         ભક્ત તો પ્રભુની આત્મીય શક્તિમાં સમાઈ જવા માટે, એકરૂપ થવા માટે તે શક્તિને ભક્તિ ભાવથી જાગૃત કરવાનો પુરુષાર્થ કરે. અહંકારી મનોવૃત્તિવાળું માનસ તે શક્તિને તપથી, ધ્યાનથી, જાગૃત કરીને સત્તા, કીર્તિ, પદવી મેળવવા માંગે, તેથી તેને રાક્ષસી વૃત્તિ કહે છે. પ્રભુએ તો પોતાના અંશજ રૂપી દરેક જીવને પોતાની દિવ્ય શક્તિનું દાન આત્મ સ્વરૂપે અર્પણ કર્યું છે. અર્પણ થયેલાં દાનને જે મન શરણભાવથી સ્વીકારે અને જેનું છે તેને સમર્પિત કરવાની શરણાગતિથી જીવે, તથા તે દાનની ગુણિયલ શક્તિથી બીજાનું શ્રેય થાય એવાં સાત્ત્વિકભાવથી ઉપયોગ કરે, તે છે જ્ઞાની ભક્તનું સમર્પણભાવનું માનસ. ભક્તનું એવું પરોપકારી, પરમાર્થી માનસ અંતરધ્યાનસ્થ રહે અને પ્રભુના અનંત તત્ત્વગુણોના મહાસાગર તરફ પ્રયાણ કરતું રહે. વર્તમાન સમયમાં એવાં ભક્તો અતિ જૂજ પ્રમાણમાં ધરતી પર વસવાટ કરે છે. એવાં ભક્તોનું સાંનિધ્ય જો મળે, તો મન સાત્ત્વિકભાવની જાગૃતિમાં સહજતાથી સ્થિત થાય અને સ્વયંની ગુણિયલ સંપત્તિનો ઉપભોગ કરાવતી અંતર યાત્રામાં ઢળતું જાય.

         પુરાણોની કથાઓ દ્વારા આપણે રાક્ષસી વૃત્તિના આતતાયી (મહાપાપી અથવા જુલમી માણસ) વર્તન વિશે જાણ્યું છે. એવી રાક્ષસી વૃત્તિના મનુષ્યો આજે પણ જગતમાં છે. તેઓની સ્વાર્થી મનોવૃત્તિના વ્યવહારમાં વેરઝેરનું, ધિક્કારનું અને એકબીજા સાથે લડવાનું વ્યસન હોય છે. બીજાનું અહિત થાય તો પણ તેઓ સ્વચ્છંદી સ્વભાવની આપખુદશાહીથી જીવે છે. બીજાને દુ:ખ પહોંચાડીને પોતે સુખમાં રહે એવાં રાક્ષસી વર્તનની અસર, બાહ્ય વાતાવરણની ક્રિયાઓને અને પ્રકૃતિની સહજ ક્રિયાઓને અસ્થિર કરે છે. વર્તમાન સમયમાં ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસી વૃત્તિઓ એવી રીતે છવાયેલી છે, કે માનવીને તે કાદવમાં પગ મૂકવો ન ગમે અથવા એવાં કાદવથી દૂર રહેવાનો પ્રયત્ન કરે, છતાં તેનાં પરોક્ષ રૂપે પડતાં છાંટા સાત્ત્વિકભાવની જાગૃતિ તરફ મનને સહજતાથી ઢળવા નથી દેતાં. એટલે જાગૃતિ માટે મનની સંકલ્પશક્તિની દૃઢતા હોવ જોઈએ. આત્મ સ્વરૂપથી અપરિચિત રહેતી પોતાની અજ્ઞાની સ્થિતિ માટે શરમ અનુભવાય, ત્યારે અજ્ઞાનથી મુક્ત કરવા જ્ઞાન-ભક્તિના રાહ પણ પ્રયાણ થાય. એવાં પ્રયાણ રૂપે સાત્ત્વિક વિચારોનું અધ્યયન થાય અને માનવ જન્મની મહત્તા સમજાય કે, ખાવું, પીવું, ઊંઘવું, ફરવું વગેરે પ્રવૃત્તિ દરેક દેહધારી જીવ કરે છે. પરંતુ માનવી પાસે મન-બુદ્ધિ રૂપે વિચારવાની, સમજવાની, અનુભવવાની કળા છે. તે કળાથી અંતરની સૂક્ષ્મ સૃષ્ટિની પ્રતીતિ કરાવતાં સાત્ત્વિક આચરણમાં સ્થિત થવાય, ત્યારે મનની સુષુપ્તિને જાગૃત કરાવતું ભક્તિભાવનું પરમાર્થી સદાચરણ ધારણ થાય.

         મનનાં સંકુચિત માનસને ભક્તિભાવની સાત્ત્વિકતામાં ઓતપ્રોત કરવા માટે, વિચારોને વળાંક આપવો પડે. એવા વળાંક રૂપે મન જો પોતાના શરીરમાં, આપમેળે સતત થયાં કરતી પ્રક્રિયાઓનો સંદર્ભ જાણવાનો પ્રયત્ન કરે, તો પ્રભુની ચેતના માટે અહોભાવ પ્રગટશે. કારણ પ્રભુની ચેતનાની હાજરીના લીધે તન-મન-ઈન્દ્રિયોના દેહની જીવંત સ્થિતિ છે. તે ચેતનાના આધારે શરીરમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ સતત થઈ શકે છે. એ જાણીને આદરભાવથી, પૂજનીય ભાવથી મનમાં સ્વયંના આત્મ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા જાગૃત થશે. એવી જિજ્ઞાસા સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં મનને ઓતપ્રોત રાખે, ત્યારે સંકુચિત માનસની ભેદભાવની દૃષ્ટિ વિલીન થતી જાય. પછી બાહ્ય વાતાવરણની પ્રકૃતિમાં સમાયેલી પ્રભુની ગુણિયલ ચેતનાની ઉપસ્થિતિ અનુભવાય અને મનનું માનસ વિશાળ થતું જાય, તેને કહેવાય સાત્ત્વિકભાવની જાગૃતિ. એવી જાગૃતિમાં દુન્યવી વિષયોની આસક્તિથી મુક્ત થવાય અને ભક્તિ સ્વરૂપે ભક્તમાં સાત્ત્વિક ગુણો પ્રગટતા જાય. સાત્ત્વિક ગુણોનાં સ્પંદનોને ભક્ત અનુભવે ત્યારે અંતર શક્તિના વિદ્યુતિ તરંગોની અનુભૂતિ થાય. આવી અંતર અનુભૂતિની યાત્રાનો આરંભ થાય ત્યારે માનવી જીવન સાર્થક થયું ગણાય. એવી સાર્થકતાની પ્રસન્નતા ધારણ કરવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગમાં મનને તરબોળ રાખીએ, જેથી મનમાં સુષુપ્ત રહેલી આત્મીય ગુણોની ચેતનાનું કૌશલ્ય સાત્ત્વિકભાવ સ્વરૂપે જાગૃત થાય.

 

         સાત્ત્વિક વિચારોના સંગમાં મન થાય વિશાળ અને વિશાળ મનથી થાય ભાવભીની ભક્તિ;

         ભક્તિ રૂપે પ્રગટે ઊર્ધ્વગતિની અંતર શક્તિ, ત્યારે દુન્યવી આસક્તિને અપાય રુખસદ;

         ભક્તનાં રૂંવે રૂંવે વસે અંતરનો આનંદ અને અનહદ સ્પંદનોની વિદ્યુતિ શક્તિને તે અનુભવે;

         ત્યારે જ્ઞાનનાં સાગરમાં તરતાં તરતાં તે પ્રભુની ચેતનાના મહાસાગર તરફ પ્રયાણ કરતો જાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
અંતરભક્તિનું સ્વમય આચરણ

હે પ્રભુ, આપની યાદ નિરંતર રહે, એવાં દિવ્ય ભાવનો યોગ ધરો મને;

આપ સતત મારી સાથે જ છો, એવી સમજનું સંવેદન જ્ઞાનતંતુમાં સ્થાપો તમે;

આત્મીય જ્યોતનું ઓજસ પ્રગટાવો તમે, આપના ભાવની જાગૃતિમાં સ્થિત કરાવો તમે;

મારી હેસિયત નથી કે તમને યાદ મનથી કરું, મારા મનના પડદાં ખોલવા આવો તમે.

         સ્વને જાણવાની અને સ્વમય ચિંતનમાં ઓતપ્રોત રહેવાની તૃષ્ણા જ્યારે પ્રબળ થાય, ત્યારે મનમાં સાત્ત્વિકભાવની જાગૃતિનો સંચાર ધારણ થતો જાય. એવાં સંચાર રૂપે સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં મન આપમેળે સ્થિત થતું જાય અને વિચાર-વર્તનમાં પરોપકારી પરમાર્થી ભાવ પ્રગટતો જાય. મનની સંકલ્પ શક્તિ સાત્ત્વિકભાવની જાગૃતિથી વધુ દૃઢ થાય અને શ્રદ્ધાનું આસન પ્રૌઢ થતું જાય. આવી દૃઢતા અને પ્રૌઢતાના લીધે ભક્ત સ્વ સ્વરૂપથી જ્ઞાત થતો જાય અને મનની સ્વને જાણવાની જ્ઞાતા વૃત્તિની જાગૃતિ થાય, જે અંતરની સૂક્ષ્મતાને ગ્રહણ કરતી જાય, તેને કહેવાય અંતર ભક્તિનું સ્વમય આચરણ. સ્વમય ભક્તિના આચરણથી પ્રારબ્ધગત જીવનને ભક્ત જીવે. તેથી સુખદ કે દુ:ખદ ઘટનાઓનાં અનુભવમાં તે તણાઈ ન જાય, એટલે કે લૌકિક પરિસ્થિતિની આસક્તિમાં ન બંધાય. ભક્ત તો જીવંત જીવનની ઘટનાઓનાં અનુભવથી  મનની જાગૃતિ રૂપી દીવામાં સાત્ત્વિકભાવનું ઘી પુરાય એવાં ચિંતનમાં સ્થિત રહે. સંતાપજનક દુ:ખદ સ્થિતિનો અનુભવ હોય, કે સુખ સગવડ સાથે વિષયોનો ભોગ કરાવતી પ્રસન્ન સ્થિતિનો અનુભવ હોય, ભક્ત માટે સુખ-દુ:ખનો અનુભવ દિવસ-રાતની જેમ પસાર થયાં કરતી સ્થિતિ જેવો છે. વિરોધી સ્થિતિના ભેદ જોવાંની દૃષ્ટિ વિલીન થઈ હોવાંથી, પ્રભુની યાદમાં સ્થિત રહીને ભક્તિભાવમાં ભક્ત તલ્લીન રહે છે. કારણ એની સ્વમય ચિંતનની અંતર યાત્રા કરાવતી તૃષ્ણા અતિ પ્રબળ હોય છે.

         સ્વ સ્વરૂપની વાસ્તવિકતાનો સ્વીકાર જ્યાં સુધી થતો નથી, એટલે કે વ્યવહારિક જીવનનાં કાર્યો કરતી વખતે પ્રભુની દિવ્ય ચેતનાની સાક્ષાત્ હાજરીનો સ્વીકાર થતો નથી, ત્યાં સુધી મન જાગૃતિના કિનારે સ્થિત થતું નથી. જાગૃતિના કિનારે સ્થિત થવું, એટલે સાત્ત્વિક વિચારોના અધ્યયનથી સ્વયંને જાણવું કે,"હું શરીર નથી, શરીરમાં નિવાસ કરનારો જીવાત્મા છું. જીવનું સ્વરૂપ છે અણગીન અતૃપ્ત ઈચ્છાઓનાં લૌકિક સંસ્કાર. તે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓના સંસ્કારો, વિચાર-વર્તનના કર્મથી તૃપ્તિને ધારણ કરવા માટે દેહધારી જીવન જીવે છે.” આવી જાગૃતિના કિનારે સ્થિત થયાં પછી, અંતર સરિતામાં તરાવતી જ્ઞાતા વૃત્તિની જાગૃતિ ધારણ થાય અને મનની ભેદભાવની દૃષ્ટિ વિલીન થતાં હૃદયભાવની જાગૃતિ થાય. હૃદયભાવની જાગૃતિથી સ્વમય ચિંતનની અંતર યાત્રામાં સ્થિત થવાય. અર્થાત્ અંતર ભક્તિ રૂપે સ્વયંથી સુવિદિત થતી મનોવૃત્તિને હૃદયભાવની જાગૃતિ કહેવાય. ભાવની જાગૃતિમાં સ્વ અનુભવની તૃષ્ણાનો અગ્નિ અતિ પ્રજ્વલિત થાય, જે સ્વયંની અનુભૂતિ કરાવતાં સૂક્ષ્મ સંવેદનને સહજતાથી ધારણ કરાવે. તેથી ભક્તિ સ્વરૂપે સ્વમય ચિંતનની અંતર યાત્રામાં ભક્ત લીન રહે છે. તે માટે એનેે પ્રભુનું નામ સ્મરણ કરવું પડતું નથી, પણ સ્મરણ રૂપે અંતરની સૂક્ષ્મતાનું, વિશાળતાનું, એટલે કે સાત્ત્વિકભાવની આત્મીયતાનું સંવેદન તે ઝીલતો જાય, તેને કહેવાય પ્રભુની યાદમાં રહેવું. પ્રભુ એ કોઈ આકારિત કૃતિ કે ઘડાયેલી પરિસ્થિતિ નથી, કે એનું ચિત્ર યાદ રહે અથવા વિચારોથી પણ પ્રભુની યાદમાં સ્થિત થઈ ન શકાય.

         સાત્ત્વિક વિચારોના ચિંતનથી મન પોતાના આત્મ સ્વરૂપથી એટલે કે પ્રભુથી પરિચિત થાય. એવું પરિચિત મન જ્યારે યાદ સ્વરૂપે પ્રભુના દિવ્ય યોગની સ્મૃતિને ધારણ કરે, ત્યારે સ્મૃતિનો સાત્ત્વિકભાવ અંતરધ્યાનમાં લીન થાય. પ્રભુ કહો કે સ્વયંનું આત્મ સ્વરૂપ કહો, તે છે દિવ્ય ગુણોની સાત્ત્વિકતા. જે જ્ઞાની ભક્તમાં અંતર ભક્તિ રૂપે પ્રકાશિત થતી જાય. અંતર ભક્તિનો અનન્ય ભાવ શબ્દોથી વર્ણવી ન શકાય. ભાવની અવર્ણનીય ધારા અજાણતા આપમેળે જાગૃત થાય. એવાં ભાવની ધારાનો સ્ત્રોત સાત્ત્વિક ગુણોની પ્રાણ ધારા છે, જે અણુએ અણુમાં સમાયેલી છે. સ્વયંને જાણવાની એટલે કે સ્વ અનુભૂતિની તૃષ્ણા જ્યાં સુધી જાગૃત થતી નથી અને તૃષ્ણાનું સ્વરૂપ અગ્નિ જેવું જ્વલંત થતું નથી, ત્યાં સુધી શબ્દોથી સ્વ સ્વરૂપ વિશે જાણવામાં તે અવર્ણનીય ભાવની ધારા જાગૃત થતી નથી. તૃષ્ણાના અગ્નિમાં અહંકારી વૃત્તિ-વિચારોની સંકુચિતતા હોમાઈ જાય, આકારોનાં ભેદમાં ફરતી મનોદૃષ્ટિ વિલીન થાય, ત્યારે અલૌકિક સૂક્ષ્મ સૃષ્ટિની વાસ્તવિકતા ગ્રહણ થતી જાય.

         જ્ઞાની ભક્તમાં અંતર ભક્તિ રૂપે અવર્ણનીય સાત્ત્વિકભાવની ધારા ધારણ થાય અને સાત્ત્વિક ગુણોનાં પરમાર્થી સદાચરણનો પ્રભાવ એના કર્મો દ્વારા પ્રદર્શિત થાય. વ્યવહારિક જગતના કાર્યો કરતી વખતે પ્રભુની સાક્ષાત્ હાજરીના સંદર્ભથી ભક્ત કાર્યો કરતો જાય, એટલે કે ભક્તના હાવભાવમાં પ્રભુની સત્ સ્વરૂપની સાત્ત્વિકતા પ્રગટતી જાય. આમ પ્રારબ્ધગત લૌકિક જીવન જીવતાં જ પ્રભુની યાદ રૂપે આત્મીય સંબંધની પ્રીતને ભક્ત અનુભવતો જાય તથા સ્વયંના આત્મીય અસ્તિત્વના પ્રભાવથી અંતર યાત્રાના ઊંડાણમાં લીન થતો જાય. અંતર યાત્રાના ઊંડાણમાં અંતર કહેણની શ્રુતિનું સ્ફુરણ ધારણ થાય. શ્રુતિનો ૐકાર સૂર જ્યારે શબ્દોની વાણી રૂપે ભાષિત થાય, ત્યારે તે ભાષિત થયેલા શબ્દોમાં બીજા જિજ્ઞાસુ માનવીઓ માટે જ્ઞાન-ભક્તિનું માર્ગદર્શન હોય. જ્ઞાની ભક્ત તો અંતર ઊંડાણનાં અણગીન ગુણિયલ સ્તરોનું પ્રકાશિત દર્શન, અંતર ચક્ષુથી ધારણ કરતો જાય અને દર્શન રૂપે પ્રકાશિત થયેલી દિવ્ય ચેતનામાં એનું અસ્તિત્વ એકરૂપ થતું જાય.

 

         અંતર ઊંડાણમાં પ્રગટે અંતર્યામીનો સાદ અને એનો સહવાસ ભક્તને અતિ વહાલો લાગે;

         ભક્તને શ્ર્વાસમાં અને અંતર્યામીના સહવાસમાં કોઈ જુદાઈ ન લાગે,

બન્ને સ્થિતિ એકમની લાગે;

         એવાં ભક્તને પૂછો કે, અંતર્યામી ક્યાં છે તો જણાવશે કે, "અંતર ઊંડાણમાં છે,

         ત્યાં નથી કંઈ અંદર કે બહાર, ખાલી છે પ્રભુની આત્મીય દિવ્ય પ્રીતની પ્રાણ ધારા.”

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્વાનુભૂતિની અંતરયાત્રામાં સ્થિત રહેવું

ભક્તના વિચારોમાં હોય શરણભાવનાં મણકાં

અને માનવીના વિચારોમાં હોય રાગ-દ્વેષના મણકાં;

         હૃદયના ધબકારે ભક્તમાં શ્રુત થાય સોઽહમ્ ભાવની જાગૃતિ,

જે પ્રસરાવે હૃદયભાવની સાત્ત્વિકતા;

         સાત્ત્વિકભાવની પ્રસ્તુતિ કરાવે અહંકારી સ્વાભવનું પરિવર્તન અને પરોવાય પ્રભુ નામનાં મણકાં;

         ત્યારે મનના વાહનનો હેતુ સિદ્ધ કરાવતી, સ્વાનુભૂતિની અંતર યાત્રામાં સ્થિત રહેવાય.

 

         મણકાં શબ્દ પરથી બાળપણમાં રમેલી એક રમતનું સ્મરણ થયું. લગભગ આપણે બધાએ એ રમત રમવાનો આનંદ માણ્યો છે, જેની ખૂબ ઝાંખી સ્મૃતિ હવે રહી છે. એ રમતના રમકડાં એટલે એક દોરો અને રંગબેરંગી કાણાવાળા મણકાંઓ. દોરામાં કાણાં પાડેલાં મણકાં પરોવવાના હોય. જેથી બાળક દોરો પકડવાનું શીખે અને સરખી રીતે પકડીને મણકાં પરોવવાનું શીખે તથા રંગીન મણકાંઓની સંગમાં જુદાં જુદાં રંગોની ઓળખ થતી જાય. વડીલો જે રંગ કહે, તે રંગના મણકાંને ઓળખીને દોરામાં બરાબર પરોવવાની મહેનત કરવાની હોય. એમાં અમુક મણકાં કાણાં વગરનાં હોય. તેને દોરામાં પરોવી ન શકાય એવું બાળપણમાં જલ્દીથી સમજાતું ન્હોતું. એટલે ગમે તેમ કરીને પરોવવાનો પ્રયત્ન કરતાં હતાં. અંતે પરોવી શકાતું નથી એવું જાણીને તે મણકાંને છોડીને બીજા મણકાંને હાથમાં લેતાં હતાં. આમ પંદર-વીસ મણકાં પરોવાય પછી રંગબેરંગી મણકાંઓની માળા તૈયાર થાય, ત્યારે પોતે માળા ગૂંથી છે એને જોવાનો તથા ઘરના બીજા વડીલોને બતાવવાનો  આનંદ માણતાં હતાં. આ રમતનો અને વિવિધ પ્રકારના બીજા રમકડાંઓની રમતનો સંકેત મોટા થયાં પછી સમજાય, ત્યારે જીવનના સુખના કે દુ:ખના પ્રસંગોમાં સમજ અનુસાર મનનું યોગ્ય ઘડતર થાય. તેથી બાળપણમાં રમકડાંથી રમવાનું મહત્ત્વ હોય છે, જે બાળમાનસને ખીલવે છે, શિક્ષિત કરે છે તથા ઉચિત સ્વભાવનું ઘડતર કરે છે.    

         એક દોરામાં મણકા પરોવવાની રમતનો સંકેત એ છે કે માનવીનું મન એક દોરા જેવું છે અને રંગબેરંગી મણકાં રૂપી વિચારોની અનેકતા હોય છે. દરેક કાર્યની કે પ્રવૃત્તિની ક્રિયા અનુસાર વિવિધ વિચારો જનમતા રહે છે. માનવીએ પોતાના વિચારોના રંગોને ઓળખવા જોઈએ. અર્થાત્ વિચારોમાં રાગ-દ્વેષના રંગો છે, કે પરોપકારી માનવતાના રંગો છે, તેની જો ઓળખ થાય તો સાત્ત્વિક આચરણના સ્વભાવની જાગૃતિ તરફ ઢળવાનું મન થાય. કાણાં વગરનાં મણકાંનો સંકેત એવો છે કે, અજ્ઞાની અહંકારી વૃત્તિના વિચારોને જો મનના દોરામાં ન પરોવીએ તો સાત્ત્વિક આચરણની જાગૃતિ આપમેળે થાય. માતા-પિતા પોતાના બાળકો જ્યારે તરુણ અવસ્થામાં પ્રવેશ કરે, ત્યારે બાળપણમાં રમેલી રમતનો સંકેત જો સમજાવે, તો યુવાન વયમાં સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ તેઓ ગ્રહણ કરી શકે. કાણાંવાળા મણકાં એટલે એવાં વિચારો જેમાં રાગ-દ્વેષની માત્રા ઓછી હોય અને એકબીજા સાથે પ્રેમભર્યા વર્તનથી સહાય રૂપ થવાંના પરોપકારી વિચારો હોય. તરુણવયમાં સુસંસ્કારોને ખીલવવાનું શિક્ષણ, માતા-પિતા કરતાં પણ દાદા-દાદી જેવાં વડીલોની છત્રછાયામાં સહજતાથી ધારણ થાય છે. એવાં શિક્ષણની દૃઢતા નિશાળના શિક્ષકો દ્વારા વધે છે. મનને વિચારોની મહત્તા સમજાય તો વિચારોથી પોતાના જીવનમાં, કે સ્વભાવમાં થતાં ફેરફારને જાણી શકાય. પછી બુદ્ધિગમ્ય વિચારવાની કળા ખીલે ત્યારે સ્થૂળ જગત સાથે સંકળાયેલી સૂક્ષ્મ સૃષ્ટિના અણસારા ઝીલી શકાય.

         આમ તરુણવયથી વિચારવાનું, સમજવાનું, નિરીક્ષણ કરવાનું, અનુભવવાનું સંસ્કારી ઘડતર કરવા માટે સાત્ત્વિક વિચારોથી મનને પરિચિત કરવું જોઈએ. જેથી માનવતાના સુસંસ્કારી સ્વભાવથી જીવન જિવાય અને યુવાનીમાં જ સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જાગૃત થતો જાય. સંસ્કારી વર્તનથી કેળવાયેલાં મનમાં સ્વયંને જાણવાની અને સૂક્ષ્મ સૃષ્ટિના રહસ્યને પારખવાની પરિપક્વતા હોય છે. પરિપક્વ મનની જિજ્ઞાસા જ્યારે જ્ઞાની ભક્તના અણમોલ સાંનિધ્યમાં અંતરયાત્રાનું માર્ગદર્શન મેળવે, ત્યારે જીવંત જીવનનો હેતુ પરખાય. પછી નકામની વાતોમાં વ્યર્થ સમય વેડફી નાંખવાને બદલે ભક્તિભાવથી સ્વને જાણવાના અધ્યયનમાં સમય પસાર થાય. જ્ઞાની ભક્ત માર્ગદર્શન રૂપે જિજ્ઞાસુ મનને એનાં અજ્ઞાની વૃત્તિ-વિચારોથી અને અહંકારી સ્વાભવના સંકુચિત માનસથી પરિચિત કરાવે. અહંકારી સ્વભાવથી દરેક સાથેના વ્યવહારમાં ઘર્ષણ ઉદ્ભવતાં, મન બેચેન થાય અને ઘણીવાર અસંતોષ સાથે નિરાશ પણ થાય છે. એવું મન જ્યારે જ્ઞાન-ભક્તિ રૂપે સાત્ત્વિક બોધનું માર્ગદર્શન મેળવે, ત્યારે જ્ઞાની ભક્તના પ્રેમાળ સ્પંદનોમાં અનાયાસે સ્નાન થાય. મનને સમજાય નહિ, પણ સ્વયંને જાણવાની લગની લાગે અને માર્ગદર્શન મુજબ જીવવાનો રાહ મળતો જાય. જ્ઞાની ભક્ત સાત્ત્વિક બોધ રૂપે કદી એવું ન જણાવે કે લૌકિક સંસારી જીવન નકામુ છે, પણ સંસારી જીવનને પ્રેમભાવથી જીવવાની કળા દર્શાવી, ભક્તિના સદાચરણની મહત્તા દર્શાવે. એવી મહત્તાના દર્શનમાં સ્થૂળ જગતની સીમિત સ્થિતિનો પરિચય હોય, સૂક્ષ્મ સૃષ્ટિની વિશાળતાનું જ્ઞાન હોય તથા સ્થૂળ શરીર સાથે જોડાયેલાં સૂક્ષ્મ શરીરનું તાત્પર્ય દર્શાવી, આત્મ સ્વરૂપની ગુણિયલ પ્રતિભાનું સુદર્શન હોય.

         માનવીને એટલી સ્વતંત્રતા છે કે, કાણાં વગરના મણકાં રૂપી રાગ-દ્વેષાત્મક વિચારોનું આવરણ બનાવવું, કે કાણાંવાળા સાત્ત્વિક વિચારોની માળા બનાવી, તેને ભીતરમાં બિરાજેલી પ્રભુની આત્મીય મૂર્તિને  અર્પણ કરવી. યોગ્ય સંસ્કારી વિચારોની મહત્તાને મોટેભાગે દરેક માનવી જાણે છે. પરંતુ તે વિચારોમાં મનને ગૂંથવાનો પુરુષાર્થ કરવાનું ગમતું નથી. કારણ રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનની ટેવ પડી ગઈ છે. છતાં ગળ્યું ખાવાની જેમ ટેવ હોય, મીઠાઈ ખાવાનું ગમે, પણ ડાયાબીટીસ થાય ત્યારે મીઠાઈ ખાવાનું બંધ કરવું જ પડે, તેમ રાગ-દ્વેષાત્મક વિચારોની ટેવમાંથી મુક્ત થઈ શકાય છે. તે માટે ડોકટર રૂપી જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં મન રહે તો વિચારોનું શુદ્ધિકરણ આપમેળે થતું જાય. પછી સ્વભાવનું પરિવર્તન થતાં પરમાર્થી વિચારો સહજ ગ્રહણ થતાં જાય. સ્વ જ્ઞાનની અંતર ભક્તિમાં તરતાં મનને એકસો આઠ મણકાંની જપમાળા કરવી ન પડે, કારણ એનું મન પોતે માળા બની જાય છે. એવી માળાના સાત્ત્વિક વિચારો બીજા માનવીને જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવાની લગની લગાડે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રેમભાવથી સુખ અને સંતોષ મળે

ભૌગોલિક જ્ઞાનના આધારે આપણને એટલી જાણકારી છે કે, જે પૃથ્વી ગ્રહ પર વસવાટ કરીએ છીએ તેમાં પચ્ચીસ ટકા ભૂમિ છે અને પંચોતેર ટકા પાણી છે. આવી પૃથ્વી ગ્રહની વિશેષ રચનાના લીધે દેહધારી જીવન જીવવાની સહૂલિયત(અનુકૂળતા) સર્વે જીવને પ્રાપ્ત થાય છે. એક ક્ષણ પણ અટક્યાં વગર સૂર્યના તારાની સતત પ્રદક્ષિણા કરતાં પૃથ્વી ગ્રહ પર સૂર્યની ઊર્જાનું ચેતનવંત પોષણ પ્રકાશિત કિરણોથી પ્રસરતું રહે છે. તે પોષણથી સર્જન-વિર્સજનની પ્રક્રિયાઓ થયાં કરે છે, જે વૃદ્ધિ-વિકાસ સ્વરૂપની દેહધારી જીવનની ગાથા રચે છે. પૃથ્વી ગ્રહની જેમ બીજા ગ્રહો પણ સૂર્યની પ્રદક્ષિણા કરતાં રહે છે. આ સૂર્ય અને એની આસપાસ ફરતાં ગ્રહોની અખંડ ગતિની રચનાનો વિરોધ કરી શકાય એમ નથી. પરંતુ પૃથ્વી ગ્રહ પર વસવાટ કરનારા માનવીઓ, ભૂમિના વિભાગ પાડીને પોતાના દેશની સીમા બાંધવાનું વિરોધી વર્તન કરે છે તેની અજાયબી સૂર્યદેવને ચોક્કસ થતી હશે!! સૂર્ય દેવની ઊર્જાના લીધે પૃથ્વી ગ્રહ પર જીવંત જીવન જીવી શકાય છે, તે સત્યનો સ્વીકાર માનવી કરે કે ના કરે, તો પણ સૂર્યના કિરણોનું ઊર્જા ધન પૃથ્વી પર સતત વરસતું રહે છે. સૂર્ય પ્રકાશ સાથે વાયુ, જળ, અગ્નિના સહારે માનવી, પશુ, પંખી, જળચર, જંતુ, વનસ્પતિ વગેરે એકબીજાના પરસ્પર સહયોગથી જીવી શકે છે. આ વાસ્તવિકતાને જાણ્યાં પછી પણ મનુષ્ય માત્ર પોતાના અંગત ભોગની પ્રાપ્તિ થાય એવા સ્વાર્થથી મુક્ત થતો નથી.

         મનનું આસન જ્યારે મારા-તારા-પરાયા એવાં સ્વાર્થી શાસનથી વિચારે, ત્યારે મેળવવાની વૃત્તિ પ્રબળ હોય અને અર્પણ કરવાની વૃત્તિ નહિવત હોય. જેમ વનસ્પતિ જગતની દરેક કૃતિઓ પોતાની હસ્તીને અર્પણ કરી દે છે, જેથી મનુષ્ય, પ્રાણી, પક્ષી વગેરેને અન્નનું પોષણ મળી શકે; તેમ મનુષ્યએ પણ સાત્ત્વિક વિચારોના વર્તનથી પ્રેમ, કરુણા, માનવતા વગેરે ભાવ રૂપી અન્નને પ્રગટાવી સમાજને અર્પણ કરતાં રહેવું જોઈએ. દરેક જીવ પ્રેમભાવ રૂપી પોષણની ખોટના(અતૃપ્તિના) લીધે દેહને ધારણ કરે છે. તેથી એકબીજા સાથેના કૌટુંબિક જીવનમાં, કે વ્યવહારિક પ્રક્રિયાઓમાં જો પ્રેમભાવનું પ્રસરણ હોય તો સુખનો, સંતોષનો, તૃપ્તિનો અનુભવ થઈ શકે. પ્રેમભાવનો, કે પરમાર્થી આચરણનો સંકેત આપણને પ્રકૃતિ જગતની દરેક ક્રિયાથી મળે છે. પૃથ્વી પર પંચોતેર ટકા પાણીની રચના કરીને, પ્રભુએ માનવીને નિર્દેશ ધર્યો છે કે મનથી થતાં કર્મમાં જો પંચોતેર ટકા પ્રેમભાવની સાત્ત્વિકતા પ્રગટે, તો પચ્ચીસ ટકાની સ્થૂળ વિચારો રૂપી સંસારી ભૂમિ પર સાત્ત્વિક આચરણનું સૌંદર્ય ખીલતું જાય. પરંતુ મનનું સંકુચિત માનસ આ સંકેતથી અજાણ રહે છે, કારણ તે પ્રેમભાવને બદલે રાગ-દ્વેષના ભેદભાવને વધુ પ્રાધાન્ય આપે છે. આવાં ભેદભાવના વર્તનની અસર પ્રકૃતિ જગતની ક્રમબદ્ધ થતી સાત્ત્વિક ક્રિયાઓ પર થાય છે. નકારાત્મક અહંકારી સ્વભાવની અસરથી માનવી પોતે આપત્તિઓમાં ફસાય છે, તથા એની અસરથી પ્રકૃતિનું ઋતુ ચક્ર અનિયમિત થતાં કુદરતી આફતો, રોગચાળો વગેરે આપત્તિઓ સર્જાય છે. માનવતાના સંસ્કારી આચરણથી હળીમળીને જીવવાનું ભૂલી ગયેલા માનવીઓ માત્ર પોતાના પરિવારનો જ વિચાર કરે છે.

         માત્ર પોતાના પરિવાર વિશે વિચારતાં માનવીએ ભૂલવું ન જોઈએ કે, જે ધરતી પર વસવાટ કર્યો છે, જે ચાર દિવાંલોના ઘરમાં રહેવા મળ્યું છે, જે વાયુ, પાણી, સૂર્યપ્રકાશનું ધન સતત મળતું રહે છે, જે અન્નનું ધન આરોગવા મળે છે. તે બધું માત્ર રૂપિયાની નોટોથી મળતું નથી. પ્રકૃતિ જગતની અણગીન પ્રક્રિયાઓ સાથે માનવ જીવન સંકળાયેલું છે. તેથી માનવીના સ્વાર્થી, નકારાત્મક વર્તનની અસર પ્રકૃતિની કુદરતી પ્રક્રિયાઓને અનિયમિત કરે છે. એવી અનિયમિતતાથી ઉદ્ભવતાં પ્રતિકૂળ સંજોગોનાં અનુભવમાં મન શોધે છે પ્રભુને, અથવા જીવનનો સાર-અસાર જાણવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી સાર-અસાર જાણવાની વિવેકી દૃષ્ટિ જાગૃત નથી થતી, ત્યાં સુધી સાત્ત્વિક વર્તનની કે નિ:સ્વાર્થ પ્રેમભાવની જાગૃતિ સુષુપ્ત રહે છે, એવી સુષુપ્તિના લીધે સંસારી ઈચ્છાઓનું કે કામનાઓનું અન્ન ખાઈને મન માત્ર સ્વાર્થી વિચારોમાં ભટકે છે. એવાં મનને જ્યારે શ્ર્વાસની મહત્તા સમજાય, ત્યારે પ્રકૃતિ જગત સાથેની અરસપરસની પ્રક્રિયાઓનો મહિમા સમજાય. પ્રભુની પ્રાણશક્તિ દરેક દેહધારી કૃતિને શ્ર્વાસની ચેતના રૂપે ક્ષણે ક્ષણે પ્રાપ્ત થતી રહે છે. ક્ષણેક્ષણના નવીન શ્ર્વાસમાં ઊર્જા દ્રવ્યનું પોષણ ધારણ થાય છે અને વૃદ્ધિ-વિકાસની પ્રક્રિયાઓ થઈ શકે છે. શ્ર્વાસની પ્રપ્તિ રૂપી અલૌકિક ઘટનાના લીધે જીવંત સ્થિતિની ગાથા આલેખાય છે. તે અલૌકિક ક્રિયાના વહેણ આપણને સ્વયંના આત્મ સ્વરૂપની દિવ્યતાને, સાત્ત્વિકતાને વિચાર-વર્તન રૂપે પ્રગટાવવાનું કહેણ આપે છે.

         શ્ર્વાસ પોતે સદ્ગુરુ બની આપણાં મનને સાત્ત્વિકભાવથી શિક્ષિત કરવા માટે, હર ક્ષણે નવીન શ્ર્વાસનું દાન અર્પણ કરે છે. કોઈ શાસ્ત્રનો બોધ આપનાર લૌકિક ગુરુની જેમ શ્ર્વાસ રૂપી સદ્ગુરુ અલૌકિકનું શિક્ષણ ન આપે. અર્થાત્ સ્વ અધ્યયનની દીક્ષા કે આત્મીય ગુણોની જાગૃતિના અણસારા શ્ર્વાસના સાંનિધ્યમાં સહજ પ્રાપ્ત થાય છે. આવું સાંનિધ્ય કોઈને પણ બીજી વ્યક્તિ પાસે માંગવું પડતું નથી, એટલે કે રૂપિયાથી શ્ર્વાસની ખરીદી કરવી પડતી નથી. શ્ર્વાસ તો સેવાભાવથી કહેણ આપે કે, "હે મનુષ્ય, હું તને આલિંગન ધરીને ચેતનાની પ્રસન્નતાનું પોષણ આપું છું. તું એને માત્ર ઈચ્છાપૂર્તિ કરવામાં વાપરે છે. ઈચ્છા તૃપ્તિનું જીવન તો બધા જીવે છે. પરંતુ તને મન-બુદ્ધિની વિશેષતા પ્રાપ્ત થઈ છે. તેથી જીવંત જીવનનો હેતુ સમજશે તો સ્વ જ્ઞાનમાં સ્થિત થઈ શકશે. પછી તારા અહંકારી, રાગદ્વેષાત્મક સ્વભાવનું પરિવર્તન થતાં સ્વાર્થી વૃત્તિઓ ઓગળતી જશે. કારણ મારામાં પ્રભુની આત્મીય ચેતનાનો પ્રાણ છે, એનું દિવ્ય ગુણોનું સત્ત્વ છે, જે તને જીવંત સ્થિતિનું દાન અર્પે છે. તારે મારા અનુયાયી બનવાનું નથી, પણ મારા ચેતનવંત સાંનિધ્યને માણવાનું છે.” માણવું એટલે ભાવની પ્રીતથી શ્ર્વાસનો સ્વીકાર કરવો. દેહધારી જીવ શ્ર્વાસનો અસ્વીકાર કરી શકે એમ નથી. કારણ શ્ર્વાસ લેવાની ક્રિયા તેને કરવી પડતી નથી. તેથી માણવામાં સાત્ત્વિકભાવની સહજતા જાગૃત થતી જાય અને પાર્થ વૃત્તિની જાગૃતિ રૂપે સ્વાર્થ વૃત્તિથી મુક્ત થવાય. તેથી વિનંતિ પ્રભુને કરીએ કે..,

 

         સ્વાર્થના સાગરમાં તરતો રહું અને શોધું છું પ્રભુ તુજને,

         અક્ષર શબ્દોનો ભાવાર્થ મળ્યો છતાં સ્વ દર્શન ના થયું;

         જીવંત જીવનનો મહિમા જાણ્યો છતાં પરમાર્થી ના થયો,

મનનું સત્ત્વ પ્રગટાવવા પ્રભુ અંતર યોગ ધરો;

         વિચારોનાં વહેણમાં ભરતી લાવો ભાવની અને શરણભાવની જાગૃતિથી સ્વાનુભૂતિ ધરો;

         પ્રકાશિત દર્શનથી લઈ ચાલો સ્વાર્થની પેલીપાર,

         નિ:સ્વાર્થ પ્રેમની પાંખો ધરો, અંતર આકાશમાં ફરતો રહું.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
અણમોલ આશિષ અવિનાશના

હૃદયભાવની જાગૃતિથી પ્રેમમાં તરાવો, પ્રભુ અમને પ્રેમમાં તરાવો;

         નિ:સ્વાર્થ પ્રેમની ધારાથી, આત્મસ્થિત રહેવું અમને;

         હૃદય બોલે આત્માના સૂરથી, મન બોલે સંસારી રાગથી;

         સાત્ત્વિક આચરણનો રાહ મળે, જ્યારે પ્રેમભાવનું દાન મળે;

         હૃદયભાવનું મન સ્વીકારે, અણમોલ આશિષ અવિનાશના;

         કર્મસંસ્કારોથી મુક્ત થવાય, પછી પ્રકાશિત પ્રીતમાં સ્નાન થાય.              

        

         જગતમાં સર્વત્ર પ્રસરેલી પ્રભુની પ્રાણની ચેતનાના લીધે વિવિધ પ્રકારની અણગીન ક્રિયાઓ સતત થાય છે. સર્જનની ક્રિયા અને સર્જાયેલી કૃતિમાં થતી રૂપાંતરની ક્રિયા, ક્ષણ પણ અટક્યાં વગર થયાં કરે છે. આવી સતત ક્રિયાઓની હારમાળા, એટલે જ આપણાં સૌનું જીવન. સર્વે દેહધારી કૃતિઓને પ્રભુની ચેતનાનું અમૂલ્ય દાન પળે પળે વિના મૂલ્યે શ્ર્વાસ રૂપે મળતું રહે છે. આમ અસંખ્ય ક્રિયા રૂપી ગીત ચેતનાના આધારે ગવાતાં રહે છે અને ચેતનાની ૐકાર સૂરની શક્તિનો સંગાથ હોવાંથી અવનવી ક્રિયાઓ સર્જાતી રહે છે. આત્માનો સૂર એટલે જ ૐકાર સૂરની ત્રિગુણાત્મક શક્તિ. જેના આધારે નિરંતર ઉત્પત્તિની ક્રિયાઓ સર્જાતી રહે છે અને રૂપાંતરની ક્રિયા રૂપે વૃદ્ધિ થયાં કરે છે. પ્રભુના આત્મીય સૂરની ચેતના એટલે અવિનાશી દિવ્ય પ્રીત અને દિવ્ય પ્રીત એટલે જ નિ:સ્વાર્થ પ્રેમની ધારા. જેનો સ્પર્શ શ્ર્વાસ રૂપે આપણે સૌ કરીએ છીએ. પરંતુ મન તે સ્પર્શથી અજાણ રહીને માત્ર પોતાના દુન્યવી કાર્યો કરવાનું જીવન જીવે છે. માનવીએ જીવતાં જ આ સ્પર્શની મહત્તાને જાણવી જોઈએ. જે આ મહત્તાને જાણીને શરણભાવથી જીવન જીવે, તે છે ભક્તનો હૃદયભાવ. મન અને હૃદય વચ્ચે કોઈ ભેદ નથી. પરંતુ મનના સૂક્ષ્મ સ્વરૂપને હૃદય કહેવાય છે. મનનું તંત્ર એટલે વિચારોની ક્રિયા અને હૃદયનું તંત્ર એટલે ભાવની, પ્રેમની લાગણીની ક્રિયા.

         ભક્તનો હૃદયભાવ શ્ર્વાસ રૂપે સાક્ષાત્ પ્રભુની ઉપસ્થિતિને માણે છે. પ્રભુની ચેતનાની દિવ્યતાને ભક્ત માણે, એટલે કે સાત્ત્વિક ગુણોની પ્રતીતિ કરાવતી અંતર યાત્રા કરતો રહે, તેને કહેવાય ભક્તિનું સદાચરણ. ભક્તિના સદાચરણ રૂપે આત્માના સૂરને, એટલે કે ૐકાર નાદને ભક્ત શ્રુત કરે અને એવી શ્રુતિના સૂર-સ્વરને તે ભજનના શબ્દોથી વ્યક્ત કરે. આપણે સૌ એક સત્યથી પરિચિત છીએ કે, પ્રભુની ચેતનાનું સાંનિધ્ય મેળવવાનો, એટલે કે શ્ર્વાસનો સ્પર્શ કરવાનો પુરુષાર્થ કોઈને કરવો પડતો નથી. પરંતુ તે સાંનિધ્યમાં રહીને સાત્ત્વિકભાવની જાગૃતિથી જીવન જીવીએ, ત્યારે આત્મીય ગુણોની સાત્ત્વિકતા એટલે કે ૐકાર સૂરની શ્રુતિ ધારણ થાય. એવા સૂરથી પ્રગટેલા સાત્ત્વિક વિચારોના શબ્દો બીજા જિજ્ઞાસુ માનવીના મનનાં દોષિત કર્મસંસ્કારોનું આવરણ વિલીન કરાવી શકે છે. તેથી જ્ઞાની ભક્તની સંગમાં સત્સંગ થાય, તો નિર્દોષ સ્વભાવની સાત્ત્વિકતાને જાગૃત કરાવતું આચરણ સહજ ધારણ થતું જાય. દોષિત કર્મસંસ્કાર એટલે ક્રોધ, ઈર્ષ્યા, લોભ, મોહ, વેરઝેર વગેરે રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિઓવાળું મન. આ કર્મસંસ્કારોથી મુક્ત થવાં માટે જ મનુષ્ય જન્મની ભેટ મળી છે. સાત્ત્વિક વિચારોના ચિંતનથી મન જેમ જેમ પોતાના દોષિત સ્વભાવથી પરિચિત થતું જાય, તેમ તેમ સ્વ સ્વરૂપની નિર્દોષતા પરખાતી જાય. સ્વયંની એવી પારખમાં જીવનમાં થતી ક્રિયાઓ રૂપી ગીત પછી સાત્ત્વિકભાવથી ગવાતાં જાય.

         માત્ર સંસારી વિષયોના ભોગમાં આળોટતું મન, પળે પળે પ્રાપ્ત થતાં શ્ર્વાસમાં પ્રભુના આત્મીય સૂર સાથે એકાકાર થઈ શકતું નથી. એવું મન જો જ્ઞાન-ભક્તિના સદાચરણની મહત્તાને જાણે અને સ્વયંથી પરિચિત થાય, તો અહંકારી અજ્ઞાની વર્તનના બેસૂરા સ્વરોમાં શરણભાવનો, પ્રેમભાવનો, સાત્ત્વિકભાવનો સૂર ધારણ થતો જાય. તેથી જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને સદાચરણનો પુરુષાર્થ થાય, તો જે મન અજ્ઞાનમાં દોષિત વૃત્તિના અંધકારમાં ભટકે છે, તે મનને અંતરના પ્રકાશિત માર્ગની સમજ ધારણ થતી જાય. જ્ઞાની ભક્તની આત્મીય સૂરોની વાણી જે સ્વ અધ્યયનનું માર્ગદર્શન ધરે, તેમાં મનોવૃત્તિનાં દોષને ઓગાળતું નિર્દોષ ગુણોનું પોષણ હોય છે. અર્થાત્ જ્ઞાની ભક્તની નિર્દોષભાવની છત્રછાયામાં દોષિત વૃત્તિઓનાં કર્મસંસ્કારો પીગળી જાય છે. જેમ ફ્રીજમાંથી બરફ બહાર કાઢીએ તો તે આપમેળે પીગળી જાય છે અને બરફનું આકારિત રૂપ પાણીનાં પ્રવાહી રૂપમાં ફેરવાઈ જાય છે; તેમ સંસારી વિચારોમાં ભટકતાં અજ્ઞાની મનને જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મળવું, તેને કહેવાય અહંકારી વૃત્તિના મન રૂપી બરફને રાગ-દ્વેષાત્મક ભેદભાવ રૂપી ફ્રીજમાંથી બહાર કાઢવું.

         એકવાર જો સાંનિધ્ય રૂપે ભક્તિભાવનાં સાત્ત્વિક સ્પંદનોમાં મન સ્નાન કરશે, તો હૃદયનાં ઊંડાણથી સંતોષ કે તૃપ્તિની પ્રતીતિ થશે. કારણ હૃદયનો ભાવ વિચારોથી પ્રગટતો નથી. ભાવનાં સ્પંદનોનું દાન ધારણ થાય ત્યારે હૃદયભાવની સુષુપ્ત સ્થિતિ જાગૃત થાય, તેને જ કહેવાય મનની સાત્ત્વિકભાવની જાગૃતિ. જેમ એક પ્રગટેલો દીવો બીજા દીવાને પ્રગટાવે છે, તેમ જ્ઞાની ભક્તનાં સાંનિધ્યમાં મનની અજ્ઞાનતા, મનની અહંકારી સ્વભાવની જડતા, મનની સાત્ત્વિકભાવ વગરની સંકુચિતતા રૂપી અંધકાર વિલીન થાય છે. મન રૂપી દીવો પ્રકાશિત થવો, એટલે જ હૃદયભાવની સાત્ત્વિકતા પ્રગટ થવી. પછી કર્મસંસ્કારોથી મુક્ત કરાવતાં સાત્ત્વિકભાવનાં સદાચરણમાં મન આપમેળે સ્થિત થતું જાય અને પ્રભુ સંસ્કારોની માળા રૂપે સાત્ત્વિકગુણોમાં મન ગૂંથાતું જાય. મનનો હૃદયભાવ પછી જીવનનાં દરેક વ્યવહારમાં પ્રભુની ચેતનાની પ્રતીતિ કરતું જાય અને પ્રેમભાવથી હળીમળીને જીવે, ત્યારે સમજાય કે..,

        

         મારા મનનું હોવું એ તો મેં માની લીધું છે, પણ મન કોનું છે, કોના આધારે છે;

         તે કેવી રીતે ચેતનવંત વ્યવહાર કરે છે, તે જાણવાનો પુરુષાર્થ કરું છું;

         હવે સમજાયું કે મન ભાડેથી નથી મળ્યું, એ તો કર્મસંસ્કારોની ગાંઠોને મુક્ત કરવા મળ્યું છે;

         ભક્તિભાવથી મનોમંથન થાય, તો બંધનમાં સમાયેલી મુક્તિની અભિવ્યક્તિ આપમેળે થાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સાત્ત્વિક વિચારોથી ભક્તિભાવ પ્રગટે

માનવીને બાહ્ય જગતમાં ઉદ્ભવતી ઘટનાઓ વિશે જાણવાની અથવા બીજા માનવીના જીવનની દશા વિશે જાણવાની અધીરાઈ હોય છે. એવી અધીરાઈ રૂપે વધતે ઓછે અંશે દરેક માનવીના સ્વભાવમાં ભવિષ્યને જાણવાની તાલાવેલી હોય છે. ભવિષ્ય રૂપે જે કાર્ય હજી થયું નથી અથવા જે ઘટનાનું કાર્ય થયું નથી તેને વર્તમાનમાં જાણી શકાય એમ નથી. છતાં મન એનાં વિશે વિચારે અને ભવિષ્યની કલ્પનામાં રહીને ચિંતા કરે, અથવા ભવિષ્યમાં પોતે સારી રીતે સંસારી પદાર્થોને ભોગવી શકે, તે હેતુથી વધુ રૂપિયાની કમાણી કરવાના વિચારોમાં મગ્ન રહે છે. રૂપિયાની કમાણી કરવાના વિચારો કરવા તે યોગ્ય છે, પણ રૂપિયાથી પોતાની અપેક્ષિત ઈચ્છાઓ પરિપૂર્ણ થશે એવાં વિચારોમાં રહેવું તે યોગ્ય નથી. સૌ કોઈ પોતાની ઈચ્છા મુજબના કાર્ય કરે તથા તે માટેની મહેનત પણ કરે. છતાં દરેક કાર્યનું પોતાની મરજી મુજબનું અપેક્ષિત પરિણામ મળતું નથી. કારણ એક કાર્ય કરવામાં બીજી અનેક પરિસ્થિતિ સંકળાયેલી હોય છે. પોતાની મહેનત તથા બુદ્ધિની આવડત પર મનુષ્યનો પોતાનો કાબૂ હોય શકે. પરંતુ બીજી આધારિત પરિસ્થિતિ રૂપે સાથે કાર્ય કરનારી વ્યક્તિઓના સ્વભાવની તથા વસ્તુ કે વાતાવરણની અસર કાર્યના પરિણામ પર પડે છે. તેથી એક કાર્યની ક્રિયામાં અનેક પ્રકારના વિચારોનું પરિબળ હોવાંથી, માનવીને પોતાની ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ મોટેભાગે થતી નથી. ઈચ્છિત પરિણામ ન મળવાંથી મન અકળાય અને બેચેન થઈ યોગ્ય પરિણામ પ્રગટાવવા માટે ઝઝૂમે. ઝઝુમવું એટલે જીતવા માટે સામનો કરવો. તેથી ઈચ્છિત પરિણામની જીત મેળવવા માટે માનવી જીવનમાં ઝઝૂમવાની મહેનત કરતો રહે છે.

         એવી ઝઝૂમવાની મહેનત કરવાની જ હોય, નહિ તો પ્રાણી જેવો માનવી ગણાય. માનવી પાસે મન-બુદ્ધિ છે. તેથી પોતાની ઈચ્છા મુજબના કાર્યો કરવાનું બળ તેને મળ્યું છે. પરંતુ ભૂલ એ થાય છે કે તે ચિંતા અથવા ભયથી ઝઝૂમે છે. બીજા લોકો શું વિચારશે એવાં ભયથી તે પોતાના કાર્યો કરે છે. દેખાદેખીથી કે સરખામણી કર્યા કરવાના સ્વભાવના લીધે માનવી પાસે કાર્ય કરવાનું જે સમર્થ બળ છે તેનું કૌશલ્ય ઘટતું જાય છે. સરખામણીની ચિંતામાં તે મેળવેલા પરિણામને નચિંત થઈને માણી શકતો નથી અને ન માણવાના લીધે મનમાં અતૃપ્તિ વધતી જાય છે. જે બીજી નવી ઈચ્છાઓનાં તાર ગૂંથે છે. એટલે ઈચ્છાઓનું આવરણ ગાઢ થતું જાય છે. એવા મનને જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગથી સ્વયંની જાણકારી થાય, તથા સાત્ત્વિકભાવથી જીવન જીવવાનું માર્ગદર્શન મળતું જાય, ત્યારે ભય પ્રેરિત મનનું ઝઝૂમવાનું ઓછું થતું જાય. પછી મનને પ્રેમભાવની, ભક્તિભાવની, અર્પણભાવની મહત્તા સમજાય અને ભક્ત સ્વરૂપનો પ્રાદુર્ભાવ(જાગૃતિ) થાય એવા સાત્ત્વિક આચરણમાં સ્થિત થવાનો સંકલ્પ દૃઢ થતો જાય. સંકલ્પ અનુસાર સત્સંગ કરવાની, અધ્યયન કે અભ્યાસ કરવાની લગની વધતી જાય. મનને પછી સમજાવવું ન પડે કે સાત્ત્વિકભાવ વગરના જીવનમાં પ્રેમભાવથી જીવનને માણવાની સહજતા નથી. જ્યાં પ્રેમભાવની સહજતા નથી ત્યાં કાર્ય કરવાની પ્રસન્નતા નથી, કે પરિણામને માણવાનો આનંદ પ્રગટતો નથી.

 

         જીવનમાં આ પળે શું થશે, કે બીજી પળે શું થશે તેને જાણવા ન માંગે ભક્તનું જોગી મન;

         સતત જાણવા માટે તલસે અને ક્યારે થશે, શું થશે એવાં વિચારોમાં ફરતું મન જોગી નથી;

         જોગી ભક્ત તો વર્તમાનની પળમાં જીવે અને પળ સ્વરૂપે પ્રભુની પરમ લય સાથે એકરૂપ થાય;

         લય યોગી છે ભક્તનું જોગી મન, જે બીજા જિજ્ઞાસુઓને પળની પાવન લયમાં ઢાળતો જાય.

 

         ભક્તનું જોગી મન સામાન્ય માનવીની જેમ ભવિષ્યની ચિંતા કરી વિહ્વળ થતું નથી. કારણ સ્વ જ્ઞાન રૂપે એ સાત્ત્વિકભાવની જાગૃતિમાં સ્થિત રહે છે. એવી જાગૃતિ રૂપે નવધા ભક્તિના નવ પ્રકારના (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન) ભાવથી જીવન જીવે અને પ્રભુ સાથેની ઐક્યતાને, પ્રભુની સાક્ષાત્ ઉપસ્થિતિને દરેક કાર્યની ક્રિયા રૂપે અનુભવે. શ્રવણ ભક્તિ રૂપે સ્વના અધ્યયનમાં અંતરનાદના ઘોષને જ્યારે તે ઝીલે, ત્યારે કીર્તન ભક્તિ રૂપે તે ઘોષનો નાદ એટલે કે સ્વ જ્ઞાનનો સારાંશ વાણીથી પ્રગટે અને એવી વાણીના પ્રભાવથી તે પોતાના વ્યવહારિક કાર્યો કરે. સ્વ જ્ઞાનનો મનોમન સારાંશ ધારણ થાય અને એવા સારાંશનો અંતર નાદ સ્વયંભૂ પ્રગટે. તે માટે ઝઝૂમવાનું ન હોય. તેથી ભક્ત વિચારે નહિ કે આ પળે શું થશે, કે બીજી પળે શું થશે. એટલે ભક્તનું મન સ્મરણ ભક્તિ રૂપે સ્વ જ્ઞાનમાં અનાયાસે વીંટળાયેલું રહે છે. જ્યાં પ્રભુ સ્મરણની હારમાળા ગૂંથાતી હોય ત્યાં રાગ-દ્વેષાત્મક સંસારી વિચારોની ગૂણપાટ જેવી ગૂંથણી ન હોય. જો ક્યારેક એવા ચિંતા પ્રેરિત સંસારી વિચારોના ડોકિયાં થાય, તો પ્રભુ સ્મરણની ધારામાં એવાં વિચારોનું શુદ્ધિકરણ થતું જાય. કારણ પ્રભુ સ્મરણ રૂપે ભક્તમાં સોઽહમ્ ભાવની (તે હું છું) જાગૃતિ થાય છે.

         સોઽહમ્ ભાવની જાગૃતિથી પાદસેવન ભક્તિ રૂપે પ્રભુએ અર્પણ કરેલા દાનનું સેવન કરે. અર્થાત્ સપ્ત મહાભૂતોની પ્રકૃતિથી સર્જાયેલાં આ જગતની તથા માનવ દેહની અમૂલ્ય પ્રાપ્તિ થઈ છે. તેથી ભક્ત તો પ્રભુના દાન રૂપે વાયુ, અગ્નિ, પાણી, માટી, વનસ્પતિ, ધાન્ય વગેરેનું સેવન અકર્તાભાવથી કરે. દાન સ્વરૂપની પ્રકૃતિની દરેક કૃતિઓ પ્રભુએ સર્જાવી છે. એવા ભાવથી ભક્તનું જોગી મન અર્ચન ભક્તિમાં તરતું રહે. અર્ચન રૂપે પ્રભુનું જે દાન મળ્યું છે તેના પર માલિકીભાવ ન રાખે. એટલે અર્પણ ભાવ રૂપે એની અહમ્ વૃત્તિઓની આહુતિ જ્ઞાન-ભક્તિના યજ્ઞમાં સમર્પિત થાય. શરીરના વિવિધ અંગોની સાત્ત્વિકભાવની ક્રિયાનો ભાવાર્થ સમજીને, તેના વિચારો અર્પણભાવની જાગૃતિમાં ધ્યાનસ્થ રહે. ક્ષણે ક્ષણે અર્પણ થતું શ્ર્વાસનું દાન ફેફસા ઝૂકી ઝૂકીને સ્વીકારે છે અને સ્વીકારેલું તે અમૃત ધન લોહીને અર્પણ કરી દે છે. આવી શરીરમાં થતી સાત્ત્વિક ક્રિયાઓનું તાત્પર્ય ભક્તમાં વણાઈ જાય છે. તેથી તે અંતરનાદ રૂપે પ્રભુની દિવ્યતાને દર્શાવતા પદ્ય પદોના કહેણને ઝીલે, તો એ પણ બીજા જિજ્ઞાસુઓને અર્પણ કરી દે. પોતાની માલિકીના ન ગણે પણ જિજ્ઞાસુઓને ભક્તિ માર્ગે ઢાળવા માટે અર્પી દે. ભક્તનો એવો સમર્પણભાવ, એ જ છે વંદન ભક્તિનું આચરણ. એ તો પ્રભુનો પૂજારી બની પ્રભુનું ધન દાસત્વભાવથી અર્પી દે; તે છે દાસ્ય ભક્તિનું સ્વરૂપ. એવાં ભક્તની તન-મનની પ્રકૃતિ આત્માની સૂક્ષ્મતામાં ખોવાઈ જાય, તે છે સખ્ય ભક્તિનું આચરણ. પ્રભુની ચેતના સખા રૂપે એ ભક્તને આત્માની વિશાળતાનું, ગુણિયલતાનું માર્ગદર્શન ધરે, ત્યારે એનાં સાત્ત્વિક વિચારોની અભિવ્યક્તિ રૂપે આત્મનિવેદન ભક્તિનો ભાવ પ્રગટ થાય. એવા શ્રેષ્ઠ જ્ઞાની-ભક્તનું સાંનિધ્ય જો મળે, તો સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થાય.

                                 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
મનડું સાવધ થાય તો સેવાધન મળી જાય

જેણે પ્રભુ પ્રેમમાં જીવનને સમર્પણ કર્યું, તેને આકાંક્ષા કે આશાના મિનારા ન રહ્યાં;

એ તો ભક્તિ ભાવ સ્વરૂપે રહે અંતરધ્યાનમાં, જ્યાં નિ:સ્વાર્થી પ્રેમની ભૂખ સંતોષાય;

એ આશિષ ન માંગે પણ સ્વ અનુભવથી જાણે, કે આકારો કે પદાર્થોમાં ભાવનું ઊંડાણ નથી;

એટલે સૂક્ષ્મના ઊંડાણમાં ભક્ત જાય અને અનુભવે, કે પ્રભુ અને પ્રેમ જુદાં નથી,

                                   બન્નેના એકમમાં પ્રગટે દિવ્ય પ્રીતની ચેતના.

 

         માનવ આકારની ઉપલબ્ધિનો (પ્રાપ્તિનો) હેતુ જો માનવી જાણી લે, તો આકારની નિરોગી સ્થિતિ અર્થે પ્રથમ મનનું સ્વાસ્થ્ય સુધારે. તન-મનના જોડાણનું માનવી જીવન, પ્રાણી-પક્ષીની જેમ માત્ર ભૌતિક રૂપે જીવવાનું નથી, પણ દેહની વિવિધ પ્રક્રિયાઓનો ભાવાર્થ સમજતાં, સાત્ત્વિક ભાવની નિર્મળતા ખીલવવાની છે. એવી ખીલવણીમાં જણાશે કે મનનાં રાગ-દ્વેષભર્યા સ્વભાવથી થતાં વિક્ષેપ વચ્ચે પણ અંગોની પ્રક્રિયા અટક્યાં વગર નિરંતર થતી રહે છે. આ વાસ્તવિક્તા જાણીને મનને પરમાત્માની ભગવત્ ભાવની શક્તિ, જે આપણને ઊર્જાની ચેતના રૂપે પ્રાપ્ત થતી રહે છે, તેની સાત્ત્વિક્તા અનુભવાશે. સાત્ત્વિક ગુણોની ઊર્જાનો પ્રવાહ એટલે જ દિવ્ય પ્રીતની ચેતના. તેની અનુભૂતિ મનોમન ત્યારે થાય જ્યારે મન નિ:સ્વાર્થ પ્રેમનું સરોવર બને. સામાન્ય રૂપે આપણું મન અહંકારી વૃત્તિમાં વીંટળાયેલું હોવાંથી રાગ-દ્વેષના ભેદભાવમાં રહે છે. તે આકારિત જગતની વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે ભેદભાવથી સંબંધ બાંધે છે. તેથી સંબંધમાં કે સંબંધિત પ્રવૃત્તિમાં તૃપ્તિ નથી મળતી, પ્રેમની મીઠાશ અનુભવાતી નથી. આવી અતૃપ્તિના લીધે મનમાં નવી નવી આશા કે અપેક્ષાઓના મિનારા બંધાતા રહે છે. એટલે ભેદભાવની ભાંજગડમાં ગૂંચવાયેલા મનનું બુદ્ધિચાતુર્ય કરમાતું જાય છે.

         માનવી જો સ્વયંના આત્મ સ્વરૂપના સાત્ત્વિક પ્રભાવને જાણવાનો પ્રયત્ન કરે, તો જિજ્ઞાસુભાવની કૃપા ધારણ થાય. પરંતુ સ્વયંને જાણવું કઈ રીતે, એ પ્રશ્ર્ન દરેકને મુંઝવે છે. મન આરંભમાં આધ્યાત્મિક ગ્રંથો, પુસ્તકો કે શ્રવણ-સત્સંગ દ્વારા જાણવા માટે ત્યારે તૈયાર થાય, જ્યારે એને પોતાના જીવંત દેહની મહત્તા સમજાય. દેહને જીવાડનાર પ્રભુની ચેતના શ્ર્વાસ રૂપે સર્વેને મળતી રહે છે. અર્થાત્ આપણને આયુષ્ય શ્ર્વાસ રૂપે મળ્યું છે. તેમાં એક શ્ર્વાસ વધારે કે ઓછો નથી મળતો અને કોઈનો ઉછીનો મેળવી શકાતો નથી. આ જીવંત દેહ દ્વારા મન પોતાની ઈચ્છાપૂર્તિ કરાવતું જીવન જીવે છે. પરંતુ ભક્ત તો જીવાડનાર ચેતના, એટલે કે પ્રભુને સમર્પિત થઈ જીવે છે. સમર્પિત થવું એટલે ‘હું નથી કર્તા કે ભોક્તા, હું  તે જ દિવ્ય ચેતનાનો અંશ છું’, એવાં સમર્પણભાવથી ભક્ત જીવે, ત્યારે સંસારી આકાંક્ષા કે અપેક્ષાઓનાં મિનારાં તૂટતાં જાય. પ્રારબ્ધ અનુસાર ઉદ્ભવતી ઈચ્છાઓ પૂરી થતી જાય અને નવી ઈચ્છાઓમાં મન બંધાય નહિ.

         ભક્ત પ્રારબ્ધગત જીવનનો અસ્વીકાર ન કરે, પણ અલિપ્તભાવે જીવે. તે સંસારી કાર્યોમાં એટલે કે પ્રકૃતિની સંગમાં જ પ્રભુની કૃતિને માણે. પ્રભુની કૃતિને માણવું એટલે નિર્મળ અકર્તા ભાવથી કર્મ ભક્ત કરતો રહે અને કૃતિમાં સમાયેલાં સાત્ત્વિક ગુણોથી પરિચિત થતો જાય. એવાં પરિચયમાં મનનો સાત્ત્વિક ભાવ ખીલતો જાય. જે મનને અંતરધ્યાન તરફ પ્રયાણ કરાવે છે. મન પછી પ્રેમની ધારામાં તરબોળ થતું જાય, ત્યારે સ્વ અનુભૂતિની અંતરયાત્રા આપમેળે થતી જાય. મન જ્યાં સુધી નિ:સ્વાર્થ પ્રેમનું અકર્તાભાવનું આસન ન બને, ત્યાં સુધી આત્માની ઐક્યતાને અનુભવી નથી શકતું. મન શબ્દોથી તે ઐક્યતાને જાણે છે, સમજે છે પણ અનુભવ સ્વરૂપે એકમ ગતિને ધારણ નથી કરતું. તેથી ભક્ત સદા એકમ ગતિમાં ગતિમાન થવા માટે પ્રેમભાવની નિ:સ્વાર્થતાને, નમ્રતાને, સાત્ત્વિકતાને ધારણ કરાવતાં અકર્તાભાવમાં સ્થિત રહે છે.

 

         કૃતકૃત્ય થઈ ગયો અકર્તા ભાવમાં, અકર્તામાં મળી ગયો કાંત શ્રીકાંત;

         કહેવાનું મન ન થાય કર્મોનાં કથનનું, સાક્ષીભાવ કેળવ્યો કે કાંતે કર્યું કામ;

         મનડું સાવધ થયું સેવાધન મળી ગયું, સાધન માટે શ્રીકાંતનો આધાર લઈ લીધો.

 

         પ્રેમભાવની નમ્રતાનો કે સમર્પણભાવની નિર્મળતાનો સંકેત આપણને પ્રકૃતિના વનસ્પતિ જગત દ્વારા મળી જાય છે. જ્યારે આંબાના વૃક્ષ પર કેરી પાકે, મોટી થાય, ત્યારે તે નીચે નમતી જાય છે. એ જ રીતે ભક્ત અંતરધ્યાનની ઊર્ધ્વગતિને ધારણ કરે, ત્યારે નિ:સ્વાર્થ પ્રેમભાવથી નમતો જાય છે. નમવું એટલે જ સમર્પણ ભાવની વિશાળતા ધારણ કરવી. એવી નમેલી સ્થિતિમાં ભક્ત સ્વ અનુભવોનો કળશ બની જાય. એની મન-બુદ્ધિ-ઈન્દ્રિયોના સંસ્કાર બદલાઈ જાય અને દિવ્ય ચેતનાની પ્રીતની પ્રતીતિ થતી જાય. એનાં ભક્તિ ભાવમાં પછી શ્રેય સિવાય બીજી કોઈ વાત ન સમાય અને સૌનાં ઉત્કર્ષ માટે એનાં દેહ દ્વારા પ્રીતની ચેતના અભિવ્યક્ત થતી જાય. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
અંત:કરણપૂર્વક સ્વીકારભાવ જરૂરી

શાસ્ત્રોના માત્ર અર્થ સમજવામાં કે ઉપાસનામાં, પ્રભુની સંપૂર્ણતાના ન મળે પૂરા એંધાણ;

         પ્રભુની પ્રકાશિત ગતિના અણસારા મળે,

જો જાવ તમે અંતર ભક્તિના ભાવથી ભીતરના ઊંડાણમાં;

         પ્રકાશિત ગતિની પૂર્ણતામાં પ્રભુના પ્રેમી થશો,

તો સાત્ત્વિક ગુણોના પુણ્યો જગાડશે પ્રભુ પળવારમાં;

         ભક્ત તો સંપૂર્ણતાનો સહયોગી થાય આત્મ સ્વરૂપના સાંનિધ્યમાં

અને મેળવે પ્રભુ કૃપા વારસામાં.

 

         જગતની વિવિધ કૃતિઓને, આકારિત જડ પદાર્થોને, વસ્તુઓને, વ્યક્તિઓને તથા પશુ-પક્ષી વગેરે પ્રકૃતિની અનેક પ્રકારની આકૃતિઓને આપણે આંખો દ્વારા જોઈ શકીએ છીએ. આંખો જે પણ આકારને જુએ ત્યારે તેનાં દૃશ્યને ઝીલે અને મગજ દ્વારા જોવાની ક્રિયા થાય છે. અર્થાત્ મગજના આધારે જોવાયેલાં આકારની ઓળખાણ થાય અને જોવાયેલાનું સ્મરણ મગજમાં અંકિત થઈને રહે. જેથી બીજીવાર તે આકારને જોઈએ તો ઓળખના સ્મરણથી તેની વધુ સમજ ગ્રહણ થાય. જેમકે આંબાના વૃક્ષ પર કેરીના ફળનું દૃશ્ય પહેલીવાર જ્યારે જોઈએ, ત્યારે તેની ઓળખનું સ્મરણ મગજમાં સ્થાપિત થઈ જાય. પછી બીજીવાર જ્યારે આંબાના વૃક્ષને જોઈએ, ત્યારે તે વૃક્ષ આફુસ કેરીનું છે, કે કેસર કેરીનું છે, વગેરે ઓળખ રૂપે ઊંડાણપૂર્વક સમજ ગ્રહણ થાય. સમજણની, અનુભવની આવી જાણકાર સ્થિતિ મગજ-મનનાં જોડાણથી ધારણ થાય છે. મનની જો અજાણ કે અજ્ઞાની સ્થિતિ હોય, એટલે કે મંદ બુદ્ધિની અપરિપક્વ સ્થિતિ હોય, તો એવાં માનવીના શરીરનો વિકાસ થાય, પણ મનનો વિકાસ અતિ અલ્પ પ્રમાણમાં થાય છે. તેથી તેઓ શિક્ષણ કે વ્યવહારિક કાર્યોના ક્ષેત્રમાં આગળ પ્રયાણ કરી શકતાં નથી. મનની આવી અપરિપક્વતાનું લાચાર જીવન કોઈને ન ગમે. સામાન્ય રૂપે માનવી જ્યારે એવી મંદબુદ્ધિની લાચાર વ્યક્તિને જુએ કે મળે, ત્યારે દયા સાથે સહાનુભૂતિનો ભાવ એનામાં જાગે છે. પરંતુ એવા દયનીય ભાવ સાથે જો પોતાના તન-મનની સ્વસ્થ, નિરોગી, સ્થિતિનો મનોમન આભાર માને, તો માનવ જન્મને સાર્થક કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ તરફ મન ઢળતું જાય.

         વાસ્તવમાં એક હકીકતનો સ્વીકાર હૃદયના ઊંડાણથી થવો જોઈએ કે, માનવ આકારની વિશિષ્ટતા સાથે મન-બુદ્ધિનું જે ચાતુર્ય પ્રભુએ અર્પણ કર્યું છે, તે બીજા કોઈ પ્રાણી કે પક્ષીમાં નથી. એવાં સ્વીકાર રૂપે  અહોભાવ પ્રગટે, તો ખોટી માન્યતાઓથી, શંકાઓથી, ભ્રમણાઓથી, કે પોતાના અજ્ઞાની વિચારોથી મન મુક્ત થતું જાય. અજ્ઞાનથી મુક્ત કરાવતા સાત્ત્વિક વિચારોના અધ્યયનથી વાસ્તવિક સમજ પછી ગ્રહણ થતી જાય કે, કોઈ પણ બાહ્ય આકારિત પરિસ્થિતિમાં સુખ-દુ:ખ નથી. પરંતુ સ્વ સ્વરૂપથી અજાણ રહેતી અજ્ઞાની દશાના લીધે સુખ-દુ:ખને મન અનુભવે છે. સ્વ સ્વરૂપની ઓળખ રૂપે સૂક્ષ્મ સમજના બારણાં જેમ જેમ ખુલતાં જાય, તેમ તેમ નિરીક્ષણપૂર્વક થયેલાં અધ્યયનથી સમજાય કે દરેક આકારની અથવા જગતની સર્વે આકૃતિઓની જડ સ્થિતિ છે. તે સર્વેમાં વહેતી પ્રભુની પ્રાણ શક્તિની ચેતનાનો સંચાર હોવાંથી, તે ચેતનવંત સ્થિતિને ધારણ કરે છે. એટલે જેમ આ મધુવન પૂર્તિનું એક પાનું બીજા પાનાને જોઈ શકતું નથી કે સ્પર્શી શકતું નથી, પણ મધુવન પૂર્તિના પાના જેના હાથમાં છે, તે પોતે પાનાને પકડી શકે છે, સ્પર્શી શકે છે. કારણ તન-મનમાં સતત પ્રાણની ચેતનાનો સંચાર છે. આપણે જાણીએ છીએ કે મૃત શરીર(મડદું) બીજા આકારને જોઈ ન શકે, કે એનાં સ્પર્શને પણ અનુભવી ન શકે. એટલે મનોમન સૂક્ષ્મ સમજના તાર ગૂંથીને અહોભાવપૂર્વક સ્વીકારીએ કે, આકરોની સંગમાં, પદાર્થોના ભોગમાં સુખનો અનુભવ કરીએ છીએ, એ છે સચ્ચિદાનંદ સ્વરૂપની ચેતનાની પ્રત્યક્ષ હાજરી.

         આમ એક આકાર પાસે એવી શક્તિ કે બળ નથી, કે તે બીજા આકારને જોઈ શકે. એ તો સર્વત્ર પ્રસરતી પ્રભુની પ્રાણની ચેતનાના લીધે અને દરેક આકારમાં સમાયેલી ચેતનાના લીધે મગજના જ્ઞાનતંતુઓનાં સહારે આંખોથી જોઈ શકાય છે. આકારને જોવા માટે જ્ઞાનતંતુઓના વિદ્યુતિ રસાયણોની ક્રિયામાં ઊર્જા પ્રકાશની ચેતના છે. જેનું નિરાકારિત સ્વરૂપ છે. અર્થાત્ નિરાકારિત સ્વરૂપની ઊર્જાની ચેતના છે અને તે વિવિધ આકારોને જોવાની મનને દૃષ્ટિ આપે છે તે પણ નિરાકાર સ્વરૂપની છે. આ નિરાકારિત ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે કોઈ પણ આકારના દેહની જીવંત સ્થિતિ છે અને જીવંત સ્થિતિના આધારે આકારમાં અણગીન પ્રક્રિયાઓ થતી રહે છે તથા તે પ્રક્રિયાઓ પણ નિરાકાર સ્વરૂપની છે. જેમકે પગથી ચાલવાની પ્રક્રિયા થાય છે, ત્યારે પગને જોઈ શકાય છે. પરંતુ પગના હાડકાં, સ્નાયુઓ, લોહીનો સંચાર વગેરેથી જે ચાલવાની પ્રક્રિયા થઈ શકે છે, તે પ્રક્રિયાને જોઈ શકાતી નથી. એટલે કે તે પ્રક્રિયા નિરાકારિત સ્વરૂપની છે. જો કોઈ વ્યક્તિ એમ કહે કે પગને ચાલતાં જોઈ શકાય છે, તેને જ ચાલવાની પ્રક્રિયા કહેવાય, તો એ વ્યક્તિને હકીકતનું દર્શન કરાવતાં સમજાવવું પડે, કે પગમાં જ્યારે પેરેલીસીસ થાય, ત્યારે પગને જોઈ શકાય છે, પરંતુ લોહીનો સંચાર ન હોવાંથી અને સ્નાયુઓની પ્રક્રિયા ન થવાંથી ચાલવાની પ્રક્રિયા થતી નથી. અર્થાત્ દરેક પ્રક્રિયાનું સ્વરૂપ છે નિરાકાર.

         નિરાકારિત ચેતનાના લીધે કોઈ પણ દેહના આકારની જીવંત સ્થિતિ છે અને જીવંત સ્થિતિ રૂપે ક્ષણે ક્ષણે અણગીન પ્રક્રિયાઓ થયાં કરે છે. તે નિરાકારિત પ્રક્રિયાઓનાં લીધે જ આકારની હસ્તી છે. એટલે કે આકારની રચના જ્યારે માતાના ગર્ભાશયમાં થઈ, ત્યારે તે રચનાત્મક ક્રિયાઓ પણ નિરાકારિત હોવાંથી આકારનું રૂપ ઘડાયું અને તે નિરાકારિત ક્રિયાઓ નિરાકારિત ચેતનાની હાજરીના લીધે થઈ શકી. આમ દરેક દેહના આકાર જન્મે અને જન્મથી તે મૃત થાય ત્યાં સુધીની જે પણ સજીવ પ્રકારની નિરાકારિત ક્રિયાઓ થાય, તે છે નિરાકારિત આત્મીય ચેતનાનું પ્રતિબિંબ. આટલી સૂક્ષ્મ સમજ અહોભાવપૂર્વક ગ્રહણ થાય તો જીવનમાં ઉદભવતી પ્રતિકૂળ કે અનુકૂળ ઘટનાઓ પાછળ મન સુખી-દુ:ખી થઈને ભટકતું નહિ રહે. પરંતુ ઉદ્ભવતી ઘટનાઓનો અનુભવ જે ચેતનાના આધારે થાય છે, તેના સાત્ત્વિક ગુણોનું સૌંદર્ય પ્રગટે એવાં સાત્ત્વિકભાવના સંસ્કારો જાગૃત થશે. યોગી મહાત્મા જેવા જ્ઞાની ભક્તો તે સાત્ત્વિક સૌંદર્યની સાક્ષાત્ મૂર્તિ છે. તે બીજા જિજ્ઞાસુ ભક્તોને સાત્ત્વિક સંસ્કારોને જાગૃત કરાવતું પ્રેરકબળ પૂરે છે. તેઓને કોટિ કોટિ પ્રણામ. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સાત્ત્વિક ભાવની જાગૃતિથી સ્વયંની અનુભૂતિ થાય

જન્મથી મૃત્યુ વચ્ચેના જીવનને યોગ્ય રીતે જીવવાની કોઈ પ્રક્રિયા જેવી પદ્ધતિ નથી. પરંતુ મનની સુસંસ્કારી ગુણિયલતા જે વર્તનથી પ્રદર્શિત થાય,તે છે જીવવાનો યોગ્ય પથ. મનના વર્તનથી એટલે કે સ્વભાવગત જે વ્યવહારિક કાર્યો થાય, એમાં સાત્ત્વિકભાવ રૂપે પ્રેમની, દયાની, પરોપકારની ગુણિયલતા પ્રસરે, તે છે માનવી મનની સંસ્કારી વર્તનની યોગ્યતા. મનની એવી યોગ્યતાને સ્થૂળ આકારિત પદાર્થોના જગતનો અને સૂક્ષ્મ ક્રિયાઓની વિશાળ સૃષ્ટિનો ભેદ સમજાતો જાય. ભેદ રૂપે દેહધારી જીવનનો આશય સમજાય અને માનવ જીવનની મહત્તાનો સ્વીકાર થાય. જિજ્ઞાસુ ભક્ત દેહધારી જીવનનો આશય સમજવા ભક્તિ ભાવથી જીવવાનો પુરુષાર્થ કરે છે. એ ભક્તિ ભાવથી અંતર માર્ગે ઢળતો જાય અને સાત્ત્વિકભાવની જાગૃતિ માટે પ્રભુ કૃપાને ધારણ કરાવતી અંતરધ્યાનની સ્થિતિમાં સ્થિત થવા માટે જ્ઞાન ભક્તિથી મનને ઢાળતો જાય. મનને ભાવમાં ઢાળવું એટલે રાગ-દ્વેષના ભેદભાવથી છૂટવું. સામાન્ય રૂપે માનવીનું મન રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોમાં બંધાયેલું રહે છે. એવું મન ભક્તિભાવથી અંતરધ્યાનમાં સ્થિત થઈ શકતું નથી. એટલે સાત્ત્વિકભાવ એવાં મનમાં સુષુપ્ત રહે છે અને રાગ-દ્વેષના ભેદભાવ જાગૃત રહે છે.

 

         પ્રભુ કૃપાની પ્રેરણાથી સમજાય ભક્તને કે,

         અંતર માર્ગે ઢળવા સાત્ત્વિકભાવની જાગૃતિ પ્રભુ જ પ્રગટાવે છે;

         પ્રાણ શક્તિના પાન-અપાનથી હૃદયના ધબકારે પ્રભુ કહેણ કહેવડાવે કે, કર્તા હર્તા તે પોતે છે;

         જ્ઞાન-ભક્તિના સત્સંગથી સ્વભાવ બદલાય,

પછી મનની માળા અને તનના મણકાં એક જ નામ બોલે;

         ત્યારે માનજો કે પ્રભુ પોતે સારથિ બનીને, અંતરની પેલી પારની આત્મીય પ્રીતમાં તરાવે છે.

 

         પ્રભુ કૃપા રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ જ્યાં સુધી ધારણ નહિ થાય, ત્યાં સુધી અંતર તરફ મનનું પ્રયાણ થતું નથી. બાહ્ય જગતના વિષયોનું આકર્ષણ જ્ઞાન-ભક્તિના સત્સંગથી ઘટતું જાય, ત્યારે અંતરની વાસ્તવિકતાનો સ્વીકાર થાય અને અંતર જ્ઞાનમાં મન સ્થિત થતું જાય. જેમ માતા-પિતા પોતાના નાના બાળકને આંગળી પકડીને ચાલવાનું શીખવાડે છે, તેમ સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરાવતી કૃપાનું પૂરણ પ્રભુ પોતાની પ્રાણ શક્તિથી પૂરે છે. એવું પૂરણ જિજ્ઞાસુ ભક્તમાં ત્યારે પુરાય, જ્યારે હૃદયનો પુકાર જાગે. ભક્તના પુકારમાં પોતાના હું પદના વૃત્તિ-વિચારોના અવરોધને વિલીન કરવાની પ્રાર્થના હોય અને પ્રભુની નિરાકારિત ચેતનાના પ્રકાશિત દર્શનમાં સ્થિત થવાનો આર્તનાદ હોય. આધ્યાત્મિક સમજથી બાહ્ય અને અંતર જગતનો સંબંધ પરખાય, તન-મનના જોડાણના માનવ દેહની મહત્તા સમજાય, તથા આત્મા અને મનની ઐક્યતાનું તાત્પર્ય સમજાય. આવી આધ્યાત્મિક સમજથી મન પોતાના સ્વ સ્વરૂપની સૂક્ષ્મતાને કે વિશાળતાને ગ્રહણ કરતું જાય અને અહંકારી હું પદનું સંકુચિત માનસ પછી વિલીન થતું જાય. આમ છતાં ઘણીવાર જિજ્ઞાસુ ભક્ત માત્ર આધ્યાત્મિક સમજ રૂપી કુંડમાં સ્નાન કરતો રહે છે. તેથી સાત્ત્વિક આચરણની સ્વ અનુભૂતિ રૂપી સરિતામાં તરવાનું એને ફાવતું નથી. અનુભૂતિની સરિતામાં તરવા માટે જે આધ્યાત્મિક સમજ ગ્રહણ કરી, તે અનુસાર અકર્તાભાવથી જીવન જીવવું જરૂરી છે.

         આધ્યાત્મિક જ્ઞાન રૂપે મેળવેલી સમજને આચરણ રૂપે ધારણ કરવા માટે, રોજબરોજની લૌકિક જીવનની પ્રવૃત્તિઓ કે કાર્યો દ્વારા પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના અણસારા ગ્રહણ થવા જોઈએ. એવાં અણસારાની પ્રતીતિથી મનોમન સાત્ત્વિક ભાવનું સંવેદન સ્વયંભૂ ધારણ થતું જાય, તે છે પ્રભુ કૃપાનો પ્રસાદ. પ્રભુની પ્રાણ શક્તિની કૃપા કઈ ક્ષણે ધારણ થાય, તે કોઈ જણાવી શકે એમ નથી. પરંતુ ધારણ થાય પછી મન બની જાય હૃદયભાવની નિર્મળતા. એવું નિર્મળ મન અક્ષર શબ્દોના અર્થ સમજવાની ચર્ચા ન કરે, પણ જે અક્ષર શબ્દો સ્વયંના આત્મ દર્શનના અણસારા આપે, તે શબ્દોનો ભાવાર્થ ગ્રહણ કરે. ભાવાર્થ ગ્રહણ થવો એટલે જ અંતર સ્થિત થવું. જેમ વહેલી સવારે ગંગા કિનારે સૂર્યોદય થાય ત્યારે તે ક્ષણે પાવન દૃશ્યના સૌંદર્યને મન માણશે, એનાં વિશે ચર્ચા વિચારણા નહિ કરે, તેમ અંતર યાત્રા રૂપે ભક્તનો હૃદયભાવ અંતરની સાત્ત્વિકતાને માણે, ત્યારે વિચારોની આવનજાવન ન હોય, પણ ભાવનું સંવેદન આપમેળે ધારણ થતું જાય. 

         મન જેમ જેમ પોતાના આત્મ સ્વરૂપની પરમાત્મા સાથેની ઐક્યતાના અણસારા ધારણ કરતું જાય, તેમ તેમ બાહ્ય વસ્તુઓના વળગણને કે સંબંધિત વ્યક્તિઓના આધારના મોહને ઓગાળતું સ્વમય ચિંતન થતું જાય. કારણ પરમાત્માની પ્રાણ શક્તિના આશ્રયે રહીને સૌ જીવે છે, એ જાણ્યાં પછી બીજી આધાર રૂપી પરિસ્થિતિઓનાં મોહમાં મન બંધાતું નથી. તેથી પરમાત્માને સમર્પિત થઈને ભક્ત જીવે અને એવા સમર્પણ રૂપે સાત્ત્વિક ગુણોનાં સંસ્કારો જાગૃત થાય. રોજબરોજના જીવનમાં પરમાત્મા સાથેની ઐક્યતાને જે માનવી જાણવા મથતો નથી, તે પાણીમાં તરતો હોવા છતાં જળની ભીનાશને એ અનુભવી શકતો નથી. માનવી જન્મની ઉત્કૃષ્ટ સિદ્ધિ એ છે કે એને મનનું આસન અર્પણ થયું છે. જે પરમાત્માનો અંશ છે. અંશજ મનની સ્થિતિ જો પોતાની આશ્રયદાતા સ્થિતિને જાણે નહિ, અનુભવે નહિ, તો એ પોતાના જન્મની અમૂલ્યતાને વેડફી નાંખે છે. સંસારી જીવનના વ્યવહારને સાચવવા માટે, સગાં વહાલાઓની નજરમાં સારા સ્વભાવનો દેખાવ કરવા માટે, માનવી કેટલાંયે પ્રકારથી જાતને ઘસી નાંખે છે, અથવા જનકલ્યાણના કાર્યો કરે છે. પરંતુ માનવીની માનવતાનું ખરું દર્શન ત્યારે થાય, જ્યારે જન્મના હેતુને સાર્થક કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ થાય અને અંતર યાત્રા થાય. જીવતાં જ સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપની દિવ્ય પ્રીતનો આનંદ ભોગવવાનો છે. જેથી સ્વજનો સાથે એ આનંદથી પ્રીતથી જીવી શકાય.

        

         મનના મૂળમાં જાવ, તો જણાય સ્વયંની મૂળભૂત સ્થિતિનો આત્મીય વસ્તાર;

         મૂળમાં જવાની અંતર યાત્રા કરો, સાત્ત્વિકભાવની જાગૃતિથી થાય સ્વયંની અનુભૂતિ;

         અનુભૂતિમાં જે તરે, તેની વિચારવાની, સમજવાની, અનુભવવાની ચાલ બદલાઈ જાય;

         ચારેકોર જણાય પછી સાત્ત્કિવભાવનું સૌંદર્ય અને મસ્ત ફકીરની જેમ આનંદ અનુભવાય.(ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More